November 23, 2018

પી.વી.નરસિમ્હારાવ : નિર્ણય ન લેવો તે પણ એક નિર્ણય છે

By Kiritkumar Pravasi ||  Written on 22 Nov 2018




"ભણીએ તો એ નોકરીઓ મળતી નથી","સરકારે બધું કોન્ટ્રાક્ટ પર કરી દીધું છે."-- આવું સતત સાંભળવા મળે છે. આ માટે જો કોઈ જવાબદાર હોય તો તે પી.વી.નરસિમ્હારાવ છે અને અર્થતંત્રમાં તેમણે લાગુ કરેલું LPG મોડેલ છે.
પી.વી.નરસિમ્હારાવનો જન્મ 28 જૂન 1921ના રોજ આંધ્રપ્રદેશમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ વકીલ અને લેખક હતા. કોંગ્રેસમાં સક્રિય થયા બાદ તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી બંનેની કેબિનેટમાં તેઓ પ્રધાન બન્યા હતા.
રાજીવ ગાંધીની હત્યા બાદ નરસિમ્હારાવને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રાજીવની હત્યા થઇ ત્યારે પ્રથમ ચરણનું મતદાન પતી ગયું હતું રાજીવની હત્યા પછી બીજા ચરણના મતદાનમાં રાજીવની હત્યા પ્રત્યે લોકોની સહાનુભૂતિનો લાભ કોંગ્રેસને મળ્યો અને વધુ સીટો મળી તો પણ બહુમતિથી કોંગ્રેસ પક્ષ દૂર હતો. જૂન 1991માં કોંગ્રેસે 244 સીટો જીતી હતી. વડાપ્રધાનપદ માટે શૂદ્ર મરાઠા શરદ પવાર અને ક્ષત્રિય અર્જુનસિંહ દાવેદાર હતા. નરસિમ્હારાવ આંધ્રપ્રદેશ જઈને નિવૃત્તિ ગાળવા માટે પોતાનો બોરીયો-બિસ્તરો બાંધી રહ્યા હતા.આવા સમયે જ તેમની જનોઈ કામ આવી ગઈ. સોનિયા ગાંધીએ તેમને સંદેશો પહોંચાડ્યો કે તમારે વડાપ્રધાન થવાનું છે. બાજી પલટાઈ ગઈ. 20 જૂન 1991ના રોજ નરસિમ્હારાવને સંસદીય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા 21 જૂન 1991ના રોજ તેમણે વડાપ્રધાન પદના શપથ લીધા અને 16 મે 1996 સુધી વડાપ્રધાન રહ્યા
વીપીનું કામ પીવીએ ઉલટાવવાનું હતું અત્યાર સુધી કેન્દ્ર સરકારની નોકરીઓમાં 80થી 90 ટકા હિસ્સો સવર્ણો પચાવી પાડતા હતા ત્યાં સુધી કોંગ્રેસને વાંધો નહોતો વીપી સિંહે મંડલપંચ જાહેર કર્યા બાદ 50% નોકરીઓ તો માત્ર બિનસવર્ણ વર્ગના લોકો જ લઇ જવાના હતા. કોંગ્રેસને આ પોસાય તેમ ન હતું અનુસૂચિત જાતિ /જનજાતિમાં પણ પહેલાંના મુકાબલે શિક્ષણ વધ્યું હોવાથી તેમની અનામત બેઠકો પણ પહેલા કરતા વધુ ભરાતી હતી. પછાતો નોકરીઓ મેળવી થોડા-ઘણા પણ સમૃદ્ધ ન બને તે માટે કોંગ્રેસ અને સોનિયા ગાંધીએ નરસિમ્હારાવને વડાપ્રધાનપદ માટે પસંદ કર્યા નરસિમ્હારાવે અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર મનમોહનસિંહને આ કામ માટે નાણામંત્રી બનાવ્યા આ બંનેની જોડીએ અર્થતંત્રમાં LPG MODEL લાગુ કર્યું LPG એટલે Liberalisation ( ઉદારીકરણ ), Privatization ( નિજીકરણ ) અને Globalization ( વૈશ્વિકરણ ) આ નીતિ લાગુ કર્યા બાદ જાહેર સાહસો વેચવા કાઢ્યા શિક્ષણ જેવી જાહેર સેવામાંથી પણ સરકાર પોતાનો હાથ ખંખેરી નાખવા માટે તૈયાર થઇ. અત્યાર સુધી વિદ્યાર્થીઓ સરકારી શાળા-કોલેજોમાં ભણતા હતા તેના બદલે હવે ખાનગી શાળા-કોલેજોમાં ભણે તે માટેનો તખ્તો ગોઠવાયો શિક્ષણમાં Self Finance જેવો શબ્દ આવી ગયો તેના માટે આ નરસિમ્હારાવ-મનમોહન સિંહની જોડી જવાબદાર છે. આ નીતિને પરિણામે "શિક્ષણ-માફિયાઓ" પેદા થયા. ( પારૂલ યુનિ યાદ છે ને ?) વાલીને માથે જુનિયર કે.જી.થી કોલેજ સુધી લૂંટાવાનું રહ્યું 
નરસિમ્હારાવના શાસનમાં જ બાબરી મસ્જિદ કારસેવકોએ તોડી પાડી જેનાથી કોંગ્રેસની મુસ્લિમ મતબેન્ક કોંગ્રેસથી વિમુખ બની અને મુસ્લિમો રાજકારણમાં નવા વિકલ્પો વિષે વિચારતા થયા. તે સમયે ઉત્તરપ્રદેશમાં ભાજપના કલ્યાણસિંહ મુખ્યમંત્રી હતા. 6 ડિસેમ્બર 1992, રવિવાર (આંબેડકર પરિનિર્વાણ દિન )આ દિવસે આર.એસ.એસ અને તેની ભગિની સંસ્થાઓએ બાબરી તોડવાનું ષડયંત્ર બનાવી લીધું હતું હજારો કારસેવકો આ દિવસે અયોધ્યામાં એકત્ર થયા. કલ્યાણસિંહે સુપ્રિમકોર્ટમાં વચન આપ્યું હતું કે તેમની સરકાર બાબરી મસ્જિદનું રક્ષણ કરશે ભાજપના મોટા નેતાઓ જેવા કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર વગેરે તે દિવસે ઘટનાસ્થળે હાજર હતા. તે દિવસે રવિવાર હોવાથી નરસિમ્હારાવ મોડા ઉઠ્યા હતા. બપોરે 12:20 કારસેવકો બાબરી મસ્જિદના ગુમ્બજ પર ચડી ગયા હતા. પહેલો ગુમ્બજ તોડવાની શરૂઆત કરી. ટીવી પર જાણકારી રાખી રહેલા કેન્દ્રિય મંત્રી માખનલાલ ફોતેદારે નરસિમ્હારાવને ફોન કરી કહ્યું કે,"વાયુસેનાને કહો કે ફૈજાબાદમાં તૈનાત ચેતક હેલીકૉપ્ટરો વડે કારસેવકો પર અશ્રુગેસના ગોળા છોડે" રાવે જવાબ આપ્યો કે,"હું એવું કઈ રીતે કરી શકું ?" માખનલાલે કહ્યું કે,'' કોઈ પણ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર પાસે જરૂરી નિર્ણયો લેવાની સત્તા છે.રાવસાહેબ કમસેકમ એક ગુમ્બજ બચાવી લો જેથી ભારતના લોકોને કહી શકાય કે બાબરી મસ્જિદ બચાવવાની પૂરી કોશિશ કરી હતી." ફોન પર રાવ ચૂપ રહ્યા લાંબા સમય પછી કહ્યું કે હું ફરી ફોન કરું છું." ત્યાર બાદ તેઓ એક કમરામાં પૂરાઈ ગયા. આ વિષે ખ્યાતનામ પત્રકાર કુલદીપ નાયર કહે છે કે બાબરી તૂટતી હતી ત્યારે રાવ બંધ કમરામાં પૂજા કરી રહ્યા હતા. જયારે કારસેવકોએ પોતાનું કામ તમામ કર્યું ત્યારે તેઓ પૂજામાંથી ઉઠ્યા અને કમરામાંથી બહાર આવ્યા અને સાંજે છ વાગે કેબિનેટની મિટિંગ બોલાવી.
મુસ્લિમ મતબેંકને પાછી વાળવા માટે તેમણે કરેલી બે ઘોષણાઓ આજ દિન સુધી કોંગ્રેસે તેમના શાસનમાં પૂરી કરી નથી.એક તો બાબરી એ જ જગ્યાએ ફરીથી બાંધવામાં આવશે અને બીજું કે દેશના દરેક પોલીસ સ્ટેશનમાં એક અફસર મુસ્લિમ હશે. બાબરી મસ્જિદ તૂટ્યા બાદ સમગ્ર દેશમાં તણાવ ઉભો થયો અને કોમી રમખાણો થયા.
નરસિમ્હારાવની સરકાર અલ્પમત સરકાર હતી,ક્યારેય તેમની પાસે બહુમતિ ન હોવા છતાં આ સરકારે પાંચ વર્ષ પૂરાં કર્યાં હતાં જુલાઈ 1993માં તેમની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.સરકાર ટકાવવા માટે ઝારખંડ મુક્તિ મોરચાના સંસદસભ્યોને કરોડોની લાંચ આપવાના આરોપ પણ નરસિમ્હારાવ સરકાર પર લાગ્યા 16 મે 1996ના રોજ વડાપ્રધાન તરીકેનો એમનો કાર્યકાળ પૂરો થયો.તેમના પછી કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ સીતારામ કેસરી બન્યા 1998ની ચૂંટણીમાં તો કોંગ્રેસે રાવને ટિકિટ આપવાની પણ ના પાડી ત્યારે કેસરી અધ્યક્ષ હતા. સોનિયા ગાંધીના અધ્યક્ષ બન્યા પછી તો જાણે રાવનો બહિષ્કાર જ થયો. જાહેર જીવનમાંથી અજ્ઞાતવાસ ભોગવી રહેલા રાવનું મૃત્યુ 23 ડિસેમ્બર 2004માં આંધ્રમાં થયું તેમના કુટુંબીઓએ દિલ્હીમાં સંદેશો મોકલાવ્યો તેમને એ આશા હતી કે દિલ્હીમાં તેમનો અગ્નિદાહ થાય અને સ્મારક બનાવવામાં આવે. પણ દિલ્હીથી યોગ્ય પ્રતિભાવ ન મળતાં આખરે આંધ્રપ્રદેશમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અત્યારે બહુજનો જે તકલીફો ભોગવી રહ્યા છે તેના જનક નરસિમ્હારાવનો અંત પણ કરૂણ આવ્યો 
નરસિમ્હારાવે પણ દલિત મુસ્લિમ અને દલિત ખ્રિસ્તીને માન્યતાનો પ્રશ્ન હલ કર્યો નહિ. બેકલોગ ભરાય નહિ તે માટેની ગુનાહિત બેદરકારી દાખવી ચિત્રમાં આ માણસ ઊંઘતો બતાવ્યો છે પણ તે ખરેખર જાગતો હતો અને બહુજનો ઊંઘતા હતા. તેમના સમયમાં રમૂજમાં એવું કહેવાતું કે,"નિર્ણય ન લેવો તે પણ એક નિર્ણય છે." મીડિયાએ તેમની એવી છબી ઉભી કરેલી કે તેઓ કોઈ નિર્ણય લેતા જ નથી.ખરેખર તો તેઓ એવા મોટા નિર્ણયો લઇ ગયા કે બિનસવર્ણ વર્ગે હજુ પેઢીઓ સુધી ભોગવવું પડશે !!!


