December 14, 2017

નિરમાના માલિક, 234 અબજ સંપત્તિના સ્વામી કરસન પટેલના ગામમાં દલિતોએ હાય રે કરસનીયા હાય હાયના સૂત્રો કેમ પોકાર્યા?

By Raju Solanki  || 25 November 2017 at 12:57 



Forbes listed Karsan Patel’s net worth as USD $3.6 Billion. This is the story of Ruppur, Karsan Patel’s village where Dalits fought to save their burial ground and tannery.

વાંચો, નિરમાના માલિક, 234 અબજ સંપત્તિના સ્વામી કરસન પટેલના ગામમાં દલિતોએ હાય રે કરસનીયા હાય હાયના સૂત્રો કેમ પોકાર્યા?

રૂપપુર: દલિતોની હિજરતનું જીવંત પ્રસારણ

નવમી માર્ચ, 2004નો દિવસ ગુજરાતના દલિત આંદોલનમાં રૂપપુરની હિજરતના નામે લખાઈ ગયો છે. નિરાલાએ લખેલું, “વિયોગી હોગા પહલા કવિ, આહ સે નીકલા હોગા ગાન.” પણ, એક દલિત કવિ માટે તો કહેવું પડશે, “હિજરતી હોગા પહલા દલિત-કવિ, દમન સે નીકલા હોગા ગાન.” રૂપપુરના દલિતોની ચીસ કેટલી બળુકી છે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ એમની લડતમાં ખભેખભો મીલાવી લડનારા અને નજરે નિહાળનારા એક સાક્ષી તરીકે કહું છું કે જો ગુજરાતનો દલિત સમાજ રૂપપુરની લડાઈને આગળ ધપાવવામાં નિષ્ફળ જશે તો આગામી દિવસોમાં ગુજરાતનું એક એક ગામ રૂપપુર બનવાની પૂરેપુરી સંભાવના છે.

નવમી માર્ચે અમે (એટલે વાલજીભાઈ પટેલ, નગીનભાઈ પરમાર, નિમેષ શેઠ અને રાજુ સોલંકી) રૂપપુર પહોંચ્યા ત્યારે માથે સૂરજ તપતો હતો. ગામના પટેલો ભરબપોરે પણ ઘેરી નિંદરમા પોઢ્યા હોય એમ લાગતું હતું. માત્ર પંચાવન ખોરડાં ધરાવતા ચમારવાસમાં થોડી ચહલ પહલ જણાતી હતી. વાસના નાકે ચાણસ્માથી આવેલી પોલિસવાન એટેશન્સની સ્થિતિમાં ઉભી હતી. દલિત યુવાનો ઊંટગાડીઓ પર બેનરો લગાવવામાં વ્યસ્ત હતા. અમારી સાથે આવેલા ‘ડેક્કન હેરાલ્ડ’ના ગુજરાત સંવાદદાતા નંદિની ઓઝાએ બહેનોને મળવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે બહેનોએ વયોવૃદ્ધ પુરીમાને બોલાવ્યા હતા. પુરીમાને જોવાની મને પણ અદમ્ય ઇચ્છા હતી. હજી થોડાક દિવસો પહેલાં પટેલોને દલિતોની સ્મશાનભૂમિ પર બાંધકામ કરવા સામે ગુજરાત હાઇકોર્ટે મનાઈહુકમ ફરમાવ્યો અને વાલજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જે થોડીક દલિત મહિલાઓએ હાથમાં કોદાળી પાવડા લઇને પટેલોએ બનાવેલી તારની વાડ તોડીફોડીને ફેંકી દીધી હતી એ સૌની મોખરે પંચ્યાસી વર્ષના પુરીમા હતા. દલિત નારી શક્તિના જીવંત પ્રતીક સમા પુરીમા નંદીની સમક્ષ વિસ્તારપૂર્વક રૂપપુરના દલિતોની વ્યથાકથા વર્ણવતા જ હતા ને એવામાં બે દિવસો પહેલાં જ જેની પર જીવલેણ હૂમલો કરવામાં આવેલો રાવળ યુવાન ઉપસ્થિત થયો હતો. એના મેલાઘેલા શર્ટ પર લોહીના ડાઘ હતા અને જમણા હાથની પહેલી ત્રણ આંગળીઓ પર પાટા બાંધ્યા હતા. ગામનાપટેલોએ એની આંગળીઓ પર છરીઓ મારી હતી.

