March 13, 2018

ગટરમાં મરતા સફાઈ કામદારોને વળતર માટેની બે દાયકાની લાંબી લડત સફળ થશે

By Raju Solanki  || 11 March 2018 at 9:44pm 



પૂરતા સુરક્ષા સાધનો વિના ગટરમાં ઉતરતા અને ઝેરી ગેસથી ભયાનક મૃત્યુને ભેટતા સફાઈ કામદારોની રક્તરંજિત યાદી 2003માં વાલ્મીકિ સમાજના ઉત્સાહી, પ્રતિબદ્ધ અને લડાકુ કર્મશીલ પરસોત્તમ વાઘેલાએ વર્ષ 2004માં મને આપેલી. આ યાદી મેં મારા પુસ્તક ‘ભગવા નીચે લોહી’માં સામેલ કરેલી. ગુજરાતમાં હિન્દુ હ્રદય સમ્રાટ નરેન્દ્ર મોદીના શાસનમાં સફાઈ કામદારોની ભયંકર હાલત ઉજાગર થઈ હતી. અને ત્યારે ‘ભગવા નીચે લોહી’ની પાંચ હજાર નકલો છપાવીને વિના મૂલ્યે કર્મશીલોમાં વહેંચવામાં આવેલી. આ પુસ્તકનો અંગ્રેજી ભાવાનુવાદ Blood under Saffron છપાયો અને એમાં પણ યાદી છપાઈ હતી. ગુજરાતી અને અંગ્રેજી બંને પુસ્તકો મારા બ્લોગ્સ પર મેં મુકેલા અને ત્યાર બાદ નવી દિલ્હી સ્થિત રાઉન્ડ ટેબલ ઇન્ડીયા વેબસાઇટ પર સાદ્યંત પુસ્તક મુકાયેલું. આમ, આ યાદી સમગ્ર દેશમાં અને દુનિયામાં લોકો સુધી પહોંચી ગયેલી. અને નેટ પર ઘણા લોકોએ લેખકનો આભાર માન્યા વિના પોતાના નામે પોસ્ટ કર્યે રાખી હતી. 2010માં દલિત અગ્રણી વાલજીભાઈ પટેલે રાઇટુ ટુ ઇન્ફર્મેશન હેઠળ આ તમામ અપમૃત્યુની એફઆઈઆર જે તે પોલિસ સ્ટેશનોમાંથી મેળવેલી અને તેમણે પણ ગુજરાત સરકારને આવેદનપત્ર આપેલું. એ વખતે ગટરમાં થતા અપમૃત્યુના બદલામાં વળતર પેટે રૂ. 10 લાખની માગણી પણ અમે લોકોએ કરી હતી. આમ, વિવિધ વાલ્મીકિ-દલિત સંગઠનો અને કર્મશીલોની છેલ્લા બે દાયકાની લડતને પરિણામે સરકાર હવે મૃતકોના સ્વજનોને વળતર ચૂકવશે. આ ઉમદા લડતમાં યત્કિંચિત ફાળો આપનારા તમામ કર્મશીલોને સલામ. જય ભીમ.









