August 13, 2017

રાંધણ છઠ - કલ્પના અને હકીકત

By Dinesh Makwana  || 13 August 2017


બાળપણમાં એક કથા સાંભળેલી. શીતળા માતા દરેકના ઘેર સાતમના દિવસે બધાના ઘેર ફરતા રહેતા. દરેકનો ચુલો ચેક કરતા, તેમાં આળોટતા. તેઓ દઝાઇ ના જાય અને તેઓ શાપ ના આપે તેથી શીતળા સાતમ ના દિવસે રાંધવાનું કામ બંધ રાખીને ચુલો ઠંડો રાખવામા આવતો તેથી શીતળા માતા તમારા ઘેર આવીને ચુલામા આળોટી શકે. આના કારણે શીતળા સાતમનું જમણ અને બીજું પીણું પણ આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે બની જતુ. નાના હતા રાંધણ છઠની રાહ જોતા. સ્થિતિ પ્રમાણે દરેકના ઘરમા જમણ બનતું પણ મોટે ભાગે પુરી અને ઢેબરા રહેતા. રાતે બહુ મજા આવતી. આખી રાત કામ ચાલતુ. રાત્રે ગરમ ગરમ પુરી અને ઢેબરા ખાવા મળતા. ઘરની દરેક વ્યકિત આ કામમાં પરોવાયેલી રહેતી. માત્ર બીજા દિવસે જ નહી પણ ત્રણ ચાર દિવસ ચાલે તેટલું ભોજન બનતું. અને શીતળા સાતમ સિવાયના દિવસે હોંશથી ઠંડું ભોજન આરોગતા રહેતા. અને શીતળા માતાને ખુશ કરતા. કલ્પનાના બીજા રંગ પુરીને આ કથાને લાંબી કરી શકાય.

હકીકત:
મોટે ભાગે બાકીની બીજા માતાઓ માત્ર દલિતોને ભાગે આવેલી હતી પરંતુ આ શીતળા માતા સમાજના દરેક વર્ગમાં ફેલાયેલી હતી. દલિતોને તો માત્ર ઉપલા વર્ગની કોપી કરવાની હતી. ૫૦ કરોડ હિન્દુઓની વસતી હતી ત્યારે લગભગ ૧૦ કરોડ ઘરમા શીતળા માતા એક સાથે જઇ શકતા હશે અને ચેક કરતા હશે કે તેમનો ચુલો ઠંડો છે કે નહી. કોઇએ તર્ક કેમ ના કર્યો. સહદેવની પાસે વરદાન હતું કે તે એક માથી અનેક થઇ શકે છે પણ સ્પષ્ટ સંખ્યા મહાભારતના લેખકે બતાવી નથી. શીતળા જો ખરેખર માતા હોય તો આવી શરત શા માટે કે બીજા દિવસે ઠંડું જમવાનું. એક દિવસ ઉપવાસ રાખવાની વાત કે ઓછું જમવાની વાત સમજી શકાય પણ આ માતા તમારું ભલું ઇચ્છતી હતી કે બુરુ તે સમજી શકાતુ નથી. શીતળા માતાની પુજા કેમ ચોમાસામાં ? જબ કી આ સમયમાં સૌથી વધુ રોગચાળાનો સમય હોય ત્યારે ઠંડું જમવાથી બિમાર પડવાની શક્યતા વધારે હોય. કેમ કોઇ તર્ક કરતું નથી, કેમ હજુ સુધી આપણા આ ઘરમા ચાલી રહ્યું છે. જ્યારે ૯૫ ટકા ઘરમા હવે ગેસ પર ભોજન બની રહ્યું છે. ગેસ માત્ર પંદર મિનિટ મા ઠંડો થઇ જાય તેવું ઠંડું વાતાવરણ છે. પણ આપણે એક કાલ્પનિક માતાથી ડરી રહ્યા છે. શીતળા માતાની રસી હવે બાળપણથી જ લગાવવામાં આવે છે. કેમ આપણી પાસે આજે પણ વૈજ્ઞાનિક દષ્ટિકોણ નથી? કેમ આપણે હજુ આ પાખંડોમાંથી બહાર નીકળી શકતા નથી?

વારંવાર આ પ્રકારની લેખમાળા લખીને કોઇની શ્રદ્ધાને આહટ પહોંચાડવાનો ઇરાદો નથી પણ જીવનમાં તમે તર્ક કરતા થાવ, વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ને આ પાખંડોમાંથી બહાર નીકળશો તો મારી મહેનત એળે નહી જાય.

દિનેશ મકવાણા
૧૩/૮/૨૦૧૭ વડોદરા

No comments:

Post a Comment