October 18, 2017

... તો ઇશ્વર અને રોમના નીરો વચ્ચે શુ તફાવત?

By Dinesh Makwana  || 01 Sep 2017


જો, તમે માનતા હોય કે સર્વશક્તિશાળી ( Almighty), સર્વવ્યાપી (Omnipresent), સર્વશક્તિમાન ( omnipotent), સર્વજ્ઞ (omniscient) ઇશ્વરે આ પૃથ્વી કે દુનિયાનું સર્જન કર્યુ હોય, તો મને કહો કેમ તેણે આનું સર્જન કર્યુ ? જે દુનિયામાં દુખ અને નિરાશા છવાયેલા હોય, જેમાં સાક્ષાત અસંખ્ય  કરુણાંતિકા મળતી રહે,જયાં એક પણ આત્મા પુરી રીતે સંતુષ્ટ ના હોય, તેવી દુનિયાનું સર્જન શા માટે કર્યુ? 

પ્રાથના, તમે તેને ઇશ્વરને માનવાનો નિયમ ના કહો, કારણ કે જો તેના દ્રારા મળતો હોય તો તો સર્વશક્તિમાન નથી.  તે આપણી જેમ બીજો ગુલામ જ છે. મહેરબાની કરીને તે પણ ના કહે કે પ્રાથના ઇશ્વરના આનંદ માટે છે. 

નીરોએ રોમને સળગાવી દીધું. તેણે કેટલાય ને મારી નાંખ્યા, કેટલીય કરુણાંતિકોઓ ઉભી કરી, તેણે આ બધુ પોતાના આનંદ માટે કર્યુ. પણ તેનું ઇતિહાસમાં કયા સ્થાન છે? ઇતિહાસકારો તેને કયા નામથી ઓળખે છે? તમામ પ્રકારના ઝેરી ઉપનામો તેના માટે વપરાય છે. નીરો માટે દરેક પાના પર ખરાબ શબ્દો વપરાય છે. હદય વિનાનો, જુલમી, દુષ્ટ વગેરે. 

બીજા એક ચંગેઝખાને હજારો જિંદગીઓને પોતાના આનંદ માટે હોમી દીધી અને આપણે તેના નામને ય નફરત કરીયે છે. પછી તમે તમારા સર્વશક્તિમાન ના અસ્તિત્વને કેવી રીતે સ્વીકારો છો? નીરો જેણે કરુણાંતિકો સર્જવાનું કામ કર્યુ, જે દરેક મિનિટે, દરેક કલાકે આ કામ કરી રહ્યો છે. આના આવા દુષ્ટ કાર્યને તમે કેવી રીતે સમર્થન આપી શકો? હુ પુછવા માંગુ છુ તે સર્વશક્તિમાને કેમ આ દુનિયા- જે સાક્ષાત નરક છે, એવું સ્થળ જયા સતત અને કડવી અશાંતિ રહેતી હોય, આવી દુનિયાનું સર્જન કેમ કર્યુ ? માનવજાતિ નું સર્જન શા માટે કર્યુ જ્યારે તેની પાસે આ બધુ નહી કરવાની અપાર શક્તિ હતી. આ બધાનો શો અર્થ છે? નિર્દોષ લોકોને સહન કરવા માટે અને નકામાને સજા આપવા માટે ? 

આનંદ મેળવવા માટે જો આ દુનિયાનું સર્જન ઇશ્વરે કર્યુ હોય તો તેના અને રોમના નીરો વચ્ચે શુ તફાવત? 

તમારી પાસે આના જવાબો છે?


ભગતસિંહ
Why I am an Atheist 
(હુ કેમ નાસ્તિક છુ)

કેટલીક કડવી પણ સત્ય વાતો

By Dinesh Makwana  || 02 Oct 2017



  1. મોલમાં આપણે કમિશન માંગતા નથી, શાકભાજી વાળા પાસે ડિસ્કાઉન્ટની સાથે ધાણા પણ માગીયે છે. 
  2. લગભગ દરેક ભારતીય પાસે મોબાઇલ છે પરંતુ ૬૦ ટકાથી વધુ ના ઘરમા આજે પણ સંડાસ નથી.
  3. જાહેરમા કીસ કરવી ગુન્હો બને છે, પણ જાહેરમા પેશાબ કરવો તેને કોઇ શરમની વાત પણ કહેતું નથી.
  4. આપણી દેશદાઝ સોશિયલ મીડીયા પર દેખાય છે પરંતુ આપણી આસપાસ ગંદકીના ઓથાર ઉભા કરીયે છે.
  5. મારા ધર્મ વિશે એક પણ ખરાબ શબ્દ હુ સાંખી શકીશ નહી પરંતુ બીજાના ધર્મની ઠેકડી ઉડાદતો રહીશ.
  6. દીકરીના શિક્ષણ માટે મારી પાસે કઇ નથી પરંતુ તેના દહેજ માટે લાખોની રકમ ભેગી કરીશ.
  7. ખેલાડીઓ ભુલાતા જાય છે. પરંતુ તેમની ઉપર બનાવેલા ફિલ્મોના અભિનેતા કે અભિનેત્રીને આપણે યાદ રાખીયે છીએ
  8. દેવી માતાની પુજા કરીશું, પરંતુ બાળકીનો જન્મ થવા નહી દઇએ.