Blood under Saffron: The myth of Dalit-Muslim confrontation Links :-

ગામડાના દલિતોની રણનીતિ. કેટલાક વિચારો

By Raju Solanki  || 10 March 2018 at 8:31pm



સૌરાષ્ટ્રના ગામડાઓમાં દલિતો પર દિનપ્રતિદિન અત્યાચારો વધી રહ્યા છે. આવા સંજોગોમાં દલિતોએ શું કરવું? સૌરાષ્ટ્રના એક ગામમાં દલિત સૈનિકે જુગાર રમતાં લોકોને ઠપકો આપ્યો અને એની છાતી ચાળણી થઈ ગઈ. સૈનિકના માબાપ ગાંધીનગરમાં ધરણા પર બેઠા, ત્યારે એક ગુજરાતી અખબારે લખેલું કે સૈનિકે જુગારીઓ જોડે ઉદ્ધત વર્તન કરેલું. ખરી વાત છે. સૈનિકે શા માટે ઠપકો આપ્યો? એણે જુગારીઓને ઠંડુ પાણી પીવડાવવું જોઇતું હતું. એ પોતે મીલીટરીમાં હતો. કેન્ટોનમેન્ટમાંથી દારુ લાવીને જુગારીઓને પીવડાવવાનો હતો. જુગારીઓ બાપડાં પત્તા રમતા હતા. જન્માષ્ટમીએ તો આખો સમાજ પત્તા રમે છે. અને ભાજપ-કોંગ્રેસ તો વિધાનસભામાં દાયકાઓથી, મજેથી પત્તા જ રમે છે. દર પાંચ વર્ષે પત્તા ચીપાય છે. ટાઇમ્સ ઑફ ઇન્ડીયા એને લોકશાહીનું નૃત્ય (dance of democracy) કહે છે. હું એને લોકશાહીનો જુગાર (gambling of democracy) કહું છું. અહીં કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે, હોડમાં પ્રજા જ મુકાય છે અને છેલ્લે પ્રજાની જ હાર થાય છે. લાસ વેગાસના કોઈપણ કાસિનો કરતા પણ મોટી હેરાફેરી અહીં થાય છે. 
*
થાનગઢમાં આગલા દિવસે મેળામાં દલિતો અને ભરવાડના જુથો વચ્ચે મારામારી થયેલી. મેહુલના પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં લખેલું કે એને છાતી પર ઇજા થઈ હતી. એણે ઘરે આવીને કોઇને કહેલું પણ નહીં. રાત્રે પંકજને પોલિસે ગોળી મારી. બીજા દિવસે દલિતો પોલિસની સામે ધસી ગયેલા, એમાં મેહુલ પણ હતો. પોલિસના હાથમાં એકે-47 અને દલિતોના હાથમાં બાવળીયાના ઝાંખરા. કેટલું ભયાનક ઝનુન. પરિણામ કેટલું વિકરાળ. 
*
દલિતોને ક્યાંક મૂછો વધારવાથી માર પડે છે. મૂછો શા માટે રાખો છો? ‘વાણીયાભાઈની મૂછ નીચી’ કહેનારા વાણીયા આજે રાજ કરે છે અને મૂછો પર લીંબુ ઠેરવતા દરબારો પડીને પાધર થયા છે. દરબારોની નકલ કરવા કરતા વાણીયાની કરો. બંને વર્ણવ્યવસ્થાના જ પ્રતીકો છે. તમારે તો નકલ જ કરવી છે ને? તો મૂછ વિનાનું પ્રતીક શું ખોટું? નકલમાં તો અકલ રાખો. 
*
ઉનામાં બાલુબાપાને માર પડ્યો. હજુ ઘરમાં માયાવતીનો ફોટો રાખે છે. શરમ નથી આવતી બાલુભાઈને. અરે ભાઈ, ઘરમાં નરેન્દ્ર મોદીનો ફોટો રાખો. મોદીનો ના રાખવો હોય તો રાહુલજીનો રાખો. તેઓ આવતી કાલે વડાપ્રધાન બનવાના છે. જાણીતા વિદ્વાન કટાર લેખકો, ઊંડા રાજકીય વિષ્લેષકો, લબ્ધ પ્રતિષ્ઠિત સમાજશાત્રીઓ એક અવાજે કહી રહ્યા છે. રાહુલબાબા ઉગતો સૂરજ છે. માયાવતી આથમતી અમાસ છે. કોનો ફોટો રાખવો કે ના રાખવો એ પણ તમને સમજાવવાનું? બેવકૂફ માણસો. સમજો. જીવતો નર ભદ્રા પામે. સર સલામત તો પઘડીયા બહોત. સમય પ્રમાણે સુકાન ફેરવો. સમજ ના પડતી હોય તો ફેસબુક પરની પોસ્ટો વાંચો.
*
ગામડાના દલિતોએ શહેરના દલિતોને એક વાત ખોંખારીને કહી દેવાની જરૂર છે. મહેરબાની કરીને લક્ઝરીઓ ભાડે કરીને અહીં દેકારો કરવા આવશો નહીં. તમે શહેરના અભયારણ્યમાં મજેથી રહો છો. જલસા કરો. અહીં ગામડામાં આવીને ક્રાંતિના નાટકો કરશો નહીં. અહીં ગામડામાં ગાંધી, સરદાર નેહરુ, રૂપાણી, ધનાણી, કાનાણી કોઈનીએ કોઈ શરમ ભરતું નથી, તો તમે કયા ખેતની મૂળી? આપણે બંદૂક ઉઠાવી શકીએ એમ નથી. આપણે પોતે સીક્યૂરિટી માંગીએ છીએ. બીજાને શું અભયદાન આપીશું? તમે શહેરવાળા તમારી ચિંતા કરો. અમે ગામડાવાળા અમારું ફોડી લઇશું. 
*
અને છેલ્લે, ગામડાના દલિતોએ મીડીયા પર ભરોસો કરવો નહીં. મીડીયાને દલિતોમાં રસ નથી, દલિતોની લાશોમાં રસ છે. અખબારોને સરક્યુલેશન વધારવું છે અને ટીવી ચેનલોને એમની ટીઆરપી. મીડીયાના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. હમણાં એક ટીવી ચેનલ પર એક ડીબેટમાં ભાગ લેવા ગયો ત્યારે મેં જોયું કે એન્કર ટીવી પર જાતિવાદી આંદોલનોને અને આંદોલનકારીઓને ભાંડતો હતો અને જેવી ડિબેટ પૂરી થઈ ત્યારે એની ચેમ્બરમાં “હવે મધ્યસત્ર ચૂંટણી આવવાની છે અને કોંગ્રેસ 120 બેઠકો લાવવાની છે,” એમ કહી રહ્યો હતો. સરવાળે જાતિવાદી તમે છો, ભાજપ અને કોંગ્રેસ તો દૂધે ધોયેલા છે. એ રાજ કરશે. તમારે તો ખહટાવવાનું જ છે.

