June 29, 2018

‘ઉના-દમન પીડિતોનુ બૌદ્ધ ધર્મપરિવર્તન’

By Raju Solanki  || 29 April 2018



બુદ્ધમ શરણમ ગચ્છામિ
આજે ઇટીવી પર ‘ઉના-દમન પીડિતોના બૌદ્ધ ધર્મપરિવર્તન’ પર લાઇવ ડીબેટમાં મેં ભાગ લીધો. સમયની મર્યાદા હતી એટલે ઝાઝુ કહી શક્યો નહીં, પરંતુ ધર્મ પરિવર્તન અંગે ગાંધીજીના આઘાતજનક, શરમજનક વિચારોમાંથી એક કણિકા ડીબેટમાં રજુ કરી.

બાબાસાહેબે ‘અસ્પૃશ્યતા અને અશ્પૃશ્યો પર નિબંધો: ધાર્મિક’ ગ્રંથના ચોથા પ્રકરણ ‘વટલાયેલાની પરિસ્થિતિ’ (Condition of the convert)માં ગાંધીજીના આ વિચારો નોંધ્યા છે. ગાંધીજી કહે છે, “તેઓ (હરીજનો) એક ગાય જેટલી પણ ગુણદોષની પરખ ધરાવતા નથી. હરીજનોને દિમાગ નથી, બુદ્ધિ નથી, ઇશ્વર અને અનિશ્વર વચ્ચેનો ભેદ પારખવાની સમજ નથી.”

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ધર્મ પરિવર્તનની વિરુદ્ધમાં છે અને તેઓ ગાંધીજીની વિચારધારાને અનુસરે છે. બાબાસાહેબે પાંચ લાખ અનુયાયીઓ સાથે 1956માં બૌદ્ધ ધર્મ પરિવર્તન કરીને ગાંધીજીના આ વિચારોનું ઐતિહાસિક ખંડન કર્યું હતું. બાબાસાહેબના પગલે પગલે ચાલી નીકળેલા ઉનાના બાલુભાઈ સરવૈયા, તેમના પરિવારજનો અને અન્ય દલિત બાંધવોને ખુબ ખુબ અભિનંદન. તમે પાડેલી કેડી પર દેશના તમામ પીડિતો આજે નહીં તો કાલે નીકળી પડશે એમાં લગીરે શંકા નથી.

રાજપુતો, દલિતો, ગાય અને ગોબર


By Raju Solanki  || 28 April 2018


આજે બપોરે એક જાણીતા ગુજરાતી દૈનિકની પોર્ટલમાં કામ કરતા મીડીયાકર્મીનો મારા પર ફોન આવેલો. તેમણે મને પૂછ્યું કે, “ફલાણા દલિત નેતા અને તેમના સાથીદારે રાજપુત સમાજની માફી માંગતો વીડીયો વાયરલ થયો એના અંગે તમારે શું કહેવાનું છે?”

મેં કહ્યું કે, “હું કોઈપણ દલિત નેતાએ સોશીયલ મીડીયામાં શું કહ્યું એનો ટ્રેક રેકોર્ડ રાખતો નથી. આવા તો ઘણા વીડીયો વાયરલ થાય છે. ક્યારેક તો લોકો પોતાની અનુકૂળતાએ ફેક વીડીયો ફોરવર્ડ કરતા હોય છે. આ તો બહુ મહાન વોટ્સપ યુનિવર્સિટી છે. રહી વાત રાજપુત સમાજની. તો મારે એટલું જ કહેવું છે કે ગામડામાં દલિતોને મારનારા દરબારો પણ અંગુઠાછાપ છે અને માર ખાનારા દલિતો પણ અભણ છે. ઉનામાં દલિતોને રંજાડનારા ગૌરક્ષકો માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતા અને માર ખાનારા દલિતો પણ સાવ અભણ રહ્યા. એટલે મારનારા અને માર ખાનારા બધા ભણે ગણે, વૈજ્ઞાનિક થાય અને દેશનું ભલું કરે એવું આપણે તો ઇચ્છીએ. કમનસીબે ભાજપની રૂપાણી સરકાર શિક્ષણ પાછળ પૈસા ખર્ચતી નથી. ગાય અને ગોબરની ભક્તિમાંથી ઊંચી આવતી નથી.” મારી વાત સાંભળીને મીડીયાકર્મીએ ફોન મુકી દીધો. આગળ વાત કરવાની એમને કદાચ ઇચ્છા થઈ નહીં. મારી વાત એમને ક્વોટ કરવા જેવી લાગી નહીં.

દલિત પેંથર્સની રાજકીય સમજ અને આજનું દલિત આંદોલન

By Raju Solanki  || 24 April 2018



આજથી 42 વર્ષ પહેલાં 6 ડીસેમ્બર, 1975ના રોજ નારણ વોરાના તંત્રીપદે બહાર પડેલા ‘પેંથર’ માસિકના પ્રથમ અંકમાં ‘ફક્કડની ડાયરી’ પેંથર્સની રાજકીય પરિપક્વતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. “ગાંધીનગર સચિવાલયની ગેલેરીમાં ફરતા ફરતા ફક્કડને એક ઇન્ડીકેટી હરિજન આગેવાન મળી ગયા,” લેખના આ પ્રથમ વાક્યથી જ વાચકને ખ્યાલ આવી જાય છે કે ‘ફક્કડની ડાયરી’ લખનારનો મૂડ કેવો એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ છે. ફક્કડ પેલા ઇન્ડીકેટી હરિજન આગેવાનને પૂછે છે કે, “શું સમાચાર છે?” તો એ કહે છે, “સમાચાર તો શું હોય? સંસ્થા, જનસંઘ, ભાલોદ અને એસપીનો ખીચડો બિલકુલ નકામો છે.” સંસ્થા એટલે સંસ્થા કોંગ્રેસ, ભાલોદ એટલે ભારતીય લોકદળ, જનસંઘ એટલે ભાજપનો પૂર્વાવતાર અને એસપી એટલે સમાજવાદી પક્ષ. એ વખતે ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ પટેલની સંયુક્ત મોરચાની સરકાર હતી અને કેન્દ્રમાં ઇન્ડીકેટ એટલે કે ઇન્દિરા કોંગ્રેસ હતી.

