July 03, 2017

બંધારણવાળો બાબો ભાગ ૯

By Raju Solanki




“દુનિયાના કોઈપણ દેશનું બંધારણ (ભારતના) બંધારણના મુસદ્દા (draft constitution) જેટલું દળદાર નથી એ વાતનો સ્વીકાર કરવો જ જોઇએ અને જે લોકોએ આ મુસદ્દાનો અભ્યાસ ના કર્યો હોય તેમના માટે તેના વિશિષ્ટ અને ખાસ લક્ષણો સમજવા અઘરા હશે.”
ડો. બાબાસાહેબ આંબેડકરે જ્યારે બંધારણસભામાં દેશના બંધારણનો મુસદ્દો રજુ કર્યો ત્યારે ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા. આઠ મહિના સુધી મુસદ્દો પબ્લિક ડોમેનમાં મુકાયો હતો અને તેના અંગે થયેલી ટીકાઓથી બાબાસાહેબ સૂપેરે અવગત હતા. આ દેશની રગેરગ જેમની જાણમાં હતી તેવા આ મહામાનવને એ હકીકતની પણ ખબર હતી કે સિત્તરે વર્ષ પછી પણ આ દેશમાં જાતિવાદી ટુણીયાટ કટારલેખકો આ પવિત્ર ગ્રંથ પર કીચડ ઉછાળશે અને ગાયનું મૂતર પીને જેમના મગજમાં ન્યુરોન્સની જગ્યાએ પોદળા જામી ગયા છે તેવા લોકો આ બંધારણને અરબી સમુદ્રમાં ફગાવી દેવાની પણ માગણી કરશે.
અમેરિકા, સ્વિસ અને બ્રિટિશ લોકશાહીઓ સાથે ભારતની લોકશાહીની તુલના કરતા તેમણે જણાવેલું કે,
“અમેરિકા અને સ્વિસ વ્યવસ્થાઓ વધારે સ્થિરતા અને ઓછી જવાબદારી આપે છે. જ્યારે બ્રિટિશ વ્યવસ્થા વધારે જવાબદારી અને ઓછી સ્થિરતા આપે છે. કારણ સ્પષ્ટ છે. અમેરિકી કારોબારી તેના અસ્તિત્વ માટે કોંગ્રેસની બહુમતી પર નિર્ભર નથી. જ્યારે બ્રિટનની વ્યવસ્થામાં સંસદીય કારોબારી છે, જે સંસદમાં બહુમતી પર નિર્ભર છે. અમેરિકાની કોંગ્રેસ કારોબારીને બરખાસ્ત કરી શકતી નથી. જ્યારે સંસદીય સરકાર જે ઘડીએ સંસદની બહુમતીનો વિશ્વાસ ગુમાવે છે તે જ ક્ષણે તેણે રાજીનામુ આપી દેવું પડે છે.” 
અને આ તુલના દ્વારા તેમણે જણાવ્યું કે શા માટે આપણે ભારતમાં બ્રિટન જેવી સંસદીય પ્રણાલી અપનાવી છે.
(ફોટો - બ્રિટનનું હાઉસ ઓફ કોમન્સ)

- રાજુ સોલંકી



Facebook Post :-

No comments:

Post a Comment