એવામાં ઊંટગાડીઓ પર બેનરો લાગી જતાં તમામ લોકોએ પોતપોતાનો સામાન લઇને તૈયાર થઈ જવાની બૂમો પડી હતી. દલિતો ઉતાવળે પોતપોતાના ઘરે તાળા મારીને ઊંટગાડીઓમાં બેસવા માંડ્યા હતા. દસ ઊંટગાડીઓ પર લટકતાં બેનરોના સૂત્રો ગોકુળીયું ગામ જાહેર થયેલા રૂપપુરના વંચિતોની વેદનાને એસરકારક રીતે વ્યક્ત કરતા હતા. જેમ કે, “રામજન્મભૂમિ માટે લોહી રેડાય, પણ દલિતોની સ્મશાનભૂમિ છીનવાય તો કંઈ જ ના બોલાય?”, “જુઓ સમરસતાની પોકળતા, દલિતો બન્યા છે નોંધારા” ,  “રામરાજ્યની શરૂઆત થાય છે, દલિતોની સ્મશાનભૂમિ છીનવાય છે” જેવા સૂત્રો દલિતોની હિજરતને વૈચારિક સંદર્ભ આપતા હતા. પ્રથમ ઊંટગાડી પર ‘ગોકુળીયું ગામ રૂપપુરના દલિતો અને રાવળ સમાજની હિજરતી છાવણી’ નું બેનર હતું, જે પાટણની કલેક્ટર કચેરીએ હિજરતી છાવણી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું.

બપોરે દોઢ વાગે હિજરતી કાફલાએ પાટણ જવા માટે પ્રસ્થાન કર્યું હતું. દલિતોના 55 અને રાવળોના 30 પરિવારોએ એક અસલામત અને અનિશ્ચિત ભાવિની દિશામાં મક્કમ ડગ માંડ્યા હતા. કેટલીક ઊંટગાડીઓમાં માત્ર બહેનોને જ બેસાડવામાં આવી હતી. ચમારવાસમાંથી ગામમાં જેવી રેલી પહોંચી કે બહેનોએ સૂત્રો પોકાર્યા, ‘જઉમાની જે’, ‘વાલજીબાપાની જે’. થોડેક આગળ જઇને મેં ‘બોલો રે બોલો જય ભીમ બોલો,’ સૂત્ર બોલાવ્યું, પછી ખબર પડી કે બહેનોને સાંભળવામાં ભૂલ થઈ હતી. તેઓ ‘બોલો રે બોલો જય હિન્દ બોલો’ સૂત્ર બોલાવતા હતા. એમને જય ભીમના બદલે જય હિન્દ સંભળાયું હતું. મેં એમને ફરી જય ભીમ બોલવાનું કહ્યું અને એમણે હસતા હસતા જય ભીમ બોલવાનું શરૂ કર્યું હતું.

હિજરતીઓની કૂચ ગામ બહાર નીકળી અને ચાણસ્મા-પાટણ હાઇવે સાથે ગામને જોડતા એપ્રોચ રોડ પર આવી હતી. અહીંથી છેક હાઇવે સુધીની ગૌચરની જમીન પટેલોના ખાનગી ટ્રસ્ટને કલેક્ટરે માત્ર એક રૂપિયાના ટોકન ભાડે નવાણું વર્ષના ભાડા પટ્ટે આપી દીધી હતી. તેની સાથે દલિતોની સ્મશાનભૂમિ અને ચર્મકુંડની જમીન પણ પધરાવી દીધી હતી. જેવી આ જગ્યાએ દલિતોની કૂચ આવી કે દબાયેલો આક્રોશ લાવાની જેમ ફાટી પડ્યો હતો. ‘હાય રે કરસનીયા હાય હાય,’ ‘કરસનીયા તારું નખ્ખોદ જજો’ બોલાં બહેનોએ દલિતોની સ્મશાનભૂમિ અને વાડાની જમીનો આંચકી લેનારા ખાનગી ટ્રસ્ટના પડદા પાછળના સૂત્રધાર નિરમા કંપનીના માલિક કરસન પટેલના વિરુદ્ધમાં સૂત્રો પોકારવા માંડ્યા હતા.