- Raju Solanki

કાલે ગુજરાતી ભાષા શંકર પેન્ટરને ચોક્કસ કહેશે, થેંક્યુ દલિત કવિ

By Raju Solanki  || 7 March 2018 at 8:55am



“ચ્યમ ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ
મારા હોમું હેંડત હાળા 
લગીર તન બીક ના લાજી.
પૂછજે તારા વાહમ જઇન
હું કુણ સુ તન કેહ એ તો
લેમડે બોંધી બાપન તારા 
ધોક્કે ધોક્કે ધધડાયો’તો
મેલ્લામથી ડોસીયો આઈ
ખોળા પાથરી સોડાયો’તો
દુણી લઇન સાસ લેવા 
આવજે અવ ગોંમમ દીયોર
હોદ પડાવું ઓઈંથી જઇન
બંધ કરી દો દાડીયાઓન
પોલિસ પટલ સરપંચ મારો
તલાટી ન મંતરી મારો
ગામનો આખો ચોરો મોરો
તાલુકાનો ફોજદાર મારો
જોઇ લે આખો જીલ્લો મારો
મોટ્ટામ મોટ્ટો પરધોન મારો
દીલ્લી હુધી વટ્ટ સ મારો
કુણ સ તારુ? કુણ સ તારુ?
ધારું તો ’લ્યા ઠેર મારું.”