દિનેશ મકવાણા
મણીનગર અમદાવાદ
૨/૧૦/૨૦૧૭

October 17, 2017

દુનિયાની સફળતમ પ્રતિભાઓના સર્વે દરમિયાન જોવા મળેલ કેટલાક ગુણ

By Dinesh Makwana  || 01 Sep 2017





૧) દુનિયાની સફળતમ પ્રતિભાઓના સર્વે દરમિયાન એક ગુણ જોવા મળ્યો તે છે : Passion - જુસ્સો

દુનિયાના સૌથી સફળતમ અને મહાન વ્યકિતઓ પર એક સર્વે કરવામાં આવ્યો. આ વ્યકિતઓ ગમે તે ક્ષેત્રની હતી પરંતુ તેમનામા એવા કયા સામાન્ય વિશેષ ગુણો હતા જે તેમને બીજાથી અલગ કરે છે અને તેમની વિશિષ્ટ છાપ પેદા કરે છે. સૌથી પ્રથમ તેમનો સામાન્ય ગુણ હતો. Passion જેને ગુજરાતીમાં જુસ્સો કહે છે. Passion for excellence.

ગુજરાત સમાચારના કટાર લેખક જય વસાવડા આની વ્યાખ્યા આપતા કહે છે તમારી ક્ષમતા ઉપરાંત કામ કરવાની શક્તિ ને જુસ્સો કહે છે.

દરેક બાબતમાં શ્રેષ્ઠ રહેવાના અભિગમને અંગ્રેજી મા passion for excellence કહે છે. વીસ ફુટ ઉંચી મુર્તિ મા શિલ્પકાર મોઢાના ભાગને આખરી ઓપ આપી રહ્યો હતો, ત્યાથી રાજા પસાર થાય છે અને કહે છે મને કશુંય ખરાબ દેખાતું નથી. આટલે ઉંચેથી કોઇને કદાચ નાની ભુલ દેખાશે પણ નહી. શિલ્પકાર કહે છે મહારાજ મને મારા કામમાં સંતોષ નહી હોય ત્યાં સુધી તે કામ અધુરુ જ છે, જે ભુલ આપને કે બીજાને નહી દેખાય તે મને નજરે પડે છે તેથી જયાં સુધી શ્રેષ્ઠ મુર્તિ નહી બને ત્યાં સુધી હુ કામ કરતો રહીશ.

સ્વામી ચિન્મયાનંદ નકામા કાગળને કચરા ટોપલી મા નાંખતા પહેલા તેને વાળીને સુંદર બનાવતા, કચરો કેમ સુંદર ના હોઇ શકે.

આ અભિગમ કોઇ સ્કુલમા શીખવવામાં આવતો નથી, આ અંદરથી બહાર આવે છે.

સચિન તેડુંલકરને ૨૦૦૪ મા બ્રેડ હોગે આઉટ કર્યો ત્યારે મેચના અંતે તે બોલ લઇને હોગ સચીન પાસે જઇને બોલ પર ઓટોગ્રાફ માંગે છે. તે બોલ પર સચીન લખે છે It will never happen again અને સહી કરે છે. ત્યાર બાદ સચીન અને હોગ આમને સામને ૨૧ વાર આવે છે પણ હોગ સચીનને આઉટ કરી શકતો નથી.

પારો જેને મર્ક્યુરી નામ આપવામાં આવ્યુ છે તેને શોધનાર મર્કયુરી દંપતિ આખી જિંદગી ફના થઇ જાય છે. તમામ વસ્તુ અને ઘર સુધા વેચાઇ જાય છે, છતા બધુ વેચીને છેલ્લો પ્રયોગ કરે છે, જો પ્રયોગ નિષ્ફળ જાત તો આપઘાત કરવો પડે તેવી સ્થિતિ હતી પણ Passion for excellence રંગ લાવે છે, પ્રયોગ સફળ થાય છે અને જગતને એક પ્રવાહી ધાતુ મળે છે.

Remember passion for excellence.



૨) દુનિયાની સફળતમ પ્રતિભાઓના સર્વે દરમિયાન એક બીજો ગુણ જોવા મળ્યો તે છે : Mastery on communication

ગુજરાતીમાં કહીયે તો તમે તમારી વાત બીજા સુધી કેવી રીતે પહોંચાડી શકો, સમજાવી શકો છે.દરેક નેતા પોતાની વાત વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકે છે. મહાત્મા ગાંધીના એકલાના પ્રયત્નો થી ભારતને આઝાદી નથી મળી પરંતુ તેઓ સૌથી વધુ લોકો સુધી પોતાનો મેસેજ પહોંચાડી શકતા હતા.

Communication means the transfer of idea with the feeling to other persons with the same idea and same feelings.

તમારી પાસે જે વિચારો છે અને તેની પાછળ જે ભાવના છે, જ્યારે બીજી વ્યકિત સુઘી તે વિચારો પહોંચે પણ જો ભાવના તે નહી હોય તો તે કામ નહી કરી શકે, તેથી વિચારોની સાથે સાથે તે ભાવના પણ જરુરી છે.