(લખ્યા તારીખ 10 માર્ચ, 2004)


- Raju Solanki

બાબાસાહેબના મિશનને આગળ ધપાવવું સહેલું નથી

By Raju Solanki  || 27 November 2017 at 12:10 


સંવિધાનના સંરક્ષક; વાલજીભાઈ પટેલ (પાર્ટ ટુ)

આ એક ઐતિહાસિક તસવીર છે. 14 એપ્રિલ, 1997ના રોજ અમદાવાદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના સાનિંધ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાબાસાહેબના અંગ્રેજી વોલ્યુમના ગુજરાતી અનુવાદિત ગ્રંથનું જાહેર વિમોચન કર્યું હતું. તસવીરમાં વાઘેલા સાથે જમણી બાજુ ખુરસીમાં પ્રવિણ રાષ્ટ્રપાલ બેઠા છે, તેમની પાછળ તત્કાલીન આઈએએસ અધિકારી અને હવે ભૂતપૂર્વ બની ચૂકેલા ભાજપ ધારાસભ્ય રજનીકાંત પટેલ ઉભા છે. ડાબી બાજુ ખુરસીમાં પૂર્વ સાંસદ હિરાલાલ પરમાર બેઠા છે અને તેમની પાછળ વાલજીભાઈ પટેલ ઉભા છે.

બાબાસાહેબની સાક્ષીએ બાબાસાહેબની વર્ષગાંઠે રંગેચંગે એક સરકારી વિમોચન થઈ ગયું અને થોડાક સમય પછી મજુરીયા, ખજુરીયા અને હજુરીયા વચ્ચે ફાટી પડેલી ખુરસી માટેની વરવી લડાઈના અંતે શંકરસિંહે વિદાય લીધી અને નવા મુખ્યમંત્રી દિલીપ પરીખે ફરી પાછું બાબાસાહેબની મૃત્યુતિથિએ ફરી બીજું વિમોચન કર્યું. લોકો એમના કાર્યક્રમોમાં આવ્યા અને ઘરે જઇને ગોદડું ઓઢીને સૂઈ ગયા, પરંતુ જેમણે સમગ્ર જિંદગી બાબાસાહેબના મિશનને ગુજરાતમાં સાકાર કરવા કુરબાન કરી એવા વાલજીભાઈથી રહેવાયું નહીં. મિશન પરત્વેની પ્રતિબદ્ધતાના કારણે તેઓ ચુપચાપ સારંગપુરના સરકારી વિમોચનમાં ઉભા તો રહ્યા હતા, પરંતુ એમણે પછી રૂબરૂ ભદ્રના સરકારી ડેપો પર જઇને તેમ જ માહિતી અધિકારની અરજીઓ દ્વારા પૃચ્છા કરી કે બાબાસાહેબના ગ્રંથો બજારમાં આવ્યા છે કે નહીં. એમને જાણવા મળ્યું કે પેલા બે સરકારી વિમોચનો તો લોકોની આંખમાં ધૂળ નાંખવા માટે બે-ચાર કોપીઓ ગમે તેમ કરીને છાપીને કરી નાંખવામાં આવેલું અને જે થોડીઘણી કોપીઓ છાપેલી એ પણ વેચાણમાં મુકવામાં આવી ન હતી. ખરેખર તો ગુજરાત સરકારે છેક 1993માં કેન્દ્ર સરકારે આ ગ્રંથોના પ્રકાશન માટે ફાળવેલા રૂ. વીસ લાખ વાપર્યા જ ન હતા.

એટલે કર્મશીલે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી અને હાઇકોર્ટે બાબાસાહેબના તમામ ગ્રંથો તાત્કાલિક છાપીને રાજ્યના તમામ બુકસ્ટોલ પર વેચાણ અર્થે મુકવાનો હુકમ કર્યો હતો.