કલમના એક જ લસરકે શંકર પેન્ટરે સદીઓથી લાચાર, હાથ જોડીને કગરતા, બીતા, માર ખાતા દલિતનું અને તેને પ્રતાડતા આતંકી સવર્ણ દબંગીઓની લોંઠકી માનસિકતાનું અદ્ભૂત ચિત્ર અહીં દોરી નાંખ્યું. આ ગીત તો ઘણાએ સાંભળેલું, પરંતુ એની સીક્વલ, જેમાં આ ગભરુ દલિત પલટવાર કરીને કહે છે, “તું શું મારે ઠેર અમોને, બકવા તારો બંધ કરી દે” બહુ ઓછા લોકોએ સાંભળી છે. તેમાં પ્રતિ-આક્રમણ (retaliation) કરતો કાળઝાળ દલિત કહે છે,

“તું શું મારે ઠેર અમોને
બકવા તારો બંધ કરી દે.”
જરા તારા દિદાર તો જો,
”એન્ટેના જેવી ચોટીવાળા,
બલુન જેવી ફાંદવાળા, 
સંકર-આચાર્યના કોઠા બીલ્લાં.”

અને પછી મૂછો પર વારંવાર હાથ ફેરવતા સામંતી અડીયલ ટટ્ટુઓને એમની કાયરતાના શરમજનક ઇતિહાસના પાના ખોલીને બતાવે છે, 
યાદ કરો ઇતિહાસ.

“તૈમૂર અને તુગલગ આયા, તાર ઘાઘરામ ચ્યમ લપઈ જ્યા’તા.
અકબર જેવા બાદશાહો તમારી બૂન ન છોડી પૈણી જ્યા’તા
ન ઔરંગઝેબના દાબથી તો દીયોર ઉભા ન ઉભા મૂતરી જ્યા’તા.”

*
1983 પછી અમદાવાદના મજુરગામ, રાજપુર-ગોમતીપુર, રાયખડ સહિતની દલિત વસતીઓમાં કવિ શંકર પેન્ટર અમારી સાથે જાતિ નિર્મૂલન સમિતિના સતત ચાલતા અભિયાનમાં ફરેલા, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની બેવડી બિમારીઓ વળગેલી તોય જાત ઘસીને લોકજાગૃતિનો જુવાળ પ્રગટાવેલો. આવા અનોખા કવિ હાલ માંદગીના બિછાને છે. એમને ન્યૂમોનીયા થયો છે. નિષ્ણાત તબીબોએ નિદાન કર્યું છે કે ઓએનજીસીમાં સ્પ્રે કલર કરતી વેળાએ હવામાં તરતા કલર કેમિકલના સૂક્ષ્મ કણો એમના ફેફસામાં ભરાયેલા એ હવે ઢળતી ઉંમરે પરેશાન કરી રહ્યા છે. બહુ ઓછા લોકોને ખબર છે કે શંકર કલમ સાથે પીંછી પણ એટલી જ નૈસર્ગિક સાહજિકતાથી ચલાવી શકે છે. વ્યવસાયે પેન્ટર એવા શંકરની પહેલી ઓળખાણ પણ એવી જ યાદગાર રીતે થયેલી.

1982માં બબલદાસ ચાવડાએ વીસનગરના સયાજીરાવ છાત્રાલયમાં દલિત કવિ સંમેલન રાખેલું. અમે સૌ એમાં ગયેલા. રેલવે ટ્રેકને ઓળંગીએ એટલે સામે છાત્રાલય આવે. છાત્રાલયના કંપાઉન્ડમાં સૌ કવિમિત્રો બેઠા પછી બધા પોતપોતાનો પરિચય આપતા હતા. બધાનો પરિચય પૂરો થયો પછી છેલ્લે આકાશવાણી થઈ હોય એમ ઉપરથી એક અવાજ આવ્યો, “મારું નામ શંકર પેન્ટર. હું પણ કવિ છું.” અમે ડોક ઉંચી કરીને જોયું તો છાત્રાલયની દિવાલે એક પાળી પર એક જાડો, બેઠી દડીનો માણસ એક હાથમાં કૂચડો અને બીજા હાથમાં ડબલું લઇને ઉભો હતો. એની બાંયવાળી સફેદ બંડી પર ઠેર ઠેર કલરના ડાઘા પડેલા. કાળા સીસમ જેવા એના ચહેરા પર પણ રંગના છાંટણા થયેલા. એને જોઇને સૌ હેરતમાં પડી ગયેલા. આ તે કેવો કવિ, સૌને મનોમન પ્રશ્ન પણ થયેલો, પરંતુ બપોરે ભોજન પછીના સત્રમાં પેન્ટરે જ્યારે એમની આગવી અદામાં કવિતાઓ સંભળાવી ત્યારે સૌ એમના પર વારી ગયેલા. હું તો ત્યારથી એમની કવિતાઓનો ચાહક બની ગયેલો.