સચીન તેડુંલકર મહાન બેટસમેન હોવા છતા કેપ્ટન તરીકે નિષ્ફળ ગયો કારણ કે તે પોતાની વાત બીજા સુધી પહોંચાડી શકતો નહોતો, he was not master in communication. તેની સામે મહેન્દ્રસિહં ધોની કે સૌરભ ગાંગુલીને કેપ્ટન તરીકે સારી સફળતા મળી છે. માઇક બ્રિયર્લી નામના ઓછા જાણીતા બેટસમેને કેપ્ટન તરીકે સૌથી વધુ સફળતા ઓસ્ટ્રલિયાને અપાવી છે..

કોઇ પણ સમસ્યા ના હલ માટે કોમ્યુનિકેશન અત્યંત જરુરી છે. પતિ પત્ની વચ્ચે જો કોમ્યુનિકેશન નહી હોય તો કેટલીક વાર ઝઘડો ડાઇવોર્સ સુધી પહોંચી જાય છે.

એક કંપનીમાં એક પ્રયોગ કરવામાં આવ્યો. દરેક ને હોદાને નજરમાં રાખ્યા સિવાય ટીમ બનાવવામા આવી. દરેક ટીમને એક ફુગ્ગો આપવામાં આવ્યો. દરેક ટીમનું કામ તે હતું કે ફુગ્ગાને ટપલી મારી મારીને સૌથી વધુ સમય સુધી હવામાં રાખવાનું હતું. સ્વાભાવિક છે એક ટીમ જીતી ગઇ. તેમને જ્યારે પુછવામા આવ્યુ કે તમારું રમત રમતી વખતે ધ્યેય શુ હતું? ફુગ્ગાને ટપલી મારી મારીને હવામાં રાખવાનું, તે સમયે તે પણ વિચાર્યું નહી કે તે વાઇસ પ્રેસિડન્ટ છે અને વધુ ટપલી મારે છે અને પટાવાળો બિલકુલ મારતો નથી, કારણ તેવું વિચારીને જો ટપલી મારવાનું બંધ કરે તો ફુગ્ગો નીચે આવી જાય અને ટીમ હારી જાય.

આ આખુ ઉદાહરણ એ સમજાવે છે દરેકની પાસે એક ચોક્કસ ગોલ હતું અને તે કંપનીના છેલ્લા કર્મચારી સુધી સમજાવવામા આવ્યુ હતું એટલે કે ત્યાં સુધી કમ્યુનીકેટ થયુ હતું.

કોઇ પણ સંસ્થા કે સંગઠનમા પણ આ સંવાદ મહત્વની બાબત છે. દરેક સુધી સંવાદ નહી હોય તો તે દિલથી જોડાઇને કામ નહી કરે. તેથી દરેકની વાત સાંભળવી જરુરી છે. મુળ વાત દરેકની વચ્ચે સંવાદ હોવો જરુરી છે.

જીવનમાં તેથી સંવાદ બહુ જરુરી છે. ડો પ્રકાશ કોઠારી કહે છે સંવાદ એટલે સમ+વાદ. બંનેનો સરખો વાદ. જ્યારે બંને સરખા વાદ ધરાવતા હશે તો સમસ્યા કાંતો હશે નહી અને હશે તો જલદીથી નિવારી શકાશે.

આનો અર્થ એ છે કોમ્યુનિકેશન ખુબ જ મહત્વનું છે.

આવો આપણે એકબીજાની વચ્ચે સંવાદ રાખીયે



૩) દુનિયાની સફળતમ પ્રતિભાઓના સર્વે દરમિયાન ત્રીજો ગુણ જોવા મળ્યો તે છે : High Energy Level - કામ કરવાની અપાર શક્તિ

આ કામ કરવાની શક્તિ બે પ્રકારે મળે છે. તમે જે કામ કરો છો તે કામમાં તમને રસ છે કે નહી અને બીજું તમારું ભોજન કેવું છે.

તમને કામમાં ખરેખર રસ છે પણ તમારું ભોજન પૌષ્ટિક નથી, સમયસર ભોજન નથી તો પણ તમારામા કામ કરવાની અપાર શક્તિ નહી જ આવે.

કેટલાક ટીવી સામે જોતા જોતા જમતા હોય છે, સાસુ વહુની સીરીયલોના કરુણ દ્રશ્યો સાથે જોડાઇને તે પણ કરુણ અવસ્થામાં મુકાય છે, કોળિયો લેવાય છે પણ મગજ કે હદય જમવામા નથી, ભોજનનો સ્વાદ નથી લેવાતો, માત્ર પેટ ભરાય છે. ક્રિકેટ મેચ જોતી વખતે જો મેચ હારવાની પરિસ્થિતિ હોય તો અહીં બેઠા તમે કશુ જ કરી શકવાના નથી તેમ છતા તેમાં સંકળાઈને તમે સલાહ આપ્યા કરો છો આણે આ શોટ મારવાનો હતો કે આ રીતે રન લેવાના હતા. નકામું ટેન્શન તમે જમતા જમતા લીધે રાખો છો અને ભોજનની અસર શરીર પર જે થવી જોઇએ તે થતી નથી.

સાધુ વાસવાની કહે છે ટેન્શન કે ચિંતા સાથે લીધેલો ખોરાક આખરે રોગ જ પેદા કરે છે.

આમ તો આર્યુવેદમા ભોજન લેતા સમયે કાઇ વાત કરવાની ના પાડી છે કારણ કે ભોજનને તમે બરાબર ચાવી શકો, તેનો સ્વાદ માણી શકો પરંતુ અત્યારની ઝડપી જિંદગીમાં કેટલીક વાર ભોજન સમયે જ વાત કરવાનો મોકો મળે છે ત્યારે સ્વામી સચ્ચિદાનંદ કહે છે જો વાત જ કરવી હોય તો ભોજન સમયે આનંદ પ્રમાદની હળવી વાતો કરો, ગંભીર કે વિચારવા લાયક વાતો ના કરો.

