Showing posts with label Philosophy. Show all posts
Showing posts with label Philosophy. Show all posts

May 13, 2020

જગતની સર્વશ્રેષ્ઠ પ્રાર્થના : વિજય મકવાણા

By Vijay Makwana  || 03 May 2020


આ જગતની સર્વશ્રેષ્ઠ પ્રાર્થના છે. જે તમારા પોતાના માટે છે. તમે કરી જુઓ.. મન ખુશીથી ભરાઈ જશે.

હું મારા માતા-પિતાને એ ભાવનાથી મુક્ત કરું છું. કે તેઓ મને જેવો ઈચ્છતા હતા તેવો બનાવી નથી શક્યા. હું મારા બાળકોને મારા પર ગર્વ કરવા તેમજ મારી શરતે જીવન જીવવાની શરતોમાંથી મુક્ત કરું છું. કેમ કે તેઓ પોતાનું હૃદય કહે તેમ જીવન જીવી શકે. અને પોતાની મન મુજબનો રસ્તો પસંદ કરી શકે. હું મારા જીવનસાથીને એ ફરજમાંથી મુક્ત કરું છું. કે તે મને સંપૂર્ણ છું તેવું મહેસુસ કરાવવા સતત પ્રયત્ન કરે છે. હું તેને દિલાસો આપું છું કે મારા માં હવે કોઈ અપૂર્ણતા નથી બચી. હું એ તમામ જડ ચેતન પદાર્થો, તથા જીવસજીવ નો આભાર વ્યક્ત કરું છું કેમ કે હું અહીં જે કઈ પણ શીખ્યો છું તે તેમની પાસેથી શીખ્યો છું હું એ લોકોનો પણ આભારી છું જેઓ હંમેશા કોઈને કોઈ અપેક્ષા સાથે અથવા કોઈપણ અપેક્ષા વિના મારી આસપાસ રહ્યા છે અને મારા વ્યક્તિત્વના ઘડતરમાં મને સહયોગ આપ્યો છે. હું મારા દાદા-દાદી, મારા નાના-નાની અને મારા પૂર્વજોનો ખુબ આભારી છું. કારણ કે તેઓ એકબીજા સાથે મળ્યા તેઓના શુભ મિલનની ક્ષણોથી જ મારું આજનું અસ્તિત્વ છે. અને હું મારા તમામ પૂર્વજોને અતીતના સઘળા દોષોથી મુક્ત કરું છું. કેમ કે મારા અસ્તિત્વને અહી સુધી પહોચાડવા તેમણે કેટલીય ઈચ્છાઓને પોતાની છાતીઓમાં દબાવી દીધી હશે. તેમણે કશું ખરાબ કર્યું હશે એવું હું માની શકતો નથી. એટલે હું તેમને પ્રેમ કરું છું તેમનું સમ્માન કરું છું. મારી ચેતનામાં રહેલા તમામ શુભ ભાવોથી પેદા થતું શ્રેષ્ઠ કર્મ અને તેનું શ્રેષ્ઠ ફળ હું મારા પૂર્વજોને સમર્પિત કરું છું. હું મારી આસપાસ રહેલા તમામ ને વચન આપું છું કે, હું દરેક ક્ષણે મારા આત્મા સાથે સંવાદ માં રચ્યો-પચ્યો રહીશ. મારો આત્મા કહેશે તેમ તમારી સાથે મારા અને તમારા સહઅસ્તિત્વનો ન્યાય કરીશ. પણ હું ક્યારેય તમારો ઉદ્ધારક બનવાની કોશિશ નહિ કરું. કેમ કે હું જાણું છું મારી પાસે જેવો સુંદર આત્મા છે એવો સુંદર માર્ગદર્શક આત્મા તમારી પાસે પણ છે. હું માત્ર એવું ઈચ્છી શકું છું કે તમારું અને મારું સહઅસ્તિત્વ અને જીવન શાંતિપૂર્વક, આનંદદાયક રીતે, કોઈ પણ અવરોધ કે અડચણ વિના સફર કરે. તેમ છતાય તમારામાંથી કોઈને હું ક્યારેય સમજાયો નહિ કે મારા વિચારો અને કર્મો તમારી સાથે મળતા નથી તો ફિકર ના કરશો. હું માત્ર મને સમજવા માટે જ આ પૃથ્વી પર આવ્યો છું. મને પ્રકૃતિએ ખાસ વિશિષ્ટ કાર્ય માટે સર્જ્યો છે. મને એ ખબર નથી કે મારે કયું કાર્ય કરવાનું છે. મારે મારા સર્જનના હેતુ એટલે કે, એ કારણ સુધી પહોચવાનું છે. તમે મને એ જ ક્ષણે વિના વિચાર્યે રત્તીભર દુઃખ અનુભવ્યા વગર મને સ્વતંત્ર મૂકી દો કેમકે મેં તમને લોકોને મારાથી સ્વતંત્ર કર્યા છે. હું પ્રાર્થના કરું છું તમે પણ સ્વતંત્ર થાઓ... મુક્ત થાઓ..

- વિજય મકવાણા