Facebook Post :

November 22, 2018

દશેરા અને દિવાળી કયા લોકોના તહેવારો છે.??

By Vijay Makwana  || 6 June 2017 


વાલ્મિકી રામાયણમાં યુદ્ધકાંડ સર્ગ 127 શ્લોક નં: 1 પર મહાકવિ વાલ્મિકી કહે છે કે,

पूर्ण चतुर्दशे वर्ष पंचम्या लक्ष्मन्नाग्र्ज
भारद्वाज आश्रम प्राप्य ववनंदे नियतो मुनिम:

મતલબ કે, ચૈત્ર મહિનાની સુદ પાંચમના દિવસે રાજા રામ લાંબા વનવાસ પછી ભારદ્વાજ મુનીના આશ્રમમાં પધારે છે. આગળની સવારે એટલે કે સુદ છઠ ના રોજ અયોધ્યા જવા પ્રસ્થાન કરે છે અને સપ્તમીએ પહોંચે છે.

હવે રામચરિત માનસમાં તુલસીદાસ લખે છે કે,

" चैत्र शुक्ल चौदस जब आई मार्यो रावण जग दुखदाई "

મતલબ કે, ચૈત્ર સુદ ચૌદસના રોજ જગતને દુ:ખ આપનાર રાવણને માર્યો. હવે તેની પુષ્ટી બીજી જગાએ સ્કન્દપુરાણમાં પણ જોવા મળે છે. કે રાજા રામ ચૈત્ર સુદ સાતમના વિધિવત અયોધ્યામાં પ્રવેશ કરે છે.

જો ઉપર જણાવેલ તિથીઓ સાચી હોય તો..

આસો સુદ દસમીના રોજ દશેરાના દિવસે રાવણદહન કરી કોનો વિજયોત્સવ મનાવાય છે? અને કારતકી અમાસના રોજ દિવાળીના દિવસે કોણે અયોધ્યામાં પ્રવેશ કરેલો? આ કેલેન્ડર વિરુદ્ધની પ્રથાઓ કોણે ચાલું કરી? દશેરા અને દિવાળી કયા લોકોના તહેવારો છે.?? અને તેમાં ઘાલમેલ કોણે કરી છે? એ પરોપજીવી લોકો કોણ છે?? જે ખોટી તિથીઓ દર્શાવી અત્યાર સુધી ઉદરપોષણ કરી રહ્યાં છે??



નિષ્ફળતાઓ મળે છતાં અવસર પર અવસર...

By Vijay Makwana  || 6 June 2017 


નિષ્ફળતાઓ મળે છતાં અવસર પર અવસર, તક પર તક મળ્યાં કરે તો પ્રતિભા ખીલે છે.
તમારામાંથી લગભગ લોકોએ અભ્યાસકાળ દરમ્યાન વરદરાજ નામના મુર્ખ વિદ્યાર્થીની
કથા સાંભળી અથવા ભણ્યાં હશો તે કથામાં એક પંક્તિ આવે છે.

