July 19, 2018

વર્તમાનમાં રહેલો નજીકનો ફાયદો જોતા પહેલા ભવિષ્યમાં પડેલા દૂરના નુકશાનને જોવુ જોઈયે..

By Jigar Shyamlan ||  Written on 5 April 2018



આજે સોશિયલ મીડિયા ફેસબુક અને વોટ્સએપ્પ પર બાબા સાહેબના વિચારોનો ફેલાવો જોઈને મન પ્રસન્ન બની જાય છે. દિલમાં એક હાશકારો થાય છે કે આંબેડકરવાદ હજી જીવંત છે, અને વધુને વધુ ફેલાઈ રહ્યો છે.

પણ..!!! બીજી જ ક્ષણે મનમાં એક વિચાર ઘેરી વળે છે, અને મુંઝવણ વધારી દે છે.

શું આજના સોશિયલ મીડિયામાં પ્રસરી રહેલ અને મિનીટે મિનીટ ફોરવર્ડ થઈ રહેલ આંબેડકરવાદ એ ખરેખર બાબા સાહેબને વાંચીને, સમજીને વ્યક્તિના અંતર થી પ્રગટ થયેલ આંબેડકરવાદ છે કે કોઈના ઉધાર લીધેલા વિચારોમાંથી પેદા થયેલ ક્ષણીક રેડીમેઈડ આંબેડકરવાદ..????

કારણ બાબા સાહેબને વાંચ્યા વગર, સમજ્યા વગર પોતાના અંતર મનથી પેદા થયેલ આંબેડકરવાદને બદલે કોઈ બીજાના વિચારોને ઉધાર લઈને અપનાવેલ રેડીમેઈડ આંબેડકરવાદ ખતરનાક સિધ્ધ થશે.

મિત્રો... ગણીતનો ભારેખમ દાખલો કે સવાલ સોલ્વ કરવા માટે ગાણિતીય સુત્રો અને રીતને વાંચવી, સમજવી ખુબ જ જરૂરી છે. પણ મોટા ભાગે શું કરવામા આવે છે..???

આ કવાયત કર્યા વગર ગાણિતીય સુત્રો અને રીતને સમજ્યા તેની પર ગણતરી કર્યા વગર છેલ્લે પાને આપેલ જવાબ જોઈને સવાલ કે દાખલો સોલ્વ કરી દેવાની મોટા ભાગનાને ટેવ હોય છે. આવા રેડીમેઈડ જવાબ અને ઉકેલ મળવાને કારણે દાખલા કે સવાલને ઉકેલવાની રીતમાં બહુ રસ લેતા નથી.

એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે જવાબ કે ઉકેલ મહત્વનો નથી. મહત્વ એ વાતનું છે કે તમે કઈ રીત અને ક્યા સુત્રથી જવાબ લાવો છો. કારણ યોગ્ય રીત કે સુત્ર વગરના જવાબની કિંમત શૂન્ય છે.

આ રેડીમેઈડ જવાબ જોઈ લેવાની આપણી વૃત્તિ આપણને સવાલ પર વિચાર કરી વિચારવાની પ્રક્રિયાથી સાવ દુર રાખે છે.

આપણે ખરેખર બાબા સાહેબના મેસેજ ફોરવર્ડ કરતા પહેલા કે જયભીમ બોલતા પહેલા આપણે દિલ પર હાથ મુકીને અંતર મનને પુછવું જોઈયે કે આપણો આંબેડકરવાદ બાબા સાહેબને વાંચી, સમજીને પેદા થયેલ આંબેડકરવાદ છે કે કોક બીજાના વિચારો કે ફોરવર્ડ કરાયેલ મેસેજોમાંથી ઉધાર લીધેલ રેડીમેઈડ આંબેડકરવાદ.

કોક દિવસ અંતર મનને પુછી જો જો. કારણ વર્તમાનમાં રહેલો નજીકનો ફાયદો જોતા પહેલા ભવિષ્યમાં પડેલા દૂરના નુકશાનને જોવુ જોઈયે..
જય ભીમ
- જિગર શ્યામલન

No comments:

Post a Comment