આગળ ફક્કડ લખે છે, “અમારી વાતચીત ચાલતી હતી એટલામાં શાસક કોંગ્રેસના એક મોટા નેતા કડછાઓની ફોજ સાથે ત્યાંથી નીકળ્યા.” આ વાક્ય વાંચીએ તો એવું લાગે કે જાણે આ તો અત્યારની પરિસ્થિતિ ઉપર લખાયું છે. કડછાઓને આપણે અત્યારે ભક્તોના નામે ઓળખીએ છીએ, કોઈ ઝાઝો ફરક નથી. ફરક એટલો જ છે કે ત્યારે પેંથરો તમામ રાજકીય પક્ષોથી અલગ પોતાની પહેચાન બનાવી રહ્યા હતા. સીન્ડીકેટ હોય કે ઇન્ડીકેટ હોય, બધા સત્તાના લોલુપ રાજકારણીઓ છે એ સમજ પાક્કી હતી. સીન્ડીકેટનો વિરોધ કરતા કરતા ઇન્ડીકેટના ખોળામાં બેસી જવાનો તકવાદ પેંથરોમાં નહોતો.

વીતેલા સમયનો એક ઐતિહાસિક દસ્તાવેજ. આજની યુવા પેઢીની જાણ સારું. નારણ વોરા, રમેશચંદ્ર પરમાર કે વાલજીભાઈ પટેલની રાજકીય સમજ આજથી બેત્તાલીસ વર્ષ પહેલાં કેવી હતી એનો આ નમુનો છે. આજે એમના કરતાં પણ હોંશિયાર, વાચાળ, અંગ્રેજીના જાણકાર, મીડીયાના માનીતા લોકો દલિત આંદોલનમાં આવ્યા હશે, પરંતુ પેંથર્સ જેટલી નિષ્ઠા, પ્રતિબદ્ધતા એમનામાં છે કે કેમ એ એક મોટો સવાલ છે.



June 27, 2018

આખુ વર્ષ ચાલે એટલી ઉર્જા મળે

By Raju Solanki  || 16 April 2018



ગુજરાતના આંબેડકરી આંદોલનના તેમ જ ભૂમિ આંદોલનના ઇતિહાસમાં નરોડા રોડ પર આવેલા અમદુપુરાનું ઔતિહાસિક મહત્વ છે. 1960ની 18મી ઓગસ્ટે બરોબર બપોરે 11 વાગે અમદુપુરાના ચોકમાં વાદળી ટોપીઓનું વાદળ છવાઈ ગયું હતું. રીપબ્લિકન પક્ષના હજારો કાર્યકરો હાથમાં વાદળી ઝંડા સાથે, માથે વાદળી ટોપીઓ પહેરીને, ઉઘાડા પગે ‘ડો. બાબાસાહેબ આઁબેડકર અમર રહો’, ‘નહીં રૂકેગા, નહીં રૂકેગા ભૂમિહીનોં કા મોર્ચા નહીં રૂકેગા’ જેવા નારાઓ સાથે તે વખતની ગુજરાત વિધાનસભા (હાલની સિવિલ હોસ્પિટલ)ને ઘેરો ઘાલવા નીકળી પડ્યા હતા.

ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનેય શરમાવે એવી તુમાખી ધરાવતા, તોછડા મુખ્યપ્રધાન કોંગ્રેસના જીવરાજ મહેતા હતા, જેમણે આ આંદોલનના એક મહિના પહેલા આવેદનપત્ર આપવા આવેલા રીપબ્લિકન પક્ષના પ્રતિનિધિમંડળ સામે બાબાસાહેબ વિષે અસભ્ય ઉચ્ચારણો કરેલા. પરીણામે વીફરેલા દલિતોએ ઇતિહાસમાં ક્યારેય ના થયું હોય તેવું અભૂતપૂર્વ ભૂમિ આંદોલન કરેલું, હજારો લોકોએ કારાવાસ વેઠલો, ગામડાઓમાં દલિતોએ હજારો એકર સરકારી જમીનનો કબજો લઇને ખેતી કરવા માંડેલી, સરકાર ત્રાહિમામ પોકારી ગયેલી અને છેવટે સરકારને ગુજરાત ખેતી જમીન ટોચમર્યાદા કાયદો, 1961 ઘડવાની ફરજ પડેલી.

આવા ઐતિહાસિક અમદુપુરાના ચોકમાં આ 14મી એપ્રિલે આંબેડકરી યુવા સંગઠને બાબાસાહેબની 127મી જન્મજયંતીની શાનદાર ઉજવણી કરી. આંબેડકરી ચળવળના જુના જોગી જયંતી ઉસ્તાદનું જાહેર સન્માન કર્યું. જયંતી ઉસ્તાદ એટલે 1985માં ગાંધીનગરમાં નીકળેલી ચાર લાખની દલિત-આદિવાસીની રેલી ટાણે ગુજરાત વિધાનસભા પર વાદળી ઝંડો ફરકાવવા ચડેલો એક ઝુઝારુ યુવાન. રાજુ સોલંકીએ એ રેલીને યાદ કરીને જણાવ્યું કે તેઓ ત્યારે જયંતી ઉસ્તાદની સાથે હતા. હાલ એમના 65 વર્ષ થયા છે. પરંતુ હજુ એ જ મિજાજ સાથે સભાઓ સંબોધે છે. આવા જયંતી ઉસ્તાદનું સન્માન કરીને આંબેડકરી યુવા સંગઠને સરસ કામ કર્યું.