આ ઘટના એટલા માટે લખું છું કે નવી પેઢીના મિત્રોને ખબર પડે કે ગુજરાતમાં દલિત આંદોલનને કોણે જીવતું રાખ્યું છે. પોતાને મહાન માનતા લોકો ફેસબુક પર પોસ્ટો લખી લખીને મોટી ધાડ મારતા હોય છે, પરંતુ એમણે બાબાસાહેબના મિશનને આગળ ધપાવવા એક પૈસાનું નક્કર કામ કર્યું નથી.

- Raju Solanki

સંવિધાનના સંરક્ષક વાલજીભાઈ પટેલ (પાર્ટ – 1)

By Raju Solanki  || 26 November 2017 at 15:43 



આજે 26 નવેમ્બર સંવિધાન દિવસ છે. સંવિધાનના સિદ્ધાંતો કાગળ પર સુંદર છે. એનો અમલ કરવો, કરાવવો એ જ મોટો પડકાર છે. અને સંવિધાનનો અમલ સરકાર ના કરે ત્યારે એનો કાન પકડીને અમલ કરાવનાર માણસ સાચા અર્થમાં બાબાસાહેબના મિશનને આગળ ધપાવે છે. ગુજરાતમાં આપણી વચ્ચે એક કર્મશીલે ખંતથી અને પ્રમાણિકતાથી આ કામ કર્યું હતું. એમનું નામ છે વાલજીભાઈ પટેલ, જેમણે ગુજરાત હાઇકોર્ટમાં એમની સંસ્થા કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસના માધ્યમથી જાહેર હિતની બેસુમાર અરજીઓ કરીને એસસી, એસટી, ઓબોસીના બંધારણીય અધિકારોનું જતન કર્યું હતું.

નવી પેઢીના યુવાનો માટે વાલજીભાઈનું નામ સાવ અજાણ્યું હોઈ શકે છે. કેમ કે તેઓ અખબારી નિવેદનો અને ટીવી ડીબેટોમાં જોવા મળતા નથી. ફેસબુક પર પોસ્ટો લખી લખીને લોકસેવા થાય એવી કોઈ સમજણ વાલજીભાઈ ધરાવતા નથી..

પ્રસ્તુત છે એમના કામની એક નાનકડી રૂપરેખા

- એકતાનગરના ઝુંપડાઓનુ જતન
1999માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના દાણીલીમડાના એકતાનગરના 300 ઝુંપડાઓ તોડી પાડવાનું નક્કી કર્યું હતું. એકતાનગરમાં હિન્દુ, મુસ્લિમ, દલિતો દાયકાઓથી સાથે રહેતા હતા. કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિશે હાઇકોર્ટમાં જઇને કોર્પોરેશનના આદેશ સામે મનાઈ હુકમ મેળવ્યો હતો.

- મેરિટમાં આવતા એસસી, એસટી, ઓબીસી માટે પીટિશન
વર્ષ 2000માં રાજ્યની મેડિકલ કોલેજોએ અનામત કેટેગરીના મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જનરલમાં પ્રવેશ આપવાના રાજ્ય સરકારના પરિપત્રનો ધરાર ભંગ કરીને અનામતની યાદીમાં નાંખ્યા ત્યારે કાઉન્સિલે હાઇકોર્ટમાં પીઆઈએલ કરીને મનાઈહૂકમ મેળવ્યો હતો.

- ગુજરાત જાહેર સેવા આયોગ સામે પીટિશન
વર્ષ 2000માં ગુજરાત જાહેર સેવા આયોગે લેખિત પરીક્ષા પાસ કરનારા એસસી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કેન્સલ કર્યા હતા. આયોગે અનામત કેટેગરીને અપાયેલા પાંચ વર્ષના એક્સટેન્શનને રદ કરવાના સરકારના પરિપત્રનો હવાલો આપ્યો હતો. કાઉન્સિલે હાઇકોર્ટમાં આયોગના નિર્ણયને પડકાર્યો હતો અને રદ કરાવ્યો હતો.

- બિન-અનામત ઉમેદવારોથી અનામત બેઠકો ભરવા સામે મનાઈ હૂકમ
વર્ષ 1990માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને અનામત કેટેગરીમાં બિન-અનામત ઉમેદવારોની નિમણૂંક કરવાની છૂટ આપી હતી. કાઉન્સિલે હાઇકોર્ટમાં રજુઆત કરી કે અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ હોવા છતાં અનામત બેઠકો પર બિન-અનામત ઉમેદવારોની જાણીબૂઝીને નિમણૂંક કરવામાં આવે છે. હાઇકોર્ટે સરકારના પરિપત્રને રદ કર્યો હતો.

