November 11, 2019

શું સાચે જ સુપ્રિમ કોર્ટે રામના અસ્તિત્વને સ્વીકાર્યું?? : જાણો તથ્ય

By Vijay Makwana  || 10 Oct 2019



ઘણાં અહીં બેઠા બેઠા તુક્કા મારે છે કે, સુપ્રિમ કોર્ટે રામના અસ્તિત્વને સ્વીકાર્યું. રામ હતા તેવું સ્વીકાર્યું, તો..

મિ. તુક્કાબાઝ જાણી લો કે, સિવિલ પ્રોસિજર કોડ નો ઇતિહાસ રોમન લોકો સુધી જાય છે. રોમનો જ્યારે ધાર્મિક બાબતે વિવાદિત સિવિલ પ્રક્રિયા કરવાની હોય ત્યારે દેવતાઓને કાલ્પનિક પક્ષકાર બનાવી લેતાં જેથી જીવિત કોઈપણ વ્યક્તિ તે વિવાદનો લાભ કે ગેરલાભ ના ઉઠાવી જાય. ભારતમાં અંગ્રેજો સિવિલ પ્રોસીજર કોડ લઈને આવ્યા. અહીં દેવતાઓની ભરમાર હતી અને કોઈ દેવતાઓ ના મંદિરના ટ્રસ્ટ તો હતા નહિ. એટલે તેમણે રોમનો જેવી જ પરંપરા અહીં લાગુ કરી. કોઈ પણ મંદિર વિષયક વિવાદમાં ભગવાન ને જ પક્ષકાર ગણી લેવા જોઈએ તેવું લાગુ કર્યું. ભારતમાં પ્રથમવાર ડાકોર ના શામળાજી ને પક્ષકાર ગણવામાં આવેલા.

હિન્દુ લો અને ધાર્મિક ટ્રસ્ટો નો અધિનિયમ વાંચવો ખૂબ જરૂરી છે. ભારતમાં આ અધિનિયમ મુજબ કોઈ સંસ્થા, ટ્રસ્ટ, કંપની, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, ચરમાળિયા દાદા, ખેતરપાળ જેમનામાં જીવ નથી તેવી તમામ ચીજોને પક્ષકાર ગણી શકાય છે. પક્ષકાર ગણી લેવા એટલે રામ ને હાજરાહજૂર માની લેવા તેવું નહિ. ચુકાદાને પબ્લિક ઇન્ટરેસ્ટ થી દૂર રાખવાની આ વર્ષો જૂની પ્રણાલી છે.

રામ કાલ્પનિક જ છે. મહાકાવ્ય ના નાયક જ છે. તે સુપ્રિમ કોર્ટ પણ જાણે છે. અને જેનામાં પાશેર બુદ્ધિ છે તે પણ સમજે અને માને છે.

 - વિજય મકવાણા

November 02, 2019

ડો આંબેડકરે ફક્ત બૌદ્ધ ધમ્મ ની જ પસંદગી કેમ કરી??







