May 06, 2017

શ્રધ્ધા, અશ્રધ્ધા અને અંધશ્રદ્ધા.. -- દિનેશ મકવાણા

શ્રદ્ધા એટલે વિશ્વાસ...

તમને તમારા પતિમાં વિશ્વાસ હોય તે એક પ્રકારની શ્રદ્ધા છે. શ્રદ્ધા તમને બળ આપે છે, હિંમત આપે છે, આગળ વધવાની પ્રેરણા આપે છે. શ્રદ્ધા પવિત્ર છે તેમાં કોઇ સ્વાર્થભાવ નથી હોતો. 

યુદ્ધ દરમિયાન પોતાના મિત્રની ચીસ સાંભળીને સૈનિક તેને મળવા જાય છે ત્યારે રસ્તામાં તેને કેપ્ટન રોકે છે અને કહે છે હવે તેને મળવાની જરુર નથી, તે માત્ર સેકંડોનો મહેમાન છે. છતાં સૈનિક પોતાના મિત્રને મળવા જાય છે. પોતાના મિત્રને દુરથી જોઇને મૃત્યુ પામી રહેલા મિત્રના ચહેરા પર હાસ્ય આવી જાય છે અને છેલ્લા શબ્દો કહે છે સાલા મને ખબર હતી જ તું ગમે ત્યાંથી આવીશ. આ શ્રદ્ધા છે.

કેટલાય મિત્રોને કહેવાતા ઇશ્વર પ્રત્યે શ્રદ્ધા છે. જયા સુધી તેમાં કોઇ સ્વાર્થની બાબત નથી ત્યાં સુધી આ શ્રદ્ધા નુકસાન કારક નથી. તેથી જે લોકો કોઇ ઇષ્ટદેવને માનતા હોય ત્યાં સુધી કોઇ સમસ્યા નથી પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી દિવાલ છે. તમારી શ્રદ્ધા ક્યારે અંધશ્રદ્ધા મા ફેરવાઇ જાય છે તેની તમને ખબર નથી પડતી. 

હમણાં જ પોતાના પિતા ગુમાવેલા મિત્રએ ચાણોદ જઇને અસ્થિ વિસર્જન કર્યા. મારુ કહેવું છે પિતાની યાદમાં તેમના અસ્થિ વિસર્જન માટે વાંધો નથી પણ તમે ઓછામા ઓછા પચાસ વ્યકિત ને લઇને ઓછામા ઓછો ૨૦૦૦૦ વીસ હજાર ખર્ચ કરો છો અને ત્યાં કોઇ બ્રાહ્મણને વિધિ કરવા ૨૦૦૦ થી ૩૦૦૦ સુધી રૂપિયાનો ખર્ચ કરો છો તેનો વાંધો છે. આ આખો ખર્ચ  નકામો છે અને તમે બચાવી શકો અને તમને ગમે તેવા સામાજિક કાર્યમાં વાપરીને પણ પિતાને યાદ કરી શકો છો. જેમ દાન કુપાત્રને ના હોય તેમ શ્રદ્ધાની પાછળ થયેલ ખર્ચ ખોટી જગ્યાએ કે ખોટી દિશામાં ના થવો જોઇએ. શિક્ષણ તમને આ તફાવત સમજાવી શકે.

અશ્રદ્ધા ધરાવતા એટલે જેને કોઈનામાં વિશ્વાસ જ ના હોય તે. કેટલાક તેમને નાસ્તિક પણ કહે છે. નાસ્તિકોને લોકો ભલે બદનામ કરતા પણ નાસ્તિક તરીકે રહેવું હિંમતવાન નું કામ છે. 

મુશ્કેલીમાં ભગવાનને યાદ કરતા શ્રદ્ધાળુને ખબર છે કે ભગવાન જાતે તો નહી આવે પણ પરિસ્થિતિ માત્ર ભગવાન સુધારી શકે તેવો વિશ્વાસ તેને બળ આપે છે, આશ્વાસન આપે છે.

નાસ્તિક ભગવાનને માનતો નથી તેથી તેને યાદ કરતો નથી તેથી મુશ્કેલ સ્થિતિમાં હકારાત્મક બનવા માટે તમારે માત્ર તમારી પર વિશ્વાસ રાખવો પડે છે અથવા એવી તૈયારી રાખવી પડે છે પડશે તેવા દેવાશે. તેને વધુ હિંમતવાન બનવું પડે છે. 

આના માટે જ અમે અંધશ્રદ્ધા નો વિરોધ કરીયે છે. કોઇ મેસેજ ને ચાર વાર કે દસ વાર કોઇ ગ્રુપ પર મોકલવાથી તમને આ મળશે કે કોઇ શુભ સમાચાર આવશે. આનાથી બીજી મુર્ખતા કઇ હોય. જેને પોતાની પર વિશ્વાસ નથી તે આવા ગતકડાં શોધતા રહે છે, કરતા રહે છે અને બીજાના કરવા આહ્વાન કરતા રહે છે. અંધશ્રદ્ધા ધરાવતી વ્યક્તિ ભોળી હોઇ શકે પણ કમજોર જરુર રહેવાની. 

કોઇ એક હોમ કે હવન કરાવાથી તમારા ઘરમાં કોઇ માનસિક શાંતિ થઇ કે નહી તે તમારે સતત ચેક કરતા રહેવું પડે છે. વિજ્ઞાનમાં સાબિતિ હોય પરંતુ ધાર્મિક બાબતમાં સાબિતિ ના હોય તેવી માન્યતાને કારણે આપણે તેમાથી બહાર નીકળી શકતા નથી. દરેક બાબતમાં તર્ક ઊભો કરો, પ્રશ્નો ઉભા કરો અને જવાબ શોધો તો તમે આમાથી બહાર નીકળી શકો. હોમ હવન વર્ષો પહેલા કરાવવામાં આવતા તેની પાછળ જે વૈજ્ઞાનિક અભિગમ હતો તે અત્યારે નથી. 

મારે એટલું જ કહેવું તમારી અંધશ્રદ્ધા ને શ્રદ્ધા તરફ વાળી ને સમાજને મદદરુપ થઇ શકો તે વિનંતી

--- દિનેશ મકવાણા (આસિસ્ટન્ટ લેબર કમિશ્નર, ભારત સરકાર.)






No comments:

Post a Comment