હોટલમાં જમવા જઇએ છે ત્યારે ઓડર આપી ને આપણે રાહ જોઇને થાકી જઇએ છે ક્યારે આવશે તેના ટેન્શનમા જ્યારે ભોજન આવે છે ત્યારે તેનો આનંદ માણી શકતા નથી. કેટલાક ભોજનની એટલી બધી ઉતાવળ હોય છે સામી વ્યકિતએ પહેલો કોળિયો શરુ કર્યો હોય ત્યારે આ ભાઇએ ભોજન પુરુ કરી નાંખ્યું હોય.

ડો મનુ કોઠારી કહે છે ગમે તે ખાઓ પણ સમય આપો, શરીરને તે ખોરાક પચવાનો સમય આપો, ભોજન લેવાથી તકલીફ નથી આવતી પણ કેવી રીતે અને ક્યારે લેવાથી તકલીફ આવી શકે છે.

કેટલાક ને સવારે વહેલા ઉઠવાની ટેવ નથી. શાસ્ત્રો કહે છે જે સુર્યોદય ની સાથે જ તમે ઉઠી જશો તો તમારામા કામ કરવાની એક અદ્ભુત શક્તિ પેદા થશે. પણ આ આદત કેટલાય પાળી શકતા નથી. તમે એલાર્મ મુકો છે પણ સવારે ઊઠતી વખતે તમે સ્નુઝ બટન દબાવીને તમે વધુ દસ મિનિટ સુઇ રહો છો. તમારું મગજ ઉઠવાનુ કહે છે પણ તમારું શરીર ના પાડે છે, તમે તમારા પોતાના નિર્ણય ને પાળી શકતા નથી.

શહેરમાં જુદી જુદી જગ્યાઓએ ફિટનેસ ક્લબ ખોલવામાં આવી છે અને તેઓ હંમેશા વાર્ષિક જ ફી નો આગ્રહ રાખે છે કારણ કે તેમને ખબર છે તેમને ત્યાં આવનાર પચાસ ટકા ગ્રાહકો બે મહિનાથી વધુ આવવાના નથી. તમારી કાચી નિર્ણયશક્તિનો તેઓ લાભ ઉઠાવતા રહે છે.

મુળ વાત છે અપાર કામ કરવાની શક્તિ ભોજન અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. બીજું આપને તમારા કાર્ય મા કેટલો રસ છે, જો રસ જ નહી હોય તો ભલે તે કામ તમને રોજગાર આપતું હોય કે પૈસા કમાવી આપતું હશે તમે તેમાં થાક અનુભવશો.

સચિન તેંડુલકરને પુછવામા આવ્યુ કે તમારા માટે ક્રિકેટ મહત્વનું છે કે પૈસા? ત્યારે તેણે જવાબ આપ્યો કે મારા માટે ક્રિકેટ જ મહત્વનું છે જો હુ ક્રિકેટ સારુ રમીશ તો પૈસા તેની પાછળ આવવાના છે. તે બે દિવસ સુધી થાક્યા વિના ક્રીઝ પર ઉભો રહીને રમી શકે છે કારણ કે તેને ક્રિકેટમાં રસ છે.

પ્રખ્યાત તબલાવાદક અલ્લારખા કહે છે તમને તમારા કામ કરતી વખતે રસની સાથે સાથે આનંદ પણ આવવો જોઇએ તેથી સંગીતના દરેક સાધનો વગાડનાર કે બજાવનાર હસતો રહે છે કારણ કે તેને મઝા આવે છે. નવરાત્રિના ગરબા દરમ્યાન ગાયકો બદલાતા રહે છે પણ તબલા વગાડનાર બદલાતો નથી, તે સતત ત્રણ થી ચાર કલાક વગાડતો રહે છે, આનંદ લેતો રહે છે.

કેટલીક વ્યકિતઓને વિશેષ કામમાં રસ હોય છે તેથી તેવા કામમાં તેઓ અપાર શક્તિ દર્શાવે છે. અમારા ટ્રસ્ટ ના મંત્રીશ્રી રોહિતભાઇ ડેસરીયા ટ્રસ્ટ ની વાત આવે તો રાત્રે બાર વાગ્યે પણ ઉભા થઇને તૈયાર થઇ જાય. આ રસની વાત છે, કમિટમેન્ટની વાત છે.

તેથી આપણે કામ કરવાની અપાર શક્તિ કેવી રીતે લાવી શકીયે તેના પર ધ્યાન આપીયે.



૪) દુનિયાની સફળતમ પ્રતિભાઓના સર્વે દરમિયાન ચોથો ગુણ જોવા મળ્યો તે છે : Develop a Team

દરેક યુધ્ધ માત્ર સૈનિકોના બળના આધારે જીતાયા નથી. ચોક્કસ અને સબળ નેતાગીરી વડે ઓછા સૈનિકોના આધારે પણ યુધ્ધ જીતી શકાયા છે. અંગ્રેજો ની પાસે વધારે સૈનિકબળ નહોતુ પરંતુ સબળ નેતાગીરીના આધારે તેઓ મોટા ભાગના તમામ યુદ્ધો જીત્યા છે.

