July 09, 2018

ખાનગી શાળાઓના સંચાલકો અને દારૂના અડ્ડાવાળા

By Raju Solanki  || Written on 21 June 2018


“એક જ સ્કુલમાં તમારા ત્રણ બાળકો ભણતા હોય તો એકની ફી માફી. એવો કોઈ નિયમ છે આરટીઈમાં?”
“ના. કેમ?”
“અમારા વિસ્તારની સ્કુલો આવું કરે છે.”
“શોપિંગ મૉલમાં બે શર્ટ ખરીદો તો એક ફ્રી નથી આપતા? હવે આ વેપારીકરણ શિક્ષણમાં શરૂ થયું છે.”

પૌત્ર અંશની અરજીની ઝેરોક્સ આપવા મારા ઘરે આવેલા રમણભાઈ પરમારે જ્યારે મને આ વાત કરી ત્યારે મારા મોંઢેથી પહેલા તો “ના હોય”નો ઉદગાર નીકળી ગયો, પરંતુ ગુજરાતમાં જે રીતે શિક્ષણની અધોગતિ થઈ રહી છે, તેવી સ્થિતિમાં આવી અવનવી સ્કીમોની આવનારા દિવસોમાં મોટા પાયે જાહેરાતો થવાની પૂરેપુરી વકી છે.
રમણદાદા સાથે વાત કરી ને હું ચાલીસ વર્ષ પહેલાના અમદાવાદમાં જતો રહ્યો. જ્યુપીટર, રૂસ્તમ જહાંગીર જેવી મિલોમાં કામ કરીને છેવટે રોહિત મિલમાં પાંત્રીસ વર્ષ ફીટર તરીકે નોકરી કરનારા રમણદાદા હાલ સિત્તેર વર્ષના છે. કૃષ્ણનગરની અંકુર સોસાયટીમાં ટેનામેન્ટ બનાવનારા રમણદાદાએ અમદાવાદની એક વેળાની કાપડ મિલોની જાહોજલાલી જોઈ છે, એટલે હાલની સ્થિતિ પર નિસાસો નાંખતા કહે છે, “હવે તો મશિને મશિને કેમેરા. મૂતરવા જાવ તો ત્યાં પણ કેમેરો. કેન્ટિનમાં ચા પીવા જાવ તો ત્યાં પણ કેમેરો. પગાર રૂપિયા રોજનો ચારસો અને એ પણ કોન્ટ્રાક્ટ પર. કાયમીના કોઈ લાભ નહીં.”
મૂળ સૈજપુર ગામના વતની રમણદાદાનું પરગણું છે દસકોશી. એમનું નવું ઘર જૂના મહોલ્લાથી થોડુંક જ દૂર છે. મહોલ્લામાં છેલ્લા એક વર્ષમાં પાંચ યુવાનો દારૂના વ્યસનને લીધે મરી ગયા એનો અફસોસ વ્યક્ત કરતા એમણે કહ્યું કે, “હવે દારૂના અડ્ડાવાળા એમના ગ્રાહકનો વીમો ઉતરાવે છે અને પછી એને પુષ્કળ દારુ પીવડાવે છે. પેલો મરી જાય એટલે એનો વીમો પોતે લઈ લે છે.” મારા માટે આ તદ્દન નવી વાત હતી. ખાનગી શાળાઓના સંચાલકો અને દારૂના અડ્ડાવાળાઓ આટલા સર્જનાત્મક થઈ ગયા છે અને આપણે સાવ ડોબાના ડોબા રહી ગયા.

બેટીપઢાવો, બેટી બચાવો સૂત્ર કોના માટે?

By Raju Solanki  || Written on 20 June 2018



એક દેવીપૂજક પરીવાર આજે મારા ઘરે આવ્યો. મેં એમની સાથે વાતો કરી. તેમના દિલમાં પોતાના સંતાનોને ભણાવવાની કેવી તાલાવેલી છે એની મને ખબર પડી. પિતા રાજેશ પટણી છૂટક મજુરી કરે છે. તડકામાં રખડી રખડીને એનો ચહેરો કાળોમેશ થઈ ગયો છે. સૂકલકડી બાંધાની ને માંડ ચાલીસ કિલો વજનની જણાતી માતા અરુણા અગરબત્તીનો વેપાર કરે છે. શેર લાવીને શેર ખાય છે. એમની દીકરી આરુષીને આ વર્ષે આરટીઈ એક્ટ હેઠળ 25 ટકા ક્વૉટામાં બાપુનગરના સર્વોદય વિદ્યાલયમાં પ્રવેશ મળ્યો હતો. 
હવે તેમણે ઘર બદલ્યું છે. તેઓ મેઘાણીનગરમાં શાંતિનગરની ચાલીમાં રહેવા આવ્યા છે. શાળા ટ્રાંસફર માટે છેલ્લા એક પંદર દિવસમાં એમણે વસ્ત્રાપુરની ડીઈઓ કચેરીમાં વારંવાર ધક્કા ખાધા, પણ કોઈ સાંભળે જ નહીં. ગત તેરમીએ આપણે સામૂહિક અરજીઓ આપવાનો કાર્યક્રમ રાખ્યો અને એમની અરજી સ્વીકારાઈ. આજે એની ઝેરોક્સ કોપી આપવા મારું ઘર શોધતા શોધતા આવ્યા. મેં બેસવા ખુરશી આપી, પણ અરુણાબેન નીચે ભોંય પર જ બેસી ગયા. 
આ એક સાવ સામાન્ય, નગણ્ય, ક્ષુલ્લક મુદ્દો છે. મોટાભાગના લોકોને આમાં લગીરે રસ નહીં પડે. પણ એક દેવીપૂજક દંપતિ માટે અત્યારે આ અત્યંત ગંભીર સવાલ છે. અરુણાબેન કહેતા હતા કે આરુષી રોજ રઢ પકડે છે, સ્કુલે જવાની. એને ભણવાની બહુ ઇચ્છા છે. ડીઈઓ કચેરીમાં કોઈ સાંભળતું નથી. મેં કહ્યું, તમારું કામ થશે જ, ડીઈઓ કચેરીનો કાન પકડીને આપણે આ કામ કરાવીશું. 
એક દેવીપૂજક દીકરીના ભણતરનો સવાલ છે.
“બેટી પઢાવો, બેટી બચાવો,” સૂત્ર શું ગ્લોબલ ગુજરાતી, એનઆરઆઈ, એનઆરજી માટે છે? ટાઇમ્સ ઑફ ઇન્ડીયાના વાચકો માટે જ છે? દેવીપૂજકને નથી લાગુ પડતું? 
રૂપાણી સાંભળો છો?


