August 26, 2017

શ્રદ્ધા, અંધશ્રદ્ધા, અને અંધશ્રદ્ધા નો અતિરેક

By Milan Kumar || 21 Aug 2017 


નમસ્કાર મિત્રો, ગઇ કાલે નરેન્દ્ર દાભોલકર ની પુણ્યતિથિ હતી, નરેન્દ્ર દાભોલકર વ્યવસાયે ડૉક્ટર અને અંધશ્રદ્ધા સામે પ્રચંડ ચળવળ ચલાવનાર વ્યક્તિ હતા. તેમણે મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ ની સ્થાપના કરી હતી. જેમની પૂનામાં મોર્નિંગ વૉક દરમિયાન હત્યા કરવામાં આવી હતી. એમની સ્મૃતિમાં આજે આ લખવાનો વિચાર આવ્યો.



વર્ષોથી ચાલી આવેલી પણ હમણાં હમણાં પ્રસાર માધ્યમોના કારણે જાગૃતિ આવવાથી વધુ પ્રચંડ બનેલી વિચારોની આ લડત અનેક પ્રશ્નો ઊભા કરે છે. 



સૌ પ્રથમ વાત કરીએ શ્રધ્ધાની. 
શ્રદ્ધા એટલે શું??



તો બસ એમાં જલન માતરી નો આ એક શેર ઘણું બધું કહી જાય છે,


શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.


શ્રધ્ધા ના વિષય માં કંઈક એવું જ છે, એની સામે આપણે તર્ક થી લડવા જઈએ તો પણ શ્રદ્ધાળુઓ જેની જેની શ્રદ્ધા એમ કહીને છૂટી પડતા હોય છે. હું એવું માનું છું કે જ્યારે ઘરેથી બહાર નીકળતી વખતે તમે તમારા ઇષ્ટ દેવને પ્રણામ કરીને નીકળો છો,કો બધું સારું થાય તો એ તમારી શ્રદ્ધા છે. તમે પેપર લખતા પહેલાં જય માતાજી , જય શ્રી રામ, જય ભીમ, મનમાં બોલો છો કે પછી જીસસ, અલ્‍લાહ ને યાદ કરો છો એ તમારી શ્રદ્ધા છે. તમે કંઇક ખરાબ કરવા જાઓ ને કોઈ નું સ્મરણ તમને રોકી લે તો એ તમારી તેના પ્રત્યેની શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા સામાજિક રીતે ખાસ અડચણરૂપ નથી, જો તે વ્યક્તિ ના મન અને ઘર પૂરતી સિમિત રહે તો.


હવે વાત કરીએ અંધશ્રદ્ધાની,
તો અંધશ્રદ્ધાનો જન્મ તો શ્રદ્ધામાંથી જ થાય છે, જ્યારે આપણે જરૂરી સમજણ નથી કેળવી શકતા અને કટ્ટર ધાર્મિકતા ને કારણે અમુક સત્યો નથી સ્વીકારતા. વ્યક્તિ ઇશ્વર માં માને છે,પણ એને અમુક ચોક્કસ ક્રિયાકાંડ કરશો તો જ પ્રસન્ન થશે, સાત પૂનમ ભરો તો જ નોકરી મળશે, ફલાણા વ્રત કરું તો જ ફલાણું સુખ મળશે આ આપણી અંધશ્રદ્ધા છે જેનો લાભ અનેક લોકો ઊઠાવે છે. તમે ફક્ત એની પૂજા કરો, ને એ તમારા કામ કરી દેશે. ઇશ્વર એટલો સ્વાર્થી છે?શ્રદ્ધા વર્તમાન પત્રો વાંચતા હશો તો લોકોની શ્રદ્ધા નો ફાયદો ઊઠાવતા ધૂતારાઓના કારનામા રોજ છપાતા હોય છે. શિક્ષિત કુટુંબો પણ એમાંથી બાકાત નથી જે લોકો અંધશ્રદ્ધા ને કારણે પોતાની જુવાન પુત્રી /વહુને પણ આવા ધુતારાઓની જાળમાં નાખી દેતા હોય છે, અનેક રૂપિયા નો વ્યય કરે છે ને અંતે પોલીસ ના શરણમાં જાય છે.આ તો સામાન્ય ઉદાહરણ છે, બાકી અત્યંત નિમ્ન કક્ષાની અંધશ્રદ્ધાઓ આપણા દેશમાં પ્રવર્તે છે, જેમાં મોટા ભાગે નિમ્ન ગણાતા અને ગરીબ લોકો ને જ નુકસાન થાય છે.બીજી એક વાત કે દેવી ને પૂજતા આપણા દેશમાં વિધવા સ્ત્રી ને અત્યંત અપવિત્ર માનવામાં આવે છે, એના હાથે શુભ પ્રસંગે કંઈ કરાવવામાં આવતું નથી. (આ પ્રથા ને પડકારવા અમે અમારા દરેક કાર્યક્રમ માં વિધવા મહિલાઓ ને હાથે અનેક સારા કામ કરાવીએ છીએ)આ પણ એક અંધશ્રદ્ધા જ છે ને આવી અનેકો અંધશ્રદ્ધાથી સ્ત્રી પણ અનેક પ્રકારની ગુલામી ભોગવે છે. 



હવે છેલ્લે અંધશ્રદ્ધા નો અતિરેક,
ગુગલમાં પશુ બલિ લખીને સર્ચ કરજો,ઇમેજસ જોજો અને માહિતી વાંચજો. ઇશ્વર ને નામે અનેક પ્રાણીઓ ની નિર્મમ હત્યા થઈ જાય છે, કેટલાક ઠેકાણે તો બાળકો ને બલિ ચઢાવી દેવાના પણ કિસ્સાઓ સામે આવે છે. ઇશ્વર ને અલ્‍લાહ માટે માસૂમ લોકોની હત્યાઓ નો પણ આમાં જ સમાવેશ થઈ શકે. તમને આ દોષ નડે છે, આટલું કરો તો હું એનું નિરાકરણ લાવી દઈશ. ને આપણા ભણેલા ગણેલા લોકો એ બધું કરે છે જે પેલો કહે છે. અમારા ફળિયામાં કેટલાક ઘર એવા છે જ્યાં છોકરાઓ ને પૂરતી સગવડ નથી મળતી પણ ફલાણા માતાજી ના વ્રત આવે એટલે એ જ લોકોમાં મોંઘી ને મોટી મૂર્તિ લાવવાની હરિફાઇ હોય છે, મોટી મૂર્તિ વધારે કૃપા કરે કે શું?


આપણે કહેવાને માટે આઝાદ થઈ ગયા પણ આજે પણ આપણું મન અનેક માન્યતાઓની ગુલામીમાં છે. અંધશ્રદ્ધા નો કારોબાર કોણ ચલાવે છે,એનાથી એમને શું ફાયદો છે એ બધી વાત જવા દઈને એક જ વાત વિચારીએ, કે કોઈ તમને ત્યારે જ મૂર્ખ બનાવી જાય છે જ્યારે તમે મૂર્ખ બનવા તૈયાર હોવ છો, 


ક્યાં સુધી બનશો??

એક લેખમાં મેં વાંચ્યું હતું કે,
શ્રદ્ધા ના સેલ્સમેનો જાણે છે કે પ્રજા આંધળી છે.!

મિલન કુમાર 

No comments:

Post a Comment