વ્યકિત ગમે તેટલી મહેનત કરે, સૌથી વધુ કામ કરે પરંતુ સબળ ટીમના અભાવે કોઇ પણ સંગઠન કે સંસ્થા સફળ થઇ શકે નહી. દરેક સફળ વ્યકિત એક ટીમ પણ બનાવે છે જે સંસ્થાને આગળ લઇ જવામા મદદ કરે. પણ નેતા કેવો હોવો જોઇએ.

Leadership is the art of getting someone else to do something you want to be done because he wants to do it.. - Dwight D Eisenhower

નેતાગીરી એક એવી કળા છે જે કોઇ પણ વ્યકિત દ્રારા તમે ઇચ્છો તે કામ કરાવી શકો, કારણ કે પેલી વ્યકિત પણ તે કામને કરવા ઇચ્છે છે.

જર્મનની ના હિટલરની સામે તેના લોકોએ બળવો પોકાર્યો અને તેની વાત માનવાની ના પાડી ત્યારે હિટલરે જર્મનીનો રાષ્ટ્રધ્વજ જમીન પર પાથરીને દરેક સૈનિકને કહ્યુ તમે મારી વાત ના માનો તે તમારી મરજીની વાત છે પણ હુ મારા દેશ માટે લડી રહ્યો છુ જે મારી વાત સાથે સંમત ના હોય તે આ ધ્વજ પર ચાલીને બહાર નીકળી શકે છે. કોઇ જઇ ના શક્યુ કારણ કે તે પોતાના દેશની વાત હતી.

લીડર એવો હોવા જોઇએ કે જ્યારે તેની પાસે જઇશુ ત્યારે આપણી દરેક સમસ્યાનો ઉકેલ તેની પાસે હશે તેવો વિશ્વાસ પેદા કરે. Let the problem come from anywhere here is the solution. દરેક સમયે કદાચ ઉકેલ ના હોઇ શકે પણ ઉકેલ કયાં અને કેવી રીતે મળી શકે તે જાણતો હોવો જોઇએ.

દરેક નેતાની પાસે પોતાની દષ્ટિ સ્પષ્ટ હોવી જોઇએ. તે કયા ધ્યેય પર કામ કરવા માંગે છે તે તેની ટીમને ખબર હોવી જોઇએ. નેતા ટીમના દરેક સભ્ય પાસેથી સતત ફીડબેક લેતા રહેવો જોઇએ.

નેતા દરેક કામની શરુઆત કરતો હોવો જોઇએ, પોતાના કામ વડે તે રોલમોડેલ બની શકવો જોઇએ. પોતાના કામ વડે બીજાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરુ પાડે તેવો હોય.

દરેક લીડરની ફરજ છે કે તે બીજી લાઇન તૈયાર કરે. જો બીજી લાઇન તૈયાર નહી હોય તો એક સમયે શૂન્યાવકાશ સર્જાશે ત્યારે સંગઠન તુટવાના આરે પહોંચી જાય છે. માયાવતી, જયલલિતા કે મમતા બેનરજી સિવાય બીજી હરોળના નેતાઓ આ પક્ષમાં બહુ દેખાતા નથી. તેથી જયલલિતા પછી તેમના પક્ષમાં ભંગાણની સ્થિતિ છે.

સંસ્થાની વાત કરીયે તો ટોપ પોઝિશન પર પદ ખાલી હોય તો ગમે તેને ત્યાં બેસાડીને એ પદ ભરવાની વાત નથી પરંતુ તે પણ જોવું જરુરી છે કે તે વ્યકિત જે તે પદ માટે યોગ્ય છે કે નહી. ટાટા અને ઇનફોસિસ નું ઉદાહરણ આ પરિસ્થિતિ ને સમજાવે છે.

કોઇ પણ સંસ્થા કે સંગઠન સફળ રીતે ત્યારે જ કાર્ય કરી શકે જ્યારે તેમાં સમર્પિત સભ્યો હોય, ટીમ વર્ક હોય અને સબળ લીડરશીપ હોય.

TEAM: Together Everybody Achieve More

સફળતમ વ્યકિતઓના સામાન્ય ગુણ ની ચર્ચા કરી તે નીચે પ્રમાણે છે.


  1. Passion for excellence
  2. Mastery in Communication
  3. High Energy Level
  4. Ability to build a team


આગળના ત્રણ સામાન્ય ગુણો નીચે પ્રમાણે છે.

5. Value-based decision
6. Methodology
7. Faith



૫) Value based decision - મુલ્યો આધારિત નિર્ણય

દરેક વ્યકિત સંસ્કારો સાથે જીવન પસાર કરે છે. દરેકે પોતાના જીવન માટે ચોક્કસ નીતી અને મુલ્યો નક્કી કર્યા છે. કેટલાક મુલ્યો વંશપરંપરાગત હોય છે, કેટલાક નીતીવિષયક હોય છે અને કેટલાક આદર્શ આધારિત હોય છે. કેટલાક મુલ્યો પુસ્તકોમાં મળતા નથી તે પેઢી દર પેઢી જીવનમાં આવતા જાય છે. કેટલાક તમારી આસપાસના વાતાવરણના કારણે ઉભા કરેલા છે, કેટલાક મુલ્યો સદંતર ખોટા હોવા છતા તમે છોડી શકતા નથી.