- અનૂસૂચિત જાતિ વિકાસ નિગમમાં ભ્રષ્ટાચાર
અનુસૂચિત જાતિઓના 1300 અરજદારોમાંથી 300ને રીક્ષાઓ ફાળવવાની અનુસૂચિત જાતિ વિકાસ નિગમની મનસ્વી પદ્ધતિ સામે કાઉન્સિલે હાઇકોર્ટમાં પીટિશન કરી હતી અને સરકારને નવેસરથી ફાળવણી કરવાનો હુકમ થયો હતો.

- બાબાસાહેબના ગ્રંથો માટે હાઇકોર્ટમાં ધા
1998માં સરકારે ડો. બાબાસાહેબ આંબેડકરના ગ્રંથોને ગુજરાતીમાં પ્રગટ કરવા માટે રૂ. 20 લાખ ફાળવ્યા હતા. પહેલો ખંડ 1993માં પ્રગટ થયો હતો. શંકરસિંહ વાઘેલા અને દિલિપ પરીખ, બબ્બે મુખ્યમંત્રીઓએ વારાફરતી જાહેર કાર્યક્રમોમાં માત્ર દેખાવ ખાતર લોકોને ઉલ્લુ બનાવવા થોડીક કોપીઓ છાપીને વિમોચન કરી નાંખ્યું હતું. પછી છેક 1998 સુધી એક પણ સરકારી ડેપોમાં એક પણ કોપી ઉપલબ્ધ થઈ ન હતી. કાઉન્સિલે હાઇકોર્ટમાં જઈ દાદ માંગી હતી અને કોર્ટે સરકારને તમામ ગ્રંથો અગ્રતાના ધોરણે છાપવા તેમ જ તમામ વોલ્યુમ સરકારી બુકસ્ટોલ્સ પર મુકવા આદેશ કર્યો હતો.

(to be continued.....

વ્યક્તિગત નિષ્ફળતાનું ઠીકરું દલિતોના આંતરીક જાતિવાદના માથે ફોડાય નહીં

By Raju Solanki  || 29 November 2017 at 17:56 




આજકાલ કેટલાક નિષ્ણાત, વિદ્વાન મહાપુરુષો ફેસબુક પર દલિતોના આંતરીક જાતિવાદ વિષે એમના છીછરા જ્ઞાનનું વરવું પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને ચૂંટણીમાં કોઈ હારી જાય તો એની હાર માટે તેઓ દલિતોના આંતરીક જાતિવાદને જવાબદાર ઠેરવે છે. ચૂંટણીઓમાં ઉમેદવારોની હારજીતમાં ઘણા પરિબળો નિર્ણાયક હોય છે. પક્ષની પ્રતિષ્ઠા, મતદારોની લાગણી અને ઉમેદવારની વ્યક્તિગત ઇમેજ જેવા અસંખ્ય કારણોથી હારજીત નક્કી થાય છે. આંતરીક જાતિવાદ તો આવા દસ પરિબળો પૈકીનું એક હોય છે, એકમાત્ર પરિબળ નથી હોતું.

1995માં અમદાવાદના શહેરકોટડા મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વાલજીભાઈ પટેલ રોહિત જાતિના હોવાથી વણકર મતદારોએ એમને મત આપ્યા નહીં એવો કુતર્ક આવા નિષ્ણાતો કરી રહ્યા છે. એમના રાજકીય અજ્ઞાનની દયા ખાવા જેવી છે. એમને ખબર જ નથી કે આ જ મતવિસ્તારમાં માત્ર ત્રણ વર્ષ પછી થયેલી નવમી વિધાનસભાની ચૂંટણીમાં જીતુ વાઘેલા નામના રોહિત જાતિના ઉમેદવારને લોકોએ ચૂંટી કાઢ્યા હતા. જે તે સમયે લોકો કઈ બાબતને અગ્રતા આપે છે એ મહત્વનું છે. 1998માં શહેરકોટડાના લોકોએ હિન્દુત્વની અપીલને વધારે સમર્થન આપ્યું હતું, જ્યારે 1995માં વાલજીભાઈ પટેલ સામેના કોંગ્રેસના ઉમેદવાર અને તત્કાલીન પ્રધાન મનુભાઈ પરમારની કાર્યશૈલીથી નારાજ થયેલા લોકોએ તેમને હરાવ્યા હતા. આવી સીધીસાદી વાતમાં પેટાજાતિવાદ ઘુસાડતા લોકો ખરેખર માનસિક રોગીઓ છે.