અમદુપુરામાં સભા થાય અને દલિત પેંથરના લડાકુ નેતા નારણ વોરાને યાદ કરવામાં ના આવે તો કેમ ચાલે? રાજુ સોલંકીએ પ્રવચનમાં નારણ વોરાને યાદ કર્યા અને કહ્યું કે આખી જિંદગી મીલમાં નોકરી કર્યા પછી નિવૃત્તિ ટાણે એ માણસને પીએફ અને ગ્રેજ્યુઇટી ના મળે, કેમ કે એણે દલિત આંદોલન પાછળ એટલી બધી રજાઓ પાડી હોય. આવા માણસના પરીવારને મદદ કરવા ‘નારણ વોરા સન્માન સમિતિ’ની રચના કરવામાં આવે. લોકોએ આ દરખાસ્તને તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલી અને સ્થાનિક આંબેડકરી યુવા સંગઠન હવે આ યોજના સૌના સહકારથી અમલમાં મુકશે.

અમદુપુરા નરોડા રોડનો એક અર્થમાં ગેટવે છે. અહીંથી શરૂ થતા નરોડા રોડ પર સહેજેય એક લાખ દલિતો વસે છે. અહીં શિક્ષણ માટે એક સેન્ટર શરૂ કરવામાં આવે તો સમગ્ર રોડ પર વસતા દલિતો જ નહીં દેવીપૂજક જેવી અન્ય પછાત જાતિઓ બાળકોને પણ એનો લાભ મળે, એવું સૂચન રાજુ સોલંકીએ કર્યું. ટૂંક સમયમાં આ સૂચનને પણ યોગ્ય રીતે અમલમાં મુકવા સૌ સક્રિય થશે. સભાના અંતે બાબાસાહેબના શિક્ષિત બનોના સૂત્રને સાકાર કરવા સૌએ શપથ લીધા. આખુ વર્ષ ચાલે એટલી ઉર્જા આ એક કાર્યક્રમથી મળી ગઈ.

ભરત ડોડીયા અને એમની ટીમને જય ભીમ. નીલા સલામ.





કોણ કોની પ્રસિદ્ધિ કરી રહ્યું છે?

By Raju Solanki  || 15 April 2018




રાજુ સોલંકી એનો સાક્ષી છે

આજે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’ લખે છે, “For the first time in years, there were huge queues at Sarangpur to garland the statue of Babasaheb.” એટલે કે પ્રથમવાર સારંગપુર ખાતે બાબાસાહેબની પ્રતિમાએ લાંબી લાઇનો લાગી હતી.

આમને બિચારાઓને ખબર જ નથી કે 1981 અને 1985ના મીડીયા-પ્રેરિત અનામતવિરોધી રમખાણો વખતે લાખો દલિતો અમદાવાદમાં સારંગપુર ખાતેની પ્રતિમાએ ઉમટી પડતા હતા અને મીડીયા એક લીટી છાપતું નહોતુ. ત્યારે ફેસબુક ન હતું અને માર્ક ઝુકરબર્ગ જન્મ્યો પણ ન હતો. પણ નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને બાબાસાહેબ પરત્વેનો ઉમળકો લગીરે ઓછો નહોતો. રાજુ સોલંકી એનો સાક્ષી છે.

મજાની વાત તો એ છે કે અત્યાર સુધી રમણ વોરા કે આર. એમ. પટેલ જેવા ભાજપના દલિત નેતાઓ પ્રતિમાએ આવતા અને જતા રહેતા, એમની કોઈ નોંધ લેવાતી નહોતી. તેઓ આવતા અને પોતાના કેટલાક ટેકેદારો સાથે બાબાસાહેબને ફુલહાર પહેરાવીને રવાના થઈ જતા હતા. આ વખતે જ કહેવાતા વિરોધને કારણે એમના તરફ સૌનું ધ્યાન ગયું છે અને મીડીયામાં એમના ફોટા પણ આવ્યા છે. કોણ કોની પ્રસિદ્ધિ કરી રહ્યું છે?



ડૉ આંબેડકર અને તેમનો બૌદ્ધ ધમ્મ - (The Beginning)

By Vishal Sonara || 27 Jun 2018


ડો ભીમરાવ આંબેડકર વિશે ફેસબુક તથા અન્ય માધ્યમો દ્વારા ઘણી બધી માહિતી લોકોને મળતી હોય છે. પણ આશ્ચર્યજનક વાત એ છે કે આ માહિતી મા સૌથી વધારે જો કંઈ હોય તો તે ભગવાન અને હિન્દુ ધર્મ વિરોધી વિચારો જ જોવા મળે છે. એમા કોઈ શંકા નથી કે બાબા સાહેબે વર્ણ વ્યવસ્થા જેવા અન્યાયપુર્ણ સિદ્ધાંતો નુ રક્ષણ તથા પોષણ કરતા હિન્દુ ધર્મ ના વિરોધ મા ઘણું બધું લખેલું છે. પણ એ પણ એક હકીકત છે કે એના સિવાય પણ બાબા સાહેબ ઘણું બધું અન્ય સાહિત્ય સર્જન કરતા ગયા છે. બાબા સાહેબે અન્ય જે વિષયો પર પ્રકાશ ફેંક્યો છે એ જો જાણીએ તો તે છે કાયદા શાસ્ત્ર, ઈતિહાસ, અર્થશાસ્ત્ર , સમાજ પરિવર્તન, ધર્મ અને ફિલોસોફી, રાજ્યશાસ્ત્ર, રાજકારણ વગેરે વગેરે... આ બધું છોડીને આંબેડકરના ફક્ત હિન્દુ વિરોધી વિચારો નો જ આટલો ભયંકર પ્રચાર પ્રસાર કેમ?? આંબેડકર ને માનનારા લોકો ના અન્યાય તથા અસમાનતા પ્રત્યે ના આક્રોશ ના કારણે આમ થાય છે કે કોઈ ષડયંત્ર ના ભાગ સ્વરૂપે થાય છે તે એક તપાસ નો વિષય છે. અત્યાર ના આ માહિતી ના યુગમાં આંબેડકર ને માનતા લોકોએ સતર્કતા થી એમના વિચારોને સાચી રીતે સમજીને લોકો સમક્ષ રજૂ કરવા પડશે. નહીં તો વિરોધી વિચારધારા ધરાવતા તત્વો એ વિચારોને અલગ અલગ રીતે મુકતા રહેશે અને જે સાચે જ આ વિચારધારા ને સમજવા માંગે છે એ ગેરમાર્ગે દોરાતા રહેશે. આંબેડકર એક વિશાળ દરિયો છે, વ્યક્તિ ના સ્વરૂપમાં એક આખી લાઈબ્રેરી છે. એ લાઈબ્રેરી માંથી પોતાને મનગમતા વિષય પર લોકોને માહિતગાર કરવા એ હર એક કર્મશીલ ની ફરજ છે.

