April 07, 2018

પ્રતિક્રિયા : ખાખરા વેચવા નીકળેલા એકાકી વૃદ્ધા હેરાન થયા

By Raju Solanki  || 05 April 2018 at 6:47am


ખાખરા વેચવા નીકળેલા એકાકી વૃદ્ધા હેરાન થયા
ખાખરા વેચી ગુજરાત ચલાવતા કોકીલાબેન પંચાલ સવારે ખાખરા લઇને નીકળ્યા. રસ્તામાં બંધ હોઈ તેઓ પોતાના ઘરેથી કાલુપુર સુધી ચાલતા આવ્યા હતા. પરંતુ કાલુપુરમાં બસસ્ટેન્ડ પર બસની રાહ જોઇ ઉભા હતા. ઓચિંતી એએમટીએસ બંધ કરી દેવાતા કોકીલાબેન ફસાઈ ગયા હતા. દોઢ કલાક બાદ તેઓ પોતાના ઘર તરફ જવા રવાના થયા હતા.
દિવ્ય ભાસ્કર. તા. 3 એપ્રિલ, 2018
*
મારી પ્રતિક્રિયા

ખાખરા વેચી ગુજરાત ચલાવતા કોકીલાબેન પંચાલ તમને રસ્તામાં મળે તો કહેજો, "માસી, આજથી તેત્રીસ વર્ષ પહેલાં 1985માં તમારા લુહાર સમાજની અનામત સાત ટકાથી વધારીને સત્યાવીસ ટકા કરવામાં આવી હતી, ત્યારે રોજેરોજ આ જ કાલુપુરની નજીકના ખાડીયામાં ભાજપના અશોક ભટ્ટની આગેવાની હેઠળ બસો પર પથ્થરમારો કરવામાં આવતો હતો, છાશવારે અમદાવાદ બંધ રાખવામાં આવતું હતું. અને તમારા જેવા હજારો લોકો હાલાકીમાં મુકાતા હતા. કેમ કે એમને તમારો લુહાર સમાજ ભણી ગણીને સાહેબ થાય એ માન્ય ન હતું. અને માસી, એ વખતે તમારા હક્કોના રક્ષણ માટે આ જ દલિતોએ માર ખાધો, રેલીઓ કાઢી, તમારો લુહાર સમાજ તો ઘરમાં બેસી રહ્યો હતો, એને બિચારાને પોતાના અધિકારોનું ભાન પણ નહોતું.

એટલે માસી, દલિતો હવે એમના અધિકારો માટે જુદ્ધે ચડ્યા છે. તમે ફરી એકવાર આ જ રીતે ચાલતા ચાલતા ઘરે જવાની તૈયારી રાખજો. આપણે માતાજીના સંઘમાં ચાલતા ચાલતા નથી જતા? બસ એ જ રીતે આ આપણો અધિકાર માટેનો સંઘ નીકળ્યો છે. એમ સમજી લેજો. થોડી તકલીફ વેઠી લેજો."

No comments:

Post a Comment