October 03, 2017

વિશ્વ હિન્દુ પરિષદનો દંભ છતો થયો

By Raju Solanki  || 1 October 2017 at 10:02 



“દલિતોનું બૌદ્ધ ધર્મ પરિવર્તન શું હિન્દુ ધર્મ માટે ખતરાની ઘંટી છે?” આ વિષય પર ગઈ કાલે વી ટીવી ચેનલ પર ડીબેટ રાખવામાં આવી હતી. સ્ટુડીયો પર પહોંચ્યા પછી મને ખબર પડી કે ડીબેટમાં માત્ર હું એકલો જ છું. વિશ્વ હિન્દુ પરિષદના મીડીયા મંત્રી હેમેન્દ્ર ત્રિવેદીએ ડીબેટમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. કારણ પૂછતાં તેમણે જણાવેલું કે ચૂંટણી આવી રહી છે એટલે દલિતોના મુદ્દે કંઈ જ ના બોલવું એવો અમને આદેશ છે.
વડોદરામાં સો દલિતોએ સંકલ્પ ભૂમિ પર બૌદ્ધ ધર્મ પરિવર્તન કર્યું હતું. તેના સંદર્ભમા આ ડીબેટ રાખવામાં આવી હતી. ચેનલે મને જણાવેલું કે વિશ્વ હિન્દુ પરિષદનો પ્રવક્તા ડીબેટમાં જોડાવાનો છે. હવે વિશ્વ હિન્દુ પરિષદ પોતે જો ચૂંટણીના કારણે મહત્વના નીતિ વિષયક મુદ્દા પર બોલવા માંગતી ના હોય તો એનો સ્પષ્ટ અર્થ એવો થયો કે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરતી નિષ્ઠાવાન સંસ્થા નથી, બલકે ચૂંટણીની ગણતરીઓથી કામ કરતી સ્વાર્થી, લાલચુ અને દંભી લોકોની જમાત છે.
આ ડીબેટમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાએ આવીને કહેવું જોઇતું હતું કે દલિતોએ બૌદ્ધ ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી. અમે તેમના હિતોની રખેવાળી કરવા બેઠા છીએ. અથવા તો એમ કહી દેવાનું હતું કે અમે દલિતોને માત્ર હુલ્લડોમાં મુસલમાનો સામે લડાવવા પૂરતા જ હિન્દુ ગણીએ છીએ.

Watch Videos :-




આંદોલનો અને રાજનીતિ

By Raju Solanki  || 1 October 2017 at 15:55



એ કેટલું આઘાતજનક છે કે ગઈકાલે એક્સપ્રેસ અડ્ડામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોઇએ એવો સવાલ જ ના પૂછ્યો કે છેલ્લા વીસ વર્ષથી તમારા પક્ષે ગુજરાતના શિક્ષણનું ખાનગીકરણ કરીને જે પત્તર ઠોકી છે એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તમારી પાસે છે કે કેમ? કે પછી રાષ્ટ્રીય સ્તરે નીટની પરીક્ષામાં ગુજરાત બોર્ડના ઉમેદવારોની સીબીએસઈ ભણેલા રઇશજાદાઓ સામે સ્પર્ધામાં ટકવાની અક્ષમતાનો તમારી પાસે કોઈ હલ છે ખરો? કે પછી કિસાનોની આત્મહત્યાઓ અને યુવાનોની બેકારીને નાથવાનો કોઈ રોડ મેપ છે કે કેમ?
આવા સવાલો પૂછવાના બદલે રૂપાણીને ફલાણા આંદોલનખોરો વિષે ટીપ્પણી કરવા જણાવવામાં આવ્યું હતું. અને રૂપાણીએ કહ્યું કે એમણે ચૂંટણી લડવી જોઇએ, જેથી એમની લોકપ્રિયતાની કસોટી થાય. જાણે અમુક લોકોના રાજકારણમાં જોડાવાથી પ્રજાની કારમી સમસ્યાઓ હલ થઈ જવાની હોય.
એક્સપ્રેસ અડ્ડાની કાલની બેઠકમાં ગુજરાતના જાણીતા કેળવણીકારો પણ હતા, પરંતુ તેમણે પણ રૂપાણીને ગુજરાતીઓની શૈક્ષણિક દુર્દશા અંગે કોઈ સવાલો ના કર્યા. કદાચ એમને અડ્ડાની બેઠકોનું છાપાની પહેલા પાની બોટમ સ્ટોરી સિવાય કશું જ વજુદ નથી તેની ખબર હશે.
શું મોદી કે શું રાહુલ કે શું રૂપાણી – રાજકારણમાં એમના આવવાથી લોકોને શું ફરક પડ્યો છે? કેટલાક ભક્તોને મંજીરા વગાડવાના મનગમતા પ્રતીકો મળ્યા છે કે બીજું કંઈ? તમારા નેતાઓની આખરી કસોટી તો એ જ છે કે લોકોના પ્રશ્નો ઉકેલવાની એમની કેટલી આવડત છે.
ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, નોકરીના સવાલો ઉકેલવામાં મોદીની નિષ્ફળતાને કારણે છેલ્લા એક વર્ષમાં આંદોલનો આવ્યા છે. કોંગ્રેસે એનો લાભ ઉઠાવ્યો છે એટલું જ. રૂપાણીએ કોંગ્રેસને દોષ દેવો ના જોઇએ. પાંત્રીસ વર્ષ પહેલાં એમના પક્ષે પણ અનામત આંદોલનોનો ઉપયોગ કે દુરુપયોગ કોંગ્રેસવિરોધી લાગણીઓ ભડકાવવામાં કર્યો હતો. આંદોલનો તો લોકશાહીમાં પ્રજાને મુરખ બનાવવા થાય છે. સત્તા પર તો મુડીવાદીઓ, બિલ્ડરો, માલેતુજારો જ આવે છે. પક્ષ કોઈ પણ હોય.