March 29, 2018

એટ્રોસીટી એક્ટ અને શાસકો ની નઘરોળ માનસીકતા

By Raju Solanki  || 27 March 2018 


અત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અંગે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકાર આ કાયદા વિષે કેટલી સમજ ધરાવતી હતી તેનું એક ઉદાહરણ અહીં રજુ કરું છું. 2005માં મારા પુસ્તક ‘ભગવા નીચે લોહી’માં આ વિગત મુકી હતી.
*
“તા. ૧૬-૪-૨૦૦૪એ ગુજરાત વિધાનસભામાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય ડૉ. દિનેશ પરમારે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછયો હતો: "માનનીય મુખ્યમંત્રી શ્રી (ગૃહ) જણાવવા કૃપા કરશો કે,

(૧) એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં તપાસ અધિકારી તરીકે ડી.વાય.એસ.પી કક્ષાથી ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારીની નિમણૂંક કરવાની જવાબદારી જિલ્લા પોલીસ વડાની છે તે વાત સાચી છે?

મુખ્યપ્રધાનનો જવાબ કાયદા વિધાશાખાના સૌથી ઠોઠ નિશાળીયાને પણ આઘાત પમાડે તેવો હતો. માત્ર દેખાવથી બુદ્ધિશાળી લાગતા નરેન્દ્ર મોદી વાસ્તવમાં કેવા ડફોળ છે. એની પ્રતીતિ આ જવાબથી થાય છે. તેઓ કહે છે:

"ના, જી. પરન્તુ એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ કેસોની તપાસ ડી.વાય.એસ.પી. થી ઉપરના દરજ્જાના ન હોય તેવા અમલદારોએ કરવા માટે અનુ.જાતિ/જનજાતિ અધિનિયમો ૧૯૯૫ના નિયમ-૭ (૧)માં જોગવાઈ છે. જિલ્લા પોલીસ વડાની નથી.”

‘ડી.વાય.એસ.પી.થી ઉપરના દરજ્જાના ન હોય' તેવા અધિકારી એટલે પોલીસ ઇન્સપેક્ટર અથવા પોલીસ સબ ઇન્સપેક્ટર. મોટા ભાગના એટ્રોસીટી કેસોમાં અદાલતો આરોપીઓને એટલા જ કારણસર છોડી મૂકે છે, કે તપાસ અધિકારી પોલીસ ઇન્સપેક્ટર હતો અથવા સબ ઇન્સપેક્ટર હતો. અમદાવાદની કાઉન્સિલ ફોર સોશ્યલ જસ્ટિસે એકઠા કરેલા આવા ૩૦૦ ચુકાદાઓ દર્શાવે છે કે, ૯૫ ટકા કેસોમાં આરોપીઓ સત્તાવાળાઓની બેદરકારીને કારણે જ છૂટી ગયા છે.

મુખ્યપ્રધાન મોદીની ગુનાહિત અજ્ઞાનતાનું વહીવટીતંત્રના છેક તળિયા સુધી સિંચન થયું છે. શાસકો પોતે આવા નઘરોળ હોય, ત્યાં સામાન્ય કારકૂન કે કોન્સ્ટેબલ પાસે કાયદાના પાલનની અપેક્ષા વાંઝણી છે.”