બાબા સાહેબ માટે નૈતિકતા અને સદાચાર અત્યંત મહત્વપુર્ણ ગુણધર્મો હતા. એમણે ખુદ એ પ્રકાર નુ જીવન જીવ્યા છે. માટે સમાજ અને આ દેશના લોકો પણ એ જ પ્રમાણે સદાચારી જીવન જીવે એવું એમનું સ્વપ્ન હતું. બુદ્ધ ના ધમ્મ નો મૂળભૂત પાયો જ અન્ય ધર્મો જેમ ભગવાન નહી પરંતુ નૈતિકતા અને સદાચાર છે માટે બાબા સાહેબને દુનીયા ના દરેક ધર્મો નો અભ્યાસ કર્યા બાદ બુદ્ધ નો ધમ્મ જ એમના આંદોલન અને વિચારધારા ને અનુરુપ લાગ્યો. બાબા સાહેબ ના જીવન નો અભ્યાસ કરીએ તો આપણને પ્રતિત થશે કે જે રીતે ગૌતમ બુદ્ધે પોતાના સમયમાં પાખંડ, અંધશ્રદ્ધા, હિંસા, શોષણ, અસમાનતા, નફરત વગેરે જેવા દુર્ગુણો સામે ક્રાંતિ કરી હતી એ જ પ્રકારની ક્રાંતિ બાબા સાહેબે પણ પોતાના સમગ્ર જીવન દરમિયાન કરી હતી.

ડો ભીમરાવ આંબેડકરે સમગ્ર પરિસ્થિતિ નો તાગ મેળવ્યા બાદ ઈસવીસન 1935 માં જ જાહેર કરેલુ કે હું હિન્દુ તરીકે જનમ્યો જરુર છું પરંતુ એક હિંદુ તરીકે કદાપી મરીશ નહીં. બાબા સાહેબે પોતાના જીવનમાં 25 વર્ષો સુધી વિવિધ ધર્મો નો અભ્યાસ કર્યો હતો. ધર્મ પરિવર્તન માટે વિવિધ ધર્મો ના ધર્મગુરુઓ ની સમજાવટ ને ધ્યાનમાં લીધા બાદ એમણે 14 ઓક્ટોબર 1956 ના દિવસે વિધિવત રીતે જગ પ્રસિદ્ધ બૌદ્ધ ધમ્મ નો સ્વિકાર કર્યો હતો. કમનસીબે 2 મહીના જેવા ટુંકા ગાળામાં જ 6 ડિસેમ્બર 1956 ના રોજ એમણે આ દુનિયા છોડી દીધી હતી. પરંતુ અંત સમયમાં પણ એમણે પોતાની 1935 મા લીધેલી 21 વર્ષ જુની પ્રતિજ્ઞા પુરી કરી હતી.

આપણે હંમેશા સાંભળ્યું છે કે રાવણને 10 મસ્તક હતા, આજના આ તર્ક અને વિચારોના યુગમાં હવે સમજી શકાય છે કે દસ મસ્તક એટલે એ નહીં કે જે જે ટીવી પર અને નાટકોમાં 10 મહોરા પહેરે છે પણ 10 દિમાગ જેટલી બુદ્ધિમત્તા ધરાવતો વ્યક્તિ એટલે દસ સર વાળો રાવણ. પણ આવા દ્રષ્ટાંતો ને કલમ કસાઈઓ દ્વારા પોતાના લાભ માટે અલગ રીતે ઉપયોગ થયો છે એ હકિકત આપણે હવે સારી રીતે જાણતા થયા છીએ. બાબા સાહેબ આવી જ કુશાગ્ર બુદ્ધિ ધરાવતા વ્યક્તિ હતા. એમણે પોતાના જીવન ના અનેક તબક્કાઓ મા પોતાની દિર્ઘ દ્રષ્ટી નો પરીચય આપ્યો છે. અને એના ભાગ રૂપે જ એમણે ભારત દેશ ને બુદ્ધ ના સિદ્ધાંતો પર ચાલવાની રાહ દેખાડી છે. એક વાત અત્યારે જ ક્લિયર કરીએ બાબા સાહેબે બુદ્ધના નામ પર જે ચમત્કારિક કહાનીઓ અને અંધશ્રદ્ધા છે એનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો છે અને એમનો ઓરિજિનલ વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો છે. ગૌતમ બુદ્ધ ને Light of Asia એટલે કે એશિયા નો પ્રકાશ પુંજ કહેવાય છે. એ જ પ્રકાશ પુંજ ડો ભીમરાવ આંબેડકર ના સ્વરૂપે આ દેશને એક નવી દિશા દેખાડી રહ્યો છે. અને બાબા સાહેબ ને પુરી ખાતરી હતી કે એમના બાદ ભારતવાસીઓ આ દેશને પ્રબુદ્ધ રાષ્ટ્ર બનાવીને રહેશે. એમના અનુયાયી તરીકે આપણે પણ એ દિશામાં ચોક્કસથી કામ કરવું જ જોઈએ, અને કરીશું જ.