Facebook Post :-

શિક્ષણની તાલાવેલી

By Raju Solanki  || Written on 16 June 2018


ભૂજમાં મીરઝાપુર રોડ, હાઇવે પર ભગવતી હોટલ સામે ઝુંપડામાં રહેતા અમથુબેનનો મારા પર ફોન આવ્યો. કહે છે, “મારો છોકરો પીથોરાગઢ પ્રાથમિક શાળામાં ચોથા ધોરણમાં ભણે છે, એને મારે ઇંગ્લિશ મીડીયમમાં ભણાવવો છે. કેમ કે, ઇંગ્લિશમાં એક વરસ ભણાવો એટલે ગુજરાતીમાં પાંચ વરસ ભણાવવા બરાબર છે.”
એમને ગરવી ગુજરાતીની ગૌરવગાથા કહેવાનું મને ઉચિત ના લાગ્યું. હું એમને સાંભળતો જ ગયો. છોરાને અંગ્રેજીમાં ભણાવવા માટે એમણે કેવા પ્રયાસ કર્યા એનું વર્ણન કરતા એમણે કહ્યું, “હું ધ્રંગ લોડાઈ ગઈ. ત્યાં ઇંગ્લિશ મીડીયમની સ્કુલ છે. ખ્રિસ્તી બેનો ભણાવે છે. એમને પૂછ્યું તો કે’છે રૂપિયા 26,000 વરસની ફી ભરો. એકથી પાંચ ધોરણ સુધી છવીસ હજાર, એના પછી તો ફી વધારે છે. પછી હું અહીં ભૂજમાં નવી સ્કુલ બની છે. લાયન સ્કુલ. તો એમાં એકથી પાંચ ધોરણની ફી રૂપિયા 32,000.”
“હું તો ચાર ચોપડી ભણી છું. મજુરી કરું છું. મારો ઘરવાળો અંગુઠાછાપ છે. કડીયાકામ કરે છે. સાંજ પડે, 300-400 રૂપિયા લઈને ઘરે આવે છે. મને તો મારા માબાપે ના ભણાવી પણ, મારે મારા છોકરાને ભણાવવો છે.”

ગુજરાતના એક અતિ પછાત જિલ્લાની કોળી-ઠાકોર સમાજની એક અભણ માતાની આ વેદના છે. એણે પંદર મિનિટ સુધી મારી સાથે વાત કરી. મને એની વાતમાં રસ પડ્યો એટલે ચાલુ ફોને એની વાતો મારી ડાયરીમાં ટપકાવી લીધી. એની સાથે કામ કરતી બહેને એને મારો નંબર આપીને કહેલું, કે આ સાહેબને ફોન કરો એ શિક્ષણનું કામ કરે છે. મેં એને કહ્યું કે ભૂજમાં અમારા સાથીદારોને તમારો ફોન નંબર આપું છું. તેઓ તમને મદદ કરશે. એમણે જય માતાજી કહીને ફોન મૂકી દીધો. હજુ હું વિચારું છું, ભૂજની મારી આ બહેનને શિક્ષણની કેવી તાલાવેલી જાગી છે. હવે આ જ એક મુદ્દો છે ગુજરાતમાં જેના પર આપણે વિચારવાનું છે, લડવાનું છે.


Facebook Post :-

રેશનાલિઝમનો પ્રચાર કઈ રીતે થાય?

By Raju Solanki  || Written on 15 June 2018


રેશનાલિઝમનો પ્રચાર શિક્ષણના પ્રચાર વિના થઈ જ ના શકે.
અંધશ્રદ્ધા અને નિરક્ષરતા બે સગી બહેનો છે. બંને એકબીજાના સહારે જીવે છે.
તમે તમારા સમાજમાં શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે કશું જ ના કરો અને રાત-દિવસ હિન્દુ ધર્મના દેવી દેવતાઓને ભાંડ્યા જ કરો તો તમારા જેવો મોટો ગધેડો કોઈ નથી.
જે મહાપુરુષો ફેસબુક અને વોટ્સઅપ પર હિન્દુ ધર્મના દેવી દેવતાઓની સતત ખોદણી કર્યા કરે છે એમની મને બહુ ઇર્ષા થાય છે. એમની પાસે કેટલો બધો સમય છે. એમને ‘ચૌદસીયા’ કહીને હું મારી કલમને લજ્જિત નહીં કરું.
મારે તો એટલું જ કહેવું છે કે, તમને તમારા સમાજની બે પૈસાનીય ચિંતા હોય તો રાઇટ ટુ એજ્યુકેશનને પ્રાયોરિટી આપો, એ સિવાયનું તમારું રેશનાલિઝમ નરી ભડવાખાની છે.


Facebook Post :