શંકરસિંહના પ્રીતિપાત્ર પ્રવિણ રાષ્ટ્રપાલ પાટણ મતવિસ્તારમાં મહેશ કનોડીયા જેવા લોકપ્રિય કલાકાર સામે ચૂંટણી લડ્યા ત્યારે કઈ રીતે જીત્યા હતા? રાષ્ટ્રપાલે મતદારોમાં ‘ગાયક જોઇએ કે લાયક જોઇએ?’ એવું સૂત્ર પ્રચલિત કર્યું હતું અને લોકોએ તેમનો મેસેજ સરસ રીતે ઝીલ્યો હતો. વણકરોની બહુમતિ ધરાવતા વિસ્તારોમાં રાષ્ટ્રપાલને સારો પ્રતિસાદ મળેલો અને વણકર જાતિના અને એ જ પંથકના વગદાર પાટણવાડા પરગણાના માનીતા એવા મહેશ કનોડીયા હારી ગયા હતા. પાંચ વર્ષ પછી રાષ્ટ્રપાલ ફરી આ જ મતવિસ્તારમાં ઉભા રહ્યા ત્યારે હારી ગયા હતા. લોકોને એમની કામગીરીમાં કોઈ ભલીવાર ના પણ લાગ્યો હોય કે પછી એમના જ પક્ષના કોંગ્રેસીઓએ (ત્યારે વાઘેલા કોંગ્રેસમાં ઘુસી ગયા હતા) તેમને હરાવ્યા હોય. ઘણા કારણો હશે. પેટાજાતિવાદથી બધું સંચાલિત થતું નથી.

કોંગ્રેસ અને ભાજપમાં પેટાજાતિવાદ ચાલે તો વાંધો નથી, પરંતુ બીએમપી કે બીએસપીમાં ચાલવો ના જોઇએ. આ આદર્શ તો સારો છે, પરંતુ સિત્તેર વર્ષથી મનુવાદી પક્ષોમાં કામ કરીને સવર્ણોની લાળ ચાટી ચાટીને પેટાજાતિવાદથી વિકૃત થયેલા દલિતો રાતોરાત થોડા સુધરવાના છે? થોડોક તો સમય આપો.

માયાવતીને દલિત ઝરીનાનું સંબોધન કેમ?

By Raju Solanki  || 2 December at 2017 08:54



મીડીયા ધારે તો મંકોડાને મહામાનવ અને મહામાનવને મગતરું બનાવી શકે છે. બાબાસાહેબે ચોથી જાગીરને નેતાઓનું ઉત્પાદન કરતા કારખાના જોડે સરખાવી હતી. માયાવતીનો કેસ સ્ટડી આ બાબતમાં માર્ગદર્શક છે.

માયાવતી આ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યપ્રધાનપદે બિરાજી ચૂક્યા છે અને એમનો બહુજન સમાજ પક્ષ 2014ની સંસદની ચૂંટણીમાં વોટની ટકાવારી પ્રમાણે કોંગ્રેસ, ભાજપ પછી ત્રીજા નંબરનો રાષ્ટ્રીય પક્ષ છે. આવા માયાવતી વિષે મીડીયા હંમેશા વિકૃત, જુઠ્ઠા સમાચારો છાપતું હોય છે, કેમ કે તેઓ એક દલિત તરીકે એક રાજકીય પક્ષનું સંચાલન કરી રહ્યા છે.

તમે ગુગલમાં દલિત ઝરીના dalit zarina શબ્દ લખીને સર્ચ કરો. 1,34,000 રીઝલ્ટ મળશે. એમાં ‘ઇમેજીઝ ઓફ દલિત ઝરીના’માં તમને બહેન માયાવતીના ફોટો જોવા મળશે. આવું કેમ બન્યું? બહેન માયાવતીને દલિત ઝરીનાનું બિરુદ કોણે આપ્યું? ઝરીના એટલે કોણ? આવું બિરુદ આપનારા લોકો શું સાબિત કરવા માંગે છે?

