July 11, 2018

જંગલમાં લાગેલી આગ અને એક ચકલી નો પ્રયાસ

By Jigar Shyamlan 


એક વખત જંગલમાં એકાએક આગ લાગી ગઈ.

આગ એટલી પ્રચંડ હતી કે ગણતરીના કલાકોમાં પ્રસરી ગઈ અને આખુ જંગલ ચોતરફ આગથી ઘેરાઈ ગયું.

જંગલમાં લાગેલી આગ જોઈને તમામ પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા આમથી તેમ નાસ-ભાગ કરવા લાગ્યા.

એક તરફ તમામ પ્રાણીઓ ભાગી રહ્યા હતા ત્યારે બીજી તરફ એક નાની ચકલી બાજુના તળાવમાંથી પોતાની ચાંચમાં પાણી ભરી લાવીને આગ પર નાખી રહી હતી.

ચકલી પોતાના કામમાં એકદમ મશગુલ હતી. એને આગનો સહેજ પણ ડર લાગતો ન હતો.

એ ફરરરરરરર.... કરતી ઉડતી તળાવ પાસે જતી. ચાંચમાં પાણી ભરતી અને ફરી પાછી ફરરરરરર..... કરતી ઉડીને સળગી રહેલી આગ પર ચાંચમાં ભરી લાવેલુ પાણી રેડતી.

બધા પ્રાણીઓ નાસ ભાગ કરતા હતા પણ બચવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. ત્યાં ઉછળ કૂદ કરતા એક વાંદરાની નજર ચકલી પર પડી.

વાંદરાને વિસ્મય થયું એને ચકલીને પુછી લીધુ- "ગાંડી...! જંગલમાં જબરી આગ લાગી છે... બધા પોતાનો જીવ બચાવવા નાસ ભાગ કરી રહ્યા છે ત્યારે તુ આ શું કરે છે..??"

શાંતિથી જવાબ આપતા ચકલી બોલી - "આગ ઓલવવાની કોશિશ કરૂ છું"

ચકલીનો આ જવાબ સાંભળી વાંદરાને વિપરીત પરિસ્થિતીમાં પણ હસવુ આવી ગયું. એણે ભાગતા તમામ પ્રાણીઓને ભેગા કરી ચકલીનાં ગાંડપણ વિશે જણાવ્યું.

તમામ પ્રાણીઓ ચકલીના કામને જોતા રહ્યા. એ કોઈપણ જાતના ભય વગર પોતાનું કામ કરતી જતી હતી.

આખરે હાથીથી રહેવાયુ નહી એ આગળ આવ્યો અને ચકલી સામે જોઈ બોલી ઉઠ્યો - "ગાંડી... તુ આટલી નાની થઈને આવડી મોટી આગ કેવી રીતે ઓલવી શકીશ.. એના કરતા ઉડીને જતી રહે.. તારો જીવ બચાવ"

જવાબમાં ચકલી બોલી - " ના...! ભલે હું નાની અમથી છું...અને આગ આટલી બધી તો પણ હું મારા પ્રયત્ન છોડીશ નહી.. આગ ઓલવીને જ રહીશ"

બધા પ્રાણીઓ ચકલીને એ સમજાવતા માંડ્યા કે - "આવડી મોટી આગ ઓલવવાની તારી તાકાત નથી. તુ રહેવા દે.."

ત્યારે નાની ચકલીએ જવાબ આપતા કહ્યું - " ભલે.. હું નાની રહી... અને આગ આટલી મોટી... પણ જ્યારે જ્યારે આ જંગલ અને તેમાં લાગેલી આગની વાતનો ઈતિહાસ લખાશે ત્યારે ત્યારે આગ ઓલવવાનો મારો આ પ્રયાસ ચોક્કસ પહેલા પાના પર લખાશે"

બસ.. પછી તો ચકલીના આ શબ્દોની અસર એવી થઈ કે તમામ પ્રાણીઓ આગ ઓલવવા પોતાના તમામ પ્રયાસ કરવામાં લાગી ગયા.

આજે પણ આ આગ લાગેલી જ છે અને કેટલીય ચકલીઓ આગ ઓલવવાનો પ્રયાસ પણ કરી રહી છે.. ફરક એટલો કે બીજા પ્રાણીઓ હજીય જીવ બચાવવા નાસ ભાગ કરી રહ્યા છે. કારણ કદાચ હજી સુધી એ ભાગતા પ્રાણીઓનુ ધ્યાન ચકલી શું કરી રહી છે એ તરફ ગયુ નથી.

ભારતીય સમાજમાં સામાજીક સુધારાના નામે બહુ દંભ ચાલ્યા છે

By Jigar Shyamlan ||  Written on 27 March 2018


એક સમય એવો હતો જ્યારે માનવામાં આવતુ કે -સામાજીક કૂશળતા વગર અન્ય કાર્ય અને ક્ષેત્રોમાં પ્રગતિ અસંભવ છે. કુ-પ્રથાઓથી ફેલાઈ ગયેલી બૂરાઈઓને કારણે હિન્દુ સમાજની કાર્યકૂશળતા સમાપ્ત થઈ ગઈ હતી.

આ બુરાઈઓને જડમૂળથી ઉખાડી ફેંકવા અથાગ પરિશ્રમ કરવો પડશે- આ તથ્યને સમજીને જ રાષ્ટ્રીય કોન્ગ્રેસના જન્મની સાથે જ સામાજીક સંમેલનની પણ સ્થાપના થઈ હતી.

આ બન્ને પૈકી કોન્ગ્રેસનુ કામ રાજનિતીક સંગઠનમાં રહેલા નબળા તથ્યોને શોધી સુધાર કરવાનો હતો, જ્યારે બીજી તરફ સામાજીક સંમેલન હિન્દુ સમાજના સામાજીક સંગઠનમાં રહેલ નભળા તથ્યોને શોધી સુધાર કરવાના કામમાં લાગેલ હતું.

કેટલોક સમય કોન્ગ્રેસ અને સંમેલન બન્ને એક જ હેતુ માટે કામ કરતા રહ્યા. બન્નેના વાર્ષિક અધિવેશનો પણ એક જ મંડપ નીચે યોજાતા હતા.

પણ જલદીથી આ બન્ને બે અલગ દળમાં વિભાજીત થઈ ગયા. એક રાજનીતિક સુધારા દળ તેમજ બીજુ સામાજિક સુધારા દળ. બન્ને વચ્ચે ઉગ્ર વિવાદો પણ થયા. રાજનીતિક સુધારા દળ રાષ્ટ્રીય કોન્ગ્રેસને જ્યારે સામાજીક સુધારા દળ સામાજીક સંમેલનને સમર્થન કરી રહ્યા હતા. આમ બે સંસ્થા બે વિરોધી છાવણીમાં વહેંચાઈ ગઈ.

મુદ્દો એ હતો કે - શું સામાજીક સુધારા રાજકીય સુધારા પહેલા જ થવા જોઈયે...??

લગભગ એક દશકા સુધી બન્ને શક્તિઓનું સંતુલન બની રહ્યું. કોઈના પણ વિજય વગર લડાઈ ચાલતી રહી, પરંતુ સામાજીક સંમેલનનું ભાવિ ઝડપથી અસ્ત થઈ રહ્યું હતું એ વાત સ્પષ્ટ હતી.

જે પણ સજ્જનોએ સામાજીક સંમેલન અધિવેશનોની અધ્યક્ષતા કરી હતી એ તમામ એ વાતથી દુ:ખી હતા કે બહુસંખ્યક શિક્ષીત હિન્દુઓ સામાજીક સુધારા પ્રત્યે ઉદાસીન વલણ ધરાવતા હતા પરંતુ રાજનિતીક ઉથ્થાનનાં પક્ષમાં હતા. કોન્ગ્રેસમાં જોડાનાર લોકોની સંખ્યા ઘણી મોટી હતી. જે લોકો કોન્ગ્રેસમાં ન હતા તેમની સહાનૂભુતિ પણ કોન્ગ્રેસ સાથે જ હતી.

જે લોકો સામાજીક સંમેલનમાં ઉપસ્થિત થયા તેઓની સંખ્યા ઘણી ઓછી હતી, આ ઉદાસીનતા અને કાર્યકરોના ઘટાડાને કારણે તરત જ રાજનીતિજ્ઞો તરફથી આનો સક્રીય વિરોધ શરૂ થઈ ગયો.

અત્યાર સુધી શિષ્ટતાને ખાતર કોન્ગ્રેસે પોતાના મંડપને સામાજીક સંમેલનને વાપરવાની પરવાનગી આપેલ હતી. ટિળકના નેતૃત્વમાં એ પરવાનગી પણ પાછી લઈ લેવાઈ અને દુશ્મનાવટની ભાવના એટલી બધી વધી ગઈ કે જો સામાજીક સંમેલન પોતાનો મંડપ બાંધવાનો પ્રયાસ પણ કરે તો તેના વિરોધીઓ તે સળગાવી દેવા ધમકીઓ આપી.

આમ સમયની સાથે રાજનીતિક સુધારા માનતા દળની જીત થઈ અને સામાજીક સંમેલન ગાયબ થતુ ગયું અને લોકો તેને ભૂલતા ગયા.
(Dr Aambedkar, Writings & Speeches)


Facebook Post

કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.

By Jigar Shyamlan ||  Written on 25 March 2017


કાં તો તુ બુધ્ધુ બનીશું કાં તો બનીશ બુધ્ધ

મંદિર મસ્જિદોના ઝગડા જોયા સગી આંખે.
કોણ કોને સમજાવે ને કોના હાથ પકડી રાખે
આ બધા મુદ્દાઓથી તુ કેમ બન્યો અમૂઢ
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.

