May 14, 2017

ભુત, ડાકણ- હકીકત અને કલ્પના- દિનેશ મકવાણા

છાણી જકાત નાકાથી ચાલતા ચાલતા મારા ઘર તરફ જઇ રહ્યો છુ રસ્તામાં ત્રણ ચોકડી આવે છે. પહેલી ચોકડી પર પાણીથી ગોળ કુંડાણુ કરીને વચ્ચે નાળિયેર મુક્યુ છે. બીજી વસ્તુઓ પણ ત્યાં છે. દરેક ચાલનાર સાવધાની પુર્વક ચાલીને તેની બાજુમાંથી પસાર થાય છે. રખે ને તેની પર પગ પડી ના જાય? આ વારીને મુકેલા કેટલાય નાળિયેરો ગામડાના દરેક ચાર રસ્તે એટલે કે ચકલે જોવા મળે છે.
મારુ મુળ ગામ ઉમરેઠ અને એક જુની કહેવત યાદ આવે છે.
"ઓડ, ઉમરેઠ ના ઉંડા કુવા
દીકરી આપે તેના માબાપ મુઆ.."
કયા સંદર્ભમાં આ વાત કહેવાઇ હશે તે સમજાતુ નથી. કુવા ઉંડા હોય તે પાણી હંમેશા મળે અને પાણી હોય તે ગામ કે પ્રદેશ હંમેશા સુખી હોય. પરંતુ કેટલાક ઉમરલાયક વડીલો સાથે થયેલી વાતચીત અને તેનું વાંચન ઘણી બધી અવનવી વાત બહાર લાવે છે. જે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે.
આજકાલ ભુતો કે ડાકણો બહુ ઓછા જોવા મળે છે પરંતુ ૧૯૯૫ સુધી તેમનો પ્રભાવ ખાસ કરીને ખુબ હતો. આવું કોઇક વળગણ થાય અને ઘરવાળા હેરાન પરેશાન થઇ જાય. કારણ કે આના ખાસ ડોક્ટર એટલે કે ચોક્કસ ભુવાને શોધવાના રહે. રાહ જોતા રહેવાનું. કોઇક સારો ભુવો આવે અને આ વળગણ ને કાઢે પછી બધાને શાંતિ થાય. પરંતુ આ આખી પ્રક્રિયા બહુ કષ્ટદાયક હોય. જે નવી પેઢીના છે તેઓ આ બધી વાતને નહી માને પણ કહે છે અમારા ગામમાં એક સાથે સાત સાત ડાકણો રાત્રે બે વાગ્યાથી ફળિયામાં ફરવાનું શરુ કરી દે. તેમના ઝાંઝરનો અવાજ કેટલાય વડીલો એ સાંભળ્યો છે.
ડાકણોના પ્રત્યક્ષ અનુભવ મને થયા છે. મને કોઇ વળગ્યું નહોતુ પણ જેને વળગ્યું તે મારા નજીકના સંબંધી હતા. ભગવાન કે માતા ને હુ નથી માનતો પરંતુ આ ભુત કે ડાકણ જેવી વસ્તુનું અસ્તિત્વ ચોક્કસ સમયે હતું તેને હુ નકારતો નથી.
ઉમરેઠમાં એક ચકલે જમવાની વસ્તુઓ મુકેલા. તે કુડાળામાં જવાની કોશિશ એક કુતરુ કરતું હતું પણ તેને કોઇ અદ્રશ્ય રીતે મારીને ભગાડતું હોય તે મે મારી નજરે જોયું છે. આવા ચકલાના નાળિયેર ખાવાની આદતને કારણે એક વ્યકિત ને જન્ન વળગ્યો હતો. જ્યારે તેનામાં પ્રવેશે ત્યારે પાંચ વ્યકિત ને એકી સાથે ફેંકી દેતા મે જોઇ છે.
તે કડવી હકીકત છે ભુત, ડાકણો માત્ર સમાજના નીચલા વર્ગમાં જ પેદા થયા. કોઇ ઉપલા વર્ગમાં બહુ સંભળાતું નથી. હજુ સૌરાષ્ટ્રમાં કેટલાય ગામડામાં જોવા મળે છે.