રશિયાનો ઇતિહાસ વાંચો. વીકીપીડીયા પર આસાનીથી ઉપલબ્ધ છે. ઝાર એટલે રશિયાનો સમ્રાટ. ઝારના ઉત્તરાધિકારીને પણ ઝાર કહેતા. ઝારની પત્ની, રશિયાની મહારાણી, સામ્રાજ્ઞી એટલે ઝરીના. એક ઉદ્દંડ, ઉદ્ધત, મનસ્વી રાજા માટેનું વિશેષણ એટલે ઝાર. ‘ઇવાન ધી ટેરિબલ’ના નામે ઓળખાતા ઝારે સોળમી સદીમાં રશિયાને મોટું સામ્રાજ્ય બનાવ્યું, સાઇબેરીયા જેવા અફાટ પ્રદેશો રશિયામાં જોડ્યા. હવે છેક તેરમીથી સત્તરમી સદીના રશિયામાં શાસન કરનારા પાગલ, ગાંડા, નાલાયક, સામંતી મૂલ્યોથી ખદબદતા ઝાર અને ઝરીનાના સંદર્ભો આધૂનિક ભારતમાં એક રાજકીય પક્ષના નેતા સાથે કઈ રીતે જોડાય? મીડીયામાં ક્યારેય મોદી માટે હિન્દુ ઝાર કે જયલલિતા માટે બામણ ઝરીના શબ્દો પ્રયોજાયા નથી, તેઓ એને માટે લાયક છે તો પણ.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયા વર્ષોથી બેધડક માયાવતી માટે દલિત ઝરીના શબ્દ વાપરે છે. માયાવતીએ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનું શું બગાડ્યું છે? ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો માલિક જૈન છે. માયાવતીએ જૈનોનું શું અહિત કર્યું છે? આ બધા પ્રશ્નોના જવાબ તમારી ઉપર છોડું છું. અત્યારે તો એટલું જ કહીશ કે આપણા પૈકીના ઘણા લોકોનું અંગ્રેજી અત્યંત સુંદર છે. એમને વિનંતી કરીએ કે તેઓ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના માલિકને એક સરસ પત્ર વિનયપૂર્વક અંગ્રેજીમાં લખે અને તેમને જણાવે કે માયાવતી માટે આવા શબ્દનો ઉપયોગ ના કરો. તમે યોગી જેવા નાગા બાવાઓને સાંખી લો છો, તો બહેનજી એમના કરતા હજારગણા બહેતર છે.

1981ની રૂબી સોસાયટી યાદ છે?

By Raju Solanki  || 7 December 2017 at 12:31 




ગઈ કાલે વાડજના તુલસીનગરમાં ડો. બાબાસાહેબ મહાનિર્વાણ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં મને વક્તા તરીકે બોલાવવામાં આવ્યો હતો. “1981માં તમારી બાજુમાં આવેલી રૂબી સોસાયટી સાથે તમારે માથાકૂટ થયેલી એ કેટલા લોકોને યાદ છે?”, એવો પ્રશ્ન મેં પૂછ્યો ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે ઘણી બહેનો અને ભાઈઓએ હાથ ઉંચા કર્યા અને કહ્યું કે, “હા, અમને યાદ છે.”