૧૯૩૫ માં હિન્દૂ તરીકે નહીં મરવાની પ્રતિજ્ઞા લીધા બાદ, ૧૯૫૬ માં બાબાસાહેબ ડો આંબેડકરે ફક્ત બૌદ્ધ ધમમ ની જ પસંદગી જ કેમ કરી?? કેમ તેઓ ને ફક્ત બૌદ્ધ ધમ્મ અંગીકાર કરવા યોગ્ય લાગ્યો??
આ પ્રશ્ન નો જવાબ બાબાસાહેબ ડો આંબેડકર ના લેખ "બુદ્ધ ઔર ઉનકે ધમમ કા ભવિષ્ય" માંથી મળે છે..
આ લેખ કલકત્તા ની મહાબોધી સોસાયટી ના માસિક લેખ માં ૧૯૫૦ ની સાલ માં પ્રકાશિત થયો હતો, જે વોલ્યુમ ૧૭ ના ભાગ ૨ માં સંકલિત છે..
આ લેખ માં બાબાસાહેબ એ વિશ્વ ના ચાર પ્રચલિત ધર્મ બૌદ્ધ, ઈસાઈ, ઇસ્લામ અને હિન્દૂ ની તુલના કરી છે.. અને આ ચારેય ધર્મ ને વિવિધ કસોટીઓ પર તપાસ્યા છે.. અને આમાં બૌદ્ધ ધમમ એમની કસોટી પર ખરો ઉતર્યો હતો..
  • બુદ્ધ ના માનવીય રૂપ થી બાબાસાહેબ આકર્ષિત થયા હતા.. જ્યારે અન્ય ધર્મ ના સંસ્થાપકો એ પોતે ઈશ્વર, ઈશ્વર ના દૂત કે ઈશ્વર ના સંતાન હોવાની વાત કરી છે, ત્યારે બુદ્ધ એ પોતાને ફક્ત સામાન્ય માણસ ગણાવ્યા છે..
  • બુદ્ધ એ ક્યારેય મુક્તિદાતા હોવાનો દાવો નથી કર્યો.. બુદ્ધ કહે છે કે, હું મુક્તિદાતા નહીં ફક્ત માર્ગદાતા જ છું.. હું ફક્ત રસ્તો બતાવી શકું છું, પરંતુ એના પર ચાલવાનું તો તમારે પોતે જ છે.. બુદ્ધ એ પોતાના ધમમ માં એક મનુષ્ય તરીકે મુક્તિદાતા અને માર્ગદાતા નો ભેદ સ્પષ્ટ કરી ને એક માનવ ધર્મ આપ્યો..
  • બુદ્ધ નો ધમમ તર્ક અને અનુભવ પર આધારિત છે, નહીં કે વિશ્વાસ અને શ્રદ્ધા પર!! ગૌતમ બુદ્ધ એ કહ્યું છે કે, તમે કોઈ પણ વાત ને એટલા માટે ના માનશો કે એ કોઈ સાધુ, સંત કે મહાપુરુષ એ કહેલી છે.. એ વાત ને પોતાની બુદ્ધિ અને તર્ક ની કસોટી પર ચકાસો અને યોગ્ય લાગે તો જ માનો.. આમ બુદ્ધ એ પોતાના અનુયાયીઓ ને પ્રશ્ન કરવાની છૂટ આપી છે.. વધારામાં પોતાના પરિનિર્વાણ સમયે પોતાના અનુયાયીઓ ને બુદ્ધ એ કહ્યું હતું કે, "વિશેષ સમય અને સ્થિતિ પ્રમાણે જો એમની શિક્ષાઓ સટીક માલુમ ના થાય તો તેઓ તેમાં સુધાર કરી શકે છે અને અમુક વાતો ત્યાગી પણ શકે છે.."
  • બુદ્ધ ના ધમમ માં સુધાર, સંશોધન અને વિકાસ ની સંભાવના છે.. બાબાસાહેબ આંબેડકર લખે છે કે બુદ્ધ ઇચ્છતા હતા કે, ભૂતકાળના મૃતદેહો તેમના ધમમ ઉપર બોજ ન બનવા જોઈએ. તેમનો ધર્મ સદાબહાર અને સર્વકાળ માટે ઉપયોગી બને.આ જ કારણ હતું કે તેમણે જરૂરિયાત વખતે તેમના અનુયાયીઓને ધમમ ને સંવારવાની અને સુધારવાની સ્વતંત્રતા આપી. તે લખે છે કે 'બીજા કોઈ ઉપદેશકે આમ કરવાની હિંમત દર્શાવી નથી.'
વિશેષ માં બાબાસાહેબ એ બુદ્ધ ની એ શિક્ષા તરફ પણ ધ્યાન દોર્યું કે, બુદ્ધ એ ફક્ત અહિંસા ની શિક્ષા નથી આપી.. બુદ્ધ એ સમાનતા ની શિક્ષા પણ આપી છે; ફક્ત પુરુષ-પુરુષ વચ્ચે જ નહીં પણ સ્ત્રી-પુરુષ વચ્ચે ની સમાનતા પણ..
એક તરફ જ્યાં હિન્દૂ ધર્મ માં શુદ્ર અને સ્ત્રીઓ ને ફક્ત દાસ ગણવામાં આવ્યા હતા, તમને ઉપદેશ દેવાનો કે સન્યાસી થવાનો અધિકાર નહોતો; બુદ્ધ એ પોતાના ભીખ્ખુ સંઘ માં શુદ્રો ને પણ સામેલ કર્યા તેમજ સ્ત્રીઓ ને પણ ભિક્ષુણી બનવાના અધિકાર આપ્યા.. આમ બુદ્ધ સમાનતા ના સમર્થક હતા, અને બાબાસાહેબ ની દ્રષ્ટિ માં સમાનતા એ કોઈ પણ ધર્મ નું મહત્વ નું અંગ હોવું જોઈતું હતું..

