June 26, 2017

ડો. આંબેડકર મહા મહેનતે ઉચ્ચ અભ્યાસ પામી શક્યા તેની પાછળ તેમનું દ્રઢ મનોબળ અને સંધર્ષ કરવાની વૃત્તિએ મુખ્ય ભાગ ભજવ્યો હતો.

By Jigar Shyamlan

મનોવિજ્ઞાન એવું સ્વિકારે છે કે બાળપણના આઘાતજનક અને હતાશાપ્રેરક બનાવ વ્યક્તિના માનસપટ પર કાયમી છાપ છોડી જાય છે. ભારત અને અમેરિકામાં આ બાબતે કરવામાં આવેલ કેટલાક સંશોધનોમાં એ વાત સાબિત થઇ છે કે પદદ્લિત સમુદાયના સભ્યોનો પોતાની જાત વિશેનો નીચો ખ્યાલ માનસ પર ઉંડી અસર કરે છે. આ અસર વ્યક્તિમાં નામ, ચહેરા કે અસ્તિત્વવિહીનતાની માનસિક લાગણી પેદા કરે છે.
ડો. આંબેડકર પણ આવી જ અશ્પૃશ્ય પૈકીની એક ગણાતી મહાર જાતિમાં જન્મ્યા હતા. ડો. આંબેડકરનું સમગ્ર જીવન અન્યાય, હતાશા, અપમાન અને અવમાનનાથી ભરેલુ રહ્યું હતુ.
ડો. આંબેડકર બાળપણમાં જ્યારે શાળામાં દાખલ થયા ત્યારથી જ પોતે અષ્પૃશ્ય છે એ વાતના કડવા અનુભવો થવા લાગ્યા હતા. શાળામાં તેમને અન્ય હિન્દુ વિધાર્થીઓથી સાવ અલગ બેસવાની ફરજ પાડવામાં આવતી હતી. પોતે વર્ગમાં અન્ય વિધાર્થીઓની સરખામણીમાં હોંશિયાર હોવા છતાં શિક્ષકો તરફથી સદા અપમાનિત થયા હતા. શાળામાં મૂકેલ પાણીના સાર્વજનિક માટલાને અડકી શકાતુ ન હતુ. જ્યાં સુધી પટાવાળો આવીને પોતાના હાથે નળ ખુલ્લો ન કરે ત્યાં સુધી તરસ્યા બેસી રહેવું પડતું હતું. પટાવાળાના હાથે નળ ખુલ્લો કરાયા બાદ નળને સ્પર્શ ન થાય તે વાતનું ધ્યાન રાખતા ખોબો ધરીને પાણી પીવું પડતુ હતુ. જ્યારે પટાવાળો રજા પર હોય કે બહાર ગયો હોય ત્યારે આખો દિવસ પાણી પીધા વગર તરસ્યા જ રહેવું પડતુ અને શાળા છૂટે કે પોતાના ઘેર જઇને તરસ છિપાવવી પડતી.
આટલા કડવા અપમાન છતા ડો. આંબેડકર મહા મહેનતે ઉચ્ચ અભ્યાસ પામી શક્યા તેની પાછળ દ્રઢ મનોબળ અને સંધર્ષ કરવાની વૃત્તિએ મુખ્ય ભાગ ભજવ્યો હતો.
- જિગર શ્યામલન


Facebook Post :-

No comments:

Post a Comment