May 10, 2017

તરસ નો સંબંધ પાણી સાથે કે માણસ ની જ્ઞાતિ સાથે ?? - નિકુંજ મકવાણા

હમણાં થોડા દિવસ પેહલા જ બનેલી એક વાત છે, મારો પોતાનો જ અનુભવ.. એક સમાજિક પ્રસંગ મા હું મારા ફોઇ ના ગામ “કડી” ગયો હતો. મારા ભાઈ નુ લગ્ન હતુ.. ખુબ આનંદ ઉલ્લાસ માં હતા બધા.. તારીખ 2/5/17 ના રોજ સવારે તૈયાર થઇને બધા વરઘોડા ની તૈયારી કરી રહ્યા હતા.. વરઘોડો શરુ થયો અને મજા ઉઠાવતા બધા ગામ મા પહોંચ્યા.. આજકાલ તો નવ વાગે ને બપોરે બાર વાગ્યા હોય એવી કાળઝાળ ગરમી નો અનુભવ થાય છે. ગરમી ના લીધે બધા પરસેવે  રેબઝેબ થઈ ગયા હતા.. ઉનાળા નો અગન વરસાવતો તાપ હોય એમાં પરસેવા ની તો નવાઈ જ નહિ.. 

વરઘોડો પત્યા પછી બધા જાન મા જવાની તૈયારી કરવા લાગ્યા.. બધા જાનૈયાઓ બસ માં બેઠા અને બસ ઉપડી.. હું અને મારા ભાણીયા જાન માં બીજી ગાડી મા જવાના  હતા અને એ ગાડી એક ઘર આગળ  ઝાડ નીચે ઊભી હતી.. નાચી કુદી ને થાકી ગયા હતા બધા એટલે અમે બધા જ ત્યા ગયા અને ગાડી મા બેઠા..  અને ત્યારે જ મારા એક ભાણીયા એ કહ્યુ “મામા પાણી પીવુ છે, બહુ તરસ લાગી છે.” મે ત્યાં ઊભેલા એક બેન ને કહ્યુ, “બેન પાણી આપો ને..”

પાણી આપતા પહેલા એ બેન એવું કંઇક બોલ્યા જેનાથી મને અચાનક જ આંચકો લાગી ગયો..  “ભાઈ અમે તો હરિજન છીએ!! અમારું પાણી પીશો??”

મને નવાઈ લાગી કે, આજે વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજી ના જમાના માં પણ આ ગામ મા આવુ હશે!!! અને ત્યાં જ મારી નજર એમના ઘર ની બહાર લાગેલ  તકતી પર પડી ત્યાં લખ્યુ હતુ,  “ડો આંબેડકર આવાસ યોજના હેઠળ..”

પછી સહેજ હળવેક થી મે ફરી કહ્યુ, “પાણી  છે ને!! તો આપો”.. પછી એમણે એક પવાલી ભરીને પાણી આપ્યું અને અમે બધા 10 લોકો એ પીધું.. અમારી તરસ છિપી ગઈ અને એ ઘર ના પતિ પત્ની બંને ખુશ ગઈ ગયા, અમારી જોડે થોડી વાતો કરી અને પછી અમારી ગાડી ઉપડી..

મને કહેવાનું મન થયું હતું કે, બેન ગામ મા પાણી ની ટાંકી તો એક જ છે ને.. દરેક ના ઘરે જે પાણી જાય છે એજ પાણી તમારા ત્યાં આવે છે ને!! 

-- નિકુંજ મકવાણા



No comments:

Post a Comment