અહીં કોણ કોને ઉગારશે ને કોણ કોને તારે?
એ સમજવા માટે જોઈયે બુધ્ધિ સાવ લગારે.
આ તો સાવ અમથે અમથુ ખોટે ખોટું યુધ્ધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

પુજા પાઠને બંદગીઓમાં જીંદગી તે વેંઢારી.
વિસરી ગયો એમાં પળો માણસાઈની પ્યારી.
ક્યાં ગયું ભણતર તારૂ ક્યાં ગયુ બુધસુધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

શિક્ષા મેળવી તો પણ ન સમજી શક્યો વાત.
તર્ક અને દલિલોથી કરી દે અસત્યને પરાસ્ત.
માનવતા જ પૃથ્વિના સર્વ સુખનું રહસ્ય ગૂઢ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

હોત ખરેખર ઈશ્વર અલ્લાહ તો હોત અધર્મ?
ઈશ્વર અલ્લાહથીય મોટુ તો માણસનું કર્મ.
જરૂર નથી કોઈનીય જો કરે આચરણ શુધ્ધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

જો જીવવું હોય મસ્તીથી તો વાત રાખજે યાદ.
માણસ બનજે ને માણસની સાંભળજે ફરિયાદ.
ભુખથી ભુલકાં ઝુરે ને તુ પથ્થર પર રેડે દૂધ
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

એક તરફ મજારો પર લાખો ચાદર ચઢાવાય.
ને બહાર ગરીબ ફકીર ટાઢે ધ્રુજી મરી જાય.
મંદિર મસ્જિદોને ક્યાં સુધી કરીશ સમૃધ્ધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

શિક્ષણ પામ્યો છે તો જરીક બુધ્ધિ તો લગાવ.
દરિયો ખેડવા ચાલ્યો તુ લઈ સઢ વિનાની નાવ.
ક્યાં સુધી બેસી રહીશ બનીને સાવ અબુધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

-જિગર શ્યામલન


Facebook Post :

શિક્ષણનો અર્થ શું હોઈ શકે...????

By Jigar Shyamlan ||  Written on 22 March 2018




શંશય પેદા કરે અને તેના નિરાકરણ માટે પ્રશ્નો પુછતા શીખવાડે અને તેથી આગળ શિક્ષણ તર્ક કરતા શીખવાડે છે.

શું...? ક્યારે...? શા માટે...? ક્યાં....? કેમ...?

આ બધા સવાલો શિક્ષણ થકી જ ઉદભવે અને તેનો જવાબ મેળવવાની ક્રિયા માણસને શંશય પેદા કરતા શીખવે છે જેમાં આગળ વધે એટલે માણસને તર્ક કરતા શીખવાડી દે છે. મતલબ તમે શિક્ષીત છો પણ તર્ક કરતા નથી તો તમે ખરા અર્થમાં શિક્ષીત નથી જ.

બીજી એક મહત્વની વાત એ પણ છે કે આપણને પહેલેથી જ અમુક બાબતો માટે જ તર્ક કરી શકાય તેવું વાતાવરણ પેદા કરવામાં આવ્યું છે. આપણાં તર્ક અમુક બાબતો માટે જ હોય છે. બધી જગ્યાએ તર્કને સ્થાન નથી આપવામાં આવ્યું.

કારણ ભગવાન અને તેનાં અસ્તિત્વ સાથે જોડાયેલ બધી જ બાબતો આપણે તર્કવિહીન કેટેગરીમાં મુકી દીધી છે. આપણે એ બધી બાબતો પર તર્ક નથી કરતા પણ તેનો સ્વાભાવિક સ્વિકાર કરી લઈએ છીઅે. અને તેને શ્રધ્ધા તેમજ આસ્થા જેવા સુંવાળા નામો આપી દીધા છે. 
આ શ્રધ્ધા અને આસ્થા એ બે બહુ સંવેદનશીલ બાબતો છે. જે ગમે ત્યારે કંઈ કરવાથી, કહેવાથી કે લખવાથી તરત દુભાઈ જાય છે.

આ આસ્થા અને શ્રધ્ધાના કારણે કેટલાય અંગુઠા છાપ પુજારીઓ, બાબાઓ અને સ્વામીજીઓએ પોતાની જબરજસ્ત સલ્તનતો જમાવી બેઠા છે. જો કે એ વાત ખાસ વિચારવા જેવી એ છે કે તેમનુ આ વૈભવી રાજપાટ અને ભપકેદાર સલ્તનતો એમના જ્ઞાન પર નહીં પણ સામાન્ય માણસના અજ્ઞાન પર ટકેલી છે.

આ અજ્ઞાનતાને કારણે માણસે ઝાડ, પથ્થર પુજી લીધા. ધરતી, આકાશ, પાણી, હવા, પશુ પક્ષી જે પણ ભગવાન સાથે જોડાયા તેની પુજા શરૂ થઈ. અરે લિંગ અને યોનીઓ સુધ્ધા દૈવી પ્રતિકરૂપે પુજાતા રહ્યા.

એક બ્રાહ્મણ આવી તમારી સૌ આધિ વ્યાધી અને ઉપાધી દુર કરવા પુજા કરાવે, યજ્ઞ કરાવે, કથા કરાવે છે અને તેમ કરવાથી એ આધિ વ્યાધી ઉપાધી દુર થઈ જશે કે દુર થઈ ગઈ તેવું તમે માનવા લાગો છો.

એક જ્યોતિષ આવીને તમારા ભવિષ્યને સરળ અને સફળ બનાવવા તમારી પાસે અમુક વિધીઓ કરાવી તમારી આંગળીઓમાં રંગબેરંગી પથ્થરો પહેરાવી દે. અને એવૂં કરીને તમે સફળ બની જશો તેવુ જ ધારી લો છો..
એક સ્વામી આવીને તમારા ધરમાં પધરામણી કરે અને તમારો ઉધ્ધાર થઈ જાય... તેવૂં તમે માનો છો.

ડોક્ટર હોય કે વકીલ, આઈ.પી.એસ. હોય કે જજ અરે અમુક જગ્યાએ તો વિજ્ઞાની સુધ્ધા સૌ આ બધી ક્રિયામાં જોતરાઈ ગયા. કોઈ પણ જાતની તર્કબધ્ધ દલિલો કે વિચાર વગર.

જો આટ આટલું શિક્ષણ મેળવ્યા પછી પણ તમે આવી બધી માન્યતાઓ ધરાવતા હો તો તમે શિક્ષીત હોવા છતા અભણ જ છો.

આ માત્ર કોઈ એક ધર્મને લાગુ પડતુ નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે પારસી સૌને સરખુ જ લાગુ પડે છે.
કારણ કોઈ શાસ્ત્રો પર ચાલે તો કોઈ કુર્આન પર, કોઈ બાઈબલ પર તો કોઈ ગુરૂ ગ્રંથ સાહેબ પર, કોઈ અવેસ્તા પર.. બધા બધાય પર ચાલે પણ તર્ક પર કોઈ ચાલતુ નથી.
શિક્ષણનો હેતુ ધેંટાઓના વાડા ઉભા કરવાનો તો ન જ હોઈ શકે...
- જિગર શ્યામલન 


Facebook Post

વિશ્વ જળ દિવસ પર ભારત ના અશ્પૃશ્યો સાથે જોડાયેલ વાતો યાદ કરીએ

By Jigar Shyamlan ||  Written on 22 March 2017



જીવન માટે જળ અતિ જરૂરી છે. જળ એ જીવન એવું કહેવાય છે. ભારતમાં કેટલાય યુધ્ધો ખેલાયા, કેટલાય સત્યાગ્રહ કરવામાં આવ્યા અને અનેક આંદોલન થયા...
આજે હું એક સાવ જ નોખા અને ઈતિહાસમાં ન ભુતો ન ભવિષ્યતિ એવા જળ સત્યાગ્રહના પ્રસંગની માહિતી આપીશ.

જો કે એ મહત્વની વાત છે કે માનવાધિકાર સબંધિત આ સત્યાગ્રહને ઈતિહાસમાં જાણી જોઈને ઉપેક્ષિત કરવામાં આવેલ છે.. કારણ તેના નાયક બાબા સાહેબ અને અસ્પૃશ્યો હતા.

કદાચ આના પરથી તમને મનુવાદ શું છે ? તેનો આછો પાતળો અણસાર આવી જશે.?

આ વાંચ્યા પછી તમારે જ ન્યાય કરવાનો છે કે શું વ્યાજબી અને શું ગેર વ્યાજબી ?

તમે ઈતિહાસના પાનાં પર ગાંઘી અને તેના સત્યાગ્રહીઓ દ્વારા કરવામાં આવેલી દાંડીકૂચથી પરિચીત જ હશો. મોટાભાગના મિત્રોએ ઈતિહાસની ચોપડીઓમાં દાંડીકૂચના નામે લગભગ એકથી દોઢ પાનાનું લખાણ કે અભ્યાસક્રમ જરૂર વાંચ્યો હશે.

ઈતિહાસમાં દાંડીકૂચનું એવું તો વર્ણન કરવામાં આવ્યું છે કે જાણે સમગ્ર ભારતની મહાનતમ ધટના હોય..!

બાબા સાહેબ આંબેડકર દ્વારા મહાડ અને બાદ ચવદાર તળાવ ખાતે અછુત સમાજના લોકોને સાર્વજનિક જળાશયમાંથી પીવાનું પાણી મળે તેના માટે જીવનાં જોખમે કરેલ મહાડ અને ચવદાર તળાવ સત્યાગ્રહ નો ક્યાંય પણ ઉલ્લેખ જોવા મળતો નથી. જે વિર્યહીન સવર્ણ ઈતિહાસકારો દ્વારા કરવામાં આવેલી જ્ઞાતિગત કિન્નાખોરીનું ભુંડું ઉદાહરણ છે.

તમારા મતે જીવન જીવવા માટેની મુળભુત જરુરિયાત શું ? મીઠું (નમક) કે પાણી ?