June 20, 2018

હમ આપકે હૈ કૌન

By Raju Solanki  || 04 April 2018


ગઈ કાલે (On 03 April 2018)  ઇટીવીની ડીબેટમાં કોંગ્રેસ અગ્રણી, પૂર્વ આરોગ્યમંત્રી ડો. દિનેશ પરમાર મળ્યા. એમણે મને પૂછ્યું, “તમે કોણ?” મેં કહ્યું, “પચીસ વર્ષ પહેલાં જામનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખસેડવાના મુદ્દે દલિતોએ ઉગ્ર પ્રતિક્રિયા આપેલી, એમનું નૈતિક મનૌબળ તોડવા ભયાનક પોલિસ દમન થયેલું અને તમારી (ડો. દિનેશ પરમારની) સામે પણ પોલિસ ફરીયાદ થવાની સંભાવનાઓ હતી ત્યારે ‘ગુજરાત ટુડે’ દૈનિકના સંવાદદાતાની હેસિયતથી મેં તલસ્પર્શી અભ્યાસના અંતે સઘન કવર સ્ટોરી કરી હતી અને દૈનિકની એ નકલો આપે ગુજરાત વિધાનસભામાં વહેંચી હતી, જબરજસ્ત ઉહાપોહ થયો હતો અને તેને કારણે દલિતો સામેના કેસો પાછા ખેંચાયા હતા. એ નાચીઝ પત્રકાર હું રાજુ સોલંકી.”

મારી વાત સાંભળીને દિનેશભાઈએ મારી સાથે ઉમળકાથી હાથ તો મીલાવ્યા, પરંતુ મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા. કોંગ્રેસી મહાનુભાવોની યાદદાસ્ત આટલી કમજોર કેમ? શું એમને માત્ર નેહરુ ખાનદાનના ગોરા, ચીકણા યુવરાજો જ યાદ રહેતાં હશે? મારા જેવા ફટીચર, કાળા, કોમનમેન કેમ યાદ નહીં રહેતા હોય? અને શું હવે કોંગ્રેસની જ જેમ ભાજપ પણ સત્તા પર આવ્યા પછી દલિતોને વિસરી ચૂક્યું છે? તમારી પાસે આ પ્રશ્નોના જવાબો હોય તો મને કહેજો.

કૂતરાનો ધર્મ


By Raju Solanki  || 08 April 2018


મહેસાણાના પાંચોટ ગામે ‘માઢની પાટી કુતરીયા ટ્રસ્ટ’ના નામે 21 વીઘા જમીન ગામના પટેલોએ કૂતરાઓ માટે ફાળવી છે. એક વીઘાની રૂ. 3.5 કરોડ કિંમત છે. જમીનમાં થતી ખેતીની તમામ આવક સિત્તેર કૂતરાઓને આપવામાં આવે છે. કૂતરીયા એટલે કૂતરીઓ માટે ફાળવાતી જમીન. છગન પટેલ ટ્રસ્ટના પ્રમુખ કહે છે કે વિચાર જીવદયામાંથી પ્રગટ્યો છે.

આ દેશમાં માણસો ભિખારી છે અને કૂતરા કરોડપતિ છે. દલિતો, ભૂમિહીન ખેતમજુરો જમીન માટે વલખાં મારે છે અને કૂતરાઓ જલસા કરે છે. આ છે સાચું હિન્દુત્વ. ખરેખર તો કૂતરાઓના નામે ભ્રષ્ટાચાર કરવાની આ યુક્તિ જ છે.
(ટાઇમ્સ ઑફ ઇન્ડીયા, તા. 8 એપ્રિલ, 2018ના એક અહેવાલના આધારે)

भानुभाई का बलिदान

By Raju Solanki  || 10 April 2018



देश आझाद हूआ तब गुजरात के दुदखा गांव के दलित जाति के वणकर कुबेर दला और फकीर डोसा के पास करीब 9 हैक्टर जमीन थी. उस वक्त गुजरात बोम्बे स्टेट का हिस्सा था. 1955 में कांग्रेस सरकार ने परचुरण इनामी नाबूदी अधिनियम, 1955 के तहत इन दलितों की जमीन सरकार के क़ब्जे में ले ली. याद रहे, इसी कांग्रेस सरकार ने एक साल बाद 1956 में लेन्ड टेनन्सी कानून के तहत सौराष्ट्र के 55,000 पटेल किसानों को दो लाख एकड जमीन का स्वामित्व दे दिया था.

1955 से लेकर 1995 तक. चालीस साल गुजरात में कांग्रेस की लीबरल, डेमोक्रेटिक, सेक्युलर, प्रगतिशील, दलित-मित्र सरकार थी. किसीने इन गरीब दलितों को इनकी जमीन वापस देने का कोई प्रयास नहीं किया. उस वक्त झीनाभाई दरजी थे, बडे दलित-मित्र. बीस मुद्दा अमलीकरण समिति के अध्यक्ष. उन्हों ने भी कुछ नहीं किया. वणकर कुबेर दला सरकारी कचहरियों के चक्कर काटते काटते मर गए. उनकी बेटी हेमाबेन अब इस जमीन के लिए लडने लगी. 1995 के बाद गुजरात में भाजप की सरकार आई. हिन्दु हीत की बात करेगा, वही देश पर राज करेगा, नारा देनेवाली सरकार. उसने भी कुछ नहीं किया. बेचारी हेमाबेन भी सरकारी कचहरियों के चक्कर काटते काटते बूढ्ढी हो गई.

एक दिन एक सेवा-निवृत्त सरकारी कर्मी भानुभाई उनके पास गए. उन्हों ने उनका केस हाथ में लिया. वे भी अब सरकारी दफ्तरों के चक्कर काटने लगे. एक दिन भानुभाई के शब्र का पियाला भर गया. उन्हों ने अपने करीबी दोस्तों को बोल दिया, मैं अब आत्मविलोपन करुंगा. सरकार हमारा सूनती नहीं है. अब मैं मेरी जान दे दुंगा. अपने वचन के पक्के भानुभाई ने पाटन कलेक्टर कचहरी के सामने ही अपने शरीर पर ज्वलनशील पदार्थ छीडककर जलकर अपने प्राणों की आहूती दे दी. पूरे देश में भूचाल आ गया. लोग सडकों पर आ गए. कई दिनों तक उनका मृतदेह लेकर उनकी पत्नी गांधीनगर में बैठी रही. तब सरकार ने इस जमीन, जो 1955 से दलितों से छीनी गई थी, वापस देने का फैंसला किया.