અમરીષપુરી ના એક પિકચર મા તેનો ડાયલોગ છે

मेरे बापने मुजे शेर पर बेठा दिया हे, अगर मे नीचे उतरूँगा तो शेर मुजे खा जायेगा

પોતાની નકામા મુલ્યો ને નહી છોડી શકવાની પીડાને તે ઉપરના ડાયલોગ દ્રારા વ્યક્ત કરે છે.

તેથી કેટલાય સદંતર જુઠુ બોલતા રહે છે પરંતુ તેમને કશુ ખોટું કર્યાનો અફસોસ નથી, પછી આ આદતમાં ફેરવાય છે અને તેની સાથે સાથે મૂલ્યોનું ધોવાણ થતુ રહે છે. કેટલાક પોતે બિમાર હોય કે કદાય નાના મોટા અકસ્માતને લીધે વાગ્યું હોય તો તે બિમારી કે જખમને મોટો કરી, બતાવી સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરતા રહે છે તેમ કરીને પોતાનું જુઠ છુપાવે છે અથવા તેમની સમસ્યા પર લોકોનું ધ્યાન જાય અને તે રીતે સહકાર મેળવવાનો બદઇરાદો હોય છે. પણ જુઠ વૃદ્ધ થઇને મરતું નથી, આવા લોકો જલદી ઉઘાડા પડી જાય છે અને તેથી ઘણા બધાનો વિશ્વાસ અને મદદ ગુમાવે છે.

તેથી મુલ્યો આધારિત નિર્ણયો ઘર હોય કે સંસ્થા હોય ખુબ જરુરી છે. આવા નિર્ણયોનો વિરોધ નથી હોતો અને તેથી સંગઠન મજબુત બને છે.  જનહિતમાં લીધેલા નિર્ણયોનું હંમેશા સ્વાગત થાય છે અને તેને લીધે ટીમ બને છે અને દરેક અરસપરસ વિશ્વાશ થી કાર્ય કરે છે. કેટલાક નિર્ણયો કડવા હોઇ શકે પણ સંગઠનના હિતમાં હોય તો તેને સ્વીકારવા રહ્યા.



૬) Methodology - પદ્ધતિ

જીવનમાં કઇંક નવું કરતા રહેવું પડે છે. નવી પદ્ધતિ ઓ શોધતા રહેવું પડે છે. જ્યારે ક્રિકેટ નીરસ થવા માંડ્યું, ટેસ્ટના પરિણામો નહોતા આવતા અને નવી પેઢીને રસ બદલાઇ રહ્યો હતો ત્યારે લલિત મોદી ૨૦-૨૦ ક્રિકેટ લઇ આવ્યા અને ક્રિકેટ ને વધુ પ્રખ્યાત અને મનોરંજક કરી. આ મેથોડોલોજી છે.

કરિયાણાની દુકાનમાં તમારે દરેક ચીજ વસ્તુઓ માંગીને ખરીદવી પડે છે, તેનાથી ખરીદ શક્તિ ચોક્કસ માત્રા સુધી જ રહેતી હતી. પણ નવા મોલ ઉભા કરીને તમારી ખરીદશક્તિ વધારી છે, તમારી ઇચ્છાઓને વધારી છે. એક સર્વે પ્રમાણે ઘેરથી જ નક્કી કરીને લાવ્યા હોય તેના કરતા ડબલ ચીજવસ્તુઓ મોલમાંથી ખરીદવામાં આવે છે. આ શોપિગ મોલ એક પ્રકારની નવી પદ્ધતિ છે

સાદી રોટલીમાં તમને શાક જેવી ચીજ મુકીને તમને આપવામાં આવે તો તમે નહી ખરીદો પરંતુ ફ્રેન્કી જેવું નામ આપીને તેજ રોટલી કે ભાખરીની વચ્ચે મસાલો મુકીને આપવાંથી કશુંક નવું જમ્યાની અદ્ભુત લાગણી થાય છે. પીઝા, બર્ગર આ બધુ ઇનોવેટીવ વિચારનો એક ભાગ જ છે.

મુળ વાત એ છે કેટલીક રુઢિઓનો ત્યાગ કરવો જોઇએ, પરંપરાગત વિચારોને દુર કરવા જોઇએ. ( સંસ્કારની વાત જુદી છે)

આ બાબત સંગઠનને પણ એટલી જ લાગુ પડે છે.

અને છેલ્લો ગુણ છે



૭) FAITH: વિશ્વાસ

તમે કાર્ય કરો ત્યારે તમને તમારામા વિશ્વાસ હોવો જરુરી છે, તમારું કામ બીજાને પસંદ આવશે તે પ્રકારનો વિશ્વાસ જરુરી છે. દરેક વ્યકિત ને જુદી જુદી બાબતો પર વિશ્વાસ હોય છે, કોઇ ભગવાન પર વિશ્વાસ રાખતું હોય, કોઇ માતા પિતા પર કે કોઇ પતિ કે પત્ની પર વિશ્વાસ રાખતું હોય, કોઇ ધર્મ પર કે તો કોઇ પુસ્તક પર ભરોસો રાખતું હોય, પણ વિશ્વાસ જરુરી છે.
ધીરુભાઇ અંબાજીને પુછવામા આવ્યુ કે તમારી સફળતાનુ રહસ્ય શુ છે? તેમણે કહ્યુ મારી માતાના આશિર્વાદ મારી સાથે હતા.
વિશ્વાસ પણ એટલો જ મહત્વનો છે.



