April 09, 2018

તો જ આંદોલનો ચાલશે....

By Raju Solanki  || 07 April 2018 at 8:16am


ત્રણ સમર્પિત ધારાશાસ્ત્રીઓએ રંગ રાખ્યો. ઇશ્વર મકવાણા અને પિતા-પુત્રની બેલડી જી. એસ. સોલંકી તથા પિયુષ સોલંકી. સતત બે દિવસની જહેમતના અંતે તેમણે કુલ તેર યુવાનોને જામીન અપાવ્યા. દલિત સમાજ તેમનો ઋણી છે.

ભારત બંધ ટાણે અમદાવાદમાં સારંગપુર ખાતે બાબાસાહેબની પ્રતિમા પાસેથી પકડાયેલા તેર યુવાનોના નામ અહીં આપું છું, એટલા માટે કે મીડીયા એમના વિષે એક લીટી લખવાનું નથી, ટીવી પર એમના કોઈ બાઇટ્સ આવવાના નથી. કાલે એમના પર 151 થાય અને વ્યવસ્થા એમને ગુનેગાર જાહેર કરશે. જેમના અધિકારો માટે એ જેલમાં ગયા એ સમાજ કદાચ કાલે એમને વિસરી ચૂક્યો હશે.

આ દિલેર યુવાનોના નામ છે;
રાકેશ, ગૌતમ બુદ્ધ, વિજય (કાલપુર પોલિસ સ્ટેશન)
ધર્મેન્દ્ર ભુપેન્દ્રભાઈ ડોડીયા, અશ્વિન ગીરીશભાઈ મકવાણા, સંજય મગનભાઈ ભાટેસરા, બિપીન બબાભાઈ ડોરીયા, રાજ કરમણભાઈ પરમાર, મયંક પિતાંબરભાઈ પરમાર, હાર્દિક ચીમનભાઈ પરમાર, નરેશ ધુળાભાઈ મિયાત્રા, સંજય ધુળાભાઈ મિયાત્રા, નરેશ પુનમભાઈ મકવાણા (ખાડીયા પોલિસ સ્ટેશન)

યુવાનો જ્યારે સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા ત્યારે મેં એમને કહ્યું કે તમે લોકો નસીબદાર છો. અહીં તમને જોવા, આવકારવા બસો માણસો એકઠા થયા છે. અમે 1985માં અનામતના વિરોધમાં અપાયેલા ગુજરાત બંધનો વિરોધ કરેલો અને પોલિસે પકડેલા, બે દિવસ ગાયકવાડની હવેલીમાં રાખેલા, છૂટ્યા ત્યારે કોઈ કૂતરું પણ સુંઘવા નહોતું આવ્યું.

સમાજ માટે ખપી જનારા ઝુઝારુ યુવાનોને સમાજ યાદ રાખશે તો જ આંદોલનો ચાલશે. 
જય ભીમ.

Raju Solanki

No comments:

Post a Comment