અમદાવાદ ના ચાંદખેડામાં રહેતા નાયબ કલેક્ટરે નોકરી છોડીને સાધના શરુ કરી. તેમણે પુસ્તક બહાર પાડ્યું હતું તેમાનો એક પ્રસંગ મને યાદ આવે છે. સૌરાષ્ટ્રના એક ગામમાં તેમને બોલાવવામાં આવ્યા. તે ગામમાં રહેતા રાજવી પરિવાર ની એક જ ફરિયાદ હતી કે તેમના કુટુંબમાં ૩૦ વર્ષથી વધુ કોઇ પુરુષ જીવી શકતો નથી. નાયબ કલેક્ટર તે પ્રસંગ વિશે લખે છે કે ૨૦૦ વર્ષ પહેલા રાજવી પરિવારના કોઇક રાજાએ કોઇ સાધુનું અપમાન કર્યું, તેથી ગુસ્સે થઇને તે સાધુએ એક ઝાંપણી ને આદેશ આપ્યો કે તારે આ ઘરના કોઇ પણ પુરુષને ૩૦ વર્ષથી વધુ જીવવા દેવા નહી. દરેકના મૃત્યુનું કારણ અભેદ રહેતું. સાધુ મૃત્યુ પામ્યો અને આ ઝાંપણીને આદેશમાંથી કોણ મુક્ત કરે? નાયબ કલેક્ટર એક ખાસ પ્રકારની સાધના કરીને ઝાંપણીને હાજર કરી તેને મુક્ત કરવાની રીત જાણી લઇને મુક્ત કરે છે ત્યાર બાદ તે રાજવી પરિવારમાં હવે કોઇનુ મૃત્યુ ૩૦ વર્ષે થતું નથી. કેટલાકને બહુ નવાઇ લાગશે પણ એક નાયબ કલેક્ટરે લખેલી વાતને હુ જુઠ માનતો નથી.
ડાકોરમાં રહેતા નવનીત સેવકે પણ આના વિશે એક નવલિકા લખી હતી જેમાં ડાકણને એક યુવક સાથે પ્રેમ થાય છે પરંતુ બંને મળી શકતા નથી કારણ કે બંનેની દુનિયા જુદી છે.
હવે આવું કોઇ વિચિત્ર વર્તન કરે તો સીધા માનસિક રોગના ડોક્ટર પાસે લઇ જવામા આવે છે. પહેલા કહેતા કે સમય પહેલા મૃત્યુ આવે તો જીવ અવગતીયો રહે. પણ હવે આ બધુ બંધ થઇ ગયું છે. વિજ્ઞાન અને શિક્ષણના પ્રભાવની સામે ભુતો કો ડાકણ અદ્રશ્ય થઇ ગયા છે. આપણા લોકો અંધશ્રદ્ધા માથી મુક્ત થયા છે ભૂવાઓ નો ધંધો બંધ થઇ ગયો છે. તેથી નવા ભુવા પેદા થતા નથી. થોડુક હજુ રહ્યું હશે પણ બદલાવ આ દિશામાં જરુર આવી રહ્યો છે.
ખેડા ની પાસે આવેલા નવાગામ અને તેની આસપાસ આવેલા નામા ગામડાના સ્ત્રી પુરુષો બાળકો ભેગા થઇને કાળીચૌદશની રાત્રે સ્મશાનમા મા જાય, ત્યાં બેસીને બધા નાસ્તો કરે. સવારે ચાર વાગ્યા સુધી રોકાય. આવું કરીને તે કહેવા માંગે છે હવે સ્મશાનમા કશુ હોતુ નથી. આ પ્રયોગ દરેકે કરવા અને કરાવવા જેવો છે. તેનાથી પણ ઘણી બધી શંકાનું સમાધાન થઇ જશે.
લેખ બહુ લાંબો થઇ ગયો.
અંધશ્રદ્ધા માથી શ્રદ્ધાના પ્રકાશ તરફ લઇ જનાર તમામ ને અર્પણ.
-- દિનેશ મકવાણા

No comments:

Post a Comment