માણસના જીવનમાં મીઠા વગર ચાલે પણ પાણી વિના કંઈ ચાલે ?

જ્યારે ગાંધી મીઠા એટલે કે જીભના સ્વાદ માટે લડી રહ્યા હતા. તે જ વખતે બાબા સાહેબ જીવનની મુખ્ય જરૂરિયાત એવા પીવાના પાણી માટે લડી રહ્યા હતા.

માત્ર ફરક એટલો બાબા સાહેબની લડાઈ અછુતો માટે હતી. જ્યારે ગાંધીની લડાઈ અછુત સિવાયના લોકો માટેની.

કેટલી કરૂણતા કહેવાય ભારત જેવા મહાન ગણાતા દેશમાં સૌથી મહાન ગણાવાતા હિન્દુ ધર્મમાં જ જન્મેલા સમાજનો એક મોટો ભાગ અછુત સમાજ પાણી માટે વલખા મારી રહ્યો હતો. કારણ હિન્દુ ધર્મ મુજબ તેઓ અછુત હતા.

તેમનો સ્પર્શ તો છોડો પડછાયો પડે તો પણ હિન્દુઓ અભડાઈ જતા હતા. તેમને જાહેર સ્થળો પર જવાની બંધી હતી. ગામના જાહેર પીવાના સ્ત્રોતો પરથી પાણી ભરવા પર પ્રતિબંધ હતો. કારણ તેમના અડવાથી તળાવ અભડાઈ જતું.

અછુતો ગંદુ પાણી પીવા મજબુર હતા. ત્યારે અછુતોની વહારે એક માત્ર બાબા સાહેબ આવ્યા હતા. મોટી મોટી ગુલબાંગો પોકારી આઝાદીનાં હોંકારા પડકારા કરતા....કોઈ ગાંધી..નેહર...સરદાર...ટિળક નહી.
એક સમજવા જેવી વાત. ગાંધીનો વિરોધ કોણ કરતા માત્ર અંગ્રેજ.....?

બાકી સમગ્ર ભારત ગાંધીનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હતું. હવે વિચારો આટલુ પ્રચંડ સમર્થન હતુ તો પણ ગાંધી અછુતો માટે કંઈ કહેતા કંઈ કરી શક્યા નહી. માત્ર હરિજન જેવો એક શબ્દ આપી સંતોષ માની ગયા. તે શું સૂચવે છે.....?

બાબા સાહેબે તમામ હિન્દુઓ, સંગઠનો, પક્ષોના ભયંકર વિરોધ વચ્ચે. પોતાને જાનથી મારી નાખવાની ધમકી મળવા છતાં. પોતાનો જીવ જોખમમાં મુકી. પોતાના અછુત સમાજને પાણી મળી રહે તે માટે મહાડ સત્યાગ્રહ કર્યો હતો.

દુખની વાત તો એ છે કે બાબા સાહેબે મહાડ તળાવમાંથી ખોબો ભરી પાણી પી.. તળાવ અછુતો માટે ખુલ્લુ મૂક્યુ. તેમની સાથેના અન્ય આંદોલનકારીઓએ પણ તળાવમાંથી પાણી પીધું. (પણ બીજા દિવસે ગામના ઉચ્ચ હિન્દુઓએ તે જ તળાવમાં ગાયનુ મુત્ર, છાણ અને બીજી વસ્તુઓ નાખી તેનું શુધ્ધિકરણ કર્યુ હતુ. કારણ હિન્દુઓના મત મુજબ બાબા સાહેબે તળાવ અભડાવી દીધુ હતુ)

મહાડ અને ચવદાર એ બન્ને સત્યાગ્રહ બાબા સાહેબના હતા એટલે ઈતિહાસમાં ક્યાંય તેની ઝાઝી નોંધ નથી. કારણ એ આંદોલન અછુતોનું હતું. મનુવાદીઓનું નહી.
મિત્રો હવે જ્યારે પણ તમને તરસ લાગે અને ત્યારે તમે ફ્રીજમાંથી બોતલ કાઢી કે માટલામાંથી ગ્લાસ ભરી તરસ છીપાવવા પાણી હોઠે લગાવો ત્યારે બાબા સાહેબને મનોમન યાદ કરી લેજો.

દરેક અસ્પૃશ્યના શરીરમાં નસ નસમાં ફરી રહેલા પાણી અને લોહી બન્નેનાં એક એક ટીંપા ઉપર બાબા સાહેબનું કદીય ન ચૂકવી શકાય તેવું દેવું છે.
જિગર શ્યામલન


Facebook Post :

લોકોને માત્ર બાબા સાહેબે અપાવેલા શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય અધિકારોમાં જ રસ છે, બાબા સાહેબના વિચારોમાં નહીં...!!

By Jigar Shyamlan ||  Written on 20 March 2018




સદીઓથી પિડાતા શોષિત અસ્પૃશ્ય સમાજના ઉત્થાન માટે બાબા સાહેબે 1927ની 3 એપ્રિલના રોજ ''બહિષ્કૃત ભારત'' પાક્ષિકની શરૂઆત કરી હતી.

ભારતનો નકશો અને અર્ધ ગોળાકારની બન્ને બાજુ સાંકળથી જકડાયેલ બે સિંહનો લોગો ધરાવતું આ પાક્ષિક અસ્પૃશ્યોના પ્રશ્નોને વાચા આપવા કટિબધ્ધ હતું.

પણ..! મહત્વની વાત એ હતી કે આ પાક્ષિકના પ્રારંભ પહેલા જરૂરી ફંડ ફાળો એકત્ર કરવા માટે બાબા સાહેબે અસ્પૃશ્ય સમાજને માનપુર્વક અપિલ કરી હતી તો પણ સમાજ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.

સમાજના લોકોનો સહકાર ન મળ્યો તેમ છતાં બાબા સાહેબે પાક્ષિક શરૂ કર્યુ અને પોતે 500 રૂપિયાનું અંગત દેવુ કરવું પડ્યું હતુ.

એ વખતે મુંબઈ રાજ્યના ગામેગામથી ગામદીઠ માત્ર 10રૂપિયાનો ફાળો મોકલી આપવાની આજીજી કરવા છતાં અસ્પૃશ્ય સમાજના લોકોએ કોઈ પણ પ્રકારની મદદ કરવાની તસદી લીધી ન હતી. કોઈએ પણ પાક્ષિકના ગ્રાહક બનવા માટે રસ પણ દાખવ્યો ન હતો. આખરે ભારે આર્થિક સંકડામણને લીધે પૈસાની તંગી સર્જાતા બે વરસ પછી 1929માં બહિષ્કૃત ભારત બંધ કરવું પડેલું.
હવે મૂળ વાત પર આવીએ એ વખતના અને હાલના અસ્પૃશ્ય સમાજના લોકોની માનસિકતામાં કંઈ બહુ ઝાઝો તફાવત જોવા મળતો નથી.

એ વખતે પણ બાબા સાહેબને સમાજના લોકો તરફથી યોગ્ય, જરૂરી મળવા યોગ્ય સહકાર મળ્યો ન હતો. જો કે એ વાત સમજી શકાય એમ છે કે એ વખતે અસ્પૃશ્ય સમાજનાં લોકો સામાજિક રીતે સાવ દબાયેલા હતા, અભણ અને ગરીબ હતા.

પણ... આજની વાત કરીએ તો આજે અસ્પૃશ્યો ઘણાં આગળ વધ્યા છે. શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય તમામ ક્ષેત્રે અસ્પૃશ્યોની પ્રગતિ કાબીલે તારીફ છે. છતાં પણ માનસિકતામાં બહુ મોટો ફેર પડ્યો હોય તેવું જણાતું નથી.

એનુ કારણ એક જ અસ્પૃશ્યોને માત્ર બાબા સાહેબે અપાવેલા શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય અધિકારોમાં જ રસ છે, બાબા સાહેબના વિચારોમાં નહીં..!!

ભીમરાવની ક્રાન્તિ એટલે લોહીનું ટીંપુય વહાવ્યા વગરની બૌધ્ધિક ક્રાન્તિ

By Jigar Shyamlan ||  Written on 17 March 2018


કાર્લ માર્ક્સની ક્રાન્તિ એટલે રક્ત રંજીત ક્રાન્તિ જ્યારે ભીમરાવની ક્રાન્તિ એટલે લોહીનું ટીંપુય વહાવ્યા વગરની બૌધ્ધિક ક્રાન્તિ.



કાર્લ માર્ક્સ એટલે કે Karl Heinrich Marx અને બાબા સાહેબ આંબેડકર એટલે કે Dr. Bhimrao Ramji Aambedkar બન્નેમાં એક સમાન હોય એવી બાબત શોધવા જઈએ એક બાબત ધ્યાન પર આવે કે બન્ને એ લગભગ 40 વર્ષ ગહન સંશોધન કર્યુ હતું.

પરંતુ ફરક એક એ જ કાર્લ માર્ક્સને પોતાની કમ્યૂનિઝમની થિયરી લખવા માટે, કોમ્યૂનિસ્ટ મેનિફેસ્ટો રજૂ કરવા માટે તેમજ દાસ કેપિટલ લખવા માટે પોતાના મિત્ર ફેર્ડરીક એન્જલ્સનો સહારો લેવો પડ્યો હતો. જ્યારે બાબા સાહેબ આંબેડકરે આ માટે કોઈની જરૂર પડી ન હતી.

બીજી મહત્વની વાત એ પણ છે કે કાર્લ માર્ક્સ માર્કસીઝમનું તત્વજ્ઞાન અને દર્શન તો આપી શક્યા પણ ખુદ કોઈ ક્રાન્તિ લાવી શક્યા ન હતા એ એમનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ કહી શકાય અલબત્ત મારી દ્રષ્ટિએ. માર્ક્સને પોતાના જ વિચારોને ક્રાન્તિમાં તબદિલ કરવા માટે "લેનિન અને માઓ"ની જરૂર પડી હતી. જ્યારે બાબા સાહેબે નવી વિચારધારા તો આપી જ હતી વધુમાં સાથે સાથે તે વિચારધારાને એક ક્રાન્તિના રૂપમાં પણ નિર્માણ કરી બતાવી હતી.