1981માં વાડજની રૂબી સોસાયટીમાં નજીકના વિસ્તારના દલિતો ઘૂસી ગયા હતા અને લૂંટફાટ કરી હતી, એવા સમાચાર દૈનિક જનસત્તામાં છપાયા એના બીજા દિવસે અમે કેટલાક મિત્રો, હું, સાહિલ પરમાર, હરીશ મંગલમ અને જયંતી ચૌહાણ તે વખતે ખાનપુરમાં આવેલા જનસત્તા અખબારની કચેરીએ તંત્રીને મળવા ગયા હતા. અમારી ફરિયાદ એવી હતી કે અખબારો દેત્રોજ અને ઉત્તરસંડામાં દલિતોના ઝુંપડા સળગાવી દેવાયા તેના સમાચાર છાપતા નહોતા અને ક્યાંક દલિતો નાનકડું છમકલું કરે અથવા ના કરે તો પણ પહેલા પાને મોટી હેડલાઇનો બનાવતા હતા. મિત્ર સાહિલ પરમારે એમની આગવી અદામાં માનનીય પ્રકાશ શાહને સવાલ કર્યો કે, “હેં પ્રકાશભાઈ, જનસત્તાનું ખાતમૂહૂર્ત શંકરાચાર્યએ કરેલું?.” પ્રકાશભાઈ ચીડાઈ ગયા હતા. એમણે એક ફુટપટ્ટી હાથમાં લીધી અને દલિતો પર થયેલા દમનના એક કોલમના એક સમાચાર પર ફુટપટ્ટી મુકીને બોલ્યા હતા, “દલિત સમાજને ત્રણ ઇંચ જગ્યા આપી છે, આટલી જગ્યા ઓછી છે?”

ત્યારે માનનીય પ્રકાશભાઈ શાહ એકલા જ નહીં ગુજરાતનો કહેવાતો સમગ્ર નાગરિક સમાજ ઓછા યા વત્તા અંશે દલિતોની વિરુદ્ધમાં અને દલિતો એટલે કોંગ્રેસ એવું સમીકરણ હોવાથી કોંગ્રેસની વિરુદ્ધમાં હતો. આજે કહેવાતો નાગરિક સમાજ ભાજપની વિરુદ્ધમાં છે અને કોંગ્રેસને વોટ આપવાની અપીલો પર અપીલો કરી રહ્યો છે, ત્યારે આ તો અમસ્તું. 1981 પછી જન્મેલા યુવા દલિતોની જાણ સારું.

લખી નાંખો દિવાલો પર....

By Raju Solanki  || 10 December 2017 at 10:49 



જાણીતા સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડેની સ્મૃિતમાં 1943માં ડો. આંબેડકરે ‘રાનડે, ગાંધી અને જિન્હા’ વિશે સ્મૃિત વ્યાખ્યાન આપેલું. એ વ્યાખ્યાનમાં બાબાસાહેબે કહ્યું હતું: 
“કોઈ પણ લોકતાંત્રિક પદ્ધતિની સરકારની પૂર્વશરત છે, લોકતાંત્રિક પદ્ધતિનો સમાજ. જ્યાં સુધી લોકશાહી ઢબનો સમાજ નહીં હોય ત્યાં સુધી લોકશાહીના ઔપચારિક માળખાનો કશો અર્થ નથી. રાજનીતિજ્ઞો એ વાત સમજતા નથી કે લોકતંત્ર એ કંઈ સરકાર નથી બલકે મૂળભૂતપણે એક સમાજનું સ્વરૂપ છે.”

આ દેશમાં પાંચ લાખ ગામડાઓમાં પાંચ હજાર વર્ષથી પ્રચલિત સામંતી જાતિપ્રથા ખતમ કરવામાં આવે તો જ લોકતાંત્રિક પદ્ધતિનો સમાજ રચી શકાય. આ માટે તમારે પાંચ લાખ ગામડાઓનો ભાંગીને ભૂક્કો કરી દેવો પડે. ગામડાઓ ભાંગવા એટલે ખેતીવાડી ખતમ કરવી એવો અર્થ થતો નથી. કોંગ્રેસે સંવિધાનસભામાં જે કરી શકાઈ નહોતી તે બાબત ઇન્દિરા ગાંધીના સમયમાં પંચાયતી રાજના સ્વરૂપે દાખલ કરી હતી અને જાતિપ્રથાને પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો.

દલિત આંદોલનમાં જ્યાં સુધી બાબાસાહેબના અલગ વસાહતના સિદ્ધાંતનો એજન્ડા અગ્રતા ધરાવશે નહીં ત્યાં સુધી દલિતો આ દેશમાં ભટકતા રહેશે, શાસક બનવાની વાત તો દૂર.

(આત્મીય ચંદુ મહેરીયાના સમાજમિત્રમાં પ્રસિદ્ધ લેખ વાંચ્યા પછી સ્ફુરેલું)