July 19, 2018

સંવિધાન સભાની ચુંટણીમાં બાબા સાહેબ અને અસ્પૃશ્ય સમાજના લોકોનો સ્વયંભૂ સંધર્ષ

By Jigar Shyamlan ||  Written on 2 April 2018



State and Minorities: What are their Rights and How to secure them in the Constitution of free India? નામનાં ગ્રંથમાં બાબા સાહેબે આંકડાકીય હકીકતો અને યોગ્ય દલિલો પરથી પુના કરારના કારણે અસ્પૃશ્યોને કેટલું પારાવાર નુકશાન કર્યુ તેની વિગતો વર્ણવી હતી.

બાબા સાહેબે પુનાકરાર કરતી વખતે કરેલ ધારણા સો ટકા સાચી બની રહી હતી કે પુના કરારને કારણે અસ્પૃશ્યોના સાચા પ્રતિનિધી ચુંટાઈ નહી શકે. આથી પુના કરાર રદ કરવા તથા સ્વતંત્ર ભારતના ભાવિ સંવિધાનમાં અસ્પૃશ્યોના અધિકારોની જોગવાઈ કરવાની ખાત્રી માટે 1946માં શિડ્યુલ્ડ કાસ્ટ ફેટરેશન દ્વારા સત્યાગ્રહ શરૂ કરાયો હતો.

જે વાયા મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રસરી રહ્યો હતો. તેમાં હજારો અસ્પૃશ્યો ભાગ લેવા માંડ્યા હતા અને ધરપકડ વહોરી રહ્યા હતા.

જો કે એ વખતે પુના કરારના ફળ સ્વરૂપ ચુંટાયેલ અસ્પૃશ્ય પણ કોન્ગ્રેસી ''હરિજનો'' આ સત્યાગ્રહનો વિરોધ કરી રહ્યા હતા. એક તરફ આ સત્યાગ્રહ ચાલતો હતો બીજી તરફ સંવિધાન સભાની ચુંટણીઓ યોજાઈ રહી હતી. બાબા સાહેબે લંડન જઈ બ્રિટિશ નેતાઓની મુલાકાત લઈ અસ્પૃશ્યોની સ્થિતી વિશે માહિતગાર કરવા પ્રયાસ કરી જોયો પરંતું તેમાં સફળતા ન મળી. આ ફોગટના ફેરા પછી એક વાત સ્પષ્ટ હતી કે જો અસ્પૃશ્યો માટે ખરેખર કંઈક કરવું હોય તો સંવિધાન સભામાં જવુ એ જ એકમાત્ર રસ્તો હતો.

આ સમય ભારે કટોકટીનો હતો. કારણ એક તો ક્રિપ્સ મિશનમાં અસ્પૃશ્યોને કોઈ સ્થાન અપાયું ન હતું, અને બીજુ એ વખતના રાજકીય નેતાઓ અને પક્ષો અસ્પૃશ્યોના પ્રશ્ને સૌ મૌન હતા. કોઈને અસ્પૃશ્યોની કંઈ પડી ન હતી તેવો માહોલ સ્પષ્ટ હતો.

આવા સંજોગોમાં સંવિધાન સભા માટે ચુંટણી યોજાવા જઈ રહી હતી એટલે અસ્પૃશ્યોના અવાજને બુલંદ કરવા સંવિધાન સભામાં બાબા સાહેબનો પ્રવેશ થવો અત્યંત અનિવાર્ય બની ગયો હતો.

જો કે એ વાત ખાસ ઉલ્લેખનીય છે કે સંવિધાન સભામાં બાબા સાહેબના પ્રવેશ સામે જબરજસ્ત વિરોધ હતો. બાબા સાહેબ સંવિધાન સભામાં પ્રવેશ ન કરી શકે તે માટે કોન્ગ્રેસે શામ, દામ, દંડ અને ભેદ તમામ ઉપાય અજમાવ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલે તો ત્યાં સુધી કહી દીધુ હતુ કે- ''મેં સંવિધાન સભાનાં બારી-બારણાં અને વેન્ટિલેશન પણ બંધ કરી મણમણનાં તાળા લગાવ્યા છે, હવે જોઈયે ડો. આંબેડકર સંવિધાન સભામાં કેવી રીતે આવે છે?''
(સોર્સ: ડો. આંબેડકર જીવન ઔર મિશન (હિન્દી) લેખક- એલ.આર.બાલી, પેજ નંબર-25)

આવા કપરા સંજોગોમાં બંગાળી જોગેન્દ્રનાથ માંડલે બાબા સાહેબને સંવિધાન સભામાં મોકલવાનું બિડુ ઝડપ્યું હતુ અને બંગાળ વિધાનસભા મતદાર મંડળમાંથી બાબા સાહેબનુ ઉમેદવારી પત્ર ભરાવેલું.

એ વખતે કોલકાત્તાના પંજાબી અસ્પૃશ્યો ગમે તે ભોગે બાબા સાહેબને સંવિધાન સભામાં મોકલી આપવા મક્કમ નિર્ધાર કરીને બેઠા હતા. આ બધા અલગ અલગ જુથોમાં વહેંચાઈને અસ્પૃશ્ય ધારાસભ્યોના નિવાસસ્થાનોની ઘેરાબંધી કરીને બેઠા હતા. એ વખતે બાબા બુધ્ધસિંહ તલહનતો હાથમાં ખુલ્લી તલવાર સાથે ટોળાની વચ્ચે ઘુમી રહ્યા હતા.

એક એક ધારાસભ્યને ખુલ્લી ચિમકી આપવામાં આવી હતી કે બાબા સાહેબને મત નહી આપો તો તમારી ખેર નથી.
(સોર્સ: આંબેડકરી આંદોલનમાં પંજાબીઓનો ફાળો (હિન્દી) લેખક- કે.સી.લીલ, પેજ નંબર-25)

આખરે ગાંધીજી અને કોન્ગ્રેસના અપાર વિરોધ વચ્ચે બાબા સાહેબ સૌથી વધુ મતો મેળવી સંવિધાન સભામાં પહોંચ્યા હતા.

સંવિધાન સભાની આ ચુંટણી Do or Die સમાન હતી જેમાં બાબા સાહેબ વિજયી નિવડ્યા હતા.

એ વખતે આમ અસ્પૃશ્ય સમાજના લોકોએ બાબા સાહેબને સંવિધાન સભામાં પ્રવેશ મળે એ માટે સ્વયંભુ કહી શકાય તેવો સંધર્ષ કરેલો.

આ પ્રસંગ એટલા માટે જણાવવો જરૂરી છે કે અસ્પૃશ્યો ખરેખર એ વાત સારી રીતે સમજતા હતા કે બાબા સાહેબ સિવાય તેમનું કોઈ નથી.
- જિગર શ્યામલન




Facebook Post

No comments:

Post a Comment