કાર્લ માર્ક્સે આપેલ માર્ક્સવાદ માત્ર મટીરીયલ વર્લ્ડ (ભૌતિક જગત)ની પુર્નરચનાની વાત કરે છે, જ્યારે આંબેડકરવાદ મટીરીયલ વર્લ્ડ (ભૌતિક જગત) અને મેન્ટલ વર્લ્ડ (માનસિક જગત) એ બન્નેની પુર્નરચનાની વાત કરે છે, તે માટે માર્ગ પણ બતાવે છે.

આમ મટીરીયલ વર્લ્ડ (ભૌતિક જગત) અને મેન્ટલ વર્લ્ડ (માનસિક જગત) એ બન્નેની પુર્નરચનાની વિચારધારા આપનાર આખી દુનિયામાં કોઈ ફિલોસોફર હોય તો એ માત્ર બાબા સાહેબ આંબેડકર છે.

બાબા સાહેબની વિચારધારા સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને ન્યાયની વિચારસરણી પર આધારીત છે. એમણે પ્રબુધ્ધ ભારત બનાવવાનુ બીડુ ઝડપ્યુ હતું.

હવે આ બન્ને વિચારધારાની સરખામણી કરીએ તો માર્કસવાદ રક્તરંજીત ક્રાન્તિનો પર્યાય બની ચૂક્યો છે. ભારતની જ વાત કરીએ તો 10 જુલાઈ 2017 સુધીમાં કુલ 12,000 જેટલી જિંદગીઓ નક્ષલવાદના ખપ્પરમાં હોમાઈ ચૂકી હતી. જ્યારે આંબેડકરની વિચારધારાને કારણે ભારતના ઈતિહાસમાં આવી કોઈ હિંસાત્મક ધટના બન્યાનુ ઈતિહાસના કોઈ પાનાં પર નોંધાયુ નથી.

બાબા સાહેબે ધર્મશાસ્ત્રો, બ્રાહ્મણવાદે નિર્માણ કરેલ જાતિ વ્યવસ્થાને ન એકલી પડકારી હતી પરંતુ તેને ચેલેન્જ કરી તેના નિવારણના રસ્તાઓ પણ બતાવ્યા છે. વળી એમણે આ વ્યવસ્થાને ધ્વસ્ત પણ કરી બતાવી હતી એ પણ કોઈ જાતના હથિયાર હાથમાં લીધા વગર કે કોઈનાય લોહીનું એક ટીંપુ વહાવ્યા વગર..

(આંકડાઓ માટે તેમજ સ્ક્રીન શોટ્સ સોર્સ- ઈકોનોમિક્સ ટાઈમ વેબસાઈટ)

બધી ખૂબીઓ એક જ આદર્શમાં મળી જાય પછી મારે બીજા કોઈને શા માટે આદર્શ બનાવવો પડે.

By Jigar Shyamlan ||  Written on 16 March 2018


એક જ વસ્તુના અનેક ગણા ફાયદા હોય છે. વસ્તુ એક હોય પણ સચોટ અને અસરકારક રીતે ઘણા બધા અલગ અલગ કામમાં ઉપયોગી થાય છે. આવી વસ્તુને મલ્ટીપર્પઝ કે ઓલરાઉન્ડર કહેવાય, મતલબ બધી જગ્યાએ ચાલે. આપણે કેટલીયવાર એવા અનુભવમાંથી પસાર થઈએ છીએ.

એવુ વિચારધારામાં ય બનતુ હોય છે પરંતુ તેની મર્યાદાઓ છે. કોઈ એક વિચારધારા માત્ર એકાદ બે પરિબળ માટે અસરકારક નિવડી શકે. પરંતુ એક વિચારધારા અનેક પરીબળોને સ્પર્શતી હોય અને તમામ માટે અસરકારક નિવડી શકે તેમ હોય આવુ જવલ્લે જ બને.

સમતા, સમાનતા, બંધુતા અને ન્યાય આ તમામ માનવીય અધિકારોને સ્પર્શતી હોય અને અસરકારક નિવડી શકે તેવી વિચારધારા માત્ર એક જ બુધ્ધ, જ્યોતિબા, આંબેડકરની વિચારધારા.

હવે હાલ આપણાં કેટલાક ભાઈઓ સર્વહારા, બુર્જવા, ક્રાન્તિ, નાસ્તિક વગેરે જેવા શબ્દોનો અર્થ સમજ્યા વગર એક ચોક્કસ રંગ તરફ ખેંચાઈ રહ્યા છે. જો કે મને પર્સનલ કોઈ અફસોસ નથી, પણ એક વાતનુ દુ:ખ છે કે આપણા જ લોકો આંધળા ધેંટા બની સામેથી જ ઉન આપવા જઈ રહ્યા છે.

કારણ એ સર્વહારા લોકો જે વર્ગહીન ક્રાન્તિ કરવા જઈ રહ્યા છે તે સમગ્ર ચળવળનુ રિમોર્ટ સદીઓથી એવી જમાતો પાસે છે જે લોકોને સર્વહારા બનાવી રાખવા જ માંગે છે.

મને બાબા સાહેબ પસંદ છે કારણ કે આજે આપણે જોઈયે છીએ સમાજમાં હજી પણ જાતિવાદ અને ઉચનીચના ભેદભાવ હયાત છે. તો કલ્પના કરો આજથી સૌ દોઢસૌ વરસ પહેલા આ ભેદભાવ કેવા હશે...?

હવે જે સમાજના

---) લોકોને રસ્તા પર ચાલવાનો અધિકાર ન હતો,

---) જાહેર જગ્યાએ જવાનો અધિકાર ન હતો,

---) શિક્ષણ મેળવવાનો અધિકાર ન હતો.

ટુંકમાં એક માનવ તરીકે જીવી શકાય તેવી આઝાદી આપતા કોઈ અધિકારો જેવુ જ ન હતુ તેવા સમય અને સંજોગોમાં બાબા સાહેબની આ તમામ સિધ્ધિઓ મારા માટે આદર્શ બનવા માટે પૂરતી છે.

ભારતમાં મોટાભાગના ઉચ્ચજાતિના કહેવાતા લોકો નીચ જાતિના લોકોથી અભડાય છે. કારણ..??? નીચ જાતિના લોકો ગરીબ છે એટલે નહી પણ તેઓ ઉચ્ચજાતિના નથી એટલે.

આ દેશમાં શરૂથી જ વર્ગનુ કોઈ અસ્તિત્વ જ નથી. અમીર ગરીબ એ ભેદ કરતા ઉચ્ચ અને નીચના ભેદ વધુ છે. જે દેશમાં એક જાતિ સમૂહના લોકો છ હજાર કરતા પણ વધુ જાતિઓમાં વહેંચાયેલ હોય ત્યાં વર્ગહીન સમાજ કરતા વર્ણહીન સમાજની જરૂરીયાત વધુ છે.

એક અર્થશાસ્ત્રી, કાયદાવિદ, સંવિધાનવિદ, લેખક, પત્રકાર, નૃવંશશાસ્ર્તી, અનેક ભાષાના જાણકાર, સમાજ સુધારક, મજૂરનેતા, સ્ત્રી સશક્તિકરણ પુરસ્કર્તા, ફિલોસોફર અને સામાજીક ક્રાન્તિના પ્રણેતા...

આટલી બધી ખૂબીઓ એક જ આદર્શમાં મળી જાય પછી મારે બીજા કોઈને શા માટે આદર્શ બનાવવો પડે.
# I_Love_Baba Saheb

સાયલાની બંધ પડેલી નાલંદા વિદ્યાલયના બાળકો નો શાળા પ્રવેશ

By Raju Solanki



Date 09 July 2017
અમદાવાદની નવનિર્માણ સ્કુલ પછી સાયલાની નાલંદા વિદ્યાલય પણ બંધ પડી. કેરીનો રસ પીધા પછી ગોટલા અને છોતરા ફેંકી દેવામાં આવે છે. શિક્ષણના વેપારીઓ એમની દુકાનો નફો થાય ત્યાં સુધી ચાલુ રાખે છે અને ખોટ થાય તો બંધ કરે છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ખાનગી શાળાઓ અમદાવાદની કાપડ મીલોની જેમ મોટા પાયે બંધ પડવાની છે એ તમારી ડાયરીમાં લખી રાખો.


મૂળ કોંઢના અને હાલ ધ્રાંગધ્રા રહેતા કિશોર મકવાણાએ મને વોટ્સપ પર બંધ પડેલી નાલંદા વિદ્યાલયના સમાચાર મોકલ્યા એટલે મેં સુરેન્દ્રનગરના સાથી વિશાલ સોનારા અને સાયલાના નીલેશ રાઠોડ સાથે આજે વાત કરીને તેમને જણાવ્યું કે બંધ પડેલી શાળામાં ત્રણ બાળકોએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યો હતો અને હાલ તેમનું ભણતર જોખમમાં છે. આ બાળકો સાયલાના આંબેડકરનગરના છે, એમના વાલીઓનો તાત્કાલિક સંપર્ક કરીને સાયલા પોલિસ સ્ટેશનમાં નાલંદાના સંચાલકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે.

નીલેશ રાઠોડ તૂરન્ત જ વાલીઓને જઇને મળ્યા. વાલીઓએ જણાવ્યું કે બીજી શાળામાં પ્રવેશની વ્યવસ્થા થઈ ગઈ છે.