'બુદ્ધ અને તેમના ધમમ નું ભવિષ્ય' શીર્ષકના લેખમાં, બાબાસાહેબ ડો આંબેડકર કહે છે કે ધર્મને વિજ્ઞાન અને તર્કની કસોટી પર ખરું ઉતરવું જોઈએ. તેઓ લખે છે કે 'જો ધર્મ એ ખરેખર કામ કરવું હોય તો તે બુદ્ધિ અથવા તર્ક પર આધારિત હોવું જોઈએ, જેનું બીજું નામ વિજ્ઞાન છે.' તેમાં ફક્ત નૈતિકતા હોવી પૂરતું નથી. તે નૈતિકતાએ જીવનના મૂળભૂત સિદ્ધાંતો - સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારોનું પાલન કરવું જોઈએ.'
બાબાસાહેબ આંબેડકરે ૧૯૩૫ ની યેવલા પરિષદ માં પોતાનો હિન્દુ ધર્મ છોડવાની જાહેરાત કરી, પરંતુ તેમણે 1956 માં ધર્મ પરિવર્તન કર્યું. આ દરમિયાન, તેમણે બધા ધર્મોનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમના પોતાના અનુસાર શ્રેષ્ઠ ધર્મની પસંદગી કરી; સાથે સાથે જ અલગ અલગ સમુદાય ના લોકો વચ્ચે જઈ સભાઓ કરી આ ઐતિહાસિક ઘટના માટે ની પૃષ્ઠભૂમિ તૈયાર કરી. સારા અને કલ્યાણકારી ધર્મની તેમની શોધ તેમને બૌદ્ધ ધમ્મ તરફ દોરી ગઈ. તેથી તેમણે તેમના અનુયાયીઓ સાથે બૌદ્ધ ધમ્મ અપનાવી લીધો. એક રીતે આ ધર્મપરિવર્તન નહીં પણ, બહુજનો ની પોતાના મૂળ ધર્મ માં ઘર વાપસી હતી..
"આ કોઈ ઘટના કે અત્યાચાર ના લીધે કરેલું ધર્મપરિવર્તન નહીં પણ, વૈચારધારા આધારિત પરિવર્તન હતું.. અને વિચારધારા ના આધાર પર થતા આંદોલનો લાંબો સમય, કઠિન પરિશ્રમ અને ત્યાગ માંગી લે છે.."

- કુંદન

September 28, 2019

કોઈ સ્કિલ ઇન્ડિયા બોલે તો હરખપદુડાં નહી થવાનું..!

By Vijay Makwana  || 24 Sep 2019



વર્ષ 2009-10 માં ગુજરાતનાં યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટના નામે છેતરવામાં આવ્યાં. એલ એન્ડ ટી નામની કંપનીએ ગુજરાતનાં યુવાનોને હુન્નરબાજી શિખવવાનું સરકારી બીડું ઝડપ્યું. ગુજરાત સરકારની ભાગીદારીમાં તમામ આઈટીઆઇમાં કડીયાકામ,સુથારીકામ,સેન્ટીંગનાં વિગેરે..બે માસથી લઇને ત્રણ માસ સુધીનાં સ્કિલ ડેવલપીંગ ના કોર્સ શરુ કરવામાં આવેલાં. માત્ર મારા જિલ્લામાં જ 2000+ યુવાનોએ લાભ લીધેલ. પણ શિખવનાર ઇન્સ્ટ્રકટર પોતે જ તમામ માહિતીથી અનભિજ્ઞ હતાં. બસ હાજરી પુરાવો સ્ટાઇપેન્ડમાંથી અમુક રકમ ફાળવો. સર્ટીફિકેટ લઇ જાઓ. આશરે દસેક લાખનો સામાન બે વર્ષ નવો પેક પડ્યો રહ્યો હવે સડી ગયો છે.(એ દરમ્યાન સરકારમાં વપરાશના નવાનાં બીલ બનતાં જ હતાં) આખરે સંપૂર્ણ જિલ્લો હુન્નરવાળો થઇ ગયો. સરકારની આ હુન્નરબાજીના સુ-રિપોર્ટમાં મારો જિલ્લો પ્રથમ નંબરે છે.