यह पूरी कहानी मैं आज फिर इस लिए दोहरा रहा हूं कि भानुभाई की मौत के लिए कांग्रेस औऱ भाजप दोनों जिम्मेदार है. दोनों पक्ष दलितों के जजबातों से खिलवाड करते हैं. दोनों के लिए दलितों के मुद्दे फुटबोल जैसे है, जब चाहो उछालो. सत्ता पर आने के बाद भूल जाओ. हमें यह याद रखना पडेगा, वर्ना भानुभाई जैसे लोग शहीद होते रहेंगे और हम वहीं के वहीं रहेंगे.

દલિત-વિદ્રોહ વટવૃક્ષ બનીને ઉગવાનો છે

By Raju Solanki  || 11 April 2018


ઘણા લોકોને એ સમજાયું નહીં કે બીજી એપ્રિલે આટલા બધા લોકો હાથમાં વાદળી ઝંડા લઇને કઈ રીતે નીકળી પડ્યા? ‘જય ભીમ’ના નારા સાથે એમણે ટ્રેનો રોકી, રસ્તા રોક્યા, પોલિસનો સામનો કર્યો, ધરપકડો વહોરી, ગુંડાઓની ગોળીઓ છાતીમાં ખાધી. કઈ રીતે થયું? આમ અચાનક? શું આ લોકો 2019માં નેહરુ ખાનદાનના યુવરાજ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા નીકળ્યા હતા? ના. હરગીઝ નહીં.

આ તો એક દાવાનળ હતો, જે દાયકાઓથી ઉપખંડ જેવા એક વિશાળ દેશની સૌથી દબાયેલી કચડાયેલી પ્રજાની સામૂહિક ચેતના (collective consciousness)ની ભીતરમાં ભભૂકતો હતો. તમે સપાટી પર જે ધૂમાડો જોયો એનાથી આ દાવાનળની તીવ્રતાનો તમને લગીરે ખ્યાલ નહીં આવે.

અને જો તમે ‘આંબેડકરી ચળવળ’ નામની એક યુગપ્રવર્તક ઘટનાને જાણતા-સમજતા ના હો, તો તમને સહેજ પણ નહીં સમજાય કે છેલ્લા સો વર્ષની એક મહાન, સાતત્યપૂર્ણ, દૂરોગામી અસરો ધરાવતી ચળવળનું આ પરીણામ છે, જેમાં હજારો નિ:સ્વાર્થ, પ્રતિબદ્ધ લોકોએ પોતાનો લોહી-પસીનો રેડીને એમના સૂતેલા સમાજને જગાડવા દિવસ-રાત મહેનત કરી છે. આ એવા લોકો છે જેમના નામ તમે મીડીયાની હેડલાઇન્સમાં વાંચ્યા નથી, ટીવીની ડિબેટોમાં સાંભળ્યા નથી. એ લોકો સાચા અર્થમાં મારા, તમારા સમાજના unsung heroes છે. વીસ કરોડની વિશાળ જનસંખ્યા ધરાવતી, સમગ્ર દેશમાં પથરાયેલી અનુસૂચિત જાતિઓને એક માળામાં પરોવવા આ મહાનાયકોએ એમની જિંદગીઓ કુરબાન કરી છે.

શેખર ગુપ્તા, સાગરિકા ઘોષ, રાજદીપ સરદેસાઈ, ઉર્મિલેશ, ભાનુપ્રતાપ મહેતા જેવા મનુસ્ટ્રીમ મીડીયાના કહેવાતા પ્રબુદ્ધ (enlightened) પત્રકારો આ આંબેડકરી ચળવળને ‘સેક્યુલર, ડેમોક્રેટિક, લીબરલ, લેફ્ટ’ની પરીભાષામાં સમજવા અને સમજાવવા હાલ રીતસર તરફડીયા મારી રહ્યા છે. કેમ કે, એમના તમામ શુભાશયો છેવટે તો આવા દલિત-વિદ્રોહને કોંગ્રેસની મતપેટી સુધી જ સીમિત રાખવાની મથામણનો ભાગ છે. પણ મને કહેવા દો, આ દલિત-વિદ્રોહ ‘લેફ્ટ-રાઇટ’ના આભાસી વૈચારિક દ્વન્દ્વથી પર, કોંગ્રેસ-ભાજપના રાજકીય ધ્રુવીકરણથી દૂર દલિત-બહુજનની ભાગીદારીની નક્કર જમીન પર વટવૃક્ષ બનીને પાંગરવાનો છે.



- Raju Solanki

મુખ મેં જય ભીમ ઔર બગલ મેં કોંગ્રેસ-ભાજપ કી મુહિમ.

By Raju Solanki  || 12 April 2018



“મુખ મેં જય ભીમ ઔર બગલ મેં કોંગ્રેસ-ભાજપ કી મુહિમ.” આ ના ચાલે.

ડૉ. બાબાસાહેબની પ્રતિમાને ભાજપનો કોઈપણ નેતા હાથ લગાડશે તો અમે તેનો વિરોધ કરીશું, આવો એક કૉલ અપાયો છે.

કેટલાક લોકોએ આ કૉલ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેઓ કહે છે, 14મી એપ્રિલ દલિતોની દિવાળી છે. 14મી એપ્રિલ દલિતોના પરમ પૂજ્ય બાબાસાહેબનો જન્મ દિવસ છે. આ દિવસે તો બધાને આવકારવા જ જોઇએ. વગેરે વગેરે.

ઘણા લોકો જૈનોનો દાખલો આપે છે. જૈનો પણ લઘુમતી દરજ્જા માટે લડતા હતા. એમણે એમના આંદોલન દરમિયાન ક્યારેય એવું કહ્યું કે, “કોઇપણ રાજકારણીને અમારા મહાવીર સ્વામીને હાથ નહીં લગાડવા દઇએ.” મહાવીર સ્વામીનો ક્યારેય રાજકારણમાં ઉપયોગ થયો? મહાવીર સ્વામી રાજકારણથી પર છે. મહાવીર જયંતીએ રાજકારણ રમવાનું ના હોય.

આ જ દલીલ, આ જ તર્ક બાબાસાહેબની જયંતીને લાગુ ના પડે?
લાગુ પડે જ. ચોક્કસ.