Date 11 July 2017
સાયલાની બંધ પડેલી નાલંદા વિદ્યાલયના બાળકો દોઢ મહિનાથી ઘરે બેઠા હતા. છેવટે શાળાના સંચાલકો સામે પોલિસ ફરિયાદ કરવાની માત્ર ધમકી આપતાં જ અન્ય શાળામાં પ્રવેશ માટે સુરેન્દ્રનગરના જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત આદેશ આપવાની ફરજ પડી. આરટીઈ ક્ષેત્રમાં કામ કરવા માગતા યુવાન કર્મશીલોએ આવા પરીપત્રો સાચવી રાખવા પડશે. આવનારા દિવસોમાં ખાનગી શિક્ષણનો વેપલો કરતા વેપારી સંચાલકો રાતોરાત એમની શિક્ષણની દુકાનોને તાળા મારીને ભાગી જાય ત્યારે ગરીબ બાળકોના શિક્ષણના અધિકારોની હિફાજત માટે તાત્કાલિક નજીકના પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડશે.










Facebook Post : 

नारे संगठनों की पहेचान होते हैं

By Raju Solanki  || Written on 6 July 2018




संगठन नारों से नहीं चलता, मगर नारे संगठन की पहेचान होते हैं. दलित पेंथर्स की 1973 में सबसे पहली रैली के नारों के बारे में जे. वी. पवार उनकी किताब Dalit Panthers: An Authoritative History में लिखते हैं कि, “हमने स्टान्डर्डाइझ्ड स्लोगन्स का निर्णय लिया. कारण यह था कि हमारे कुछ साथी उनको जो नारे अच्छे लगते थे उसे बोलते थे. उनमें से कुछ अशिष्ट (indecent) भी होते थे.” भायखल्ला मार्केट के पास एक होटल में बैठकर जे. वी. और महातेकर ने रैली के लिए स्लोगन्स लिखे.

स्लोगन कुल मिलाकर उन्नीस थे. आप यह पढकर खुद तय किजीए कि आज के आंदोलनों में क्या ऐसे कोई स्लोगन बोले जाते हैं?
1. दलित पैंथर झींदाबाद,
2. क्रान्तिबा फूल्याचा विजय असो,
3. आनु आनु समतेचे राज्य आनु,
4. डो. बाबासाहेब आंबेडकर विजय असो,
5. दलितांची सत्ता, जनतेची सत्ता,
6. गाडु गाडु, हिन्दुत्व गाडु (हम हिन्दुत्व की विचारधारा को दफना देंगे)
7. हम उस देश के दुश्मन है, जहां नारी की इज्जत खतरे में हैं.
8. बोल दलिता, हल्ला बोल
9. लानी है, लानी है, हमें आझादी लानी है,
10. इस देश का क्या है नाम? भारत या हिन्दुस्तान?
11. आमदार, खासदार, जमीनदारों की औलाद (धारासभ्य, सांसद जमीनदारों की औलाद है)
12. उन्हें देश बेचना है, हमें देश बचाना है,
13. गोलीला दलित, पोलिला भट्ट (दलित को गोली, ब्राह्मण को पुरणपोळी)
14. जीथे गडतो एर्नागांव बावडा, त्या देशच्या छातीत रावडा (जिस देश में एर्नागांव बावडा जैसी घटना होती है, उस देश की छाती में आग लगती है)
15. जो देश को तोडते है, उस महात्मा कहते है
16. नई रोशनी लाई है, देश में आग लगाई है. (इन्दिरा गांधी के बारे में)
17. उठ दलिता भूखा कंगाल, बंदूकीला हाथ झाल,
18. दलित गुलाम देश गुलाम, दलित स्वतंत्र देश स्वतंत्र,
19. अबाउट टर्न, अबाउट टर्न, महार बटालीयन अबाउट टर्न (पुलीस ने इस स्लोगन का कडा विरोध किया था, कहेते थे यह स्लोगन राजद्रोह है.)

દલિત પેંથરનો ઇતિહાસ: જે. વી. પવારની નજરે

By Raju Solanki  || Written on 5 July 2018


દલિત પેંથરનો અત્યંત મૂલ્યવાન અને રસપ્રદ ઇતિહાસ એના સ્થાપકો પૈકીના એક જે. વી. પવારે મરાઠીમાં લખ્યો, તેનો અંગ્રેજી અનુવાદ રક્ષિત સોનવણેએ કર્યો અને Dalit Panthers: An Authoritative History નામથી તાજેતરમાં પ્રસિદ્ધ થયો છે.


ડો. બાબાસાહેબ આંબેડકર પછી અને કાંસીરામની પહેલા દલિત પેંથર ભારતના દલિત આંદોલનનું એક રોમહર્ષક, ઉજ્જવળ પ્રકરણ છે, જેણે દલિત સ્વાભિમાનની પ્રચંડ જ્યોતને જલતી રાખેલી. આ પુસ્તકમાં ઘણી ઘણી બાબતો એવી છે કે જેની આપણાંમાંના મોટાભાગના લોકોને ખબર જ નથી. જે. વી. પવારને આનંદ તેલતુંબડે ‘આંબેડકર પછીના દલિત આંદોલનનો એનસાઇક્લોપીડીયા’ કહેતા હોય કે પ્રો. અવિનાશ ડોલાસ ‘દલિત આંદોલનના બીજા સી. બી. ખેરમોડે’ કહેતા હોય તો એમાં લગીર અતિશયોક્તિ નથી.

માત્ર 250 રૂપિયાની કિંમતના આ બહુમૂલ્ય ગ્રંથમાં પવારે પેંથર્સના સ્થાપકો અને અગ્રણીઓ રાજા ઢાલે, નામદેવ ઢસાલ, રામદાસ આઠવલે, અરુણ કાંબલે, કે. વી, ગમરે, ગંગાધર ગાઢે, અવિનાશ મહાતેકર અને દયાનંદ મહસ્કે વચ્ચેના વ્યક્તિગત અને સાંગઠનિક સંબંધો તેમજ વિચારધારાના ભેદભાવોનું બયાન કર્યું છે, જે વાંચતા ખબર પડે છે કે દલિત આંદોલનમાં વ્યક્તિગત અહમના ટકરાવો ક્યારેક વિચારધારા કરતા પણ મોટો ભાગ અચૂક ભજવી જાય છે, પરંતુ વિખરાવના આ બે મહત્વના કારણો તો છે જ.

લેખક નોંધે છે કે, રીપબ્લિકન પક્ષના નેતાઓએ તત્કાલીન કોંગ્રેસ પક્ષ સાથે કરેલા રાજકીય સમાધાનોથી ક્રોધે ભરાયેલા દલિત યુવાનો પેંથર્સ જેવા નવોન્મેષની રાહ જોતા હતા અને આ આક્રોશિત યુવાનોએ 1972માં પેંથર્સને એક ઐતિહાસિક ચળવળનું સ્વરૂપ આપ્યું હતું. પાંચ વર્ષ પછી જ્યારે રાજા ઢાલે અને લેખક પોતે પેંથરનું વિસર્જન કરવા બેસે છે ત્યારે આવા જ કારણો, સમાધાનકારી વલણો તેમની સામે આવે છે. તેઓ લખે છે કે, 1977માં નામદેવ ઢસાલ કોંગ્રેસનો, ભાઈ સંગારે અને અવિનાશ મહાતેકર જનતા પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હતા અને લેખક પોતે ભૈયાસાહેબ આંબેડકરનો પ્રચાર કરતા હતા. દલિતો સામાજિક ભેદભાવો સામે લડવા જ્યારે જ્યારે સંગઠિત થાય છે, ત્યારે ત્યારે કોંગ્રેસ, જનતા પક્ષ (અને હવે ભાજપ) તેમને રાજકીય ખેમાઓમાં વિભાજીત કરતા રહે છે. ગુજરાતના દલિત આંદોલનકારીઓ આમાંથી બોધપાઠ લેવો જોઇએ.

જે. વી. પવાર અને રાજા ઢાલેએ દલિત પેંથરનું વિસર્જન કરીને માસ મુવમેન્ટની સ્થાપની કરેલી. 1985માં અમે અમદાવાદના જ્યોતિસંઘ હૉલમાં એક કાર્યક્રમ કરેલો એમાં બંનેને બોલાવેલા. ત્યારે મને રાજા ઢાલે બહુ જ ઘમંડી અને સ્વ-કેન્દ્રિત લાગેલા. જે. વી. સાથે ખાસ કોઈ વાતો થયેલી નહીં. પરંતુ તાજેતરમાં વાલજીભાઈ પટેલે જે. વી. વિષે એક વાત કરી એ સાંભળીને મને થયું કે જે. વી. ખરેખર લીજેન્ડ છે. 1975માં વાલજીભાઈ મુંબઈ ગયા ત્યારે એક રાત જે. વી. પવારના ઘરે રોકાયા હતા. ઘર નાનુ હતું. પવાર દંપતિએ એમના ગુજરાતી મહેમાનને પલંગ પર સૂવડાવ્યા. મધરાતે પલંગ નીચે કંઈ અવાજ થયો. વાલજીભાઈ જાગી ગયા અને કૂતુહલવશ પલંગ નીચે નજર કરી તો જોયું કે પલંગ નીચે ફરસ પર જે. વી. પવાર, તેમના પત્ની અને બાળકો સહિતનું સમગ્ર કુટુંબ સૂતું હતું. આવા છે દલિતોના નેતાઓ. નાના ઘરોમાં બહુ મોટા ગજાના લોકો રહેતા હોય છે.