આવું જ બીજુ એક કરતુત છે. ધો-12 પાસ તમામ યુવાનોને કોલસેન્ટરમા,હોટલોમાં પર્સનાલીટીના આધારે નોકરી મળી રહે તે માટે. પર્સનાલીટી ડેવલપમેન્ટ તથા બીપીઓ કોર્સ (બે માસના) ફ્રિ માં ચલાવવા રાજ્યભરમાં ગુજરાત સરકારે પાંચસોએક જેટલી ખાનગી એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપેલાં. બધી એજન્સીઓ સંખ્યાંમાં રસ ધરાવતી. હજારો સર્ટીફિકેટનું વિતરણ થયું. યુવાન દિઠ સરકારે શો ચાર્જ ચૂકવ્યો તે ગોપનીય છે.

વચ્ચે સાહેબને અંગ્રેજી પ્રત્યે અનહદ પ્રેમ જાગ્યો..(મુળ સંસ્કૃતપ્રેમી). હું પણ ફ્લુએન્ટ અંગ્રેજી બોલું ગુજરાત પણ બોલે..!! સ્કોપ નામનો કોર્સ લઇ આવ્યા હોર્ડીંગ્સ લગાવ્યા..હજારો યુવાનોને હાકલ કરી..જોડવામાં આવ્યા. આખું ગુજરાત આજે ચોપડા ઉપર કડકડાક અંગ્રેજી બોલે છે. તમારે ન માનવું હોય તો સરકારી રિપોર્ટ જોઇ લો!

આ થઇ સ્કિલની વાતો..! હવે કોઈ #સ્કિલઇન્ડિયા બોલે તો હરખપદુડાં નહી થવાનું..!

-વિજય મકવાણા

( આ મોદી પીએમ થયાં પહેલાની પોસ્ટ છે. જે અક્ષરસ: આજે સાચી છે)

August 30, 2019

દલિત આંદોલનના ઇતિહાસનું એક પાનુ : વર્ષ 1992

By Raju Solanki  || 29 Aug 2019





રાત્રે ડબલામાં ગળી પલાળીને હાથમાં કૂચડો લઇને અમે નીકળતા. કૂચડો એટલે બાવળના દાતણને એક છેડેથી કૂટીને બનાવેલી પીંછી કે પછી ઘરના માળીયે પડી રહેલા વર્ષો જૂના બ્રશ. અમદુપુરાના ચોકથી શરૂ કરીને સી કોલોની અને ત્યાંથી રેલ્વે ક્રોસિંગ વટાવીને ઓમનગર. રસ્તામાં જ્યાં કોઈપણ દિવાલ કોરી દેખાય ત્યાં લખતા, બુદ્ધનગરની દિવાલ પર મેં ભીત લખાણ કરેલું એ હજુય યાદ છે. એ સૂત્રો હતા,

“કુમ્હેર હત્યાકાંડનો વિરોધ કરો”
ભૈરોંસિંહ શેખાવતની ઠાઠડી બાળવાના કાર્યક્રમમાં જોડાવ”


કુમ્હેર હત્યાકાંડ વખતે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ભૈરોંસિંહ શેખાવત.

કુમ્હેર હત્યાકાંડ આઝાદી પછી રાજસ્થાનમાં થયેલો સૌથી મોટો ઘાતકી નરસંહાર હતો, જેમાં જાટોએ 18 જાટવ (દલિતો)ની કત્લેઆમ કરી હતી. એમના ઝુંપડા સળગાવીને રાખ કરી દીધા હતા.

