November 14, 2019

નેહરુની કંગાલિયત

By Raju Solanki  || 8 Nov 2019



બાબાસાહેબ પાસે ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મા’ છાપવાના પૈસા નહોતા. એમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો અને પ્રેસમાં છપાઈ રહેલા પુસ્તકની માત્ર પાંચસો નકલો ખરીદવાની વિનંતી કરી તો જવાબમાં નેહરુએ એ નકલો ખરીદવાની ઘસીને ના પાડી દીધી એટલુ જ નહીં બાબાસાહેબને બુદ્ધ જયંતીએ સ્ટોલ લગાવીને પુસ્તક વેચવાની સલાહ આપી.

તો વાંચો નેહરુને સંબોધીને બાબાસાહેબે તા. 14 સપ્ટેમ્બર, 1956ના રોજ લખેલો પત્ર,

વહાલા પંડિતજી,
હમણાં જ જેનું લખાણ મેં પૂરું કર્યું છે એ મારી કિતાબ ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મા’નું વિષયવસ્તુ દર્શાવતી મુદ્રીત બુકલેટની બે નકલો આ પત્ર સાથે બીડી રહ્યો છું. આ કિતાબ હાલ પ્રેસમાં છે. વિષયવસ્તુ પરથી તમે જોઇ શકશો કે આ કામ કેટલું સઘન થયું છે. પુસ્તક સપ્ટેમ્બર 1956માં બજારમાં આવી જશે. મેં આના પર પાંચ વરસ કામ કર્યું છે. બુકલેટ પરથી આ કામની ગુણવત્તા જણાઈ આવશે.

પ્રિન્ટિંગ કોસ્ટ હેવી છે અને લગભગ રૂ. 20,000 થશે. આ મારી ક્ષમતા બહારનો ખર્ચ છે અને તેથી હું તમામ વર્ગોની મદદ મેળવવા કેન્વાસિંગ કરી રહ્યો છું.

બુદ્ધની 2500 વર્ષમી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભારત સરકાર જે વિદ્વાનોને આમંત્રી રહી છે તેમને તેમ જ વિવિધ પુસ્તકાલયોમાં વહેંચણી અર્થે આ પુસ્તકની 500 નકલો ભારત સરકાર ખરીદી શકે તો મને ગમશે.
તમારો બુદ્ધ ધર્મમાં રસ છે તે હું જાણું છું. અને તેથી હું તમને આ પત્ર લખું છુ. આશા છે કે તમે આ બાબતમાં મને થોડી મદદ કરશો.

તમારો ભવદીય,

ડો. બી. આર. આંબેડકર
26, અલીપુર રોડ, સિવિલ લાઇન્સ, દિલ્હી

હવે જવાહરલાલ નેહરુએ જવાબમાં શું કહ્યું તે વાંચો.

મારા વહાલા ડો. આંબેડકર,

તમે જેનું સૂચન કર્યું છે એ તમારા પુસ્તકની નકલો મોટી સંખ્યા ખરીદવી શક્ય છે કે કેમ એ બાબતે મને શંકા છે. અમે બુદ્ધ જયંતીના પ્રસંગે પ્રકાશન માટે કેટલીક રકમ ફાળવી હતી. એ રકમ વપરાઈ ગઈ છે. હકીકતમાં, વધારે પડતી વપરાઈ ગઈ છે. એટલે, બુદ્ધ ધર્મ સંબંધિત પુસ્તકો માટે નાણા ફાળવવાની કેટલીક દરખાસ્તોને અમારે નકારવી પડી હતી. તેથી હું તમારો પત્ર બુદ્ધ જયંતી સમિતિના અધ્યક્ષ ડો. રાધાકૃષ્ણનને તમારો પત્ર મોકલી રહ્યો છું.

હું એવું સૂચન કરીશ કે બુદ્ધ જયંતી ઉજવણીના સમયે દિલ્હી અને બીજે બધે જ્યાં વિદેશથી ઘણા લોકો આવે છે ત્યાં તમારા પુસ્તકને વેચાણ માટે મૂકી શકાય. ત્યાં તેનું સારું વેચાણ થઈ શકે.

તમારો વિશ્વાસુ,
જવાહરલાલ નેહરુ