Facebook Post :

ડૉ ભીમરાવ આંબેડકર ના જીવન મા ગૌતમ બુદ્ધ ના વિચારો નો પ્રવેશ

By Vishal Sonara || Written on 06 July 2018


બાબા સાહેબ આંબેડકર ના પિતાશ્રી રામજી માલોજી સકપાલ એક આર્મી ઓફીસર હતા. તેઓ કબીર પંથી હતા તથા ખુબ જ ધાર્મિક વૃત્તી ધરાવનાર વ્યક્તિ હતા. આર્મી ની ટ્રેનિંગ ને કારણે તેઓએ પોતાના સંતાનો ને પણ એ જ પ્રમાણે શિસ્ત થી ઉછેર્યા હતા. ડૉ આંબેડકર જ્યારથી સમજણા થયા ત્યાર થી તેઓ ને પોતાના પીતાશ્રી સાથે ધર્મ અંગે ધણી ચર્ચાઓ થતી રહેતી. આંબેડકર ના દાદા એટલે કે રામજી માલોજી સકપાલ ના પિતાશ્રી રામાનંદી સંપ્રદાય મા માનતા હતા અને આંબેડકર ના પિતા કબીર પંથી હતા. સામાન્ય ભારતીય કુટુંબો મા જે પ્રમાણે બાપ દાદા જે ધાર્મિક માન્યતા ધરાવતા હોય એવી જ માનસીકતા કેળવાતી હોય છે પરંતુ એ પ્રકારની મનોવૃત્તિ મોટા ભાગના બહુજન પરીવારો મા નથી હોતી તેઓ ખુદને જે શ્રેષ્ઠ લાગે તે જ પંથ કે ધાર્મિક માન્યતા પર ચાલે એનુ આ શ્રેષ્ટ ઉદાહરણ છે. આંબેડકર ના પિતાશ્રી ને કબીરપંથ મા વિશ્વાસ હોવાથી તેઓ એ પોતાના પિતાશ્રી ના જેમ રામાનંદી પંથ પર જ ન જતા પોતે કબીરપંથ પસંદ કર્યો.

ભીમરાવને પોતાના પિતાજી સાથે હંમેશા તેમની અમુક ધાર્મિક પ્રવૃત્તિઓ ને લઈ ને વાંધો રહેતો. જેમ કે કબીરે મુર્તિપુજા નો સખત વિરોધ કરેલો અને મોટા ભાગના સાચા કબીરપંથીઓ પણ મુર્તિપુજા મા નથી માનતા હોતા. આંબેડકરના પિતાજી પણ નહોતા માનતા પરંતુ પોતાના બાળકો અને પરીવાર ની ખુશી માટે ગણપતિ પુજા કરતા અને ઉજવણી કરતા, જે આંબેડકર ને પસંદ નહોતુ. તદુપરાંત રામજી માલોજી સકપાલ કબીર પંથ ના પુસ્તકો તો વાંચતા તેમજ વંચાવતા જ પરંતુ રોજ રાત્રે સુતા પહેલા રામાયણ અને મહાભારત માથી અમુક અંશ ને ઘર ના અન્ય સભ્યો સાંભળે તે રીતે ભીમરાવ અને એમના ભાઈ પાસે મોટે મોટે થી વંચાવતા. આ પ્રકારની ધાર્મિકતા આંબેડકર ને પસંદ નહોતી તેમ છતા પોતાના પિતાશ્રી નુ મન રાખવા માટે વર્ષો સુધી આ પ્રથા ચાલુ હતી.

1907 મા સોળ વર્ષ ની ઉમરે જ્યારે ભીમરાવે મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી. (1901 માં બાબા સાહેબ નો પરીવાર સતારાથી મુંબઈ સ્થળાંતરીત થયેલો) એ પરીક્ષા મા એમવો નો સામાન્ય દેખાવ રહેલો તથા મુખ્ય ભાષા તરીકે પર્શીયન ભાષા હતી. (બાબા સાહેબ સંસ્કૃત ભાષા રાખવા માંગતા હતા પરંતુ એ વખત ના જાતિવાદી તત્વો એ બ્રાહ્મણ સીવાય ના લોકો અને એમા પણ અછુત ને તો ક્યારેય સંસ્કૃત સીખવવા તૈયાર નહોતા) મેટ્રીક્યુલેશન પાસ થવાના કારણે ભીમરાવ ને બોમ્બે યુનિવર્સિટી સંલગ્ન કોઈ કોલેજ મા એડમીશન મળવા પાત્ર હતું. સમાજ ના લોકો એ ભીમરાવનુ સમ્માન કરવા માટે એક સમારંભ યોજવાનુ વિચાર્યું. અન્ય સમાજ ની સરખામણી મા મેટ્રીક્યુલેશન ની પરીક્ષા પાસ કરવી એ કોઈ મોટા બહુમાન ની વાત નહોતી. તેમછતાં અછુત સમાજ માંથી પ્રથમ વિદ્યાર્થી આ લેવલ સુધી પહોચ્યો હોવાના કારણે સમાજ ના લોકો ઉત્સાહિત હતા. સમાજ ના પ્રતિનિધિઓ બાબા સાહેબ ના પિતાશ્રી પાસે ગયા અને આ પ્રકાર ની વાત કરી પરંતુ બાબા સાહેબ ના પિતાજી એ એમ કહી ને ના કહી દિધી કે આ એવી કોઇ મહાન સિધ્ધી નથી કે એની ઉજવણી થવી જોઇએ અને આમ પણ આવુ કરવા થી છોકરો ફુલાઈ જશે અને એના મગજમાં રાઈ ભરાઈ જશે. આવુ સાંભળીને નીરાશ થઈ ગયેલા સમાજ ના પ્રતિનીધીઓ રામજી માલોજી સકપાલ પરીવાર ના પારિવારીક મીત્ર અને મરાઠા સમાજ ના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ક્રિષ્ણરાવ અર્જુન કેલુસ્કર કે જેને દાદા કેલુસ્કર તરીકે પણ ઓળખવામા આવે છે, એમની પાસે ગયા. દાદા કેલુસ્કર વિલ્સન હાઈસ્કુલ ના પ્રિન્સીપાલ હતા અને ભૂતકાળમાં પણ એમણે ભીમરાવ ને ચર્ની રોડ ગાર્ડન મા પુસ્તક વાંચતા જોયેલા ત્યારે એમણે તપાસ કરતા જાણ થઈ કે શાળા મા તથાકથીત ઉચી જાતિના આવારા છોકરાઓની ગુંડાગર્દી થી ત્રાસી ને ભીમરાવ આ રીતે બગીચામા બેસી ને પોતાનો અભ્યાસ કરતા હતા. ત્યાર થી જ બાબા સાહેબ પર દાદા કેલુસ્કર ને અપાર લાગણી હતી. મહાર પ્રતિનીધીઓ ની વાત સાંભળી ને એમણે ભીમરાવ ના પિતાશ્રી ને મળ્યા અને ભીમરાવ ની સમ્માન સભા માટે મનાવી લીધા.

સમ્માન સમારોહ ના અંત મા દાદા કેલુસ્કરે બાબા સાહેબ ને એમણે ખુદ લખેલું પુસ્તક બુદ્ધ ચરીત્ર (મરાઠી મા ગૌતમ બુદ્ધાંચે ચરીત્ર) ભેટ મા આપ્યું. ભીમરાવ પોતાને મળેલી આ ભેટ થી બેહદ ખુશ હતા. તેમણે ખુબ જ રસપુર્વક એ પુસ્તક વાંચ્યું. બુદ્ધ અને તેમના વિચારથી ભીમરાવ ખુબ જ પ્રભાવિત થયા. એ પુસ્તક વાંચી ને ભીમરાવ વિચારતા હતા કે અત્યાર સુધી એમના પિતાજીએ એમને અન્યોને બુદ્ધ અને તેમના વિચારો થી કેમ પરિચિત ન કરાવ્યા, કેમ એમને બૌદ્ધ સાહિત્યથી દુર રાખવામા આવ્યા?? ખુબ જ મનોમંથન ના અંતે એમણે પોતાના પિતાજી સાથે આ બાબત પર ચર્ચા કરવાનુ નક્કી કર્યુ. તેમણે સીધા પોતાના પિતાજી પાસે જઈ ને પુછી લીધુ કે કેમ તમે અમારા પાસે રામાયણ અને મહાભારત જેવા બ્રાહ્મણો અને ક્ષત્રીયો ને જ ગૌરવાન્વીત કરતા તેમજ પછાત જાતિઓ (શુદ્રો) અને અછુતો ના અધઃપતન દર્શાવતા ગ્રંથો જ વંચાવવાનો આગ્રહ રાખ્યો. ભીમરાવ ના પિતાશ્રી ને આ સવાલ ન ગમ્યો. તેમણે ભીમરાવ ને એમ કહી ને વાત ટાળી દિધી કે , "આ બધી ચર્ચા કરવાની તારી ઉંમર નથી. તને જે કહેવામા આવે છે એ કર." તેમ છતા સવાલ કરવાથી થાકે તો ભીમરાવ શાના? તેમણે થોડા દિવસો બાદ ફરી આ જ વાત નીકાળી અને એ જ સવાલ કર્યો. આ વખતે તેમના પિતા પણ તૈયારી મા જ હતા. તેમણે તરત જ જવાબ આપ્યો, "હું તમને લોકો ને રામાયણ અને મહાભારત વાંચવા માટે પ્રેરીત કરું છું કારણ કે આપણે લોકો અછૂત સમાજ માંથી આવીએ છીએ, અને તેના કારણે લઘુતાગ્રંથી થી પીડાવુ એ આ સમાજ મા સામાન્ય બાબત છે. રામાયણ અને મહાભારત વાંચવાના કારણે આ લઘુતાગ્રંથી દુર થઈ શકે છે. જેમ કે દ્રોણ અને કર્ણ નાના માણસો હતા તેમ છતા તેઓએ આટલી ખ્યાતી પ્રાપ્ત કરી, વાલ્મીકી કે જે કોલી જાતિના અછૂત હોવા છતા રામાયણ ની રચના કરી. આટલા માટે જ હુ રામાયણ તથા મહાભારત વાંચવા માટે જણાવુ છુ."