પણ પહેલા એ સવાલેય પૂછો કે, મહાવીર સ્વામીએ કોંગ્રેસ કે ભાજપ વિષે કંઈ કહ્યું છે ખરું? મહાવીર સ્વામીએ તો ‘મોક્ષ’ મેળવવા મથતા ‘મુમુક્ષુઓ’ને માર્ગ ચીંધ્યો છે. મહાવીર સ્વામીએ તો આ લોક કરતા પરલોકની વધારે ચિંતા કરી છે. મહાવીર સ્વામીએ ‘જાતિ નિર્મૂલન’ (Annihilation of caste) કે પછી ‘કોંગ્રેસ અને ગાંધીએ અછૂતો માટે શું કર્યું?’ (What Congress and Gandhi have done to the untouchables?) એવા કોઈ પુસ્તકો લખ્યા નથી.

એટલે, દોસ્તો. તમે મહાવીર સ્વામીના નામે રાજનીતિ રમો કે ના રમો. કોઈ ફેર પડતો નથી. પરંતુ જ્યારે તમે બાબાસાહેબના નામે રાજનીતિ રમવા જાવ ત્યારે થોડું ધ્યાન રાખજો. બાબાસાહેબ બહુ અઘરા છે. એમને પચાવવા માટે કોંગ્રેસી કે સંઘી હોજરી ના ચાલે. હોજરીમાં કાણાં પડી જાય. 
તમે નામ લો બાબાસાહેબનું અને કામ કરો કોંગ્રેસ-ભાજપનું. એ ના ચાલે.
“મુખ મેં જય ભીમ ઔર બગલ મેં કોંગ્રેસ-ભાજપ કી મુહિમ.” આ ના ચાલે.

- Raju Solanki

ગાંધી અને કોન્ગ્રેસના કાવાદાવા

By Jigar Shyamlan ||  14 March 2018 


"હું મારા લોકોનો વિશ્વાસઘાત કદાપી નહીં કરૂ. પછી ભલે તમે લોકો મને નજીકના વીજળીના થાંભલે ફાંસીએ લટકાવી દો." 
- બાબા સાહેબ આંબેડકર
==================================
અગાઉ સળંગ બે પોસ્ટ  ગોળમેજી પરીષદ વિશેની હતી. 
ગોળમેજી પરીષદ શેના માટે હતી. અસ્પૃશ્યોના અધિકારો માટે કેટલી મહત્વની હતી તે બાબતની માહીતી હતી. બીજી ગોળમેજી પરીષદમાં ગાંધીજીએ કેવી રીતે ચાલાકીઓ કરી બાબા સાહેબની માંગણી મુજબ અસ્પૃશ્યોને અલગ મતાધિકાર ન મળે તે માટે અનેક કાવાદાવા કરેલા તે વિશેની માહીતી હતી.

ગાંધીજીના આટલા બધા પ્રયાસો કરવા છતા બાબા સાહેબ

(1). ભારતમાં અસ્પૃશ્યોને સદીઓથી કેવી પીડા સહન કરવી પડી રહી છે..??

(2).ભારતમાં અસ્પૃશ્યોનું ધર્મ આધારીત જાતિવ્યવસ્થાથી કેટલી હદે શોષણ થઈ રહ્યુ છે..??

(3). ભારતમાં અસ્પૃશ્યોને કોઈ પણ પ્રકારના માનવ અધિકારો આપવામાં આવતા નથી.

આ બધી બાબતો બ્રિટીશ વડાપ્રધાન અને મંત્રી મંડળને સમજાવવામાં બાબા સાહેબ સફળ રહ્યા હતા.

એટલે બ્રિટીશ વડાપ્રધાન રામ્સે મેકડોનલ્ડે ગાંધીજીનો ભારે વિરોધ હોવા છતાં કમ્યુનલ એવોર્ડની (કોમી ચૂકાદો) ઘોષણાં કરી જેમાં અસ્પૃશ્યોના અલગ મતાધિકારની માંગણીઓ સ્વિકારવામાં આવી હતી.

ગાંધીજી અસ્પૃશ્યોને આ અલગ મતાધિકાર મળે તેવું શરૂઆતથી જ ઈચ્છતા ન હતા. અસ્પૃશ્યોને આ અલગ મતાધિકાર ન મળે તે માટે બીજી ગોળમેજી પરિષદમાં એમણે ઘણાંય કાવા દાવા કર્યા હતા. પણ ફાવ્યા ન હતા. એટલે આ મતાધિકારની માંગણી સ્વિકારાતા જ ગાંધીજીએ તેના વિરોધમાં આમરણાંત ઉપવાસની ઘોષણા કરી અને રાજકીય દૌડધામ શરૂ થઈ ગઈ.

ગાંધીજીએ અહીં પણ એક મોટી છલના કરી હતી. માત્ર કહેવા પુરતા જ તેમજ દેખાડવા પુરતા જ ગાંધીજી આ કોમ્યુનલ એવોર્ડના વિરોધમાં ઉપવાસ પર બેઠા. 
પણ હકીકતમાં ગાંધીજી કોમ્યુનલ એવોર્ડના વિરોધમાં નહી પણ તે અંતર્ગત અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકારનો વિરોધ કરી રહ્યા હતા. કારણ પરીષદ પહેલા ગાંધીજી જેને જે પણ જોઈયે તે આપવા રાજી હતા. મુસ્લિમોની ચૌદ સુત્રીય માંગણી, શીખો અને એગ્લોં ઈન્ડીયનોને આપવાના અધિકારો આ બધી બાબતે રાજી હતા, સંમત હતા. ગાંધીજીનો વિરોધ ફક્ત અને ફક્ત અસ્પૃશ્યો માટે બાબા સાહેબે માંગેલા અલગ મતાધિકાર બાબતે જ હતો.

ગાંધીજીના ઉપવાસના પાંચ દિવસ પહેલા મદન મોહન માલવિયાની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે પરિષદ યોજાવાની હતી પણ પાછળથી એ પરિષદ મુંબઈમાં યોજાઈ. આ પરિષદમાં સમગ્ર ભારતના હિન્દુ નેતાઓ હાજર હતા. તેમાં બાબા સાહેબને પણ બોલાવવામાં આવેલા.