આ ઘટના 1992માં બની હતી.

અમે અમદુપુરા, સી કોલોની અને ઓમનગર ત્રણ ઠેકાણે ધરણા કરીને શેખાવતની ઠાઠડી બાળી હતી અને સામૂહિક ધરપકડો વહોરી હતી. ત્રણેય વખતે હજારો યુવાનોએ ધરણાંમાં ભાગ લીધો હતો. ચારે તરફ પોલિસનો કાફલો ખડકી દેવાતો હતો. પાંચ-છ ડબ્બા ભરી ભરીને આંદોલનકારીઓને પોલિસ પકડતી હતી અને શહેર કોટડા પોલિસ સ્ટેશને લઈ જતી હતી.

શેખાવતની સાથે તત્કાલીન ભાજપ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાની પણ ઠાઠડી અમે બાળી હતી. કારણ કે શંકરસિંહે રાજન પ્રિયદર્શીને નોકરીમાંથી બરખાસ્ત કરવાની માગણી કરી હતી. પ્રિયદર્શી ત્યારે પાલનપુરમાં જિલ્લા પોલિસ વડા હતા અને એક કોમી છમકલામાં એમણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની અટકાયત કરી હતી.




ત્યારે અમદુપુરાના જયંતી ફકીર, રજનીકાંત ડોડીયા, સી કોલોનીના મુકેશ વોરા, ઓમનગરના મંગળદાસ કાપડીયા, ઇશ્વર પરમાર, પ્રવીણ તપોધન, રમેશ નાગર, જયંતી દવે, શ્રીકાંત ડોડીયા, કિસ્મત સોસાયટીના હસુ વોરા, મજુરગામના નરેશ રેવર, જયંતી ચૌહાણ, રાયખડના કનુ સુમરા, ખાનપુરના ભરત વાઘેલા, અરવિંદ પરમાર, કૌશિક પરમાર જેવા યુવા આંદોલનકારીઓ જોડાયા હતા. એક પત્રીકા છાપી હતી, એમાં સૌના નામે અપીલ કરવામાં આવી હતી. સૌનો ઉત્સાહ ગજબનો હતો.

દેખાવોમાં સામેલ થયેલા સંગઠનોમાં નરોડા રોડના યુવાનો, દલિત અધિકાર મંચ, જાતિ નિર્મૂલન સમિતિ, માસ મુવમેન્ટ સહિતના સંગઠનોના નામ પણ પત્રીકામાં લખેલા. (જુઓ પત્રીકાની તસવીર)

અત્યારે ફેસબુક પર લાઇવ થાવ, સો-બસો ગ્રુપ્સમાં મેસેજ ફેંકો, કાર્યક્રમમાં જોડાવા માટે લોકોના મોબાઇલ નંબરો પર ઓડિયો મેસેજ મોકલો, તો પણ પાંચસો માણસો ભેગા થતા ફાંફા પડી જાય છે. એ વખતે એક પત્રીકા અને ભીંત લખાણથી બહુ જ અસરકારક રીતે સંદેશો જતો હતો.

મૂળે 1981-85ના અનામતવિરોધી આંદોલનો વખતે મેં ભીંત લખાણોની શરૂઆત કરી હતી. એની વાત પછી ક્યારેક કરીશ.

- રાજુ સોલંકી (29 ઓગસ્ટ, 2019)