"करत-करत अभ्यास के जड़मति होत सुजान । रसरी आवत-जात के, सिल पर परत निशान ।।"

સરળાર્થ: સતત અભ્યાસ (એક જ પ્રકારનુ કામ) કરવાથી, જડ એટલે કે મુર્ખ માણસ પણ
ચતુર કે પ્રવીણ થઇ જાય છે. કૂવાનું થાળું પત્થરનું હોવા છતાં રોજે રોજ રસ્સીથી પાણી
સિંચતા ઘસાતું જાય છે અને પત્થર પર લિસોટા પડે છે.

વરદરાજ.. મંત્રો ગોખી ગોખી પંડિત વરદરાજ બન્યો!

અવસર પર અવસર મળતાં..રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે. અભિષેક દોડશે. ઋત્વિક સદાકાળ રોશન રહેશે
અમિતાભ, સચિન, કપૂરો, મંગેશકરો તમે ગમે તે ક્ષેત્રમાં લીસ્ટ બનાવો..

જેને અવસર મળવા જોઇએ નથી મળ્યાં ઉલ્ટાનાં બદનામ કરાયા છે!

#વિજયમકવાણા

અકબર મહાન કેમ છે?

By Vijay Makwana  || 9 June 2017 


ઘટનાઓને સમજવા આપણી દ્રષ્ટિ બહું સિમીત હોય છે. અકબર મહાન કેમ છે? કેમ કે, અકબર ઇસ્લામની કટ્ટરતા અને હિન્દુઓના પાખંડથી પૂરેપૂરો પરિચિત હતો. તે નવો ધર્મ સ્થાપવા માંગતો હતો. તેણે દિનેઇલાહી ધર્મની સ્થાપના કર્યા બાદ પોતાના શાસનકાળ દરમ્યાન ઇસ્લામિક કાયદાથી શાસન નહોતું કર્યું..અકબર ભારતનો પ્રથમ સેક્યુલર શાસક હતો..ગંગા-જમના સંસ્કૃતિ તથા ઇશ્વર-અલ્લાહ એક છે તે વિચાર તેના શાસનમાં પુખ્ત બન્યો. તેના સમયમાં 'અલ્લોપનિષદ' નામના ઉપનિષદની કાશીના બ્રાહ્મણોએ રચના કરી. જેમાં કુલ અગિયાર હજાર શ્લોક છે. તેના સમયમાં બનારસ-અલ્હાબાદ સંત સમાગમમાં હજારો હિન્દુ-મુસ્લિમ સંતોએ મળીને અકબરને અવતાર ઘોષિત કરેલો..અકબર બ્રાહ્મણને પ્રિય કેમ ન હોય? કુખ્યાત, અમાનુષી જજીયાવેરા જેવી વેરા પદ્ધતિમાં બ્રાહ્મણોને તેણે મુક્તિ આપેલી.

અલ્લોપનિષદ વિશે શંકા હોય તો સ્ક્રિનશોટ મુકેલ છે..ગીતાપ્રેસ(ગોરખપુર) માં છપાતો પ્રમાણિત ગ્રંથ છે.
#વિજયમકવાણા


ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી અને બાબા સાહેબ આંબેડકર

By Vijay Makwana  || 1 July 2017 



ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી હતી. બાબાસાહેબે પોતાની રચેલી પાર્ટી શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન તરફથી બોમ્બે નોર્થ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. કોંગ્રેસે બાબાસાહેબ સામે એક દલિત ફેરીયાને ઉભો રાખ્યો નામ એનું નારાયણ કાજરોલકર. એ વખતે બાબાસાહેબ સામે બીજો પણ એક ઉમેદવાર પણ ઉભો રહેલો તે કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી ઉમેદવાર હતો. કોમ્યુનિસ્ટ પાર્ટી ના સ્થાપક હતા શ્રીપદ અમૃત ડાંગે. બન્ને પાર્ટીના ઉમેદવારોએ મળીને બાબાસાહેબ વિરુદ્ધ પુષ્કળ પ્રચાર કરેલો. બાબાસાહેબને 'રાષ્ટ્ર દ્રોહી' કહેલાં. તેમણે પત્રિકાઓ છાપી પ્રચાર કરેલો કે, ભારત-પાકિસ્તાનના ભાગલાની તરફેણ કરનાર આંબેડકર દેશનું વિભાજન ઇચ્છતા હતાં..તેઓ કાશ્મિરના વિભાજનની પણ તરફેણ કરે છે..વિગેરે..વિગેરે..

આમ કોંગ્રેસ-સીપીઆઈના સહિયારા જબરદસ્ત ચૂંટણી પ્રચારના કારણે બાબાસાહેબ હારી ગયાં. અને 'રાષ્ટ્રવાદી' 'દેશભક્ત' કાજરોલકર જીતી ગયો! પાછળથી આ કાજરોલકરને પદ્મભૂષણ નામનું ઇનામ પણ અપાયું..

પણ મુદ્દાની વાત એ છે કે, આજે કોંગ્રેસ-સીપીઆઈ સ્વયં પોતાની પ્રસરાવેલી 'રાષ્ટ્રદ્રોહી' 'રાષ્ટ્રવાદી' વાળી થીયરીથી ગુંગળાઇને મરી રહી છે. તેમના બન્ને રાષ્ટ્રવાદી ઉમેદવાર 'ગૂગલ' સર્ચ કરો તોય માંડ માંડ મળે છે.

જય આંબેડકર દોસ્તો!

કોવિંદ બેટર પ્રેસીડેન્ટ કહેવાય કે નહી??

