September 03, 2017

બાબા, સાધુ અને સાધ્વીઓ

By Dinesh Makwana  || 01 Sep 2017




ચારે બાજુ રામ રહીમની ચર્ચા ચાલી રહી છે. દરેક ચેનલ રોજ તેના જુદા જુદા કારનામા જાસૂસી પત્રકારત્વ ના નામે બતાવી રહી છે. કેટલાક વીડીયો યુ ટ્યુબ પર અપલોડ થઇ રહ્યા છે તેમાં સમાજને સુધારવા માટે બહુ લાંબા લચક લેકચર આપી રહી છે. દરેક કાર્યાલયોમાં, દરેક પાનના ગલ્લે, ચોરે ચટ્ટે માત્ર અને માત્ર રામ રહીમની ચર્ચા ચાલી રહી છે. પણ આ કિસ્સામાં શુ શીખવાનું છે, શુ શીખી રહ્યા છે, કેમ આમ થાય છે, આ પહેલો કિસ્સો નથી ને છેલ્લો પણ નથી. તેમ છતા આપણી માનસિક સ્થિતિ કેમ આમ જ રહે છે? વર્ષો પછી પણ ગુલામોની સંખ્યા વધતી કેમ જાય છે. કેટલાક પુસ્તકોના વાંચનને આધારે આના વિશે ચર્ચા કરુ છુ. શ્રધ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી દિવાલ છે તેના વિશે મે એક લેખ લખ્યો હતો તેથી તેના વિશે ચર્ચા કરીશ નહી.

સૌરભ શાહ ઇન્વેસ્ટીગેટીવ પત્રકાર છે. ૧૮૬૦ મા બનેલા બનાવને આધારે બોમ્બે હાઇકોર્ટ મા એક કેસ દાખલ થાય છે. કરસનદાસ મુળજી નામના વૈષ્ણવે જદુનાથ મહારાજ સામે કેસ  દાખલ કરે છે જે બહુચર્ચિત લાયેબલ કેસ તરીકે ગણાય છે. આ લાયેબલ કેસના તમામ કાગળો વાંચી તપાસીને સૌરભ શાહે 'મહારાજ' નામની નવલકથા લખી છે. પુષ્ટિ માર્ગના વૈષ્ણવ ના મંદિરને હવેલી કહે છે અને તેના પુજારી મહારાજ તરીકે ઓળખાય છે. આ મહારાજ ૧૮૬૦ મા કેવા કેવા કરતુતૌ કરે છે, કેવી સેકસ લીલા કરે છે. કેટલાક વર્ણનો વાંચીને અરેરાટી ઉપજે છે. મહારાજ પોતાના સેકસને શ્રીકૃષણની લીલા ગણાવે છે અને તેના દર્શનની પણ કિંમત માંગે છે. પણ જદુનાથ મહારાજને દોષિત જાહેર કરવામાં આવે છે. આટલા વર્ષો પછી હવેલી છે, મહારાજ છે અને તેના ભક્તો છે.

આની પાછળ મુળ ભારતની આર્થિક સ્થિતિ પણ તેટલી જ કારણભુત છે. જયા ૮૦ ટકાથી વધુ લોકોનું ભવિષ્ય સલામત ના હોય ત્યારે આ ભગવાનના ઢોંગી ચેલા પાસે આપણે આપણી સમસ્યાનું સમાધાન શોધીયે છે.

આશારામ વિશે લખ્યુ ત્યારે મારા કાકાનો દીકરો તેનો ભક્ત છે તે માનવા તૈયાર નહી. તેની દલીલ હતી કે આ ખ્રિસતી લોકોનું બદનામ કરવાનું કાવતરું છે. ભુજથી એક મિત્રએ મને આ વિશે કહ્યુ. મુંબઈથી પ્રવિણ સોલંકીએ કડક ભાષામાં કહ્યુ. મે કહ્યુ મારી કરતા સરકાર વધારે બુદ્ધિશાળી છે, કોર્ટ પણ છે તો પછી બે વર્ષથી અંદર કેમ છે. કોઇની પાસે જવાબ નહોતો.

પણ આપણે તર્ક  કરતા નથી. તમારી સમસ્યા નો ઉકેલ ખુદ ભગવાન નથી બતાવી શકતા તો આ તેમના ચેલા કેવી રીતે બતાવી શકે..

ઇશ્વર વિશેના લેખમાં મે બહુ સ્પષ્ટ કહ્યુ હતું કે કોઇ ઇચ્છતો નથી કે ઇશ્વર તેમની પાસે રહે કારણ કે તે એવું કોઇ કામ નહી કરી શકે જેને ઇશ્વર જોઇ શકે. ચોરી કરવી, જુઠુ બોલવું, વગેરે વગેરે. આપણે માત્ર આશીર્વાદ ઇચ્છીયે છે પણ આપણે શુ કરીયે છે તે ઇશ્વરને બતાવવા માંગતા નથી. બીજા દિવસે મંદિરમાં જઇને આપણે બે મિનિટ પશ્ચાત્તાપ કરીને ઇશ્વરને બેવકૂફ બનાવીયે છે. જો ઇશ્વરનુ ખરેખર અસ્તિત્વ હોય તો અને તમારા પાપ ને ભેગા કરીને સજા આપે તો એક દિવસ પણ તમે જીવીત રહી ના શકો. પણ આ શક્ય નથી અને આવુ થતુ નથી. આપણે કહેવાતા ઇશ્વરને રોજ બેવકૂફ બનાવતા રહીયે છે.

છેલ્લે ગયા રવિવારે મારી દીકરીએ કહેલી એક વાત કહી જે બધાની અને મારી આંખો ઉઘાડી નાંખે તેવી છે. તેણે કહ્યુ કે સંકલ્પ ટ્રસ્ટ મા રહીને જે બાળકોને તમે મદદ કરો છો તેમાં એવો તો કોઇ સ્વાર્થ નથી ને કે અમને( મારા દીકરા દીકરીને) કોઇ લાભ મળે, સારી નોકરી મળે. જો આવુ વિચારીને કામ કરતા હોય તો બંધ કરી દેજો કારણ કે અમે અમારી મહેનતથી શક્ય હશે ત્યાં સુધી આગળ વધીશું. કોઇના આશિર્વાદ થી અમારે આગળ વધવું નથી.

મારી પાસે શુ શબ્દો હોય?

દિનેશ મકવાણા
અજમેર રાજસ્થાન
૧/૯/૨૦૧૭

No comments:

Post a Comment