July 06, 2017

સશક્ત વિપક્ષ વિશે ડો. આંબેડકર ના વિચારો

By Jigar Shyamlan




ડો. આંબેડકરે એક સભામાં શાસક પાર્ટી પર નિયંત્રણ રાખવા માટે વિપક્ષની ખુબ જ જરૂરિયાત હોવા અંગે પર ભારપૂર્વક કહ્યું હતું. વધુમાં એક શસક્ત વિરોધ પક્ષની મહત્વતા પર બોલતા એમણે કહ્યું હતું કે,
“કોઇ પણ એક જ પાર્ટીને અસિમિત અધિકારો ન મળવા જોઇયે અને જો આવી સ્થિતી પેદા થાય તો, મૌન અને તટસ્થ રહેવું લોકો માટે ખરાબ જ ગણાશે.”

“પ્રજા સોશ્યલિસ્ટ પાર્ટી” અને “અખિલ ભારતીય અનુસૂચિત જાતિસભા”આ બન્ને દળ સ્વતંત્રતા, સમાનતા અને લોકતાંત્રિક સમાજવાદના ઉમદા હેયુઓ માટે ચૂંટણી લડી રહ્યા હતા. ડો. આંબેડકરનો સ્પષ્ટ વિચાર એ હતો કે આ જોડાણને ભલે સરકાર બનાવવામાં અસફળતા મળે પરંતું તેઓ એક સશક્ત વિરોધ પક્ષ બનાવવામાં ચોક્કસ સફળ થશે. એમણે આગળ જણાવતા કહ્યું કે સંખ્યાથી કોઇ મતલબ નથી. વિપક્ષની ગુણવત્તા જ મહત્વપૂર્ણ છે. ડો. આંબેડકરે લોકોને અપિલ કરી કે જો તેઓ “અખિલ ભારતીય અનુસૂચિત જાતિસભા” અને “પ્રજા સોશ્યલિસ્ટ પાર્ટી” ના તમામ ઉમેદવારોને જિતાડી ન શકે તો કાંઇ નહી એમાંથી સર્વોત્તમ લોકોને જ જીતાડે જેથી વિપક્ષ શ્રેષ્ઠ કોટીનો બને.
સશક્ત વિપક્ષની જરૂરિયાત પર જોર આપતા ડો. આંબેડકરે કોન્ગ્રેસને અન્ય પાર્ટીઓને વિપક્ષી પાર્ટીઓ તરીકે કામ કરવા દેવા અને લોકોની રાજનિતીક અવાજ પર લગામ ન લગાવવા જણાવ્યું હતું. ડો. આંબેડકરે ધનિક વર્ગના લોકોને કોન્ગ્રેસને ચૂંટણી ફંડ ન ફાળવવા અનુરોધ કર્યો હતો.
ડો. આંબેડકરે “અખિલ ભારતીય અનુસૂચિત જાતિસભા” અને “પ્રજા સોશ્યલિસ્ટ પાર્ટી” વચ્ચેના જોડાણનો મુખ્ય હેતુ કોન્ગ્રેસના વિરોધ માટેનો હોવાનું એક ચૂટણી સભામાં જણાવ્યું હતું.
માર્ચ 1952માં ડો. આંબેડકર સ્ટેટ કાઉન્સિલની 17 પૈકીની એક સીટ માટે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું અને પસંદગી પામ્યા. મે-1954માં લોકસભાની ઉપચૂંટણીઓમાં પણ ડો. આંબેડકર ફરીથી ઉભા રહ્યા પરંતું ફરીથી ચૂંટણીમાં હાર ખમવી પડી. આ બધી નિષ્ફળતાઓ પછી ડો. આંબેડકર સે વાત ચોક્કસ માનતા થયા કે જે પક્ષને ગ્રામિણ ક્ષેત્રમાં સમર્થન નથી એનું ભવિષ્ય નથી.
ડો. આંબેડકરે ચૂંટણીઓમાં મળેલ નિષ્ફળતાઓને ખેલદિલીપૂર્વક સ્વિકારી હતી. સંઘના કાર્યકરોને ત્રણ મહત્વપૂર્ણ સંદેશાઓ આપતા કહ્યું કે-
(1). અનુસૂચિત જાતિ સંઘ ગત સામાન્ય ચૂંટણીઓ હારી ગઇ. એના પરિણામ સ્વરૂપ કેટલાક લોકો છોડીને ચાલ્યા ગયા, કેટલાક લોકોનો વિશ્વાસ ડગમગી ગયો. હું આ હારેલી માનસિકતાને સાથ નથી આપતો. ચૂંટણીમાં સીટો જીતવી સંઘનો ધ્યેય નથી, એ તો ધ્યેય પ્રાપ્ત કરવાનું સાધન માત્ર છે. સંઘનું લક્ષ્ય તો એવા લોકોની સેવા કરવાનું છે જેમના માટે સંઘની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં સુધી સમસ્યાઓ હશે, કોઇનેકોઇ સ્વરૂપે આ સંઘ પણ હયાત રહેશે.
(2). સંઘની હાર સ્વાગત કરવા યોગ્ય છે. એવું એટલા માટે કે આ હાર પછી સંઘમાં ઘૂસી ગયેલા કેટલાક વણજોઇતા લોકોને બહાર કાઢી નાખવામાં સફળતા મળી. જેઓ સંઘ સાથે જોડાયેલા છે તેઓની ઉપર એક મોટી જવાબદારી આવી છે. તેઓ માટે મારો એક જ સંદેશ છે કે મળેલી હાર પછી સંઘ આબોહવાની માર ખાધેલો દેખાઇ શકે છે પણ એના મૂળિયા સૂકાયા નથી.
(3). સંઘે ચૂંટણીઓમાં ઘણી વખત હાર સહન કરી છે. લોકો એવું વિચારે છે કે સંઘ માટે વિચારવું જ પડે એવું કોઇ વસ્તું સંઘમાં નથી. આપણે હાર ખમવી પડી કારણ આપણે આપણાં સિધ્ધાંતો પર અડગ છીએ. આપણે બીજી પાર્ટીઓમાં જવા માટે કે જાતને ગિરવે મૂકીએ તેવા નથી. આપણે સ્વયં દ્રઢ પ્રતિજ્ઞાબધ્ધ છીએ. આપણે જાતેજ પગ પર ઉભા થયા છીએ અને હંમેશા પગ પર ઉભા રહીશું. 
અનુસૂચિત જાતિ સંઘને કોઇ ગમાડતું નથી. એ જાણવું ખુબ જરૂરી છે કે એવું કેમ ..? એવું એટલા માટે કે સંઘ સંઘર્ષ માટે તૈયાર લડવૈયાઓનો પક્ષ છે. સંઘ શા માટે લડી રહ્યો છે..? બુધ્ધના શબ્દોમાં- આપણે લડી રહ્યા છીએ, શ્રેષ્ઠ મૂલ્યો માટે, ઉચ્ચ કક્ષાના પરિશ્રમ માટે અને ઉત્કૃટ બુધ્ધિમતા માટે. આ બધી ચીજો માટે આપણે લડવા માંગીએ છીએ માટે જ આપણે લડવૈયા છીએ. સંઘ પ્રતિ જે નાપસંદગી છે તેનાંથી હતાશ થવાની કે ગભરાવાની કોઇ જરૂર નથી. દુર્ગુણો સાથે કોઇ જ સમાધાન કર્યા વગર આ સંધર્ષ ચાલુ રહેશે.
- જિગર શ્યામલન

Facebook Post :-

No comments:

Post a Comment