ભીમરાવ ને એમના પિતાજી નો આ ખુલાસો સંતોષકારક ન લાગ્યો. ભીમરાવ ને મહાભારત ના એક પણ પાત્ર પસંદ નહોતા. તેમણે પણ પોતાના પિતાજી ને જવાબ આપ્યો કે , "મને ભીષ્મ અને દ્રોણ પસંદ નથી તેમજ કૃષ્ણ પણ. ભીષ્મ અને દ્રોણ દંભી લોકો હતા. તેઓ કહે કંઈ અલગ કરે કંઈ અલગ. કૃષ્ણ કપટી હતા. તમની કથા છળ કપટની હારમાળા થી વિશેષ કંઈ નથી. રામ પર પણ મને એક સમાન અણગમો છે. શૂર્પણખા અને વાલી-સુગ્રીવ ના બનાવ પર તેમની હરકતો તપાસો તેમ જ સીતા સાથે કરેલો ધ્રુણાસ્પદ વ્યવહાર તપાસીએ તો ખ્યાલ આવે."

આ સાંભળી ને ભીમરાવ ના પીતાજી કશુ ન બોલ્યા. તેઓ સમજી ગયા હતા કે આ વિદ્રોહ ની શરુઆત છે....!!!!

આ રીતે દાદા કેલુસ્કર દ્વારા આપવામા આવેલા પુસ્તક ના કારણે બાબા સાહેબ પોતાના જીવન ના શરુઆતના દિવસો મા જ બુદ્ધ અને તેમના વિચારોથી પરિચિત બન્યા હતા તેઓ નાની ઉમર થી બુદ્ધ અને તેને લગતુ સાહિત્ય વાંચતા રહેતા અને અન્ય ફિલોસોફી અને ધર્મ સાથે સરખાવતા રહેતા. ત્યારબાદ ગૌતમ બુદ્ધ અને તેમના વિચારો બાબા સાહેબ ના જીવન સાથે મૃત્યુ સુધી જોડાયેલા જ રહ્યા. અંતે તેમણે પોતાના લોકો ની વૈચારીક અને સામાજીક ઉન્નતી માટે બુદ્ધ નો ધમ્મ અપનાવી ને એક દિશાસૂચન કરતા ગયા. અને આગળ ની જવાબદારી બાબાસાહેબ બહુજન સમાજ ના લોકો પર છોડતા ગયા છે. સામાજિક જાગૃતી ના આ યુગમાં આપણે એક તકેદારી તો ચોક્કસપણે રાખવી જ પડશે કે આપણા સંતાનો પણ મોટા થઈને જાતે જ બાબા સાહેબ અને બુદ્ધ ના વિચારો જાણતા થાય અને પછી બાબા સાહેબ જેમ આપણને પ્રશ્ન ન કરે કે, "કેમ આટલા વર્ષો થી અમને આંબેડકર અને બુદ્ધ ના વિચારો થી અળગા રાખવામા આવેલા છે...????" 

Facebook Post :

સ્મશાનના કફનો એના ઘરના માળીયાના પડદા બનીને ઝૂલે છે

By Raju Solanki  || Written on 2 July 2018


રમાબાઈ ભીમરાવ આંબેડકર અને સાવિત્રીબાઈ જોતિરાવ ફૂલે પુસ્તકાલય તેમ જ દેહદાતા ગંગાબહેન મુળજીભાઈ સોલંકી વાચનાલયની ગઈ કાલે અમે મુલાકાત લીધી. ઓઢવ જેવા વિસ્તારમાં જીર્ણશીર્ણ મકાનમાં આટલા બધા પુસ્તકો જોઇને આંખોને ટાઢક વળી. 51 વર્ષના લંકેશ ચક્રવર્તીએ આ કામ કર્યું છે. દલિત સમાજમાં બહુ મોટી તોપો છે. કરોડોના બંગલાઓમાં મજેથી રહેતા અધિકારીઓનું લિસ્ટ તો હવે ખાસુ લાંબુ છે. કોઇને લંકેશની જેમ આવું પુસ્તકાલય શરૂ કરવાની સૂઝ પડી નથી.
અમે ગયા ત્યારે નરોડા રોડથી ડો. રાજેશ પરીખ અને મિત્રો લાઇબ્રેરી પર આવ્યા હતા. નરોડા રોડ પર આવી જ એક લાઇબ્રેરી શરૂ કરવા માટે પુસ્તકો લેવા તેઓ અહીં ઓઢવ આવ્યા હતા. વસ્ત્રાલમાં પણ એક બીજું ગ્રુપ પુસ્તકાલય શરૂ કરી રહ્યું છે એની તેમણે વાત કરી. લંકેશે શરૂ કરેલું કામ હવે એક અભિયાન બની રહ્યું છે. આવતી કાલે અમદાવાદમાં સહેજેય ચાર લાખની આબાદી ધરાવતા અને રાજપુર, ગોમતીપુર, રખિયાલ, ઓઢવ, અસારવા, ચમનપુરા, ગિરધરનગર, મેઘાણીનગર, નરોડા રોડ, રાણીપ, ચાંદખેડા, બહેરામપુરા, દાણીલીમડા જેવા પરા વિસ્તારોમાં પથરાયેલા વિશાળ દલિત સમુદાયમાં પુસ્તકાલયોની પ્રવૃત્તિ શરૂ થશે તો તેનું શ્રેય તમારે લંકેશ ચક્રવર્તીને આપવું પડશે.
તમે પુસ્તકના પ્રેમી હો તો લંકેશના પુસ્તકાલયમાં તમારો આખો દિવસ ક્યાં જાય તેની તમને ખબર ના પડે એટલું વૈવિધ્ય એના કલેક્સનમાં છે. દિવ્ય કુરાન, હોલી બાઇબલ અને રામાયણ છે, તો ભારતીય દંડ સંહિતા અને સંવિધાન પણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદને સેંકડો લેખકો-કવિઓ તેમના પુસ્તકોની ચાર ચાર નકલો વિવેચનાર્થે કે સંગ્રહ માટે મોકલે છે. પરીષદે એમાંના ઘણા પુસ્તકો લંકેશને આપ્યા છે. અને હજુ ટ્રક ભરાય તેટલા પુસ્તકો લઈ જવાનું કહેણ છે, લંકેશ પાસે જગ્યા નથી. આ પુસ્તકોનું ઇન્ડેક્સિંગ, ક્લાસિફિકેશન કરીને ધર્મ, કાયદો, નવલ, આત્મકથા જેવા વિભાગોમાં વહેંચવાનું ગંજાવર કામ હજુ બાકી છે.
પુસ્તકો વચ્ચે રહેતા એક ડો. ગણપત વણકર આપણે જોયા હતા. એક બીજો માણસ આ લંકેશ ચક્રવર્તી છે. એ કોઈ બડો વિદ્વાન નથી, પરંતુ આજન્મ એક્વિસ્ટ છે. એ એક અદભૂત ફોટોગ્રાફર છે. અમારા એક્યાશી-પંચ્યાસીના આંદોલનોની ગાંઠના પૈસે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, દસ્તાવેજીકરણ કરનારો એકમાત્ર બંદો આ લંકેશ ચક્રવર્તી છે. ફોટોગ્રાફી એનો શોખ છે, મિજાજ છે. ફોટોગ્રાફી એની એસેટ છે, એનું દેવું છે, કહો કે ફોટોગ્રાફી એની જિંદગીનું કાચુ-પાકુ સરવૈયુ છે. દલિત આંદોલન આવા પાગલ, બિન્ધાસ્ત અને દેવાળીયા લંકેશ જેવા લોકોનું ઋણી છે, જેણે જિંદગીમાં નફા-તોટાનો હિસાબ નથી કર્યો. સમાજને દીધું જ છે, કશું જ મેળવવાની અપેક્ષા વગર.
લંકેશ કોઈ અડ્ડાનો માણસ નથી. એકલો, બેફિકરો, સૂફી જેવો સીધો સાદો શખ્સ છે. સ્મશાનના કફનો એના ઘરના માળીયાના પડદા બનીને ઝૂલે છે. એણે શૌચાલયને માથે મંદિરના ગુંબજ મુકાવ્યા છે. દેવાલયથી શૌચાલયનું સૂત્ર એણે સાર્થક કર્યું છે. રેશનાલિઝમ એના લોહીના એક એક રક્તકણમાં છે, પણ એનું રેશનાલિઝમ ફેસબૂક કે વોટ્સપની ગ્લેમરમાં ગૂંચવાયું નથી. એ વિવાદોથી હજારો પ્રકાશવર્ષ દૂર છે, પરંતુ જાનનું જોખમ ખેડીને રૂપાલની પલ્લીમાં વેડફાતા કરોડો રૂપિયાના ઘીની વિડીયોગ્રાફી કરતા એનું રૂંવાડુ થરથરતું નથી.
ક્યારેક ભૂલથી પણ તમે લંકેશની લાઇબ્રેરીની મુલાકાત લઈ જોજો. મંદિરોમાં પૈસા નાંખવાના બદલે લોકોએ અહીં રૂપિયાનો વરસાદ વરસાવવાની જરૂર છે. ગયા વર્ષે મેઘરાજાએ મહેર કરી એવી કે લાઇબ્રેરીના પહેલા માળે પાણી ભરાઈ ગયું. આખી રાત લંકેશે ડોલથી પાણી ઉલેચ્યાં કરેલું. મકાનના ધાબા પર લોખંડની પાઇપો નાંખીને તેના પર પાથરેલા મીણીયાથી તીરાડોવાળી પેરાફિટ માંડ માંડ ઢાંકીને પાણી આવતું અટકાવ્યું હતું. (જુઓ તસવીર). લંકેશને તેની લાઇબ્રેરીના રીનોવેશન માટે આપણા સૌની મદદની તાતી જરૂર છે.
લંકેશની લાઇબ્રેરીને ટકાવવાની જ નહીં એને શાનદાર, દમદાર બનાવવાની આપણા સૌની પવિત્ર ફરજ છે. દલિતોની એક એક ચાલીમાં એક પુસ્તકાલય હોવું જોઇએ. જેમ જેમ પુસ્તકાલયોની સંખ્યા વધશે, તેમ તેમ દારુના અડ્ડા એની મેળે નિરર્થક થઈ જશે. વિશ્વાસ રાખો. પુસ્તકના વ્યસનથી વડેરું કોઈ વ્યસન નથી દુનિયામાં.