By Vijay Makwana  || 20 July 2017 



મહામહીમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને હું પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનથી શ્રેષ્ઠ સમજું છું. રાધાકૃષ્ણન તમામ રાષ્ટ્રપતિઓમાં વિવાદાસ્પદ ચરિત્ર ધરાવતા હતાં. કેમ કે.. 1923 માં રાધાકૃષ્ણનને ત્યાં છઠ્ઠા સંતાનનો જન્મ થયો. નામ એનુ સર્વપલ્લી ગોપાલ. રાધાકૃષ્ણન ને ત્યાં એ પહેલાં પાંચ પુત્રીઓનો જન્મ થયો. ત્યારે અલ્ટ્રાસાઉન્ટ-સોનોગ્રાફી જેવી ટેક્નોલોજીનો જન્મ નહોતો થયો. હું શું કહેવા માંગુ છું તે આપ સમજી શકો છો!! રાધાકૃષ્ણ શ્રેષ્ઠ શિક્ષક હતાં એટલે જ રાષ્ટ્રપતિ બન્યાં બાદ ચોકની પેટી તરફ નજર પણ ન કરી. રાધાકૃષ્ણના કાર્યકાળ દરમ્યાન એમના જન્મદિવસને શિક્ષકદિન જાહેર કરાયો. પદની મુદ્દત પૂર્ણ થયા બાદ તેમણે પોતાના પુરાણા વ્યવસાયને અબ્દુલ કલામ જેમ અપનાવ્યો નહિ. સરકારે કુલ 26 વખત નોબલપ્રાઈઝ માટે રાધાકૃષ્ણનને નોમિનેટ કર્યાં. 16 વાર શિક્ષણ અને સાહિત્ય માટે. 10 વાર શાંતિ માટે. પણ કોણ જાણે કેમ? આટલી મહાન પ્રતિભાને નોબલવાળા રિજેક્ટ કરતાં હતાં એ રહસ્ય રહસ્ય જ રહ્યું..! છેવટે સરકારે કહેવાતા બ્રાહ્મણ રત્ન એવોર્ડ એટલે કે 'ભારત રત્ન' થી નવાજી દિધાં. રાધાકૃષ્ણનો એક વિદ્યાર્થી હતો. જદુનાથ સિંહા જેણે રાધાકૃષ્ણન પર પોતાનું તમામ સાહિત્ય ચોરવા બાબતે કેસ કરેલો. આ અંગે જદુનાથે કોર્ટમાં સજ્જડ પુરાવા રજુ કરેલાં.જે કેસમાં અંતે કોર્ટ બહાર સમાધાન કરી ફરિયાદ ડિસ્પોઝ કરવામાં આવેલી. રાધાકૃષ્ણન પર તેમના શિષ્ય જદુનાથે આરોપ લગાવેલો કે 'ઇન્ડિયન ફિલોસોફી' કિતાબનો મૂળલેખક હું એટલે કે જદુનાથ છું. કોર્ટમાં સમાધાન બાદ 'ઇન્ડિયન ફિલોસોફી' ની નવી નકલો રાધાકૃષ્ણ તથા જદુનાથ સ્વતંત્ર રીતે પોતપોતાના નામે છપાવતાં! રાધાકૃષ્ણને જદુનાથ નકલો છપાવી વેચતાં તેનો વિરોધ કરવાની ક્યારેય હિંમત ન કરી!

હવે તમે કહો કોવિંદ બેટર પ્રેસીડેન્ટ કહેવાય કે નહી??

-વિજય મકવાણા

વી.પી.સિંહ અને બહુજન એકતાની જીત

By Kiritkumar Pravasi ||  Written on 20 Nov 2018




મીડિયા જેને 'રાજા નહિ રંક' કહીને માથે ચડાવતું હતું અને પછીથી મીડિયાએ જેને 'દેશ કા કલંક' કહીને માથે માછલાં ધોયાં હતાં એવા દેશના આઠમા બિનકોંગ્રેસી વડાપ્રધાન શ્રી વી.પી.સિંહ વિષે આજે વાત કરવી છે.
આજે પણ આપના કોઈ પણ સવર્ણ મિત્ર આગળ "વિશ્વનાથ પ્રતાપ સિંહ-વી.પી.સિંહ"-- માત્ર આટલું જ બોલો અને પછી તેનો ચહેરો વાંચવાની કોશિશ કરો ! તેનો ગરાશ કોઈએ લૂંટી લીધો હોય એવી તે લાગણી અનુભવશે અને મનમાં કેટલીય ગાળો ભાંડશે ! બિનઅનામત વર્ગના લોકો માટે આંબેડકર પછી સૌથી મોટા વિલન વી.પી.સિંહ છે.
વી.પી.ની વાત કરીએ તે પહેલા તે સમયના રાજકીય વાતાવરણની થોડી ચર્ચા કરી લઈએ. કાંશીરામે 1978માં આંબેડકર જયંતીના રોજ સત્તાવાર રીતે બામસેફની સ્થાપનાની ઘોષણા કરી હતી.1981માં ડી.એસ.ફોર બનાવ્યું અને 1984માં બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી હતી.પોતાનાં આ સંગઠનો દ્વારા કાંશીરામે ઉત્તર ભારતમાં ખાસ કરીને યુ.પી.,મધ્યપ્રદેશ,પંજાબ,હરિયાણા,રાજસ્થાનમાં અનુસૂચિત જાતિ અને ઓબીસી વર્ગમાં બહુ મોટી જાગૃતિ લાવી દીધી હતી.ભારતની સંસદમાં મંડળ પંચ લાગુ કરવાની સર્વપ્રથમ માગણી પણ બસપાની સાંસદ માયાવતીએ જ કરી હતી. મંડલ પંચ લાગુ કરાવવું એ કાંશીરામનો મહત્વનો એજન્ડા હતો.
શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહનો જન્મ 25 જૂન 1931ના રોજ થયો હતો. માંડાના રાજાએ તેમને દત્તક લીધા હતા. કોલેજ કાળમાં તેઓ વિદ્યાર્થી નેતા તરીકે ઉપસી આવ્યા હતા. 1957માં ભૂદાન આંદોલનમાં તેઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. પોતાની જમીન ભૂદાન આંદોલનમાં દાનમાં આપી હતી. સર્વપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ જેમ પૂર્વ કોંગ્રેસી હતા તેમ વી.પી.સિંહ પણ પૂર્વ કોંગ્રેસી જ હતા. કોંગ્રેસ પક્ષમાં તેઓ સક્રિય બન્યા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા રાજીવ ગાંધી સરકારમાં તેઓ નાણામંત્રી હતા ત્યારે રાજીવ ગાંધી સાથે તેમને ટકરાવ થયો હતો. વી.પી.સિંહને માહિતી મળી હતી કે કેટલાય ભારતીયોના કાળા નાણા વિદેશી બેંકોમાં છે. આવા ભારતીયોનો પતો લગાવવા માટે તેમણે અમેરિકાની એક જાસૂસી સંસ્થા ફેયરફેક્સની નિમણુંક કરી હતી. આવા જ સમયે સ્વિડને 16 એપ્રિલ 1987ના રોજ એવા સમાચાર પ્રગટ કર્યા કે બોફોર્સ કંપનીએ 410 તોપનો સોદો કર્યો છે તેમાં 60 કરોડ રૂપિયા કમિશન તરીકે ચૂકવાયા છે. વિવાદ ઘેરો બનતો ગયો અને ભારતીય મીડિયા એને ચગાવતું રહ્યું વીપી સિંહ અને રાજીવ ગાંધી વચ્ચે અંતર વધતું ગયું. મીડિયા માટે રાજીવ ગાંધી મિ. ક્લીનમાંથી મિ. Corrupt બનીચૂકયા હતા અને વીપી 'મિ.સુપર ક્લીન' બની ગયા હતા.1987માં કોંગ્રેસે વીપીને પક્ષમાંથી કાઢયા
વીપી સમગ્ર દેશમાં ઘૂમવા લાગ્યા, આર.એસ.એસ.એ વીપીને પોતાના ખભે ઊંચકી લીધા વીપી સિંહે કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટોનો સહારો લઈને જનતાદળ બનાવ્યું ચૂંટણી નજીક આવી, કોંગ્રેસનો પરાજય થયો અને જનતાદળે બાજી મારી ભાજપ અને સામ્યવાદી પક્ષોએ જનતાદળને ટેકો આપતા જનતાદળના વીપી સિંહ 26 ડિસેમ્બર 1989ના રોજ વડાપ્રધાન બન્યા. 
જનતાદળના ચૂંટણી ઢંઢેરામાં મંડલપંચ લાગુ કરવાનું વચન આપ્યું હતું મંડલપંચ લાગુ કરાવવા માટે બસપાએ "મંડલ કમિશન લાગુ કરો વરના કુર્સી ખાલી કરો"નો નારો બુલંદ કર્યો. માયાવતીએ સંસદમાં માગ કરી કે મંડલપંચ લાગુ કરો. બસપાએ મંડલપંચ લાગુ કરાવવા માટે દિલ્હીમાં એક માસ સુધી જેલ ભરો આંદોલન કર્યું. દરરોજ હજારો બસપાઈ એકત્ર થતા અને 'મંડલપંચ લાગુ કરો વરના કુર્સી ખાલી કરો'નો નારો બુલંદ કરીને ધરપકડ વહોરી લેતા હતા. ઉત્તર ભારતમાં બસપાએ પછાત વર્ગોમાં પોતાની પકડ મજબૂત બનાવી હતી. 
મંડલપંચના ચેરમેન બી.પી.મંડલ યાદવ હોવાથી યાદવ જાતિનો પછાત વર્ગમાં સમાવેશ કર્યો હતો પણ જાટ જાતિનો સમાવેશ નહોતો કર્યો. ઉત્તર ભારતમાં આ બંને જાતિઓ એકબીજાની હરીફ જેવી છે. નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલ પોતે જાટ હોવાથી વીપીને કહ્યું કે પછાત વર્ગોની યાદીમાં પહેલા જાટને સમાવો પછી મંડલપંચની જાહેરાત કરો.વીપીએ દેવીલાલની વાત નકારી ત્યારે દેવીલાલ કાંશીરામને મળ્યા કાંશીરામે કહ્યું કે જો તેઓ પોતે વડાપ્રધાન થતા હોય તો હું રાજી છું. આ બાજુ શરદ યાદવ અને રામવિલાસ પાસવાન વીપીને મળ્યા અને કહ્યું કે જો તેઓ મંડલપંચ જાહેર નહિ કરે તો તેઓ દેવીલાલને પોતાના નેતા તરીકે સ્વીકારી લેશે વીપીસિંહની ઈચ્છા મંડલપંચ આપવાની નહોતી પણ ચોતરફથી ઘેરાયેલા વીપીસિંહે છેવટે મંડલપંચની ઘોષણા ઓગસ્ટ 1990માં કરી નાખી.
સંસદમાં ભાગ્યે જ બોલતા રાજીવ ગાંધીએ સતત ચાર કલાક ભાષણ મંડલપંચના વિરોધમાં સંસદમાં આપ્યું જનતાદળને ટેકો આપતા ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો.મંડલની વિરુદ્ધમાં કમંડળનો સહારો લેવાનું ભાજપે નક્કી કર્યું. મીડિયા માટે 87-89 દરમિયાન બોફોર્સ અભિયાનના હીરો બનેલા વીપી એકાએક વિલન બની ગયા.
દેશભરમાં સવર્ણ લોકો અને વિદ્યાર્થીઓએ મંડળ પંચના આરક્ષણ વિરુદ્ધ દેખાવો કર્યા. અમુક વિદ્યાર્થીઓએ આત્મદાહની કોશિશ કરી.મીડિયા પણ મંડલપંચના આરક્ષણ વિરુદ્ધમાં ઉતરી આવ્યું. 
એલ.કે.અડવાણીએ રામમંદિર માટે રથયાત્રા કાઢવાની જાહેરાત કરી. ગુજરાતના સોમનાથથી શરૂ થયેલી યાત્રા બિહારમાં પહોંચી બિહારમાં જનતાદળના લાલુપ્રસાદ યાદવ મુખ્યમંત્રી તરીકે હતા. તેમણે રથયાત્રા રોકી અને અડવાણીની ધરપકડ કરી જેલમાં પૂર્યા. વળતા પગલાં રૂપે ભાજપે જનતાદળને આપેલો ટેકો પાછો ખેંચતાં વીપી સિંહ સરકારનું પતન થયું. 10 નવેમ્બર 1990ના રોજ વીપી સરકારનો અંત આવ્યો. એક વર્ષ કરતા પણ ઓછું શાસન કર્યું હોવા છતાં દેશની 54%આબાદીને પોતાનો બંધારણીય અધિકાર આ સરકારના શાસનમાં મળ્યો તે પણ હકીકત છે.વીપીએ મંડળ પંચની 24 પૈકી માત્ર 2 જ ભલામણો અમલમાં મૂકી હતી, બાકીની 22 ભલામણોનો પણ અમલ થાય તે માટે આપણે લડવાનું બાકી છે.
દેશના ઓબીસી સમાજ માટે એક અગત્યનું પાત્ર બની જનાર વીપી સિંહનું 27 નવેમ્બર 2008ના રોજ મૃત્યુ થયું.