August 27, 2019

રાયચંદ મેઘરાજની ચાલી બચાવવાનો સંઘર્ષ

By Raju Solanki  || 24 Aug 2019






છેલ્લા ચોંત્રીસ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એકહથ્થુ સત્તા ભોગવતા, ફાટીને ધૂમાડો થઈ ગયેલા ભાજપના ભ્રષ્ટ કોર્પોરેટર પુલકિત વ્યાસનો એક એવો વીડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગેરકાયદે બાંધકામ કરનારને કહે છે કે ચોમાસાના ત્રણ મહિના કંઈ તોડવાનું નથી અને એમ કહીને વ્યાસ રૂ. 10,000 લઈ રહ્યો છે, એ જ સમયે બીજી તરફ આ જ ભાજપની કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના અધિકારીઓ અમદુપુરા વિસ્તારમાં આવેલી રાયચંદ મેઘરાજની ચાલી ભરચોમાસામાં માત્ર પંદર જ દિવસમાં તોડવાની નોટિસ ચાલીના દરવાજે ચોંટાડીને રવાના થઈ ગયા છે. ભાજપ હરામખોરીની તમામ હદો વટાવી ચૂક્યું છે અને જે દલિતો પાસેથી હિન્દુત્વના નામે વોટ લીધા છે એમને ઘરવિહોણા કરીને ફુટપાથ પર ફેંકી દેવાની જડબેસલાખ યોજના આ ભાજપની કોર્પોરેશને ઘડી કાઢી છે.



આ રાયચંદ મેઘરાજની ચાલીનું નામ તમે ના સાંભળ્યું હોય તો જાણી લો કે આ ચાલી માત્ર અમદાવાદ જ નહીં, સમગ્ર ગુજરાતના છેલ્લા સો વર્ષના ઓજસ્વી દલિત આંદોલનના કેન્દ્રબિંદુ સમા અમદુપુરા વિસ્તારમાં આવેલી છે અને આ ચાલી મહાન આંબેડકરવાદી નેતા, દલિત પેંથરના સ્થાપક એવા નારણ વોરાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. એટલું જ નહીં, આ ચાલી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર બનાવનારા સ્વાશ્રયી, પરિશ્રમી, ખંતીલા, સ્વાભિમાની દલિત મજુરોની ધરોહર છે. રાયચંદ મેઘરાજની આ ચાલી જેવી સો ચાલીઓ નરોડા રોડ પર આવેલી છે અને આ જ ચાલીઓના મહાન આંબેડકરવાદીઓએ વીસમી સદીના છઢ્ઢા દાયકામાં ગામડાઓના ભૂમિહીન દલિત માટે ઝુઝારુ સઘર્ષ ચલાવ્યો હતો અને હજારોની સંખ્યામાં છ-છ મહિનાનો કારાવાસ વેઠ્યો હતો. આ ચાલીઓની ધરતીમાં ગુજરાતના દલિત આંદોલનનો જ્વલંત ઇતિહાસ ધરબાયેલો છે. ગયા વર્ષે આ જ સ્થળેથી આંબેડકરવાદીઓએ ‘આંબેડકર હેરિટેજ ટુર’ કરીને ભૂલાયેલા, વિસરાયેલા મહાન ઇતિહાસને ફરીથી તરોતાજા કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.

છેલ્લા એક સપ્તાહથી ચાલીના રહીશોએ સંગઠિત થઇને આવનારી આફતનો પ્રતિકાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક સપ્તાહ પહેલાં ચાલીમાં યોજાએલી પ્રથમ બેઠકમાં ચાલીના તમામ રહીશો ખાસ કરીને બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. એ બેઠકમાં મેં વિસ્તારપૂર્વક રહીશોને જણાવ્યું હતું કે, આ નોટિસ ફાડીને ફેંકી દેવા જેવી છે. આ ચાલી 1932થી અસ્તિત્વમાં આવી છે. 1976માં ટીપી સ્કીમ બની તે પહેલાંથી આ ચાલી અહીં વસી છે. ટીપી સ્કીમમાં જેને રસ્તો કહેવામાં આવે છે, એ તો હકીકતમાં આપણા મિલમજુર બાપદાદાઓએ મિલોમાં જવા માટે બનાવેલી કેડી હતી, જેને તેઓ નેળિયું કહેતા હતા અને આજે પણ અમદાવાદમાં આવા ઘણા નેળિયા હયાત છે. આ ચાલીની એક તરફ ગુજરાત સિન્થેટિક મિલ (બોરડી મિલ) છે અને બીજી તરફ આર્યોદય મિલ છે. આ બોરડી મિલની દિવાલને અડીને આવેલી વસાહતમાં રહેતા દેવી પૂજક ભાઈઓ પણ બેઠકમાં હાજર હતા. આ દેવીપૂજકો પણ અગાઉ મિલ સામે એક કેસ છેક હાઇકોર્ટ સુધી લડી ચૂક્યા છે. તેમની લડાઈની પણ એક રસપ્રદ કહાણી છે, જેના માટે મારે એક બીજી પોસ્ટ લખવી પડે એમ છે.