આ બેઠકમાં બાબા સાહેબે પોતાના વિચાર સ્પષ્ટ કરતા દ્રઢતાપૂર્વક કહ્યુ હતુ કે--
'' હું ગમે તે વિષયમાં વિચાર વિમર્શ કરવા તૈયાર છું પરંતુ અસ્પૃશ્યોના અધિકારમાં કોઈપણ પ્રકારનો કાપ સ્વિકારવા તૈયાર નથી. દુ:ખની વાત એ છે કે ગાંધીજી માત્ર અસ્પૃશ્યોના અલગ મતાધિકારનો વિરોધ કરે છે, અને તેના માટે આત્મદ્રોહ કરવા ઈચ્છે છે. જે કમ્યુનલ એવોડઁમાં મુસલમાન, શીખ, એંગ્લો ઈન્ડીયન, યુરોપિયનોને પણ અલગ મતાધિકાર આપવામાં આવ્યો છે, જેનો વિરોધ કરતા નથી. મહાત્માજી કોઈ અમર વ્યક્તિ નથી અને કોન્ગ્રેસ પણ અમર નથી. આભડછેટ મટાડવા અને અસ્પૃશ્યોને હિન્દુ સમાજમાં ભેળવવાના ધ્યેયવાળા ઘણા મહાત્મા ભારતમાં થયા છે પરંતુ બધા જ પોતાના મિશનમાં સફળ થયા નથી. મહાત્મા આવ્યા અને ગયા બિચારા અસ્પૃશ્યો કાયમ દુ:ખી અસ્પૃશ્ય જ રહ્યા.''

ગાંધીજીના આ વિરોધ કરવાની વૃત્તિ બાબતે બાબા સાહેબે આગળ કહ્યું હતુ કે -
"આ બાબતે ખલનાયકની ભૂમિકા મારે માથે આવી પડી છે. પરંતુ હું જેને મારૂ પવિત્ર કર્તવ્ય માનું છું તેમાંથી સહેજ પણ પાછી પાની નહી કરૂ. હું મારા લોકોનો વિશ્વાસઘાત કદાપી નહીં કરૂ. પછી ભલે તમે લોકો મને નજીકના વીજળીના થાંભલે ફાંસીએ લટકાવી દો. તમે કોરા સિધ્ધાંતવાદી પંડિત અને દેશભક્ત લોકો જો અમને તમારા પોતિકા ના ગણતા હોય તો અમારા ઉપર સંયુક્ત મતાધિકાર લાદવાનો અને તમારા ધર્મ સાથે અમને ચોંટાડી રાખવાનો પણ કોઈ અધિકાર તમને નથી''

બાબા સાહેબ અસ્પૃશ્યો માટે ભારે સંઘર્ષ અને મહામહેનતે મેળવેલ અલગ મતાધિકાર ગૂમાવવા માંગતા ન હતા. બીજી બાજુ ગાંધીજી આમરણ ઉપવાસ કરીને ઈમોશનલી બ્લેકમેઈલ કરી રહ્યા હતા.

કોન્ગ્રેસ અને તેમના ચમચાઓ દેશભરમાં બાબા સાહેબનો વિરોધ કરી રહ્યા હતા. જાતિવાદી છાપાઓ પણ બાબા સાહેબને વિલન ચીતરી રહ્યા હતા.

ગાંધીજીની તબીયત લથડતી જતી હતી. ગાંધીજીનો જીવ જોખમમાં હતો. કોન્ગ્રેસના મોટાભાગના રાજનેતાઓ વારંવાર બાબા સાહેબને ગાંધીજીનો જીવ બચાવી લેવા સમજાવી રહ્યા હતા. વિનંતીઓ કરી રહ્યા હતા. બીજી તરફ બાબા સાહેબને દેશભરમાંથી ધમકીઓ આપવામાં આવી રહી હતી. પણ બાબા સાહેબ ઝૂકવા તૈયાર ન હતા.

ત્યારબાદ દેશભરમાં અસ્પૃશ્યો પર હિંસક હૂમલાઓ થવાનુ શરૂ થયું. અનેક જગ્યાએથી અસ્પૃશ્યોને જીવતા સળગાવી દેવાની તેમજ તેઓના સામૂહીક કત્લેઆમ કરી નાખવાની ધમકીઓ મળી રહી હતી.

બાબા સાહેબને પોતાના જીવની સહેજપણ પરવાહ ન હતી પરંતુ જો ગાંધીજીના જીવને નુકશાન થાય તો અસ્પૃશ્યોની સામુહીક કત્લેઆમ કરી દેવામાં આવે એવો માહોલ બની રહ્યો હતો.

આ કલ્પના બાબા સાહેબને ભારે ડરાવી રહી હતી. કારણ અસ્પૃશ્યો વગર અધિકારની કોઈ કિંમત ન હતી.
આખરે અસ્પૃશ્યોના હિત ખાતર હ્યદય પર પથ્થર મૂકીને બાબા સાહેબ ગાંધીની વાત માનવા તૈયાર થયા.
પછી બાબા સાહેબ અને ગાંધી વચ્ચે પૂનાની જેલમાં એક સમજૂતી થઈ જે પૂના કરાર નામે ઓળખાય છે. જેમાં બાબા સાહેબને અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકાર જતો કરવો પડ્યો. તેના બદલે અસ્પૃશ્યો માટે સંવિધાનમાં કેટલાક ખાસ અધિકાર આપવાની બાંહેધરી કે ખાતરી આપવામાં આવી હતી.

ઈતિહાસ ગવાહ છે. ગાંધીજીનો જીવ બચાવવા માંટે કરવામાં આવેલ પુનાકરારના પરિણામે અસ્પૃશ્યોએ ઘણું ગુમાવવું પડ્યું. જેનો બદલો મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધી ફરી અવતાર લે તો પણ ચુકવી શકાય તેમ નથી.
#ગાંધી_કોન્ગ્રેસના_કાવાદાવા
- જિગર શ્યામલન