Facebook Post :

November 21, 2018

વધુ એક બ્રાહ્મણ વડાપ્રધાન મોરારજી દેસાઈ અને બિનસવર્ણ વર્ગ

By Kiritkumar Pravasi ||  Written on 18 Nov 2018


કનૈયાકુમાર નામના બિહારી બ્રાહ્મણથી પ્રભાવિત લોકોએ આ પોસ્ટ ખાસ વાંચવી. આવા જ એક બિહારી બ્રાહ્મણ હતા જયપ્રકાશ નારાયણ. જયપ્રકાશ નારાયણે 15 જૂન 1975ના રોજ પટનાના ગાંધી મેદાનમાં વિદ્યાર્થીઓના વિશાળ સમૂહ સામે "સંપૂર્ણ ક્રાંતિ"ની જરૂર છે એવી ઘોષણા કરી.અત્યારે કનૈયો ક્રાંતિ કરી નાખશે એવું ઘણાને લાગે છે તેમ આ બીજા ગાંધી જયપ્રકાશ પણ ક્રાંતિ લાવી દેશે એમ લોકોને લાગેલું ! ત્યાર બાદ ઈન્દીરાની સરકારે કટોકટી લાદી, કટોકટી બાદ જનતા પક્ષને બહુમતી મળી. તે સમયે શૂદ્ર જાટ જાતિના ચૌધરી ચરણસિંહ અને અનુસૂચિત જાતિના બાબુ જગજીવન રામ વડાપ્રધાન બનવા માટેની રેસમાં હતા, પણ પ્રથમ ગાંધીની જેમ જ આ બીજા ગાંધી જયપ્રકાશ નારાયણે વડાપ્રધાન બનાવવા માટે પોતાની પસંદગી બ્રાહ્મણ જાતિના ગુજરાતના મોરારજી દેસાઈ ઉપર ઉતારી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા, ત્યારે તેમની ઉંમર 81 વર્ષની હતી. 24 માર્ચ 1977ના રોજ મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા અને 28 જુલાઈ 1979 સુધી વડાપ્રધાન રહયા ગાંધીવાદી અને પૂર્વ કોંગ્રેસી એવા મોરારજી દેસાઈ પણ ઈન્દિરાના માર્ગે જ ચાલ્યા અને 9 રાજ્યોમાં કોંગ્રેસી સરકારો હતી તેને બરખાસ્ત કરી નવેસરથી ચૂંટણી કરાવી, જે તેમનું લોકશાહી વિરોધી વલણ હતું તેમને એક એ રીતે પણ યાદ રાખી શકાય છે કે તેમણે પણ મોદીની જેમ નોટબંદી કરાવી હતી.100 રૂપિયાથી વધુ કિંમતની નોટો તેમણે રદ કરી નાખી નાખી હતી. જનતાપક્ષમાં જનસંઘ (હાલનું ભાજપ ) સામેલ હતો તો સાથે સાથે પછાત વર્ગના નેતાઓ પણ તેમાં મોટા પ્રમાણમાં હતા.જનતાપક્ષે ચૂંટણી ઢંઢેરામાં ઓબીસી માટે કાલેલકર આયોગ લાગુ કરવાનું વચન આપ્યું હતું જનતાપક્ષમાં રહેલા પછાત વર્ગના નેતાઓ મોરારજીભાઈ ઉપર કાલેલકર આયોગ લાગુ કરવા માટે દબાણ કરવા લાગ્યા જ્યારે ખૂબ જ પ્રેશર વધી ગયું ત્યારે મોરારજીભાઈએ વાત ટાળવા માટે કહ્યું કે કાલેલકરનો રિપોર્ટ ખૂબ જૂનો થઇ ગયો છે માટે નવું આયોગ બનાવીએ. 20 ડિસેમ્બર 1978ના રોજ મંડલ આયોગ બનાવવામાં આવ્યું મંડલ આયોગે પોતાનો રિપોર્ટ 12 ડિસેમ્બર 1980ના રોજ કેન્દ્ર સરકારને સોંપ્યો ત્યારે મોરારજી સરકાર વિદાય લઇ ચૂકી હતી અને ઈન્દીરાની સરકાર સત્તામાં આવી ચૂકી હતી.
આમ, મોરારજી દેસાઈની સરકારે ઓબીસીને કોઈ જ વાસ્તવિક લાભ થાય એવું કોઈ પગલું ભર્યું નહિ. અનુસૂચિત જાતિ/જનજાતિની કેન્દ્ર સરકારની નોકરીઓમાં રહેલી જગ્યાઓ ભરાય તે માટે પણ કોઈ કાળજી લીધી નહિ.દલિત ખ્રિસ્તી અને દલિત મુસ્લિમને માન્યતા માટેનો પ્રશ્ન તેમની સરકારમાં પણ ઉકલી શક્યો નહિ.અગાઉના બ્રાહ્મણવાદી વડાપ્રધાનોની જેમ જ આ બ્રાહ્મણ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ શાસન કર્યું અને તેઓ પણ બહુમતિ બિનસવર્ણ વર્ગના હિતોની વિરુદ્ધમાં હતા.

Read this too : 


Facebook Post : 

મિ.ક્લીન રાજીવ ગાંધી અને બિનસવર્ણ સમાજ

By Kiritkumar Pravasi ||  Written on 18 Nov 2018


પંજાબમાં અકાલીદળના વર્ચસ્વને ખતમ કરવા માટે ઇન્દિરા ગાંધીએ ભીંડરાનવાલેને પ્રોત્સાહન આપેલું ભીંડરાનવાલે અલગાવવાદી નેતા હતા.પંજાબમાં ઇન્દિરાએ પોતે જ આતંકવાદના છોડને પાણી પાયેલું એ છોડ વૃક્ષ બનીને છેવટે ઇન્દિરાને ખતમ કરતો ગયો. 31 ઓક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીના બે શીખ બોડીગાર્ડ્સએ ગોળીઓ ચલાવીને ઇન્દિરા ગાંધીની હત્યા કરી નાખી.
