August 03, 2017

આંબેડકરવાદ ના નામ પર ગેર સંવૈધાનીક કામ કરવા ઉશ્કેરતા લોકો માટે

By Vijay Makwana  || 02 Aug 2017  



એકવાર અજાણ્યો કોલ આવ્યો.

'હેલ્લો સર! તમે ફેસબુક પર સામાજિક જાગૃતિ વિશે સારું લખો છો. હું તમારાથી પ્રભાવિત છું. તમે સમાજ માટે સારું કાર્ય કરો છો.

મેં કહ્યું આભાર દોસ્ત..એ મારું લક્ષ્ય છે કે, આંબેડકરી વિચારધારા જનમાનસ સુધી પહોંચે. લોકો શિક્ષિત, સંગઠીત, વિચારશીલ, નિડર અને પ્રગતિશીલ બને. ભેદભાવ ભૂલી સામાજિક નવ નિર્માણ માટે પ્રવૃત થાય.

તે બોલ્યો: સર, હું મારા એક મિત્ર માટે મદદ માંગુ છું. તે આંબેડકરી એક્ટિવીસ્ટ છે. તેની પર ગંભીર ગુનાની ફરીયાદ થઇ છે. હાલ તે પોલિસની બીકથી નાસતો ફરે છે. તેને બીક છે કે પોલીસ તેને પકડીને લોકઅપમાં પૂરી ઢોર માર મારશે. તમે તેને પોલિસથી બચવામાં મદદ કરશો?

મેં કહ્યું : કેવી મદદ? જામીન મેળવવાના છે.?

તે બોલ્યો: ના, સર..તે હાલ નાસતો ફરતો આરોપી છે..તેને આશ્રય આપવાનો છે. પોલીસ તેને ખોટો ફસાવી દેવા માંગે છે.

હું બોલ્યો: તો એમાં હું શું મદદ કરી શકું?

તે બોલ્યો: તેને તમારા શહેરમાં ગુપ્તવાસમાં રાખો.

હું બોલ્યો: જો ભાઇ એક તો હું તને ઓળખતો નથી. બીજું હું ઓળખતો હોય તોય મારો સ્પષ્ટ નનૈયો જ હોય. હું આંબેડકરવાદી છું. આ દેશનું સંવિધાન મારા બાપે લખ્યું છે. તેની એક એક લીટી મારા માટે પૂણ્યશ્લોક છે. આ દેશના તમામ કાયદા-કાનુનનો હું આદર કરું છું. તારો મિત્ર સંવિધાનથી રચાયેલા કાયદાનો અપરાધી છે. તારો દોસ્ત આંબેડકરવાદી હોય અને સાચો હોય તો તેને ડરવાની કોઇ જરુર નથી. તેને કહી દે કે પોલિસ સ્ટેશનમાં હાજર થઇ જાય. અને રેગ્યુલર જામીન મેળવી લે. પોલીસ મારશે અથવા મારી નાખશે..એવો ડર હોય તો આંદોલન કે ક્રાંતિ કરવાનો મોહ ન રાખે. હું આંબેડકરવાદી છું એનો મતલબ એ નહી કે, હું ગુનેગારોને પણ છાવરી લઉં..છતાંય મારી સલાહ છે તને કે એમ લાગતું હોય કે, પોલિસ મારશે તો જીલ્લા ન્યાયાલયમાં જઇ કોર્ટ સમક્ષ લેખિત સરેન્ડરની અરજી કરી હાજર થઇ જાય. કોર્ટ રુબરું પોતાની ધરપકડ કરાવી લે. ત્યારબાદ કેટલાંય રસ્તા છે..સ્વબચાવ કરવાના..તારા દોસ્ત કરતાંય કેટલાંય મોટા ગજાનાં આંબેડકરવાદીઓ પડ્યાં છે. કોઇ મારી નથી નાખતું..! અને હા, તેને કહેજે કે આંદોલન છોડી દે! ખોટો સમય બરબાદ ન કરે..કાયદાથી ભાગતા ફરતાં લોકો જો આંદોલન ચલાવશે તો એક સંવૈધાનિક તરીકાઓથી લડત ચલાવતા સંગઠન પર 'આતંકવાદી સંગઠન'નું લેબલ લાગી જશે..બરાબર??

ફોન કટ્ટ!

No comments:

Post a Comment