August 15, 2017

માનસિક સ્વતંત્રતા એજ ખરી આઝાદી



આપણે ૭૧ મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીયે, આઝાદીપર્વ ની સર્વ ને શુભેચ્છા, આઝાદી ઝિંદાબાદ..
પણ એક વિચાર એવો આવે કે શું આપણે સાચેજ સ્વતંત્ર છીયે???
આઝાદી દરેક ના મત મુજબ અલગ હોઈ શકે, આપનાં માટે આઝાદી નો આયામ શું છે???

શું અંગ્રેજોના અધિપત્યમાંથી મુક્ત થવું એટલે આઝાદી???
શું ભૂખમરા માંથી મુક્તિ એટલે આઝાદી???
શું ધનવાન થઇ જાવું અને મુક્તમને પૈસા વાપરવાની અને અઢળક ખરીદી કરવાની છૂટ એટલે આઝાદી???
શું દેશ-દુનિયામાં સરહદોનાં અવરોધ વગર,કોઈ પાસપોર્ટ-વિઝા વગર આખીયે દુનિયામાં રખડવું-ફરવું એટલે આઝાદી....
શું માસિકસ્ત્રાવ માંથી છુટકારો અને દર મહિને સેનિટરી પેડ લગાવવામાંથી છુટકારો એટલે આઝાદી???
શું સવારે વહેલા ઉઠવામાંથી મુક્તિ અને પોતાની મરજી મુજબ મોડા સુધી સુતા રહેવાની છૂટ એટલે આઝાદી???
શું પપ્પા-મમ્મી નો બોધપાઠ, ઠપકો ,મેથીપાક કે રોકટોક માંથી છૂટછાટ એટલે આઝાદી???
શું નિશાળમાંથી ગૃહકાર્ય કરવામાં મુક્તિ મળે કે શાળા માં રજા/વેકેશન હોય એટલે આઝાદી???
શું કોલેજમાં બંક મારીની મિત્રો/બહેનપણીઓ સાથે ફરવા કે મુવી જોવા જવું એટલે આઝાદી???
શું કોઈ જાગીર હાથ લાગે અને રોજેરોજ નોકરી જવાની પળોજણ માંથી મુક્તિ એટલે આઝાદી???
આઝાદી માટેનો આપનો આયામ શું છે???
મારા માટે આઝાદી એટલે ધર્માંધતા, રૂઢિગત માન્યતાઓ, કુપ્રણાલીઓ, લિંગગત-જાતિગત-ધર્મગત-ભેદભાવયુક્ત માનસિકતા, અતાર્કિક પૂર્વધારણા,  ગુસ્સો ,દ્વેષભાવ, અને અંગત સ્વાર્થ થી પરે રહીને કોઈપણ બાબત ને સાંભળવાની ,સમજવાની આવડત-સમજણ ,શક્તિ અને પરવાનગી....
મારા માટે આઝાદી એટલે કોઈ વ્યક્તિ ,સંસ્થાઓ, સમાચાર માધ્યમો, કે અન્ય કોઈપણના કહયા માં આવ્યા વગર ,સાચું શું છે-અને સારું શું છે તે મારા જાતે વિચારવાની આવડત અમે મુક્તમન ની આદર્શ પરિસ્થિતી...
આઝાદી એટલે કોઇની પણ રોકટોક વગર, ડર વગર હું મારા વિચારો રજૂ કરી શકું....
આઝાદી મળતાં જ માણસનાં મગજ માં હકારાત્મક તરંગો(Positive waves/vibrations) પેદા થાય છે, આઝાદીની મોકળાશ માં જ ચિત્રકાર કેનવાસ પર પોતાની કળા ને છૂટી મૂકીને અદભુત ચિત્ર રચી શકે અને સાહિત્યકાર બેનમૂન સાહિત્ય સર્જી શકે.(If not under the influence of anything.)

મહાન વિચારક અને તત્વચિંતક ડો.ભીમરાવ આંબેડકર સાહેબે ખુબજ ગહન અર્થમાં સાચુજ કહ્યું છે કે . . .
"વૈચારિક સ્વતંત્રતા વાસ્તવિક સ્વતંત્રતા છે.જે વ્યકિત સાંકળો માં બંધાયેલો નથી છતાં પણ તે માનસિક રીતે ગુલામ છે તો તે ખરા  અર્થમાં ગુલામ છે, મુક્ત માણસ નથી.જેનું મન મુક્ત નથી, તે જેલમાં ન હોવા છતાં તે કેદી છે અને મુક્ત માણસ નથી.જે વૈચારિક રીતે મુક્ત નથી, તે જીવંત હોવા છતાં મૃત જેવાજ છે.વૈચારિક સ્વતંત્રતા આપણા અસ્તિત્વનો પુરાવો છે. "