એ સમયે રાજીવ ગાંધી પાયલટની નોકરી કરતા હતા. એ સમયે પ્રણવ મુખર્જી અને અન્ય અમુક નેતાઓને વડાપ્રધાન થવું હતું પણ રાજીવ ગાંધીએ વગર અનુભવે વડાપ્રધાન થવા માટે હા પાડી અને છેવટે રાજીવ ગાંધી પાયલટમાંથી સીધા પ્રાઈમ મિનિસ્ટર બની ગયા ! 31 ઓક્ટોબર 1984ના રોજ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. ઈન્દીરાની હત્યા બાદ દિલ્હીમાં કોંગ્રેસીઓએ લઘુમતી ધર્મ ગણાતા શીખ ધર્મના અનુયાયીઓ પર કાળો કેર વર્તાવી મૂક્યો લગભગ 5000 જેટલા શીખ સ્ત્રી-પુરુષો-માસૂમ ભૂલકાંઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અનેક શીખોને જાહેર રસ્તા પર જ જીવતા સળગાવવાની ઘટનાઓને પણ અંજામ આપવામાં આવ્યો, શીખ હત્યાકાંડમાં કોંગ્રેસી નેતા અને રાજીવ ગાંધીના પ્રીતિપાત્ર એચ.કે.એલ.ભગત અને જગદીશ ટાઇટલરના નામ ઉછળ્યા તેમના પર કેસ પણ થયા પણ સજા ક્યારેય ભોગવી નહિ ! એ સમયે વડાપ્રધાન રાજીવ ગાંધીએ એવું નિવેદન આપેલું કે "મોટું ઝાડ પડે ત્યારે આસપાસના છોડવાઓ નાશ પામતા હોય છે." આવું કહીને તેઓ શીખ હત્યાકાંડને વાજબી ઠેરવી રહ્યા હતા ! યુટ્યુબ પર સર્ચ કરો, આ વિડીયો મળશે. મીડિયા આવા વડાપ્રધાનને મિ.ક્લીન કહીને લોકોને ઉલ્લુ બનાવી રહ્યું હતું. 
રાજીવ ગાંધીના કાર્યકાળમાં ભોપાલ ગેસ કાંડ થયો.એ સમયે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ પક્ષની જ સરકાર હતી.2-3 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલમાં યુનિયન કાર્બાઈડ નામની વિદેશી કંપનીના કારખાનામાંથી ઝેરી ગેસનું ગળતર થયું અને વાતાવરણમાં ઝેરી ગેસ ફેલાયો. લગભગ 16000 જેટલા લોકો જેમાં સ્ત્રીઓ અને માસૂમ બાળકો પણ સામેલ હતા તે મૃત્યુ પામ્યા. 6 લાખ જેટલા લોકોને આની અસર થઇ.કેટલાય આંધળા બની ગયા તો કેટલાય શારીરિક અપંગ બન્યા ! આ કંપનીના ચેરમેન વોરેન એન્ડરસનની 7 ડિસેમ્બર 1984ના રોજ ધરપકડ થઇ અને માત્ર 6 કલાકમાં જ 2100 ડોલરનો દંડ કરીને તેને આઝાદ કરી દીધો એટલે તે દેશ છોડી જતો રહ્યો. એમ કહી શકાય કે કોંગ્રેસી મુખ્યમંત્રી અર્જુનસિંહ અને વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેને ભગાડી દીધો !
અયોધ્યામાં રામ મંદિરનું વર્ષોથી બંધ તાળું ખોલીને પૂજા કરવાની છૂટ પણ રાજીવ ગાંધીના સમયમાં જ મળી હતી.આગળ જતા અત્યારે આ પ્રશ્ને વિકરાળ રૂપ લીધું છે જેનો ફાયદો ભાજપને મળી રહ્યો છે.
રાજીવ ગાંધી પણ પોતાની માતા ઇન્દિરા અને નાના જવાહરલાલની જેમ જ બહુમતી બિનસવર્ણ પ્રજાના બંધારણીય હકોની વિરુદ્ધમાં હતા. રાજીવે પણ કેન્દ્ર સરકારની નોકરીઓમાં 54% ઓબીસી વસ્તીને લાભ આપતું કાલેલકર આયોગ કે મોરારજી દેસાઈના કાર્યકાળમાં રચાયેલું મંડલ પંચ લાગુ કર્યું નહિ.દલિત મુસ્લિમ અને દલિત ખ્રિસ્તીઓને અનામતની જોગવાઈ તેઓએ કરાવી નહિ.
રાજીવ ગાંધીની અણઘડ વિદેશનીતિને કારણે જ તેમનું મોત થયું. શ્રીલંકામાં તમિલ આતંકવાદ એ સમયે ચરમસીમાએ પહોંચ્યો હતો.તામિલનાડુની જનતાની તેમના પ્રત્યે સહાનુભૂતિ હતી. રાજીવ ગાંધીએ શાંતિ સેનાના નામે ભારતીય લશ્કર શ્રીલંકામાં મોકલીને મૂળ ભારતીય પણ શ્રીલંકામાં વસેલા તમિલોનો સફાયો કર્યો એટલે તમિલ પ્રજાનો રોષ રાજીવ ગાંધી અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ ફાટી નીકળ્યો. તામિલનાડુમાં રાજીવ અને કોંગ્રેસ અપ્રિય થઇ ગયા તો શ્રીલંકાના તામિલોમાં પણ તેમની છાપ વિલન તરિકેની ઉભી થઇ.
તેમના સમયગાળા દરમિયાન બોફોર્સ તોપો ખરીદાઈ તેમાં વચેટીયો સોનિયા ગાંધીનો મિત્ર ઇટાલિયન ક્વોટ્રોચી હતો.તેમાં ભારે કમિશન ખાવામાં આવ્યું છે તેવો આરોપ રાજીવ,ક્વોટ્રોચી અને અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભ પર મીડિયા અને વિપક્ષે મૂક્યો હતો.ક્વોટ્રોચીને ભગાડવામાં પણ રાજીવ ગાંધીએ મદદ કરી એવો આરોપ પણ ચર્ચાયો હતો.રાજીવ ગાંધીની મિ.ક્લીનની છબી ખરડાઈ હતી.પ્રજામાંથી નારો ઉઠ્યો હતો કે," ગલી ગલી મેં શોર હૈ,રાજીવ ગાંધી ચોર હૈ"
1989ની ચૂંટણીમાં રાજીવ ગાંધીના પક્ષ કોંગ્રસની હાર થઇ અને મીડિયાએ જેમને "સુપર ક્લીન" કહ્યા એવા વી.પી.સિંહ વડાપ્રધાન થયા પણ તેમની સરકાર ટકી શકી નહિ અને 1991માં ફરીથી ચૂંટણી આવી.રાજીવ ગાંધી પ્રચાર કરવા માટે તામિલનાડુ ગયા ત્યાં શ્રી પેરંબદૂરમાં 21 મે 1991ના રોજ ચૂંટણી પ્રચાર સભાના સ્ટેજ ઉપર જ માનવ બૉમ્બ બનીને આવેલી આતંકી તમિલ મહિલાએ બૉમ્બ વિસ્ફોટ કરતા રાજીવ ગાંધી મૃત્યુ પામ્યા.
આમ, રાજીવ ગાંધીનો કાર્યકાળ પણ બિનસવર્ણ સમાજને માટે નિરાશાજનક રહ્યો તેઓ પણ તેમની માતા અને નાનાને પગલે ચાલીને બિનસવર્ણ સમાજ વિરોધી વલણ અખત્યાર કર્યું.

