July 11, 2018

રચના સ્કુલે ફગાવી દીધેલા બાળકોને આરટીઈમાં પ્રવેશ ફાળવાયો

By Raju Solanki  || Written on 18 June 2018




બે વર્ષ પહેલાં આરટીઈના 25 ટકા ક્વૉટાનું ધરાર ઉલ્લંઘન કરીને 11 બાળકોને શાળામાંથી હાંકી કાઢનારી સીબીએસઈની રચના સ્કુલની તાનાશાહી સામે આપણે કપરી લડત આપી હતી, સ્કુલનો રૂ. 4,60,000 દંડ કરાવેલો અને અદાલતમાં પણ તેને શિકસ્ત આપેલી. આ વર્ષે અમદાવાદના ડીઈઓએ પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની યાદી મોકલી તો એને પણ ઉદ્યોગપતિ લાલભાઈ જૂથની શાળાના મનસ્વી સંચાલકોએ ફગાવી દીધેલી. આ બાળકોના વાલીઓ રચના સ્કુલના વારંવાર ધક્કા ખાઈને કંટાળી ગયેલા. તેઓ મારા સંપર્કમાં હતા. મેં એમને કહેલું કે રચનાની નાણાકીય-રાજકીય તાકાત એવી છે કે સરકાર પણ એની આગળ પૂંછડી પટપટાવે છે. આપણે લડત આપવી પડશે.

ગત તેરમીએ ડીઈઓને સામૂહિક આવેદનપત્ર આપવા ગયા તેમાં રચનાના વાલીઓ પણ હતા. આજે વાલીઓએ ફોન પર જણાવ્યું કે તેમને પણ અન્ય શાળાઓ ફાળવવામાં આવી છે. અગાઉ આપણી લડતને કારણે કેન્દ્રીય વિદ્યાલયોમાં રીજેક્ટ થયેલા બાળકોને પણ શાળાઓ ફાળવાઈ ગઈ છે. ઉસ્માનપુરાની વિદ્યાનગર શાળામાં પ્રવેશ મેળવનારા બાળકના વાલીએ મને ફોન કરીને મારો આભાર માન્યો. મેં કહ્યું, મારો આભાર માનશો નહીં, આવી બીજી લડતમાં સાથે આવજો.

No comments:

Post a Comment