Facebook Post  : -

Justice delayed is justice denied

By Raju Solanki  || Written on 4 July 2018


Today Vishnagar Sessions’ Court will hear bail application of three teachers who are accused in Dalit suicide case in Vadnagar, the native place of Prime Minister Narendra Modi. More than four and half months have passed since the death of Mahesh Chauhan, a mead day meal manager, the charge sheet has not been submitted in the court. This is how justice is delivered in Gujarat.
Yesterday, Ramesh, brother of the deceased told me on the telephone that he, too, wants to commit suicide and will write a letter to Gujarat government. I requested him not to take such a harsh step. Tomorrow he is coming to my home. Widow of deceased has been given a job in the same school, where her husband was harassed by the accused.

માઇનોરિટી દરજ્જો અને માઇનોરિટી ટ્રસ્ટનો ફરક શું છે?

By Raju Solanki  || Written on 25 June 2018


અમદાવાદના અસારવા વિસ્તારમાં બાબુ જગજીવનરામ બ્રિજના એક છેડે ઇદગા સર્કલ છે. બીજા છેડે જ્યુબીલી બ્લોક્સ (અગાઉની પારસીની ચાલી) છે. તેની બરોબર સામે બ્રિજની નીચે પ્રેરક વિદ્યાલય નામની ખાનગી, નોન-ગ્રાન્ટેડ શાળા છે. શાળાના સંચાલક આરટીઈ હેઠળ એક બાળકને પ્રવેશ આપતા નહોતા એવી વાલીએ ફરિયાદ કરતાં એડવોકેટ મિત્રો નરેન્દ્ર સોલંકી અને પ્રતીક સોલંકી સાથે મેં શાળાની મુલાકાત લીધી. સ્કુલનું નામ પહેલીવાર સાંભળ્યું. શિક્ષણના ખાનગીકરણના જોરદાર પવનમાં કેવા કેવા ખૂણા ખાંચરામાં વેપારી વૃત્તિના લોકોએ ખાનગી શાળાઓ ઉભી કરી દીધી છે.
સ્કુલના માલિક પંજાબી હિન્દુ છે. વાલી પર ચીડાયેલા. મોટે મોટેથી બોલતા જાય, “તમને કહ્યું તો ખરું કે તમે વિદ્યાર્થીના પિતાનું પાન કાર્ડ, પગારની સ્લિપ લેતા આવો. પ્રવેશ આપી દઇશ. એના બદલે તમે તો ધારાસભ્ય પ્રમોદ પરમારને ફોન કર્યો. ઓલાને ફોન કર્યો અને પોલાને ફોન કર્યો.” સ્કુલના માલિક એટલે ઘાંટા પાડવાનો તો મને જ હક્ક છે, એવી મગરૂબી એમના ચહેરા પર ડોકાતી હતી. નેવુ કિલો વજન. લગભગ સાઇઠ ઇંચની કમર. આ માણસ શાળાના સંચાલક કરતા વધારે તો ચણા-મમરા વેચતા ભાડભૂંજિયા જેવો લાગતો હતો.
મેં એમને શાંતિથી સમજાવ્યા. કાયદાની જોગવાઈઓની વાત કરી એટલે એમણે કહ્યું, “મારી સ્કુલ માઇનોરિટી સ્કુલ છે, તોય મેં માનવતાને ખાતર આરટીઈમાં એડમિશન આપ્યા છે.” મેં એમને માઇનોરિટી ટ્રસ્ટ અને માઇનોટરિટી દરજ્જા વચ્ચેનો ફરક સમજાવ્યો. કોઈ શાળાના ટ્રસ્ટમાં ચોક્કસ માઇનોરિટીના લોકો હોય એટલે તે માઇનોરિટી થઈ જતી નથી. એ સ્કુલે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં લઘુમતી દરજ્જા માટે અરજી કરવી પડે છે. અને યોગ્ય ચકાસણી પછી સરકાર એ સ્કુલને માઇનોરિટીનું સ્ટેટસ ગ્રાન્ટ કરતો ખાસ પરિપત્ર બહાર પાડે છે. આ પરિપત્ર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને પહોંચતો હોય છે. એટલે જિલ્લામાં કેટલી શાળાઓ લઘુમતી દરજ્જો ધરાવે છે એની ડીઈઓને જાણ હોય જ. અને એવી શાળાને આરટીઈના ક્વૉટામાંથી બાકાત રાખી છે એટલે ડીઈઓ ત્યાં બાળકો મોકલે જ નહીં. મોકલે તો એની ફરજ ચૂક્યો છે એમ જ કહેવાય.
મારી વાત સાંભળીને એમની બોબડી બંધ થઈ ગઈ.

બીજા દિવસે વાલીનો ફોન આવ્યો કે બાળકને શાળામાં પ્રવેશ આપી દીધો છે.

તમે મારા દીકરા માટે એક મૌલવી જેવું કામ કર્યું છે

By Raju Solanki  || Written on 24 June 2018


બે વર્ષ પહેલાં રચના સ્કુલે કાઢી મુકેલા 11 બાળકોમાં એક બાળક અસ્લમ અંસારીનું પણ હતું. સ્કુલનો રૂ. 4,60,000 દંડ થયો અને સ્કુલ હાઇકોર્ટમાં દંડ માફ કરાવવા દોડી ત્યારે વાલીઓ પણ પક્ષકાર બન્યા, એ કેસમાં છ મહિના સુધી દર મુદતમાં નિયમિતપણે અસ્લમ અંસારી કોઇપણ બહાનું કાઢ્યા વિના હાજર રહેતા હતા.
મૂળ ઉત્તર પ્રદેશના ઇટાવાના વતની. અમદાવાદમાં એમના પિતા સ્થાયી થયા હતા. જાતે જુલાહા એટલે વણકરી તો એમની રગ રગમાં. રેડીમેડ ગારમેન્ટનું એકમ ઉભું કરેલું અને એમના પાંચ ભાઈઓ એમાં જ જોતરાયેલા. જે દિવસે હાઇકોર્ટના આદેશથી એમના દીકરાને આરટીઈમાં ફરી પ્રવેશ મળ્યો, એના બીજા દિવસે એમના હાથે બનાવેલા રેડીમેડ પેન્ટ-શર્ટની જોડી બોક્સમાં પેક કરીને મારા ઘરે આવેલા.
મેં કહ્યું, “આવું કંઈ આપવાની તમારે જરૂર નથી.”
એમણે કહ્યું, “અમે લોકો અમારા મૌલવીને કોઈ વસ્તુની ભેટ આપીએ છીએ. એને ‘અતીયા’ કહીએ છીએ. તમે મારા દીકરા માટે એક મૌલવી જેવું કામ કર્યું છે.”

અસ્લમ અંસારીના શબ્દો સાંભળીને મને કેવી લાગણી થઈ? હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. એટલું કહીશ કે એ રાત્રે મને સરસ ઉંઘ આવેલી.
(આજે જમાતે ઇસ્લામીના ‘ઇદ મિલન’ના કાર્યક્રમમાં આપેલા વક્તવ્યમાંથી)


Facebook Post :

રચના સ્કુલે ફગાવી દીધેલા બાળકોને આરટીઈમાં પ્રવેશ ફાળવાયો

By Raju Solanki  || Written on 18 June 2018




બે વર્ષ પહેલાં આરટીઈના 25 ટકા ક્વૉટાનું ધરાર ઉલ્લંઘન કરીને 11 બાળકોને શાળામાંથી હાંકી કાઢનારી સીબીએસઈની રચના સ્કુલની તાનાશાહી સામે આપણે કપરી લડત આપી હતી, સ્કુલનો રૂ. 4,60,000 દંડ કરાવેલો અને અદાલતમાં પણ તેને શિકસ્ત આપેલી. આ વર્ષે અમદાવાદના ડીઈઓએ પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની યાદી મોકલી તો એને પણ ઉદ્યોગપતિ લાલભાઈ જૂથની શાળાના મનસ્વી સંચાલકોએ ફગાવી દીધેલી. આ બાળકોના વાલીઓ રચના સ્કુલના વારંવાર ધક્કા ખાઈને કંટાળી ગયેલા. તેઓ મારા સંપર્કમાં હતા. મેં એમને કહેલું કે રચનાની નાણાકીય-રાજકીય તાકાત એવી છે કે સરકાર પણ એની આગળ પૂંછડી પટપટાવે છે. આપણે લડત આપવી પડશે.

ગત તેરમીએ ડીઈઓને સામૂહિક આવેદનપત્ર આપવા ગયા તેમાં રચનાના વાલીઓ પણ હતા. આજે વાલીઓએ ફોન પર જણાવ્યું કે તેમને પણ અન્ય શાળાઓ ફાળવવામાં આવી છે. અગાઉ આપણી લડતને કારણે કેન્દ્રીય વિદ્યાલયોમાં રીજેક્ટ થયેલા બાળકોને પણ શાળાઓ ફાળવાઈ ગઈ છે. ઉસ્માનપુરાની વિદ્યાનગર શાળામાં પ્રવેશ મેળવનારા બાળકના વાલીએ મને ફોન કરીને મારો આભાર માન્યો. મેં કહ્યું, મારો આભાર માનશો નહીં, આવી બીજી લડતમાં સાથે આવજો.