May 02, 2017

શ્રમિક અધિકારોના પ્રાણદાતા આંબેડકર : મયુર વાઢેર

આજે આંતરરાષટ્રીય શ્રમ દિવસ નિમિત્તે શ્રમિક અધિકારોના મહાનાયક બાબાસાહેબ ડૉ. આંબેડકરને સ્મરણાંજલી. 
1937ની પ્રાંતિક ધારાસભાની ચુંટણીનાં એક વર્ષ પહેલાં બાબાસાહેબે ‘સ્વતંત્ર મજૂર પક્ષ’ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. તેમના પક્ષના નામકરણમાં જ મજૂરવર્ગના સ્વાતંત્ર્યની સંકલ્પના વ્યક્ત થયેલી જોઈ શકાય છે. ડો. આંબેડકરે પાર્ટીના મેનિફેસ્ટોમા ભૂમિહીનો, ગણોતિયા, ખેડૂતો અને ઔધોગિક કામદારોના ઉત્કર્ષની રૂપરેખા ઘડી હતી. તેમાં શ્રમિકોના શોષણનો અંત આણવાની અનેક યોજનાઓ કાર્યાન્વિત કરવાના મુદ્દાઓ સમાવિષ્ટ હતાં. તેના મેનિફેસ્ટોમાં ઔધોગિક કામદારોને મળતી સુવિધા ગણોતિયાને પણ સુલભ બને તેવા સૂચિતાર્થો વ્યક્ત કરવામાં આવ્યાં હતાં. અંગ્રેજ સરકાર અને સામંતશાહી દ્વારા થતા ખેડૂતો અને કામદારોનાં શોષણ નિર્મૂલન વિષયક ઘણાં જ મુદ્દાઓ આવરી લેવાયાં હતાં. તેમાં તે સમયે પ્રચલિત ‘ખોત પ્રથા’ અને ‘મહાર વતન’ જેવી શોષણખોર પ્રથાની નાબૂદીને પ્રાથમિક મુદ્દો બનાવ્યો હતો. બાબાસાહેબના પક્ષને ભારતના શોષિત-પીડિત દેશબાંધવોએ હ્યદયના આવકારથી વધાવ્યો હતો. ફેબ્રુઆરી 1937માં આયોજિત પ્રાંતિક ધારાસભાની ચૂંટણીમા સ્વતંત્ર મજૂર પક્ષે 17 ઉમેદવારો ઉભા રાખ્યાં હતાં. તેમાં ગરીબ-શોષિત પ્રજાએ સ્વતંત્ર મજૂર પક્ષના 17 પૈકી 15 ઉમેદવારોને વિજયી બનાવ્યાં હતાં. ડો. આંબેડકરે મુંબઈ વિધાનસભામાં પ્રવેશતાં જ ‘ખોતપ્રથા’ અને ‘મહાર વતન પ્રથા’ જેવી પ્રથા નાબૂદીના વિધેયક પ્રસ્તુત કરીને સદનનું ધ્યાન ખેડૂતો-શ્રમિકોની સમસ્યા તરફ આકર્ષિત કર્યું.
જૂલાઈ 1942ના રોજ ડૉ. આંબેડકર વાઈસરોયની એક્ઝીક્યુટિવ કાઉન્સીલમાં મજૂરપ્રધાન તરીકે નિયુક્ત થયા હતા. આ દરમિયાન તેમણે કામદારો અને દેશના ઉત્કર્ષ માટે યશસ્વી સેવા આપી હતી. ઓગષ્ટ 1942માં બાબાસાહેબે “સંયુક્ત શ્રમ સમ્મેલન”ના મંચ પરથી શ્રમ કાયદામા એકરૂપતા લાવવાની સ્પષ્ટતા કરી. મે 1943ની મજૂર સંઘની બેઠકમા તેમણે મજૂરોની આંતરિક ગુટબંધીને મજૂર આંદોલનની દુર્બળતા જાહેર કરી હતી. ડિસેમ્બર 1945માં તેમણે મજૂરોને કર્તવ્ય પ્રત્યે સભાનતા દાખવવા તેમજ માલિક વર્ગને મજૂર કલ્યાણ વિષે સમજ આપી હતી. મે 1943માં આયોજીત સ્થાયી મજૂર સમિતિની બેઠકમાં રોજગારીની તકને નિયત કરવા માટે રોજગાર વિનિમય કેન્દ્રની સ્થાપનાનો અનુરોધ કર્યો હતો. સપ્ટેમ્બર 1943મા ત્રિપક્ષીય મજૂર સંમેલનમાં તેમણે મજૂરો માટે અનાજ, કપડા, રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ જેવા એકમોની સ્થાપનાની માંગ કરી હતી. નવેમ્બર 1942મા ભારતીય શ્રમ અધિવેશનમા કામદારોનો શ્રમકાર્યના 14 કલાકથી ઘટાડીને 8 કલાક કર્યાં. જે આજે પણ પ્રાસંગિક છે. બાબાસાહેબના પ્રયત્નોથી ભારતીય ‘ટ્રેડ યુનિયન એક્ટ 1943’ પસાર થયો. કર્મચારીઓની સવેતન રજાઓ, તેમના વેતનમા વૃદ્ધિ, શ્રમિક સ્ત્રીઓને પ્રસુતિની સવેતન રજાઓ વગેરે બાબાસાહેબે મજૂર પ્રધાન તરીકે કરેલા પ્રદાનને આભારી છે.
(મારો લેખ “શ્રમિક અધિકારોના પ્રાણદાતા આંબેડકર”માથી કેટલાક અંશ સાભાર)
મયુર વાઢેર






Facebook Post :- 

No comments:

Post a Comment