કેટલાક લોકો પાસે તો છેક 1952ની ભાડા પહોંચો છે. કોર્પોરેશનના એસ્ટેટ ખાતાએ ચાલીના માલિક રાયચંદ મેઘરાજ તથા અન્ય ચાર જણાને નોટિસ પાઠવી છે અને તે બધા મરી ચૂક્યા છે. ખરેખર તો ચાલીના ભાડુઆતોને પક્ષકાર તરીકે નોટિસ આપવી જોઇએ. સિત્તેર વર્ષથી ચાલીમાં રહેતા દલિત ભાડુઆતોના તમામ કાનૂની અધિકારો એસ્ટેટ ખાતાએ નેવે મૂક્યા છે. અધિકારીઓ મૌખિક રીતે જણાવે છે કે આ તો માત્ર અહીંથી ગટર કાઢવાની છે, એટલા પૂરતુ દબાણ હટાવવાનું છે, પણ લેખિત નોટિસમાં એવો કોઈ જ ઉલ્લેખ નથી. આ જ રાયચંદની ચાલીથી સો ફુટ દૂર એક રસ્તો આ જ કોર્પોરેશને વોરાઓના ટ્રસ્ટને વેચી માર્યો છે અને એ રોડ પરની ગટર લાઇનો પણ બ્લોક કરી દીધી છે અને બીજી તરફ અહીં ચાલીની છાતી ચીરીને ગટર કાઢવાની યોજના બનાવી છે.

ગઈ કાલે રાત્રે ચાલીમા થયેલી બેઠકમાં સ્થાનિક કોર્પોરેટરો શ્રી. યોગીભાઈ (કોંગ્રેસ) તથા શ્રી. જીતેન્દ્રભાઈ પરમાર (ભાજપ) હાજર રહ્યા હતા. યોગીભાઈ મારા પરમ મિત્ર અને પ્રખર આંબેડકરવાદી આર. પી. પરમારના પુત્ર છે. તેમણે કહ્યું કે કશું જ તોડવાનું નથી. બધાને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની છે. મેં બંને કોર્પોરેટર મિત્રોને કહ્યું કે તમે આ નોટિસ રદ કરાવો અને વૈકલ્પિક વ્યવસ્થા (જો આપવાના હોય તો) તેની લેખિત બાંહેધરી આપો. તમે એક વાર પાકા મકાનો ધરાશયી કરો, લોકો રસ્તા પર આવી જાય પછી, વૈકલ્પિક વ્યવસ્થાની ખાત્રી એસ્ટેટની ફાઈલોના જંગલમાં ખોવાઈ જાશે. એ નહીં ચાલે. બંને કોર્પોરેટર મિત્રો અમારી વાત સાથે સંમત થયા છે. સોમવારે હકારાત્મક જવાબ નહીં મળે તો ગુજરાત હાઇકોર્ટમાં કોર્પોરેશનના અમાનવીય કૃત્યને પડકારવામાં આવશે.

અમદાવાદમાં પાંચસો વર્ષ જૂની ટંકશાળની ગલી આજે પણ પહોળી નથી થતી. રતનપોળ, માણેકચોકમાં એક કાંકરી ખરતી નથી. પોળો હેરિટેજ છે. ચાલીઓ હેરિટેજ નથી. પોળોમાં દેવતાઓ રહે છે. ચાલીઓમાં જાનવરો રહે છે. ટીપી સ્કીમના અમલમાં ભાજપના બેવડા ધોરણો છે. હવે, દલિતોએ પુરવાર કરવાનું છે કે ભલે એમના લોહીમાંસ ચૂસાઈ ગયા છે, પણ એમના આત્મામાં હજુ જય ભીમના નાદ સાથે બેઠા થવાનો રણકાર જીવતો છે.

- રાજુ સોલંકી (24 ઓગસ્ટ, 2019)