Also Read : 
બહુજનોના હક અને અધીકાર પ્રત્યે નહેરુનું વલણ


Facebook Post :

ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસનું બ્રાહ્મણવાદી ચરિત્ર

By Kiritkumar Pravasi || Written on 16 Nov 2018




જવાહરલાલની પુત્રી ઇન્દિરા ગાંધીને યાદ કરીએ ત્યારે બે સિદ્ધિઓ અચૂક યાદ આવે.એક તો પરમાણુ ધડાકો કરાવીને વિશ્વને સ્તબ્ધ કરાવી દેનાર ઇન્દિરા અને બીજું બાંગ્લાદેશ નામના નવા રાષ્ટ્રને જન્મ આપનાર ઇન્દિરા.'ગાય કી દુમ તુમ રખો' જેવો લોકરંજક નારો 'ગરીબી હટાવો' ઈન્દીરાએ આપ્યો હતો જરૂર પણ દેશમાંથી ગરીબી ક્યારેય હટી જ નહિ !

ઇન્દિરા પણ જવાહરલાલની જેમ જ બિનસવર્ણ પ્રજાના અધિકારોની વિરોધી રહી છે. દેશની 54% ઓબીસી આબાદીને પોતાના બંધારણીય અધિકારો આપતું કાલેલકર પંચ તેમના પિતાની જેમ જ ક્યારેય લાગુ કર્યું જ નહિ ! દલિત ખ્રિસ્તી અને દલિત મુસ્લિમને પણ અનુસૂચિત જાતિના લાભો મળે તે માટે 1950નો રાષ્ટ્રપતિનો હુકમ જે એમના પિતાએ કરાવેલો તે ક્યારેય રદ કર્યો જ નહિ ! 

સૌથી વધુ બ્રાહ્મણ મુખ્યમંત્રીઓ કોંગ્રેસ પક્ષે જ આપ્યા છે. સૌથી વધુ સવર્ણ મુખ્યમંત્રીઓ પણ કોંગ્રેસ પક્ષે જ આપ્યા છે.આમ, કોંગ્રેસનું ચરિત્ર પણ બ્રાહ્મણવાદી જ રહ્યું છે.

ગુજરાતમાં ચીમનભાઈ પટેલ પહેલાના મુખ્યમંત્રીઓ બ્રાહ્મણ જ રહ્યા છે.જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ અને ઘનશ્યામભાઈ ઓઝા નામના ચાર-ચાર બ્રાહ્મણ મુખ્યમંત્રીઓ કોંગ્રેસે આપ્યા ઘનશ્યામભાઈ ઓઝાના કાર્યકાળ દરમિયાન ચીમનભાઈ પટેલ નામના બિનબ્રાહ્મણ નેતાનો ઉદ્ભવ થઇ ચૂક્યો હતો. ચીમનભાઈને જ્ઞાન થયું કે બ્રાહ્મણોની વસ્તી ગુજરાતમાં નગણ્ય છે.બ્રાહ્મણોના ધારાસભ્યો પણ પટેલ ધારાસભ્યો કરતા ઓછા છે તો પછી પટેલ મુખ્યમંત્રી કેમ ના થાય ? આ હિસાબે ચીમનભાઈએ ઇન્દિરા ગાંધીની પસંદ એવા ઘનશ્યામભાઈ ઓઝા સામે બળવો પોકાર્યો અને કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ચીમનભાઈએ 17 જુલાઈ 1973ના રોજ કોંગ્રેસ પક્ષમાંથી મુખ્યમંત્રી તરીકે સ્થાન ગ્રહણ કર્યું ઇન્દિરા ગાંધીને આ ન ગમ્યું શા માટે ન ગમ્યું ? એમના બ્રાહ્મણ મુખ્યમંત્રીને એક તો ચીમનભાઈએ પડકાર આપ્યો હતો.બીજું કે પટેલની વસ્તી સારી એવી હતી અને પટેલો શિક્ષણમાં આગળ વધી રહ્યા હતા.પટેલ મુખ્યમંત્રી હોય તો શિક્ષણમાં આગળ વધેલી પટેલ કોમ રાજસત્તાનો સહારો લઈને પ્રશાસનમાં પણ સારી રીતે ગોઠવાઈ જાય તે ઇન્દિરા સારી રીતે જાણતા હતા. ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈને હટાવવા ગુજરાત કોંગ્રેસના બ્રાહ્મણ નેતાઓનો સાથ લઈને છૂપી રીતે વિદ્યાર્થીઓને સાધીને ગુજરાતમાં નવનિર્માણ આંદોલન કરાવ્યું ચીમનમભાઈને રાજીનામુ આપવું પડ્યું અને 9 ફેબ્રુઆરી 1974ના રોજથી ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું। 

