November 27, 2017

ફુલનદેવી અને પદ્માવતી - વાદ વિવાદ

By Dinesh Makwana  || 16 Nov 2017

૧૯૮૭ માં શિક્ષણ સિવાયનું વાંચન શરુ કર્યુ ત્યારે મારા કાકાએ તેમનુ એક ખાનગી પુસ્તકાલય નું કાર્ડ મને આપ્યું. ૧૮ વર્ષની અણસમજુ ઉંમરે મને કયુ પુસ્તક વાંચવું તેની ખબર નહોતી. તેથી વાંચનની શરુઆત ચંબલના જુદા જુદા ડાકુઓની કથાથી કરી. સૌથી વધુ રસ મને ફુલનદેવીની કથામાં પડ્યો હતો.

ફુલનદેવી મલ્હાર જાતિમાં જન્મેલી સ્ત્રી, જેનું લગ્ન તેના કરતા ૧૫ વર્ષ વધુ ઉંમરના પુરુષ સાથે થાય છે, અત્યાચાર નો બદલો લે છે. બહાઇ હત્યાકાંડ મા તેનો હાથ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સામે સમર્પણ કરીને બીજી જિંદગી પસાર કરનારી ફુલનને સમાજવાદી પાર્ટી તરફથી સાંસદની ટીકીટ મળે છે અને તે મીરપુર સીટ પરથી જીતીને લોકસભાની સભ્ય બને છે.

બહાઇ હત્યાકાંડનો બદલો લેવા શેરસિંહ રાણા આગળ આવે છે. હિન્દુ ક્ષત્રિયસભા તેને મદદ કરે છે અને તે ફુલન પર તેના દિલ્હી સ્થિત નિવાસસ્થાને ગોળી ચલાવીને તેની હત્યા કરે છે. મૃત્યુ સમયે તેની ઉંમર માત્ર  ૩૮ વર્ષ હતી. જોકે શેરસિંહ રાણાએ લખેલા પુસ્તક ‘જેલ ડાયરી’ માં તે ક્યાંય સ્વીકારતો નથી કે તેણે ફુલનની હત્યા કરી છે. માત્ર તેની પર આરોપ છે તેમ કહે છે.

૧૪/૫/૨૦૧૭ ના રોજ ચિતોડગઢ ની મુલાકાતે અમે ગયા હતા. જયા બહુચર્ચિત પદ્માવતી ફિલ્મનું શુટિંગ થયુ હતું. ઇતિહાસ પ્રમાણે રાણી પદ્માવતી સૌથી સુંદર સ્ત્રી હતી.

અલાઉદીન ખીલજી પાસે જઇને કોઇ પદ્માવતીની પ્રસંશા કરે છે તેથી તેને પામવા અને રાજ્યનો વિસ્તાર કરવા ચિતોડ પર આક્રમણ કરે છે. કહેવાતી કથા અનુસાર રતનસિંહ હારી જાય છે. ખીલજી શરત રાખે છે કે જો તે પદ્માવતી નું એક વાર દર્શન કરાવે તો તેને જીવતો છોડી દેશે. રાજપુતો પોતાની સ્ત્રીના દર્શન પરપુરુષોને કરાવતા નથી તેથી એક ઝરૂખામાં રાણીને ઉભી રાખી, નીચે પાણીમાં તેના પ્રતિબિંબ ને ખીલજી ને બતાવવામાં આવે છે. પ્રતિબિંબ મા જ ખીલજી જોઇને મુગ્ધ થઇ જાય છે. રતનસિંહ ને લઇને આગળ જાય છે અને રસ્તામાં જ તેની હત્યા કરે છે. અને પાછો પદ્મિની ને પામવા ચિતોડ પાછો ફરે છે. પદ્મિની સુધી સમાચાર પહોંચી જાય છે, તેથી તે અને મહેલની તમામ સ્ત્રીઓ અગ્નિસ્નાન કરીને પોતાના જીવનનો અંત લાવે છે.

હવે વર્તમાન મા આવીયે તો, આ ફિલ્મ ને જાણી જોઇને ચર્ચા મા રાખવાના પ્રયાસો થઇ રહ્યા હોય તેમ જણાય છે. સંજય લીલા ભણસાલી પર ચિતોડ મા હુમલો થાય છે તે સમયે કોઇને ખબર પણ નથી કે ફિલ્મ કેવી હતી. આ હુમલાની ફરિયાદ સંજય નોંધાવતા નથી. ત્યાર બાદ પુનામા શુટિંગ દરમિયાન આગ લાગે છે, કોઇ જાનહાનિ નથી, પણ બીજું ઘણું નુકસાન થાય છે. તેમાં બીજી કોઇ તપાસ કરવામાં આવતી નથી. આ ફિલ્મના ટ્રેલરને જોઇને ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટે ઘણા સંગઠનો કે સેનાઓ આગળ આવી છે.

ફુલનદેવી પર જ્યારે ફિલ્મ બની ત્યારે માત્ર ફુલનના વિરોધ સિવાય કોઇએ તેનો વિરોધ નહોતો કર્યો. ફુલનનો વિરોધ પણ માત્ર ચાર દ્રશ્ય માટે હતો જેમાં તેને નગ્ન અવસ્થામાં પાણી ભરવા મજબુર કરવામાં આવે છે તે ઉપરાંત બીજા ત્રણ રેપ સીન છે. આ એક જીવતી જાગતી આપણી વચ્ચે રહેતી સ્ત્રીને નગ્ન બતાવવામાં આવે છે ત્યારે કોઇ સંગઠન કે સેનાને તેમાં કશુ અજુગતુ ના દેખાયું, ભારતીય સંસ્ક્રુતી ના ગાણા ગાતા આ બે મોઢાળા સંગઠનોને તેમાં સ્ત્રીનું અપમાન નથી દેખાતું, ઉપરથી તે ફિલ્મને જોઇને સફળ બનાવી. ફુલન એક વાસ્તવિક સ્ત્રી હતી જ્યારે કેટલાક ઇતિહાસકારોના મતે પદ્મિની એક કાલ્પનિક પાત્ર છે, ફુલનના મૃત્યુને હજુ ૧૬ જ વર્ષ થયા છે જ્યારે પદ્મિની ૬૦૦ વર્ષ પહેલાનુ પાત્ર છે, માત્ર ગ્રંથ સિવાય આપણી પાસે કોઇ સાબિતિ નથી કે પદ્મિની હતી કે નહી, જ્યારે ફુલનને કેટલાયે જોઇ છે. બે સ્ત્રીની સરખામણી ની આવુ કેમ? આમાં પણ જાતિવાદ ખદબદતો દેખાય છે, નીચી જાતિનું કોઇ સમ્માન જ નહી, તેમની સાથી ગમે તે થઇ શકે, તેમને ગમે તે રીતે બતાવી શકાય?

પદ્માવતી ફિલ્મનો વિરોધ માત્ર અને માત્ર જાતિવાદી માનસિકતા છે.

દિનેશ મકવાણા
અજમેર ૧૬/૧૧/૨૦૧૭

વાદ -     વિચાર
વિવાદ - વિરુદ્ધ વાદ એટલે કે વિચાર
સંવાદ - સરખો વાદ, વિચાર

No comments:

Post a Comment