ટીમ બનાવવા વિશે કે નેતાગીરી વિશે લખ્યુ ત્યારે એક મિત્રનો કોલ આવ્યો કે નેતાગીરી માટે જો સૌથી નુકસાનકારક કોઇ બાબત હોય તો તે EGO મિથ્યાભિમાન છે. Ego વિશે એક લેખ લખ્યા હતો પરંતુ તેમાં સુધારો વધારો કરીને બીજી વાર રજુ કરીશું

-     દિનેશ મકવાણા 

October 16, 2017

વાતો તો બધા ચાંદ તારા તોડવાની કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રીએલિટી શું છે?

By Raju Solanki  || 07 October 2017 



વાતો તો બધા ચાંદ તારા તોડવાની કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રીએલિટી શું છે?
આજકાલ અત્યાચારોના મુદ્દે ઘણા લોકો એવું કહે છે કે, આપણે દલિતો શિક્ષિત થઈ ગયા છીએ, સંગઠિત પણ થઈ ગયા છે હવે તો સંઘર્ષ જ છેડવાની જરૂર છે. આરપારની લડાઈ લડી નાંખીએ. કોઈ કહે છે હવે તો બંદૂકો ઉઠાવી લો. તો કોઈ કહે છે, સત્તા પ્રાપ્તિ વગર બધું જ નકામું. વાતો તો બધા ચાંદ તારા તોડવાની કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રીએલિટી શું છે? ચાલીઓમાં રહેતા દલિતોની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ ખરેખર શું છે?
વર્ષ 2009માં મેં અમદાવાદ શહેરના રાજપુર-ગોમતીપુર વિસ્તારની 20 ચાલીઓના 1052 કુટુંબોનો સરવે કરાવ્યો હતો. સરવેના પરીણામો ભયાનક અને ચોંકાવનારા હતા. સરવે હેઠળના 4026 વિદ્યાર્થીઓ પૈકીના 2157 એટલે કે 54.11 ટકાએ અધવચે ભણતર છોડી દીધું હતું. આ 1052 કુટુંબોમાં 235 "સત્તાવાર" બીપીએલ કુટુંબો હતા અને 376 "બીપીએલ કાર્ડથી વંચિત કુટુંબો" હતા. 611 કુટુંબોમાં પતિ-પત્ની બંને મજુરી કરે તો પણ માસિક આવક રૂ. 3500થી પણ ઓછી હતી.
પશ્ચિમ બંગાળના મહિલા, બાળ અને સમાજ કલ્યાણ વિભાગ તેમજ યુનિસેફની મદદથી કોલકાતાની જયપ્રકાશ ઇન્સ્ટિટયૂટ ઑફ સોશલ ચેન્જે કોલકાત્તાના રેડ લાઇટ એરીયા સોનાગાછી વિસ્તારમાં એક સરવે કરાવ્યો હતો. તેમાં નોંધાયું હતું કે, ધોરણ પાંચથી સાતના બાળકોમાં અને ખાસ કરીને છોકરીઓમાં ડ્રોપ આઉટ રેટ અત્યંત ઉંચો છે. આ સરવેમાં 1200 સેમ્પલ કુટુંબો આવરી લેવામા આવ્યા હતા અને જણાયું હતું કે 2003 બાળકો કયારેય શાળાએ ગયા નથી, 384 બાળકોએ પૂર્વ-પ્રાથમિક કક્ષાએ જ શાળા છોડી દીધી હતી, જયારે માત્ર 13 બાળકો ઉચ્ચા માધ્યમિક કક્ષામાં જઈ શક્યા હતા." અમદાવાદના રાજપુર-ગોમતીપુર વિસ્તારના દલિતોના બાળકો અને કોલકાતાની સોનાગાછી વિસ્તારની સેક્સવર્કર્સના બાળકોની સ્થિતિમાં ઝાઝો ફેર નથી.
રાજપુર-ગોમતીપુર વિસ્તારના એ 243 બાળમજૂરોની વાત સૌ પહેલા કરીએ. ગુજરાતના શાસકો અને એમના અધિકારીઓ સમાજ-વ્યવસ્થાનો સૌથી ઘાતકીપણે ભોગ બનેલા લોકો માટે સંસ્કૃતમય પદાવલીઓ યોજવામાં ઉસ્તાદ છે. તેઓ બાળકો માટે 'બાળ શ્રમયોગી' શબ્દ વાપરે છે, પરન્તુ આપણે એમને બાળ મજૂરો જ કહીશું. આ બાળકોમાં ચૌદ વર્ષથી નીચેના 21 બાળ મજૂરો, 15 વર્ષના વયના 27 બાળમજૂરો, 16 વર્ષના વયના 28 કિશોર મજૂરો, 17 વર્ષના વયના 51 મજૂરો અને 18 વર્ષની વયના 107 કહેવાતા પુખ્ત મજૂરો જોવા મળ્યા, જેમણે છેક 14 વર્ષની વયથી પોતાના પરીવારને ટેકો કરવા મજૂરીનો રાહ પકડી લીધો હતો, જેમાં 90 છોકરાઓ અને 17 છોકરીઓ હતી.
સરવેમાં ખાડાવાળી ચાલી, વોરાની ચાલી, શકરા ઘાંચીની ચાલી, હીરા ઘાંચીની ચાલી, સળિયાવાલી ચાલી, હવાડાની પોળ (મહાસુખરામની ચાલી, પોપટીયા વડ, જીવરામ ભટ્ટાની ચાલી), કુંડાવાલી કાનજીભાઈ કાલીદાસ ચાલી, પોસ્ટ ઓફિસ સામે, અબુ કસાઈની ચાલી, પોસ્ટ ઑફિસ સામે, હીરાલાલની ચાલી, દૂધવાળી લાઇન, સુથારવાડાની પોળ, જૈન દેરાસર, મહેબૂબ બિલ્ડીંગ, મણિયારવાડો, મરીયમબીબી મસ્જીદ, ચંદા મસ્જીદ, ઝુલતા મીનારા(અમનનગર છાપરા, બીબી મસ્જીદ, તુલસી પાર્ક)નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ડ્રોપ-આઉટની પેટર્ન જોઇએ તો સાતમાંથી દસમાં ઘોરણમાં જતા ડ્રોપ-આઉટનું પ્રમાણ વધતું જાય છે. અને દસમું ઘોરણ ડ્રોપ- આઉટની પરાકાષ્ટા છે. મોટા ભાગના બાળકો દસમા ઘોરણને વટાવી શકતા નથી. આમાંના નેવું ટકા બાળકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં ભણે છે, જ્યાં વર્ષમાં 200 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થતું નથી. વર્તમાન સરકારની વિજયોત્સવો, કાર્નીવલો અને મહોત્સવો ઉજવવાની ઘેલછાએ દલિત બાળકોને શાળાઓ છોડાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. સાબરમતી રીવર ફ્રન્ટ ઉપર ચોજાએલા આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવમાં વહેલી સવારથી 7500 બાળકોને હાજર કરી દેવામાં આવ્યા હતા. કાંકરીયા કાર્નિવલના ઉદ્દ્ઘાટન સમારોહમાં 10,000 બાળકોને કલોકો સુધી ભર તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા.
સરવે હેઠળના વિસ્તારોમાં મુખ્યત્વે દલિત-મુસ્લિમ સમુદાયો વસે છે. પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં આ વિસ્તારોમાં લાલ ઝંડાની આણ હતી. એ વખતે સમ્રગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીપીએમના એક માત્ર કોર્પોરેટર અહીંથી ચુંટાયા હતા. વીસ-પચીસ વર્ષ પહેલા આ વિસ્તારો કોમી એખલાસની મિશાલ સમાન હતા. બનેં કોમો સંપથી રહેતી હતી. 1981ના અનામત વિરોધી રમખાણો પછી આ સંપ રહ્યો નથી. એના કારણો ગમે તે હોય, પરિણામ તમારી નજર સામે છે. નદીની પેલે પાર નવરંગપુરા, નારણપુરા, સેટેલાઇટ વિસ્તારોમાં એક કિશોર ભણવાના ટેન્શના કારણે આપઘાત કરે તો, છાપાઓમાં મોટી હેડલાઇનો બને છે. દલિત-મુસ્લિમ વિસ્તારોમાં હજારો કિશોરો આર્થિક બેહાલીના કારણે ટેન્શનમાં ભણી જ શકતા નથી તો એની નોંધ કોણ લે છે?
ચૂંટણી આવી રહી છે, ત્યારે દલિતો-મુસ્લિમોના બુદ્ધિજીવીઓ શિક્ષણના મુદ્દે શું વિચારે છે?