એ દરમિયાન દેશમાં જનતા મોરચો બની ચૂક્યો હતો.જનતા મોરચાના મુખ્યમંત્રી તરીકે બાબુભાઇ જશભાઈ પટેલે 18 જૂન 1975ના રોજ શપથ લીધા ત્યારબાદ ફરીવાર રાષ્ટ્રપતિ શાસન આવ્યું આ સમયગાળા દરમિયાન ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈને કોંગ્રેસ છોડવા મજબૂર કરી દીધા હતા.કોંગ્રેસને ફરી વાર સરકાર રચવાની તક 24 ડિસેમ્બર 1976ના રોજ મળી. પટેલ મુખ્યમંત્રી થાય તો બ્રાહ્મણોના પ્રશાસનમાં રહેલા એકાધિકારને પડકારે અને નોકરીઓમાં ઘુસવા માંડે એ ન પોસાય કેમકે પટેલો શિક્ષિત બની ગયા હતા. રાજ્યમાં પટેલ કરતા વધુ વસ્તીવાળી કોમ ઠાકોર હતી અને એ સમયે ઠાકોરોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું એટલે ઇન્દિરા ગાંધીએ માધવસિંહ સોલંકી પર પોતાની પસંદગી ઉતારી માધવસિંહ મુખ્યમંત્રી બને તો એમની કોમ ઓછું ભણેલી હોવાથી પ્રશાસનમાં રહેલ ઉચ્ચ હોદાઓ સુધી પહોંચી જ ન શકે. બીજું કે કોંગ્રેસ પક્ષની છાપ પછાત તરફી પક્ષ તરિકેની પણ ઉભી થાય.આમ કે આમ, ગુટલીયો કે દામ.એટલે ચીમનભાઈ પટેલને કાઉન્ટર કરવા માટે માધવસિંહ સોલંકી નામનો પાસો ઈન્દીરાએ ફેંક્યો અને 24 ડિસેમ્બર 1976ના રોજ માધવસિંહે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

1981માં માધવસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે જ પ્રથમ અનામત વિરોધી આંદોલન થયું પણ ઈન્દીરાએ માધવસિંહનો જ પક્ષ લીધો અને મુખ્યમંત્રી તરીકે ચાલુ જ રાખ્યા !

કટોકટી લાદીને ઇન્દિરા ગાંધીએ લોકતંત્રનું ખૂન જ કરી નાખ્યું હતું, એ વિષે સૌથી વધુ લખાયું હોવાથી અત્રે લખતો નથી.બિનકોંગ્રેસી રાજ્ય સરકારોને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવું એ પણ ઈન્દીરાની બિનલોકશાહી વર્તણુક હતી.

જવાહરલાલ અને ઇન્દિરાના સમયે 54% ટકા વસ્તી ધરાવનાર ઓબીસી સમાજનું વર્ગ-1 અને વર્ગ-2માં પ્રતિનિધિત્વ ભાગ્યે જ હતું. જયારે દલિત-આદિવાસીને અનામત મળતી હતી તેમ છતાં તેમનો ક્વોટા ભરાય તે માટે પણ આ બાપ-બેટીની જોડીએ બેદરકારી દાખવી હતી. 

આમ, જવાહરલાલ નહેરુની જેમ જ ઇન્દિરા ગાંધી પણ બહુમતી બિનસવર્ણ વર્ગના હિતોની વિરુદ્ધમાં હતા.




Facebook Post: 

બહુજનોના હક અને અધીકાર પ્રત્યે નહેરુનું વલણ

By Kiritkumar Pravasi ||  Written on 16 Nov 2018




એ સમયે એવો હતો કે મોટાભાગે દલિત-આદિવાસીને માટે જ અનામત ઉપલબ્ધ હતી. 54% જેટલી વસ્તી ધરાવનાર ઓબીસી સમાજને કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનામત મળતી ન હતી.મોટા ભાગના રાજ્યોમાં પણ ઓબીસી માટે આયોગ બન્યા ન હોવાથી રાજ્ય સરકારની નોકરીઓમાં પણ અનામત મળતી નહોતી આવા સમયે 27 જૂન 1961ના રોજ નહેરુ કોંગ્રેસી મુખ્યમંત્રીઓને ગુપ્ત પત્ર લખીને જણાવે છે અનામતનો અમલ કરવો નહિ, અનામતથી બેવડી નાગરિકતા પેદા થાય છે.(ધર્માન્તરથી બેવડી નાગરિકતા પેદા થાય છે,એવા હિન્દુત્વવાદીઓના મત જેવું જ !)




ડૉ. આંબેડકરે નહેરુના મંત્રીમંડળમાંથી રાજીનામુ આપ્યું તેમાં પ્રમુખ બે કારણ હતા.એક તો ઓબીસીને અનામત મળે તે માટે નહેરુ ગંભીર નહોતા અને બીજું કે હિન્દૂ મહિલાઓની મુક્તિ માટેનું હિન્દૂ કોડ બિલ નહેરુએ રૂઢિવાદીઓના દબાણમાં આવીને પડતું મૂક્યું હતું...!!! આંબેડકરના રાજીનામાથી દબાણમાં આવી જઈને નહેરુએ ઓબીસીને કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનામત મળે તે માટે કાલેલકર આયોગ જરૂર બનાવ્યું પણ તેની ભલામણોનો અમલ ક્યારેય કર્યો નહિ, તેને અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યું...!!! સન 1950 પહેલા દલિત મુસ્લિમ અને દલિત ખ્રિસ્તીઓને મળતી અનુસૂચિત જાતિ માટેની અનામત પણ નહેરુએ રાષ્ટ્રપતિ દ્વારા એક ઓર્ડર બહાર પડાવી રદ કરી.અલબત્ત આધુનિક ભારતના ઘડતરમાં રેશનાલિસ્ટ જેવા લાગતા નહેરુનો ફાળો કમ નથી પણ બહુમતી બિનસવર્ણ પ્રજાના બંધારણીય અધિકારોના પણ તેઓ વિરોધી હતા એ પણ સત્ય છે !



Facebook Post :-