એ કવિ સંમેલન પછી કવિ મારા ઘરે અમદાવાદ આવેલા એમની કવિતાઓની હસ્તપ્રત લઇને. મેં કાળજીપૂર્વક એમની સંઘેડા ઉતાર કવિતાઓની કોપી કરીને પ્રેસમાં છપાવવા આપેલી. 1982માં મારા પિતાનું બ્રેઇન ટ્યૂમરના જીવલેણ રોગને કારણ મૃત્યુ થયેલું. પિતાના મૃત્યુ પાછળ આપણે કોઈ સામાજિક કે ધાર્મિક વિધિવિધાનમાં પૈસા ખર્ચ્યા નથી, તો એમના સ્મરણાર્થે પેન્ટરનો કાવ્યસંગ્રહ છપાવવો ઉચિત રહેશે એવી સમજ સાથે શંકર પેન્ટરના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘બૂંગિયો વાગે”નું પ્રકાશન થયું. એક સરસ મજાના દલિત કવિની રચનાઓની પ્રસિદ્ધિમાં અંગત રીતે નિમિત્ત બન્યાનો આનંદ અને ગૌરવ હજુ મારા હૈયે છે.

શંકર પેન્ટર ન માત્ર દલિત કવિતાના, બલ્કે સમગ્ર ગુજરાતી સાહિત્યની રળિયાત ઉપલબ્ધિ છે. ગુજરાતી સાહિત્ય પરિષદે પેન્ટરને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવો જોઇએ. હમણાં મીડીયામાં, છાપામાં ને ટીવી ચેનલોમાં આપણા મૂર્ધન્ય સાહિત્યકારોને ગુજરાતી ભાષાની ચિંતા કરતા જોયા. છેક અમેરિકામાં વસતો ગુજરાતી કેવો જબરજસ્ત ભાષાપ્રેમી છે અને અહીં ઘર આંગણે ગુજરાતી ભાષાનું નખ્ખોદ વળી ગયું છે એવી એમની લવારી પણ આપણે સાંભળી. અરે સાક્ષરો, ગુજરાતી ભાષાને તમારા લૂખ્ખા, લોભીયા એનઆરઆઈ ટણપાઓ જીવતી નહીં રાખે. ગુજરાતી ભાષાને ધબકતી રાખશે ગામડાના પેલા અભણ દલિતો, કહેવાતા પછાતો, દેવીપૂજકો, રબારીઓ, ભરવાડો, તૂરી, તરગાળાઓ અને એમની તળપદી બાનીમાં લખતા શંકર પેન્ટર જેવા કવિઓ. આજે મહેસાણાનો અને ગુજરાતનો દલિત ‘સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, પાંશુ મલિન વેશે,’ લખનારા તમારા સંસ્કૃત પદાવલી પંડિત રાજેન્દ્ર શાહને કે ‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે વાત તમારી કે મારી કરવા આવ્યો છું,’ કહેનારા વિદ્વાન, લબ્ધ પ્રતિષ્ઠિત પ્રાધ્યાપક નિરંજન ભગતને નથી ઓળખતો. એ ઓળખે છે ‘ઢોલ ઓશિકે વડલા હેઠળ ઉંઘતા’ કાળીયા ઢોલીની વાત માંડતા ને કાળીયા ઢોલી જેવા જ અદના કવિ શંકર પેન્ટરને. ગુજરાતી ભાષા દાતેડાના દેવતાની કવિતાઓમાં જીવતી રહેશે.

કાલે ગુજરાતી ભાષા શંકર પેન્ટરને ચોક્કસ કહેશે, થેંક્યુ દલિત કવિ.

- Raju Solanki