ક્યાં છે જાગૃતિ?

By Raju Solanki  || 13 October 2017 at 15:30 




આજે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’એ દલિતો પર વધતા જતા અત્યાચાર પર સ્ટોરી કરી છે. એમાં એક તારણ એવું કાઢ્યું છે કે દલિતોમાં જાગૃતિ વધી હોવાથી અત્યાચારો વધી રહ્યા છે.
શું આ તર્ક સાચો છે?
શું મોટા સમઢીયાળાના બાલા બાપા જાગૃત થયા એટલે એમના પર લાઠીઓ વીંઝાઈ હતી?
ગુજરાતના કોઈ અંતરીયાળ ગામડામાં મરેલા ઢોર ખેંચતા પરીવારનો મોભી ‘જાગૃત’ થાય તો એ શું વિચારશે?
સૌથી પહેલા તો એ એવું વિચારશે કે મેં ભલે મરેલા ઢોર ખેંચવામાં મારું આયખું પૂરું કર્યું, પરંતુ મારા સંતાનો આ કામ હવે પછી કદી નહીં કરે.
આને કહેવાય જાગૃતિ.
જાગૃતિ એટલે સમજદારી.
આવી જાગૃતિ આવે એટલે એ માણસ એ ગામ છોડી દેશે, બીજું કોઈ કામ કરશે અને એના સંતાનોને ભણાવવા માટે પ્રયાસ કરશે.
એ માણસનો સમાજ પણ તો જ જાગૃત કહેવાય જો તે સમાજ એને વૈકલ્પિક આજીવિકા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
આવું કરવાના બદલે સમાજ મૂછો જ આમળ્યા કરશે મીડીયાને સ્ટોરી બનાવવામાં ચોક્કસ રસ છે.